પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/નિવેદન


નિવેદન

‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ (૧૯૬૬)નું આ સંવર્ધિત રૂપ છે. એ પુસ્તક થોડાં વર્ષમાં જ અપ્રાપ્ત બની ગયું હતું. પણ એમાં લૉંજાઇનસની કાવ્યવિચારણા ઉમેરવાનો લોભ હતો એટલે પુનર્મુદ્રણ કરવાનું ટાળ્યે રાખ્યું. છેલ્લાં થોડાં વર્ષોથી કેટલાક મિત્રો આગ્રહ કરવા લાગ્યા કે ઉમેરણ ભલે પછી અનુકૂળતાએ થાય, આ પુસ્તકનું પુનર્મુદ્રણ તો કરી જ નાખવું જોઈએ. એની ઉપયોગિતા ઘણી છે. પુનર્મુદ્રણનો વિચાર તો કર્યો, પણ વ્યવસ્થા ગોઠવવામાં ઢીલ થઈ એ દરમ્યાન લૉંજાઇનસ વિશે લખવાનું આરંભવાની અનુકૂળતા દેખાઈ એટલે પુનર્મુદ્રણના વિચારને બાજુ પર મૂક્યો. લૉંજાઇનસ વિશે લખાયું ને એ લેખમાળા ‘બુદ્ધિપ્રકાશ’માં નવેમ્બર ૧૯૯૪થી જૂન ૧૯૯૫ના ગાળામાં પ્રસિદ્ધ પણ થઈ. પરંતુ આ દરમ્યાન રસેલ અને વિન્ટરબૉટમનું ‘એન્શયન્ટ લિટરરી ક્રિટિસિઝમ’ એ પુસ્તક હાથ આવ્યું. જેમાં ગ્રીક-રોમન સમયની સાહિત્યવિચારણાનો ઘણો મોટો દસ્તાવેજ અનુવાદ રૂપે રજૂ થયો હતો. એટલે લોભ લાગ્યો કે હોરેસ વિશે એક, અને એક ગ્રીક-રોમન સાહિત્યવિચારણાના પ્રવાહ વિશે એમ બે પ્રકરણ ઉમેરી આ વિષયને એક પ્રકારની પૂર્ણતા અર્પવી ને પછી પુસ્તક પ્રસિદ્ધ કરવું. પણ આ બધું ક્યારે થાય? બેત્રણ વર્ષે પણ હોરેસ હાથમાં લેવાની અનુકૂળતા મળી નહીં, ફરી મિત્રોએ સલાહ આપી કે આ લોભ મનમાં રહેવા દો, થાય ત્યારે કરજો ને પછી ઉમેરી લેજો, પણ અત્યારે તો હાથમાં છે તે પ્રસિદ્ધ કરી દો, અમારે તો તમારા જૂના પુસ્તકની ઝેરોક્ષ નકલો કરાવવી પડે છે. મને આ સલાહ વ્યવહારુ લાગી. આમેય આ વિષયને હું આગળ લઈ જાઉં એની શક્યતા ઓછી થવા લાગી છે. પરિણામે આ પુસ્તક ‘પ્લેટો-ઍરિસ્ટૉટલ-લોંજાઇનસની કાવ્યવિચારણા.’ ‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ મારું એક પ્રિય પુસ્તક છે. એની ગદ્યાભિવ્યક્તિનો હું ખાસ ચાહક છું. ચંદ્રકાન્ત શેઠે એમના ગદ્યસંચય માટે મારી પસંદગી માગી ત્યારે મેં એમાંથી જ એક અંશ સૂચવેલો. લૉંજાઇનસ વિશે લખવું શરૂ કર્યું ત્યારે મનમાં સંશય હતો કે એવું સાહજિક, ભાર વિનાનું, પારદર્શક ગદ્ય હવે સાધ્ય બનશે કે કેમ. પરંતુ મને સંતોષ છે કે લૉંજાઇનસ વિશે એવા જ ગદ્યમાં લખી શકાયું છે. લૉંજાઇનસ વિશેના લખાણમાં પણ લક્ષ્ય એ જ રાખ્યું