ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઉશનાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉશનાની કથા

(ભૂતકાળમાં દાનવો દેવતાઓને ત્રાસ આપીને ભૃગુપત્નીના આશ્રમમાં કોઈ આપત્તિ વિના રહેવા લાગ્યા. દેવતાઓ ત્યાં પ્રવેશ કરવા સમર્થ ન હતા એટલે સર્વવ્યાપી વિષ્ણુના શરણે ગયા, વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે ભૃગુપત્નીનું મસ્તક છેદી નાખ્યું, ત્યારે જીવતા રહેલા અસુરોએ તેમના પુત્રનું શરણ લીધું. માતૃવધથી દુઃખી થયેલા ઉશના અસુરોને અભયદાન આપી દેવતાઓના વિષયમાં અત્યાચાર કરવામાં પ્રવૃત્ત થયા)

ઇન્દ્ર ત્રણે લોકના સ્વામી હતા અને યક્ષ તથા રાક્ષસોના સ્વામી કુબેર તેમના ધનાધ્યક્ષ હતા. યોગસિદ્ધ મહામુનિ શુક્રે ધનપતિ કુબેરના હૃદયમાં યોગબળથી પ્રવેશ કર્યો અને તેમનું બધું ધન હરી લીધું. ધન હરાઈ ગયું એટલે ધનપતિ સ્વસ્થ રહી ન શક્યા. તે ક્રોધે ભરાઈને વ્યાકુળ ચિત્તે દેવશ્રેષ્ઠ શિવ પાસે ગયા, પ્રિયદર્શન, અનેક રૂપવાળા, અમિત તેજસ્વી દેવશ્રેષ્ઠ, કલ્યાણકારી શિવ પાસે જઈને કહ્યું,

‘યોગાત્મા ભાર્ગવે યોગબળથી મારામાં પ્રવેશી મને રુદ્ધ કરીને મારું બધું ધન હરી લીધું છે. તે ઉશના યોગબળથી બધું ધન લઈને મારા શરીરમાંથી નીકળી ગયા છે.’ મહાયોગી મહેશ્વર આ સાંભળીને રાતાં નેત્ર કરી હાથમાં ત્રિશૂળ લઈને ઊભા થઈ ગયા. પરમ અસ્ત્ર લઈને ‘ક્યાં છે તે? તે ક્યાં છે?’ એમ વારંવાર બોલવા લાગ્યા. ઉશના તેમનું મન પારખીને તેમનાથી દૂર જતા રહ્યા. યોગ સિદ્ધ શુક્ર મહાત્મા શિવના રોષને જાણતા હતા એટલે તેમનાથી દૂર જતા રહ્યા. તેઓ ગમન, આગમન અને સ્થાનને જાણતા હતા. તેઓ વિચારવા લાગ્યા કે નજીક જઉં કે દૂર જઉં કે અહીં જ રહું. ત્યાર પછી યોગસિદ્ધ ઉશનાએ તપની સહાયથી મહેશ્વર વિશે ચિંતન કર્યું અને તેમણે શૂળની ઉપર વસવાનો નિશ્ચય કર્યો. તપસિદ્ધ શુક્રે તેમના એ રૂપને ઓળખી લીધું, અને મહાદેવે ધનુષવાળા હાથથી શૂળ નમાવ્યું. ઉગ્રાયુધ મહાદેવે અમિત તેજવાળા હાથ વડે શૂળને નમાવ્યું, એટલે તે શૂળનું નામ પિનાક પડ્યું. ઉમાપતિ રુદ્રે શૂળ વાંકું થયું એટલે ભાર્ગવ હાથમાં આવી ગયા એમ જોઈ તેમને હાથ વડે ઉઠાવીને મોઢામાં મૂકી દીધા. ઉશના મહાદેવના ઉદરમાં જઈને વિચરવા લાગ્યા...

એક સમયે મહાવ્રતી મહાદેવે સ્થાણુની જેમ જળમાં નિવાસ કરી તપ કર્યું હતું, એ તપ કરતાં દસ હજાર અર્બુદ વર્ષ વીતી ગયાં. તે દુશ્ચર તપસ્યા પૂરી કરી મહા હૃદમાંથી બહાર નીકળ્યા તો દેવાધિદેવ બ્રહ્મા ત્યાં પ્રગટ્યા. બ્રહ્માએ અવિનાશી શિવની પાસે જઈને તેમના કુશળ સમાચાર પૂછ્યા. તપ સારી રીતે થયું એવો ઉત્તર વૃષભધ્વજે (શંકરે) આપ્યો. ત્યાર પછી સદા સત્ય ધર્મમાં રત, અચિંત્ય સ્વભાવ, મહામતિ શંકરે જોયું કે તપસ્યાને કારણે શુક્રને પણ ઉત્કર્ષ લાભ થયો છે. મહાયોગી ઉશના તે તપ રૂપ ધનવાળા અને વીર્યવાન બનીને ત્રિલોકમાં વિરાજવા લાગ્યા. ત્યાર પછી પિનાકપાણિએ ધ્યાનયોગમાં સમાધિ લગાવી, ઉશના પણ ઉદ્વિગ્ન થઈ તેમના જઠરમાં લીન થયા. મહાયોગી ઉશના ઉદરમાંથી બહાર નીકળવાની ઇચ્છાથી દેવની સ્તુતિ કરવા લાગ્યા, પણ મહાદેવ પોતાના તેજ વડે તેમની ગતિ અટકાવતા હતા. ત્યાર પછી જઠરમાં રહેલા મહામુનિ વારંવાર દેવને કહેવા લાગ્યા, ‘હે પ્રભુ પ્રસન્ન થાઓ.’

ત્યારે મહાદેવે કહ્યું, ‘તમે મારા શિશ્નમાંથી બહાર નીકળો.’ મહાદેવે એમ કહી બધાં ઇન્દ્રિયદ્વારો બંધ કરી દીધાં. બધી રીતે ઘેરાયેલા ઉશના તે દ્વાર જોઈ શકતા ન હતા. મહાદેવના તેજથી દાઝીને આમતેમ ઘૂમતા રહ્યા. પછી તે શિશ્નમાંથી બહાર નીકળ્યા એટલે તેમનું નામ શુક્ર પડ્યું અને લિંગમાંથી નીકળવાને કારણે આપણી જેમ આકાશમંડળના મધ્યભાગમાં તેઓ ગતિ કરવામાં સમર્થ નથી.

મહાદેવે તે તેજપુંજથી જ્વલંત શુક્રને બહાર નીકળેલા જોઈ ક્રોધયુક્ત બનીને હાથમાં શૂળ લઈને ઊભા. પોતાના પતિને ક્રોધયુક્ત જોઈ દેવીએ શંકરને વાર્યા. દેવીએ શંકરને વાર્યા એટલે શુક્રને દેવીના પુત્રત્વનો લાભ મળ્યો. દેવીએ કહ્યું, ‘દેવ, જો શુક્ર આપણો પુત્ર થયો હોય તો તેનો વધ ન થાય. તમારા ઉદરમાંથી નીકળવાને કારણે કોઈ વિનાશ ન પામે.’

આ સાંભળી ભગવતી પર પ્રસન્ન થઈ સ્મિતપૂર્વક વારે વારે બોલ્યા, ‘અત્યારે તેને મન ફાવે ત્યાં જાય.’ ત્યાર પછી મહામુનિ ઉશના વરદ મહાદેવ અને ઉમાદેવીને પ્રણામ કરી પોતાની ઇચ્છાનુસાર ગયા.

(શાંતિપર્વ, ૨૭૮)