બાબુ સુથારની કવિતા/જેમ જળાશયમાં
જેમ
જળાશયમાં
એમ
સફરજનમાં
ટમટમી રહ્યા છે
તારા
હું ઝંપલાવું છું
સફરજનમાં.
જેમ
ઝંપલાવતો હતો
ઉમરા[1] પરથી
સાત માથોડું ઊંડા ધરામાં
તેમ
એ તારા લેવા
પણ, હું જળની સપાટી પર જ
એક કરોળિયાના થૂંકમાં
અટવાઈ ગયો.
હું જોડણીદોષયુક્ત શબ્દોની વચ્ચે
ગૂંચવાઈ ગયો
હું એ જળની સપાટીને તોડીને અંદર
જવા પ્રયાસો કરી રહ્યો હતો ત્યાં જ
કોઈકે મને પૂછ્યું :
- શું કરે છે તું?
- હું સપાટી તોડું છું જળની,
- શા માટે?
- મારે તારા જોઈએ છે.
- શું કરીશ તું એ તારાઓનું?
- કવિતા લખીશ એના અજવાળાથી
- શા માટે?
- ઈશ્વરે સર્જેલા જગતમાં રહી ગયેલા દોષોને સુધારવા [2]
- માણસને ફરી એક વાર માણસના મોઢામોઢ મૂકવા.
- ઈશ્વરની શોધમાં ચાલી ચાલીને લંગડી થઈ ગયેલી
કીડીઓના પગે પાટા બાંધવા
એ આગળ કંઈ પૂછે
તે પહેલાં જ હું બોલ્યો :
હું જે મૂંગા છે તેમના વતી બોલીશ
હું કાચંડા પાટલાઘો ગરોળીઓની પીડાઓનાં ગીત ગાઈશ
હું ધૂળની ડમરીઓનો ઇતિહાસ લખીશ.
હું પહેલા વરસાદની સુગંધના બારમાસા રચીશ.
હું આ પૃથ્વીને અર્થ વાન બનાવીશ[3]
હું પ્રેમીઓની ભાષાને મારી માટીની ભાષા બનાવીશ[4]
પછી એ માણસ ચાલ્યો ગયોઃ
તથાસ્થુ કહીને
એક નદીની શોધમાં નીકળેલો
હું
સફરજનના તળિયે તો
પહોંચી ગયો છું હવે.
મારા હાથથી
પેલા તારા
મારી આંગળીથી
મારા નખ
જટેલા જ
વેગળા છે
હું હમણાં જ તારા લઈને બહાર આવ્યો સમજો.
(‘નદીચાલીસા’ માંથી)