બાપુનાં પારણાં/ધૂણી બળે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધૂણી બળે

(નાગા નિરંજન બાવાની કોઈ ધૂણી કોઈ દિવસ બુઝાય નહિ. રાત ને દિવસ બળ્યા જ કરે તેમ પુ. ગાંધીજીના હૈયામા દેશદાઝની જે ધૂણી રાત દિવસ બળે છે તે બીજી કોઈ રીતે બુઝાય નહિ. એ રીતે આખો ભાવ બાવાજીની ધૂણીનો છે. તપસ્વી તપ તપે ત્યારે એને મેળવવા ઈંદ્રરાજ તેની પાસે રિદ્ધિસિદ્ધિ મોકલે, અપ્સરાઓ મોકલે, દેવ બનાવવાની લાલચ આપે, એ રીતે એના બધાય ઉપાય કરે કારણ કે તપસ્વી બરાબર તપ તપે તો ઈંદ્રને પણ તેને શરણે થવું જોઈએ. આ ગીતની એકેક કડીએ ગાંધીજીના મોટામોટા પ્રસંગોની આખી કલ્પના છે.)

(ભજન કાફી)

બાવલીઆની ધૂણીમાં આગ બળે,
ધૂણીમાં આગ બળે;
બાવલીઆનાં અંગેઅંગ પ્રજળે;
બાવલીઆની ધૂણીમાં આગ બળે.

હાડનું પીંજર તપ તપે એ વળ્યું ન પાછું વળે,
જોગીડા કેરા જોગ નીરખી, ઈંદ્રાસન ખળભળે
—બાવલીઆની૦
રિદ્ધિસિદ્ધિ બેઉ ઊભી રહી પણ જોગીડો નજરું ન કરે,
રંભા કેરાં નૂપુર ઠણક્યાં, તો ય સમાધિ ન ટળે
—બાવલીઆની૦

ઝેરના પ્યાલા દીધા જોગીને, હસી હસીને ગળે,
ઝેર જરી ગ્યાં કોઠે પડી ગ્યાં, કોઈ ન કારણ કળે
—બાવલીઆની૦

તેડવા જોગીડાને વેમાન આવ્યાં, દેવસભા સહુ મળે,
ઈંદ્રવેભવની લાલચ આપી, તો ય ન ચિતડું ચળે
—બાવલીઆની૦

લાખો લીટીમાં લખી દીધું કે, આમાંથી માગ્યું મળે,
એક [૧]ઉંઠાના [૨]આખર માગ્યા, દેવ ચડ્યા વમળે
—બાવલીઆની૦

જોગીડા કેરા મંત્ર ઝીલવા, અસંખ્ય માથાં મળે,
જોગંધરની શીંગી બજે ત્યાં, વૈયાંના ઘેરા વળે
—બાવલીઆની૦

૧. ઊંઠું એટલે સાડા ત્રણ અક્ષર ગાંધીજી માગે છે: 'સ્વરાજ'
૨. અક્ષર
[૧]અસહકાર એ પંચાક્ષરનો મંત્ર બાવલીઓ ભણે,
એ મંતરના અચકાથી બ્રહ્માંડ આખું ખળભળે
–બાવલીઆની૦

વજ્ર રંભા ને વૈભવ હાર્યા, સાધુડો ન સળવળે,
ઈંદ્રાસન પર ઈંદ્ર ન બેસે, તપ લાગ્યે એને તળે
–બાવલીઆની૦

૩.‘નમ:શિવાય-એ પંચાક્ષર મંત્ર છે, તેમ ગાંધીજીનો 'અસહકાર’ એ પંચાક્ષરનો છે.