ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શંકરપાર્વતી સંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શંકરપાર્વતી સંવાદ

જ્યાં સિદ્ધ અને ચારણો વસતા હતા, જ્યાં વિવિધ પ્રકારની ઔષધિઓ હતી અને જ્યાં વિવિધ પુષ્પોથી છવાયેલાં હોવાને કારણે સ્થળ રમણીય દેખાતું હતું, જ્યાં અપ્સરાઓની મંડળીઓ હતી અને ભૂતોનાં ટોળાં રમતાં હતાં એવા પરમ પવિત્ર હિમાલય પર્વત પર ધર્માત્મા મહાદેવ તપ કરતા હતા. ત્યાં તેઓ સેંકડો ભૂતગણોથી ઘેરાયેલા રહી પ્રસન્ન લાગતા હતા. આ ભૂતોનાં રૂપ વિકૃત હતાં, કેટલાંકના રૂપ દિવ્ય અને અદ્ભુત હતાં. કેટલાક સિંહ, વાઘ, હાથી જેવા હતા, તેમાં બધી જ જાતિઓ એકઠી થયેલી હતી, કેટલાકનાં મોં શિયાળ, ચિત્તા, રીંછ, બળદ જેવાં હતાં. કેટલાક ઘુવડ જેવા, કેટલાક ભયંકર ભૂત વરુ અને બાજ જેવાં હતાં, કેટલાંક વિવિધ વર્ણવાળાં હરણ જેવા હતાં. તેમનામાં અનેક જાતિઓ ભળેલી હતી. કિન્નર, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, ભૂતગણ પણ ત્યાં હતા. તે સભા દિવ્ય પુષ્પોવાળી, દિવ્ય તેજવાળી, દિવ્ય ચંદનથી અર્ચિત, દિવ્ય ધૂપની સુગંધથી પૂર્ણ હતી. દિવ્ય વાજિંત્રોનો ધ્વનિ થયા કરતો હતો, મૃદંગ અને પ્રણવના ધોધ વહેતા હતા. શંખ અને ભેરીઓના અવાજો આવતા હતા. ચારે બાજુ નાચતા ભૂત સમુદાય અને મયૂર શોભામાં વૃદ્ધિ કરતા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી, તે દિવ્ય સભા દેવર્ષિઓના જૂથથી શોભતી હતી; મનોહર, અનિર્વચનીય અને અદ્ભુત હતી. મહાદેવના તપ વડે તે પર્વત શોભી રહ્યો હતો. સ્વાધ્યાયરત વિપ્રોનો બ્રહ્મઘોષ સંભળાતો હતો. તે પર્વત ભમરાઓના ગુંજનથી અપ્રતિમ લાગતો હતો. તે સ્થળ ભયંકર હોવા છતાં મહાન ઉત્સવવાળંુ લાગતું હતું. તે જોઈને મુનિસમુદાયને ખૂબ જ પ્રસન્નતા થઈ. ત્યાં મહાભાગ મુનિઓ ઊર્ધ્વરેતા સિદ્ધો, મરુત્ગણ, વસુગણ, સાધ્યો, ઇન્દ્ર સમેત દેવતાઓ, યક્ષો, નાગ, પિશાચો, લોકપાલો, અગ્નિ, બધા જ પવન અને મોટા ભૂતગણો આવ્યા હતા.

ઋતુઓ અદ્ભુત પુષ્પો વિખેરી રહી હતી. ઔષધિઓ પ્રજ્વલિત થઈને તે વનને પ્રકાશિત કરી રહી હતી. ત્યાંના રમ્ય પર્વત શિખરો પર લોકોને પ્રિય લાગતાં પક્ષીઓ પ્રસન્ન થઈ નૃત્ય કરતાં હતાં. અને કૂજન કરતાં હતાં. દિવ્ય ધાતુઓથી શોભતા પર્યંકની જેમ પર્વતશિખરે બેઠેલા મહામના શંકર શોભા પામી રહ્યા હતા. વસ્ત્ર તરીકે તેમણે વ્યાઘ્રચર્મ પહેર્યું હતું. સિંહચર્મ ઉત્તરીય રૂપે હતું, ગળામાં સર્પયુક્ત યજ્ઞોપવિત હતું. લાલ રંગનાં આભૂષણ હતાં, મૂછો કાળી હતી, મસ્તકે જટા હતી, દેવદ્રોહીને ભય પમાડે એવા ભીમ સ્વરૂપ રુદ્ર હતા. તેમની ધ્વજામાં વૃષભચિહ્ન હતું, તે બધાં પ્રાણીઓ અને ભક્તોના ભયને દૂર કરનારા હતા.

