ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કીટ અને વ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીટ અને વ્યાસ

એક વેળા બ્રહ્મભૂત વિપ્રવર કૃષ્ણ દ્વૈપાયન (વ્યાસ) ક્યાંક જઈ રહ્યા હતા. તેમણે ગાડાના માર્ગમાં ઉતાવળે દોડતા એક કીડાને જોયો. બધાં પ્રાણીઓની ગતિના જ્ઞાતા અને શરીરધારી બધાં પ્રાણીઓની ભાષાના જાણકાર સર્વજ્ઞ વેદવ્યાસે તે સમયે કીટને જોઈને કહ્યું, ‘હે કીટ, તું અત્યંત ભયભીત છે અને ઉતાવળો દેખાય છે, તું દોડીને ક્યાં જાય છે? કોનાથી તું બીએ છે?’

કીટે ઉત્તર આપ્યો, ‘હે મહાબુદ્ધિશાળી, અત્યારે આવી રહેલા ગાડાનો અવાજ સાંભળીને મને બીક લાગે છે. આ અવાજ અત્યંત દારુણ છે. હું આ અવાજ જ્યારે સાંભળું છું ત્યારે મને વહેમ જાય છે કે આ મને કચડી તો નહીં નાખે ને? એટલે હું અહીંથી જલદી ભાગી રહ્યો છું. ગાડાના બળદ મહાભાર ખેંચે છે, તેઓ હાંકે છે, બહુ જોરથી તેમને હંકારાય છે. હે પ્રભુ, મને તેમનો અવાજ પાસે સંભળાય છે. ગાડામાં બેઠેલા માણસોના વિવિધ અવાજ પણ સંભળાય છે. મારા જેવા કીટ યોનિમાં જન્મેલા જીવને આવા અવાજ સાંભળવા કદાચ અશક્ય છે, એટલે જ દારુણ ભયથી આ સ્થળ છોડી રહ્યો છું. પ્રાણીઓને મૃત્યુનો ભય લાગે છે, જીવન બધાને દુર્લભ લાગે છે, એટલે જ હું બીને ભાગું છું, સુખ ત્યજીને દુઃખમાં ન પડું.’

વ્યાસે આ સાંભળીને કહ્યું, ‘હે કીટ! તું કેવી રીતે સુખ અનુભવે? તું તિર્યક્ યોનિમાં છે એટલે તને મરણમાં સુખ લાગે છે, એવું સમજાય છે. તું શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને બીજી અનેક ભોજ્ય વસ્તુઓને જાણતો નથી. હે કીટ, એટલે તારે માટે મૃત્યુ જ કલ્યાણકારી છે.’