છે કે એમના વિચારોને એમના ગ્રંથને આધારે સમજવાની-નિરૂપવાની કોશિશ કરવી, એમને વિશે થયેલાં વિવેચનોનો તો ખપપૂરતો, માર્ગદર્શક રૂપે જ ઉપયોગ કરવો. પાંડિત્યપ્રદર્શનથી તો દૂર જ રહેવું. લૉંજાઇનસના વિચારો માટે સામાન્ય રીતે ‘ધ ગ્રેટ ક્રિટિક્સ’માંના ડબલ્યુ. રાઇસ રૉબટર્‌સના અનુવાદનો અને આવશ્યકતા જણાઈ ત્યાં ‘એન્શ્યન્ટ લિટરરી ક્રિટિસિઝમ’માંના ડી. એ. રસેલના અનુવાદનો ઉપયોગ કર્યો છે. આ વિષયમાં પાંડિત્યપૂર્ણ લખાણ કરવાનો આશય પહેલેથી જ નહોતો. તેથી થોડાં મહત્ત્વનાં વિવેચનોનો આશ્રય લઈને સંતોષ માન્યો છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ઍરિસ્ટૉટલ વિશે તો કેટલુંબધું લખાયું હોય? પણ એમાં જવું જરૂરી લેખ્યું નથી (અત્યારે એ શ્રમ હું ઉઠાવી શકું તેમ નથી), પણ સહજ રીતે કોઈ વિવેચન તરફ ધ્યાન ગયું તો આવશ્યક લાગ્યો તેટલો જ લાભ લીધો છે. આ રીતે, પ્લેટો અને ઍરિસ્ટૉટલમાં એક-એક અનુલેખ ઉમેરાયો છે. નાનકડા ફેરફાર-ઉમેરણ અંદર પણ ક્યાંક થયાં છે. એક નોંધપાત્ર ફેરફાર તે, પાદટીપ રૂપે અપાયેલાં ઘણાં અંગ્રેજી ઉદ્ધરણો છોડી દીધાં છે તે છે. યાદ આવે છે કે શ્રી યશવંત શુક્લે ‘પરબ’ માટેના મારા પહેલા લેખમાંથી જ અંગ્રેજી ઉદ્ધરણો ઓછાં કરવા પ્રેરેલો, એમ કહીને કે વાચકે તમારા પર વિશ્વાસ મૂકવો જોઈએ. આજે થોડાં વધુ ઉદ્ધરણો ઓછાં કર્યાં છે તેમાં આત્મવિશ્વાસ પણ કારણભૂત છે. એક વસ્તુ વાચકોની નજરે ચડશે કે અહીં સઘળી વ્યક્તિઓ માટે બહુવચનનો પ્રયોગ થયો છે. માનાર્થે બહુવચન એ ગુજરાતી ભાષાની લાક્ષણિકતા છે. તો બધા દેશકાળની વ્યક્તિઓ માટે એ જ પ્રયોગ કરવો જોઈએ એમ હું માનતો થયો છું. અંગ્રેજી-પરદેશી નામો-શબ્દોની જોડણી પણ ડેન્યલ જોન્ઝાના ઉચ્ચારકોશને અનુસરતી રાખવા કોશિશ કરી છે – કેટલીક તડજોડ સાથે. ‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ને જે આવકાર મળ્યો છે તે એના આ સંવર્ધિત રૂપને પણ મળશે એવી આશા રાખું છું. શ્રી ચી. ના. પટેલે એમનો આમુખ નવેસરથી જ લખ્યો છે. એમના આમુખમાં જોડણી અને લેખનની વ્યવસ્થા – ખાસ કરીને અંગ્રેજી શબ્દોની – એમની જ રાખી છે. એમની ઇચ્છાથી. પુસ્તકની શબ્દસૂચિમાં પુત્રી દર્શનાની મદદ મળી છે. પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થાય છે એમાં શ્રી મનુભાઈ શાહનો ઉત્સાહ કારણભૂત છે. એમનો આભારી છું.