તેમનું દર્શન કરીને બધા મહર્ષિઓએ અવનિ(પૃથ્વી) પર મસ્તક ટેકવી પ્રણામ કર્યા, તે સર્વ ઋષિઓ બધાં પાપોથી મુક્ત, ક્ષમાશીલ અને કલ્મષ વિનાના હતા. તે ભૂતનાથનું ભયાનક સ્થળ ખૂબ જ શોભા ધરાવતું હતું. તે અત્યંત દુર્ઘષ અને મોટા સર્પોથી ભરેલું હતું. વૃષભધ્વજ(શંકર)નું તે સ્થળ અદ્ભુત શોભાવાળું બન્યું. તે સમય ભૂતગણોની સ્ત્રીઓથી ઘેરાયેલાં શૈલજા(પાર્વતી) બધાં તીર્થજળથી ભરેલો ઘડો લઈને ત્યાં આવ્યા. તેમણે પણ શંકરના જવાં વસ્ત્ર પહેર્યાં હતાં, તેમનાં જેવાં જ વ્રત કરતાં હતાં. તેમની પાછળ પાછળ તે પર્વતમાંથી પ્રગટેલી બધી નદીઓ ચાલી રહી હતી. પાર્વતી બહુવિધ સુંગધ વિખેરતાં વિખેરતાં ભગવાન શિવ પાસે આવ્યાં, તેઓ પણ હિમાલયના પાર્શ્વભાગને સેવતાં હતાં.

આવતાં વેંત ચારુહાસિની દેવીએ નર્મ વિનોદ માટે પોતાના બંને હાથ વડે શંકરનાં બંને નેત્ર ઢાંકી દીધાં. તે નેત્રો બંધ થતાંની સાથે સમસ્ત જગત અંધકારમય, ચૈતન્યહીન થયું અને હોમ, વષ્ટકાર બંધ થઈ ગયા. લોકોનાં મન અસ્થિર થઈ ગયાં, બધે ત્રાસ છવાઈ ગયો, જાણે સૂર્યનો વિનાશ થયો હોય તેમ ભૂતપતિનાં નેત્ર મીંચાવાથી સંસારની સ્થિતિ થઈ ગઈ.

પછી ક્ષણવારમાં જગતનો અંધકાર દૂર થઈ ગયો, શિવના લલાટમાંથી દીપ્તિમય મહાજ્વાળા પ્રગટી. તેમના કપાળમાં આદિત્ય(સૂર્ય) સમાન ત્રીજું નેત્ર પ્રગટ્યું. તેની જ્વાળાએ પર્વતને મથી નાખ્યો. પ્રજ્વલિત અગ્નિ જેવા ત્રીજા નેત્રવાળા શંકરને જોઈ વિશાળલોચના ગિરિસુતા (પાર્વતી) એ પ્રણામ કર્યાં અને ચકિત થઈને તે જોવાં લાગ્યાં. સાલ, સરલ વૃક્ષોવાળાં, રમ્ય ચંદનવૃક્ષો અને દિવ્ય ઔષધિઓથી શોભતું તે વન સળગી રહ્યું હતું. મૃગો ભયભીત થઈને દોડ્યા અને મહાદેવ પાસે આવ્યા, તે સભા સૂનકારવાળી થઈ ગઈ. આકાશને સ્પર્શતી તે આગ બાર સૂર્યો સમાન પ્રકાશિત થઈ બીજા પ્રલયાગ્નિની જેમ દેખાતી હતી. તે આગથી ક્ષણવારમાં હિમાલય પર્વત સળગી ગયો. ધાતુઓ, વિશાળ શિખર, ઝરણાં, વન, બધી ઔષધિઓ બળીને ભસ્મ થઈ ગઈ. તે પર્વતને ભસ્મ થયેલો જોઈ શૈલરાજપુત્રી હાથ જોડીને ભગવાનને શરણે ગઈ. મહાદેવે ત્યારે ઉમાને સ્ત્રીસ્વભાવગત મૃદુ જોઈ, પિતાની આપત્તિ જોઈ દુઃખી થયેલી જોઈ અને પ્રેમપૂર્વક હિમાલય સામે જોયું. ક્ષણવારમાં હિમાલય પૂર્વવત્ સ્થિતિમાં આવી ગયો, અને દર્શનીય બની ગયો. પક્ષીગણ આનંદિત થયો અને વનનાં વૃક્ષો પુષ્પિત થયાં. પહેલાંની જેમ જ હિમાલયને પ્રકૃતિસ્થ જોઈને દેવી પ્રસન્ન થયાં અને સર્વ પ્રાણીઓના ઈશ્વર એવા પોતાના પતિને કહેવા લાગ્યાં, ‘હે મહાવ્રતી, શૂલપાણિ, સર્વભૂતેશ ભગવાન, મને સંશય થાય છે એટલે મારી શંકાનું નિવારણ કરો. તમારા લલાટમાં ત્રીજું નેત્ર શા માટે પ્રગટ્યું? શા માટે પક્ષીઓ અને વન સહિત પર્વત ભસ્મ થયો? પછી ક્ષણભરમાં તમે મારા પિતાને પ્રકૃતિમય અને પહેલાંની જેમ વૃક્ષોથી છાઈ દીધાં?’

