બાળ કાવ્ય સંપદા/મને કહોને

મને કહોને

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

મને કહોને પરમેશ્વર કેવા હશે !
ક્યાં રહેતા હશે, શું કરતા હશે !

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજ ને

તારાને ગૂંથનાર કેવા હશે !
મને કહોને...



આંબાની ઊંચી ડાળી ચડીને,

મોરોને મૂકનાર કેવા હશે !
મને કહોને...



મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,

કોયલ બોલાવનાર કેવા હશે !
મને કહોને...



ઊંડા સાગરનાં મોજાં ઉછાળી,

ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે !
મને કહોને...



મનેય મારી માડીને ખોળે,

હોંશે હુલાવનાર કેવા હશે !
મને કહોને...