૧૭ ઑગસ્ટ ૧૯૯૮
૨૪, નેમિનાથનગર
અમદાવાદ ૩૮૦૦૧૫


જયંત કોઠારી

‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’નું

૧૯૬૩થી ’૬૮ના ગાળામાં ‘પરબ’માં પ્રસિદ્ધ થયેલાં પ્લેટો અને ઍરિસ્ટૉટલની સાહિત્યવિચારણાવિષયક મારાં લખાણો અહીં એકત્ર કર્યાં છે. ઍરિસ્ટૉટલ વિશેનો છેલ્લો ઉપસંહારરૂપ ખંડ અહીં પહેલી વાર પ્રસિદ્ધ થાય છે. ઉપરાંત, બીજા એક-બે ખંડો ઠીકઠીક સુધાર્યાં પણ છે. એટલે હવે અભ્યાસીઓ આ આવૃત્તિને જ આધારભૂત ગણે એવી વિનંતી છે. ૧૯૬૩માં પ્લેટોવિષયક પહેલું લખાણ આરંભ્યું ત્યારે મનમાં વિચાર હતો પશ્ચિમની આજદિન સુધીની કાવ્યવિચારણાનું ઐતિહાસિક ક્રમે અને તાત્ત્વિક દૃષ્ટિએ નિરૂપણ કરવાનો. એ વિચાર હજુ સાવ છોડી દીધો નથી, પરંતુ જે ગતિએ અત્યાર સુધીનું કામ ચાલ્યું છે તે જોતાં આખીય યોજના તો ક્યારે પાર પડે? એથી જ તો, પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા વિશેના આટલા લેખોને પણ એક પુસ્તિકા રૂપે પ્રગટ કર્યા હોય તો એનાથી વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓની અનુકૂળતા સચવાય એવો વિચાર આવ્યો અને કેટલાક મિત્રો તથા મુરબ્બીઓએ એ વિચારને અનુમોદન આપ્યું. તેનું આ ફલ. આ લખાણોનો મુખ્ય ઉદ્દેશ જે-તે સાહિત્યવિચારકે કાવ્યના મૂળભૂત પ્રશ્નો વિશે જે મહત્ત્વની વિચારણા કરી હોય તેને એના સંપૂર્ણ તર્ક સાથે અને છતાં વિશદ રૂપે સમજવાનો-નિરૂપવાનો હતો અને છે. આથી સાહિત્યવિચારકોનાં પોતાનાં લખાણો ઉપર મુખ્યતયા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એમના વિશે થયેલાં વિવેચનો કે ચર્ચાઓની જાળમાં અટવાવાનું બહુ ઇષ્ટ ગણ્યું નથી. તોયે આ કામ ધાર્યું હતું એટલું સરળ ન નીકળ્યું – ખાસ કરીને ઍરિસ્ટૉટલની બાબતમાં ઍરિસ્ટૉટલના શબ્દેશબ્દનાં કેટકેટલાં અર્થઘટનો થયાં છે! એની ઉપેક્ષા કરીને ઍરિસ્ટૉટલને કેમ સમજી શકાય? એટલે ઍરિસ્ટૉટલમાં હું અટવાયો અને મારું કામ પણ એને કારણે જ ખેંચાયું. છતાં, ઍરિસ્ટૉટલના કેટલાંક શબ્દો અને કથનોના અર્થ પરત્વે પ્રસિદ્ધ વિવેચકોમાંથી માર્ગદર્શન મેળવીને અંતે તો મેં ‘પોએટિક્સ’ પર જ આધાર રાખ્યો છે અને એને જ મારી રીતે સમજી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આમાં મને શ્રમ ઘણો પડ્યો છે, છતાં અંતે જે પરિણામ આવ્યું છે એથી એકંદરે મેં સંતોષ પણ અનુભવ્યો છે. સાથેસાથે આ લખાણોની મર્યાદા પણ હું સમજ્યો છું. એક ઍરિસ્ટૉટલ જ આખી જિંદગી માગી લે એવા મને લાગ્યાને! પણ મારે મારી અને મારા પ્રયોજનની મર્યાદા સમજી ક્યાંક તો અટકવું રહ્યું. મુખ્યપણે સાહિત્યવિચારકોની વિચારણાને સમજવાનો જ ઉદ્દેશ, છતાં ગૌણપણે એની થોડી સમીક્ષા કરવાનું, આજના સંદર્ભમાં એને મૂલવી જવાનું પણ રાખ્યું છે. અત્યંત દૂરનો સાંસ્કૃતિક સંદર્ભ ધરાવતા પ્લેટો-ઍરિસ્ટૉટલ જેવાની બાબતમાં આવી સમીક્ષા અને મુલવણી જરા જોખમી બની જાય છે, છતાં એમના અભ્યાસને આપણે કેવળ પુરાતત્ત્વનો અભ્યાસ બનાવી દેવા ન માગતા હોઈએ અને આપણે માટે એની કંઈ પણ ઉપયોગિતા સિદ્ધ કરવા માગતા હોઈએ તો આ રીતની ચર્ચા ઇષ્ટ અને આવશ્યક છે એમ મને લાગ્યું છે. મેં તો મારા મુખ્ય ઉદ્દેશની મર્યાદામાં રહીને જ આવી ચર્ચા કરી છે અને એની યથાર્થતા પણ વિદ્વાનો તપાસશે જ. પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણાના આ અભ્યાસના આધારભૂત ગ્રંથો છે — ‘રિપબ્લિક’નું દશમું પ્રકરણ તથા ‘પોએટિક્સ’. ‘રિપબ્લિક’ના દશમા પ્રકરણનો ‘ધ ગ્રેટ ક્રિટિક્સ’માંનો બી. જોઇટનો અનુવાદ મેં વાપર્યો છે અને ‘પોએટિક્સ’નો બુચરનો અનુવાદ. ઍરિસ્ટૉટલનાં કથનોને સમજવા-સમજાવવા માટે મેં બીજા અનુવાદોનો પ્રસંગોપાત્ત ઉપયોગ કર્યો છે, પરંતુ જ્યાંજ્યાં મેં પ્લેટો કે ઍરિસ્ટૉટલના શબ્દો ટાંક્યા છે ત્યાંત્યાં આ અનુવાદોના પાઠને જ હું અનુસર્યો છું. અહીં નોંધેલા પ્લેટો-ઍરિસ્ટૉટલના વિચારો કે શબ્દો જ્યાંજ્યાં બીજો નિર્દેશ ન હોય ત્યાં ‘રિપબ્લિક’ના દશમા પ્રકરણ અને ‘પોએટિક્સ’માંથી જ છે એમ સમજવું. આ લેખમાળા શરૂ કરતી વખતે એને ‘પરબ’માં જ છપાવવાનો આગ્રહ કરનાર મુ. શ્રી યશવંતભાઈ આજે યાદ આવે છે. આ લેખમાળાને સ્થાન પૂરું પાડનાર ‘પરબ’ને પણ કેમ ભુલાય? લેખમાળા પ્રત્યેની પોતાની ચાહના વ્યક્ત કરી મને પ્રોત્સાહિત કરનાર અનેકોને અહીં કૃતજ્ઞ ભાવે સ્મરી લઉં છું. પ્રા. કનુભાઈ જાનીએ બેએક દિવસના ટૂંકા ગાળામાં જ લખાણો ફરીને કાળજીપૂર્વક જોઈને જે અવલોકન લખી આપ્યું છે તે એમના મારા પ્રત્યેના સ્નેહભાવના ફલ રૂપે જ હું જોઉં છું. શ્રી સી. એન. પટેલ વિશે તો આ પાના ઉપર હવે શું લખું ?

૧૪ એપ્રિલ ૧૯૬૯

જયંત કોઠારી