મહેશ્વરે કહ્યું, ‘હે અનંિદિતા દેવી, તેં બાળસ્વભાવે મારી આંખો મીંચી દીધી, એને કારણે ક્ષણવારમાં બધા લોક અંધકારમય થઈ ગયાં. હે પર્વતપુત્રી, જ્યારે બધા લોક આદિત્યરહિત થવાને કારણે અંધકારમય બન્યા ત્યારે પ્રજાની રક્ષા કરવા માટે મેં ત્રીજું નેત્ર ખોલ્યું. તે નેત્રના મહાન તેજથી પર્વત સળગ્યો. અને હે દેવી, તારી પ્રીતિ માટે મેં ક્ષણવારમાં પર્વતને યથાવત્ કર્યો.’

ઉમાએ કહ્યું, ‘હે ભગવન્, તમારું પૂર્વ દિશાભિમુખ મોં ચંદ્રસદૃશ શોભાવાળુ અને દર્શનીય છે, ઉત્તર અને પશ્ચિમ દિશાનાં મુખ પણ શ્રી કાંતિવાળાં છે. પણ દક્ષિણ દિશાનું મુખ ભયંકર છે, તમારા માથે કપિલ જટા શા માટે? તમારો કંઠ શા માટે મોરની પાંખ જેવો ભૂરો થયો? શા માટે હાથમાં સતત પિનાક ધનુષ રાખો છો? તમે નિત્ય જટિલ અને બ્રહ્મચારી શા માટે રહો છો? હે નિષ્પાપ ભૂતપતિ, વૃષભધ્વજ, હું તમારી સહધર્મચારિણી છું, તમારી ભક્ત છું, તો તમારે મારા સર્વ સંશયનું નિવારણ કરવું જોઈએ.’

ભગવાન પિનાકપાણિ શૈલાધિરાજની પુત્રીની આ વાત સાંભળી તેની ધૃતિ અને બુદ્ધિથી પ્રસન્ન થયા. પછી તે દેવે કહ્યું, ‘જે કારણોથી મારાં આ બધાં રૂપ સર્જાયાં છે તે હે સુભગા, હવે સાંભળ.