કીટ બોલ્યો, ‘હે મહાપ્રાજ્ઞ, જીવ બધી રીતે સુખમાં રત રહે છે. એટલે અત્યારે પણ હું સુખી છું એટલે જ હુંં જીવવા ઇચ્છું છું. અહીં પણ આ શરીરમાં દેહ પ્રમાણે બધા વિષયો છે, મનુષ્યના અને તિર્યક્ જીવોના ભોગ જુદા જુદા છે. હે પ્રભુ, હું પહેલાં શ્રીમંત શૂદ્ર હતો. હું બ્રાહ્મણોને આદર આપતો ન હતો. હું ક્રૂર, કંજૂસ અને વ્યાજખોર હતો. હું તીક્ષ્ણભાષી, બુદ્ધિ વડે લોકોને ઠગનારો, બધા જ પ્રકારના લોકોનો દ્વેષી હતો. અંદર અંદર છળ કરીને બીજાઓનું ધન છિનવી લેતો હતો. ઘરમાં સેવકો અને અતિથિઓને બાજુએ મૂકીને સૌથી પહેલાં ભોજન કરતો હતો. મત્સરી બનીને સ્વાદ લેવાની ઇચ્છાથી અને નિર્દય બનીને ભોજન કરવાની ઇચ્છા રાખતો હતો. ધનસંચયની ઇચ્છાને કારણે દેવ અને પિતૃયજ્ઞમાં શ્રદ્વાપૂર્વક અન્ન આપતો ન હતો, પહેલાં આપવા યોગ્ય દાનની ઇચ્છા કરીને પણ પછી તે આપતો ન હતો. ગુપ્તભાવે જેઓ શરણાગત થઈ મારો આશરો લેતા અને જેઓ ડરીને મારા શરણાગત થતા હતા, હું તેમનો અકસ્માત ત્યાગ કરતો અને જેઓ અભય પ્રાર્થના કરતા તેમનું હું રક્ષણ કરતો ન હતો. બીજાઓનાં ધનધાન્ય, સુંદરીઓ, અદ્ભુત વસ્ત્ર, સંપત્તિ જોઈને હું નિરર્થક દ્વેષ કરતો હતો. બીજાઓનું સુખ જોઈને હું ઈર્ષા કરતો હતો. બીજાઓનો ઉત્કર્ષ મને ગમતો ન હતો, બીજાઓના ધર્મ, અર્થ કામનો નાશ કરતો હતો, અને ઇચ્છા પ્રમાણે વર્તન કરતો હતો. પૂર્વજન્મમાં મેં ઘણાં નૃશંસ કાર્યો કર્યાં હતાં. જેવી રીતે પ્રિય પુત્રનો ત્યાગ કરવાથી દુઃખ થાય તેવી રીતે અત્યારે એ કર્મોનું સ્મરણ કરીને મને પશ્ચાત્તાપ થાય છે. મેં કરેલાં કેટલાંક સત્કર્મોનું ફળ જાણું છું, મેં વૃદ્ધ માતાની સેવા કરી હતી, બ્રાહ્મણનો આદર કર્યો હતો. એક વાર જાતિ-ગુણવાળો કોઈ અતિથિ મારે ઘેર આવ્યો હતો, મેં તેની પૂજા કરી હતી, એટલે જ પૂર્વજન્મની સ્મરણશક્તિએ મારો ત્યાગ કર્યો નથી. હે તપોધન, એ જ શુભ-પુણ્ય કર્મ દ્વારા ભવિષ્યમાં સુખ પામવા માગું છું. તમારી પાસે હું કલ્યાણ વિશે સાંભળવા માગું છું.

વ્યાસે કહ્યું, ‘હે કીટ, તું જે તિર્યક્ યોનિમાં જન્મીને શુભ કર્મ માટે મોહ પામતો નથી તે મારે જ કારણે મારા દર્શનથી તને મોહ નથી થતો. હું તપોબળથી દર્શન દ્વારા તારો ઉદ્ધાર કરીશ. તપોબળથી ચઢી જાય એવું બીજું કોઈ બળ નથી. મને જાણ છે કે તું તારાં પાપકર્મોને કારણે જ કીટ તરીકે જન્મ્યો છે, જો તું ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખીશ તો તને શ્રેષ્ઠ ધર્મ પ્રાપ્ત થશે. દેવ, મનુષ્ય અને તિર્યક્ વગેરે પોતે કરેલાં કર્મોનાં ફળ ભોગવી લે છે. મનુષ્યોના ધર્મ અને અર્થ કામસિદ્ધિ માટે જ સ્વીકારાય છે. વાણી, બુદ્ધિ અને હાથપગ વિનાનો વિદ્વાન કે મૂર્ખ — કઈ વસ્તુ ત્યાગશે? એ તો બધા પુરુષાર્થોથી જાતે ત્યક્ત થયેલો છે. હે કીટ, એક શ્રેષ્ઠ વિપ્ર જીવિત રહીને સૂર્યચંદ્રની પૂજા કરે છે અને ઉત્તમ, પવિત્ર કથાઓ કહે છે તેને ત્યાં તું જન્મીશ. બ્રાહ્મણત્વ પ્રાપ્ત થવાથી અનાસક્ત ભાવે કર્મફળ ભોગવીશ અને બધા જીવોનો ત્યાગ કરીશ, ત્યારે હું તને બ્રહ્મવિદ્યા સમજાવીશ, જ્યાં ઇચ્છીશ ત્યાં પહોંચાડીશ.’

(અનુશાસન પર્વ?, ૧૧૮-૧૧૯)