બાળ કાવ્ય સંપદા/મને કહોને
મને કહોને
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
મને કહોને પરમેશ્વર કેવા હશે !
ક્યાં રહેતા હશે, શું કરતા હશે !
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજ ને
તારાને ગૂંથનાર કેવા હશે ! મને કહોને...
આંબાની ઊંચી ડાળી ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ! મને કહોને...
મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ! મને કહોને...
ઊંડા સાગરનાં મોજાં ઉછાળી,
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ! મને કહોને...
મનેય મારી માડીને ખોળે,
હોંશે હુલાવનાર કેવા હશે ! મને કહોને...