ભૂતકાળમાં બ્રહ્માએ તિલોત્તમા નામની એક ઉત્તમ નારી સર્જી હતી. બધાં રત્નોમાંથી તલ તલ લઈને તે શુભાનું સર્જન કર્યું હતું. હે દેવી, અપ્રતિમ રૂપવાળી તે શુભાનના મને પ્રલોભિત કરતી મારી પ્રદક્ષિણા કરવા આવી. તે સુંદર દંતપંક્તિવાળી સુંદરી જે દિશામાં મારી પ્રદક્ષિણા કરતી ચાલી તે દિશામાં મારું મનોહર મુખ પ્રગટ થયું. તેને જોવાની ઇચ્છા કરતો હું યોગબળથી ચતુર્મૂતિર્ અને ચતુર્મુખ થયો. એ રીતે મોં મારા યોગનું દર્શન કરાવ્યું. પૂર્વ દિશાના વદન વડે ઇન્દ્રપદનું અનુશાસન કરું છું. હે અનિંદિતા, ઉત્તર મુખ વડે તારી સાથે ક્રીડા કરું છું. મારું પશ્ચિમ મુખ દર્શનીય છે. તે બધાં પ્રાણીઓ માટે સુખદ છે, દક્ષિણ મુખ રૌદ્ર અને ભયંકર છે, તેના વડે પ્રજાનો સંહાર થાય છે. બધા લોકોનાં હિત માટે જટિલ અને બ્રહ્મચારી થયો છું. દેવકાર્યની સિદ્ધિ માટે મેં હાથમાં પિનાક ધારણ કર્યું છે. એક વેળા ઇન્દ્રે મારી શ્રી લેવા મારા ઉપર વજ્ર ચલાવ્યું હતું, તે વજ્રે મારો કંઠ બાળી દીધો એટલે હું શ્રીકંઠ થયો.’૧

ઉમાએ પૂછ્યું, ‘અહીં બીજાં ઉત્તમ વાહનો હોવા છતાં તમારું વાહન વૃષભ શા માટે?’

મહેશ્વરે કહ્યું, ‘બ્રહ્માએ દૂધ આપનાર અમૃતધેનુ સુરભિ સર્જી, તે મેઘની જેમ દૂધ વરસાવતી હતી, સુરભિ જન્મીને દૂધ રૂપી અમૃત વરસાવતી અનેક રૂપે પ્રગટી. તેના વાછરડાના મોંમાંથી નીકળેલું ફીણ મારા શરીર પર પડ્યું. એ પછી મારા રોષથી દાઝેલી તે ગાયો અનેક વર્ણની થઈ ગઈ. પાછળથી અર્થવેત્તા ગુરુ (બ્રહ્મા)એ મને શાંત કર્યો, અને મને ધ્વજચિહ્ન તથા વાહન રૂપે આ વૃષભ આપ્યો.’

ઉમા બોલ્યાં, ‘હે ભગવન, વિશ્વમાં રૂપસંપન્ન ઘણાં પ્રકારનાં નિવાસસ્થાન છે, તે બધાં ત્યજીને આ સ્મશાનમાં કેમ રમો છો? કેશ અને હાડકાંથી ભરેલા, ભયંકર કપાલ, ઘટસંકુલ, અનેક ગીધ શિયાળોથી ઊભરાતા સ્મશાનમાં, અપવિત્ર માંસ, મેદ, શોણિત (લોહી), વેરવિખેર આંતરડાંવાળા, શિયાળોના ધ્વનિવાળા સ્મશાનમાં શા માટે રહો છો?’૨

મહેશ્વર બોલ્યા, ‘હું પવિત્ર સ્થાનોની શોધમાં પૃથ્વી પર રાત્રિચર્યા કરું છું, પરંતુ સ્મશાનથી ચઢી જાય એવી જગ્યા બીજે ક્યાંય નથી. એટલે બધાં નિવાસોની વચ્ચે વડની ડાળીઓથી છવાયેલી અને છિન્ન પુષ્પમાલાઓથી શોભતા સ્મશાનમાં મારું મન વધારે રાચે છે. હે શુભાનના, આ બધા મારા ભૂતગણ સ્મશાનમાં રમે છે, હે દેવી, ભૂતગણો સિવાય ક્યાંય રહેવાનો ઉત્સાહ નથી. (સુંદર મુખવાળી) આ સ્મશાનવાસને મેં પવિત્ર અને સ્વર્ગીય માન્યું છે. પવિત્રતાની અભિલાષા કરનારા આ પરમ પવિત્ર સ્થાનની ઉપાસના કરે છે.’

(આ પછી ધર્મચર્ચા છે)

(અનુશાસન ૧૨૭-૧૨૮)