આત્માની માતૃભાષા/27

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પૂર્ણત્વ તરફની ગતિ

અનિલ જોશી

ગાણું અધૂરું

ગાણું અધૂરું મેલ્ય મા,
‘લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરુંo

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
‘લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરુંo

ઓરાં બોલાવી ધકેલ મા,
‘લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરુંo

છાતીથી છેટાં મેલ મા,
‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.
મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬


ઉમાશંકરજીનાં કેટલાંક ગીતો અલકમલકથી આવે છે ને અલકમલકમાં જાય છે. બહુ મોટા ગજાના જાગ્રત કવિના વિદ્યાર્થી હોવું એ મારું પરમ સદ્ભાગ્ય હતું. કાવ્યાસ્વાદની વિવેચનલક્ષી ભાષા મને આવડતી નથી એટલે ‘ગાણું અધૂરું મેલ્ય મા.’ વાંચીને મને જે સંવેદનો જાગ્યાં એની નોંધ મોકલું છું. આ ગીત વાંચ્યા પછી મને ઉમાશંકરજીની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ યાદ આવી ગઈ. ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’. મને ફિલ થયું કે વ્યક્તિ એ ઉમાશંકરને મન અધૂરી છે. વ્યક્તિ જો વિશ્વમાનવી બને તો જ પૂર્ણત્વ પ્રાપ્ત થાય. ઉમાશંકરજીને અધૂરપ ખૂંચે છે. કવિની ગતિ પૂર્ણત્વ તરફ છે. એટલે તો વ્યક્તિની અધૂરપને અતિક્રમીને વિશ્વમાનવી થવાની કવિની ઝંખના છે. ઉમાશંકરજીની એક બીજી કવિતા આ ક્ષણે મારા ચિત્તમાં ઝબકી જાય છે. કાવ્યમાં વાત વાંસળી વેચનારાની છે. એક વાંસળીવાળો ‘ચચ્ચાર આને’ — જેવી બૂમો પાડીને વાંસળી વેચવા નીકળે છે. બૂમ સાંભળીને કોઈ ગ્રાહક ફરકતું નથી. પછી વાંસળીવાળો બૂમ પાડવાનું છોડીને વાંસળી વગાડવામાં લીન થઈ જાય છે. વાંસળી સાંભળીને અનેક ગ્રાહકો ભેગા થઈ જાય છે. પરંતુ કવિ બહુ જ માર્મિક રીતે (જાણે કે ભાવકને ધીમા સ્વરથી કાનમાં કહેતા હોય!) કહે છે: ‘ઘરાકનું લેશ રહ્યું ન ભાન.’ અહીં તમે જુઓ, પેલો વાંસળી વેચવાવાળો વાંસળી વગાડવામાં એટલો બધો તન્મય થઈ ગયો છે કે ખૂબ ગ્રાહકો દોડી આવ્યા છે એનું એને ભાન નથી રહ્યું. મુદ્દો એ છે કે ગ્રાહકોના પ્રલોભન છતાં એણે વાંસળીમાં વાગતું ગાણું અધૂરું છોડ્યું નથી. વેપારી મિજાજનો વાંસળીવાળો હોત તો એણે ગ્રાહકને જોઈને ‘ગાણું અધૂરું’ મેલીને વાંસળી વેચી હોત. વાંસળીવાળાને ગ્રાહકોનું ડિસ્ટર્બન્સ નડતું નથી એ સંવેદન જ જબરજસ્ત છે. કવિના ગીતની આ નમણી નાજુકાઈ અનન્ય છે. કવિને અધૂરપ ગમતી જ નથી. ‘હૈયે આયેલું પાછું ઠેલ મા’… ‘હોઠે આયેલું પાછું ઠેલ મા’ — જેવી પંક્તિઓ ઉપર કાન મૂકું છું ત્યારે મને એમાં અનેક અવાજો સંભળાય છે. કવિનો મિજાજ આ પંક્તિઓમાં નખશિખ પ્રગટ થાય છે. તમે યાદ કરો કટોકટીના સમયમાં કવિએ રાજસભામાં જે જબરદસ્ત વક્તવ્ય આપ્યું તે અદ્ભુત અનન્ય છે. રાજસત્તા સામે પડકાર ફેંકીને ‘હૈયે ઊગેલી વાતને હોઠ સુધી લાવવાની તાકાત’ ઉમાશંકરજીમાં હતી. કવિએ હૈયે આવેલું કદી પાછું ઠેલ્યું નથી. હોઠ અને હૈયા વચ્ચેની આ સંવાદિતા વંદનીય છે. જાગ્રત કવિ ક્યારેય હોઠ ઉપર જૂઠી ભાષાની લિપસ્ટિક લગાડતો નથી કારણ કે લોહીના લયની અદ્ભુત લિપસ્ટિક જન્મજાત મળેલી જ છે. ઉમાશંકર દેખાય શાંત પણ એમનો ગુસ્સો દુર્વાસા જેવો. વીંધી નાખે એવી વાણીમાં હૈયાની વાતને છુટ્ટી મેલી દે. કવિનો આ મિજાજ છે. મકરન્દ દવે એક ગીતમાં લખે છે: ‘હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમથી ધરીએ.’ પણ ઉમાશંકર હૈયાની વાતને ફૂલ જેમ ફોરમથી ધરે જ નહીં. આ ગીતમાં એક બીજી પંક્તિ પાસે આવીને અટકું છું. “ઓરાં બોલાવી ધકેલ મા.” બહુ સૂચક પંક્તિ છે. આ પંક્તિ વાંચીને મારી આંખ સામે ‘અખો: એક અધ્યયન’ પુસ્તક યાદ આવી ગયું. ઉમાશંકરજીએ એ પુસ્તકના શરૂઆતના પાનાં ઉપર કવિ જ્હોન ડનનું એક ક્વોટેશન મૂક્યું છે: ‘આકર્ષક સંગીતથી લલચાવી, પાસે બોલાવી અને પછીથી નાશ કરતી દરિયાઈ પરીની જેમ હું ગાતો નથી.’ અદ્ભુત ક્વોટેશન છે. દરેક નવા ગીતકારોએ આ ક્વોટેશન સોનાના પતરે મઢાવી રાખવા જેવું છે. પહેલા ઓરાં બોલાવીને ધક્કો મારવો એ કવિને મંજૂર નથી. ઉમાશંકરજીનું એક બીજું ગીત યાદ આવે છે. ‘ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ…’ તમે જુઓ કે કવિ પૂર્ણિમા પસંદ કરે છે. અર્ધો ચંદ્ર કે બીજમાં એને રસ નથી. રાજેન્દ્ર શાહ બીજ જોઈને લખી નાખે કે ‘બીજને ઝરુખડે ઝૂકીતી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી.’ કવિની નજર પૂર્ણતા તરફ ઉર્ફે પૂર્ણિમા તરફ છે. ઉમાશંકરે બીજ ઉપર કોઈ કાવ્ય કર્યું છે કે નહીં તે હું જાણતો નથી. પરંતુ કવિની ગતિ અધૂરપને અતિક્રમીને પૂર્ણત્વ તરફ છે. ‘ગાણું અધૂરું મેલ્ય મા’ ગીતની એક એક પંક્તિ પાસે ખાસ્સો સમય ઊભા રહેવા જેવું છે. કવિ હંમેશાં મને કહેતા કે ‘કોઈ પણ કવિતાનો આસ્વાદ લેવો હોય તો સર્જકની ચાલે ચાલવું જોઈએ. પોતાની ચાલને સંતાડી દેવી જોઈએ. કવિ ઉમાશંકરજીના આ ગીત પાસે પડાવ નાખીને બેઠો છું ત્યારે મને એવું ફિલ થાય છે કે પૂર્ણત્વ તરફ ઉમાશંકરજીની ગતિ છે, પરંતુ સ્થિતિ નથી. કવિવરની મથામણ આ જ છે. કવિની એક બીજી કવિતાને આધારે હું કહી શકું કે કવિને કદાચ કવિપદમાં પૂર્ણતાનો અહેસાસ થતો હોય એ શક્ય છે. પરંતુ જાગ્રત કવિ છે એટલે કવિને જ એવું ફિલ થતું હશે કે પૂર્ણ તો પ્રભુ છે. કવિ નથી. કવિ હોવામાં કદાચ એને અધૂરપ લાગી હોય. આ લોચન-મનનો ઝઘડો થયો. હવે શું કરવું? આ માટે કવિ એક નવો શબ્દ નિપજાવે ‘પ્રકભુવિ’. કવિ અને પ્રભુના સંયોજનમાંથી આ નવો શબ્દ બન્યો છે. અહીં પૂર્ણતા શક્ય નથી બની પણ સંકુલ બની ગઈ. પ્રભુ સરળ છે. કવિ સરળ છે. પણ ‘પ્રકભુવિ’ સરળ છે? હવે આની સામે નવી પેઢીના કવિ સિતાંશુને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને યાદ હોય તો ‘સંસ્કૃતિ'માં સિતાંશુનું ‘મનુ, યમ અને જળ’ શીર્ષક હેઠળ એક લાંબું કાવ્ય છપાયું હતું. આ કાવ્યને અંતે સિતાંશુ પણ આવી જ મૂંઝવણ અનુભવે છે. કઈ તરફ ગતિ કરવી? મનુ તરફ કે યમ તરફ? અહીં સિતાંશુએ પણ મનુ અને યમ શબ્દને એકાકાર કરીને ‘મુનમય મુનમય ચાલો.’ લખી નાખ્યું. આધુનિક કવિ માટે ‘ટુ બી ઑર નૉટ ટુ બી’ જેવી સ્થિતિ છે. આમ ‘પ્રકભુવિ’ અને ‘મનુમય’ બે શબ્દો કવિએ જ નિપજાવેલા શબ્દો છે. બંને કવિઓની સંવેદના જુદી છે. એકને પ્રભુમાં પૂર્ણત્વ દેખાય છે અને બીજા કવિની ચેતના ‘ટુ બી ઑર નૉટ ટુ બી'માં સ્થિતિ કરીને બેસી ગઈ છે. બે પેઢી વચ્ચેનો તફાવત અહીં જોવા જેવો છે. આખી ગીતરચના ખૂબ સરળ છે. ભાષાનો કોઈ ઠઠારો નથી. ગીતમાં તમને ક્યાંય લિંગ્વિસ્ટિકના જિમ્નેશિયમની કસરત જોવા મળતી નથી. ઉમાશંકરજીના ગીતની આ જ વિશેષતા છે. ન્હાનાલાલે લખ્યું હતું કે નરી સરળતા કોણ પૂજશે? ઉમાશંકર એક જ એવા કવિકુલગુરુ હતા જેણે સરળતાને પ્રતિષ્ઠા આપી.