ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ગૌતમ અને ચિરકારીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગૌતમ અને ચિરકારીની કથા

મહાપ્રાજ્ઞ ચિરકારી ગૌતમના પુત્ર હતા, તેઓ બહુ સમય સુધી વિચાર કર્યા પછી જ કાર્ય કરતા હતા. લાંબા સમય સુધી વિચારીને તેઓ વિષયો અંગે વિચારતા, મોડી રાત સુધી જાગતા રહેતા હતા, અને લાંબો સમય સૂઈ રહેતા હતા. બધાં કાર્ય પૂરા કરવામાં બહુ વિલંબ કરતા હતા, એટલે તેમનું નામ ચિરકારી પડ્યું. ઓછી બુદ્ધિવાળા અને દીર્ઘદૃષ્ટિ વિનાના લોકો તેમને આળસુ અને મંદ બુદ્ધિના કહેતા હતા. એક વખત પોતાની પત્નીનો માનસિક વ્યભિચાર જોઈને ગૌતમ ઋષિને તેનો વધ કરવાનું મન થયું. બીજા સંતાનોને કહેવાને બદલે તેમણે ચિરકારીને કહ્યું, ‘તું આ તારી પાપી માતાનો વધ કર.’

ચિરકારીએ સ્વભાવવશ વિલંબ કરીને ‘હા કરીશ’ કહ્યું, અને પછી બહુ સમય સુધી વિચારતો બેઠો. પિતાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરું અને કેવી રીતે માતૃહત્યા ન થાય એવું કરું? ધર્મનિમિત્તે મોટું સંકટ આવ્યું છે, અને દુષ્ટોની જેમ કેવી રીતે આ ધર્મસંકટમાં નિમગ્ન થઉં? પિતાની આજ્ઞા માનવી પરમ ધર્મ છે અને માતાની રક્ષા કરવી પણ સ્વધર્મ છે. અને પુત્રત્વ સ્વતંત્ર નથી, આ બંનેની વચ્ચે કયો વિષય ધર્મની હાનિ રૂપ મને પીડિત નહીં કરે? સ્ત્રીહત્યા — ખાસ કરીને માતૃહત્યા કરવાથી કઈ વ્યક્તિ સુખી થઈ શકે અને પિતાની અવજ્ઞા કરવાથી કયા પુરુષને પ્રતિષ્ઠા સાંપડે? પિતાની અવજ્ઞા ન કરવી જોઈએ અને માતાની રક્ષા કરવી જોઈએ — આ બંને પરસ્પરવિરુદ્ધ વાતો છે, છતાં બંને કાર્ય કરવા ઉચિત છે. એટલે આ બંને ધર્મોનું અતિક્રમણ કેવી રીતે ન કરું?

પિતા પોતાના સદ્ચરિત્રના નામ અને વંશની રક્ષા માટે પત્ની દ્વારા જન્મ લઈને આત્મા ધારણ કરે છે. હું માતા અને પિતા દ્વારા પુત્ર રૂપે પ્રગટ્યો છું. મારી ઉત્પત્તિનું કારણ આ બંને છે, આવું જ્ઞાન મને કેમ નહીં થાય? જાતકર્મ સંસ્કાર અને ઉપનયન સંસ્કારના સમયે પિતાના આશીર્વાદ પિતાના ગૌરવનો નિશ્ચય કરાવવાનું સુદૃઢ પ્રમાણ છે. પિતા પ્રતિપાલન અને શિક્ષા આપવાને કારણ પુત્રનો ગુરુ છે તથા પરમ ધર્મનું સ્વરૂપ છે. પિતા જે આજ્ઞા આપે તે ધર્મ છે, વેદોમાં પણ આ સુનિશ્ચિત છે. પુત્ર પિતાનો પ્રીતિપાત્ર છે, પિતા પુત્રનું સર્વસ્વ છે. શરીર વગેરે જે કંઈ દેય પદાર્થ છે તે માત્ર પિતા જ પુત્રને આપી શકે છે.

(પછી વિસ્તારથી પિતા-પુત્રના સંબંધ વિશે લાંબી ચર્ચા ચાલે છે)

ચિરકારીએ આ રીતે લાંબો વિચાર કર્યા કર્યો એમાં બહુ સમય વીતી ગયો. ત્યાર પછી તેના પિતા તેની પાસે આવી પહોંચ્યા. મહાબુદ્ધિમાન મેધાતિથિ ગૌતમ તપસ્યામાં સમય વીતાવતા હતા, તે સમયે તેઓ પોતાની પત્નીના વધને અયોગ્ય સમજીને બહુ આંસુ વહેવડાવવા લાગ્યાં. શાસ્ત્રવાચન અને ધીરજના પ્રભાવે પશ્ચાત્તાપ કરીને બોલ્યા, ‘ત્રણે લોકના ઈશ્વર ઇન્દ્ર અતિથિવ્રત લઈને મારે આંગણે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા, મેં અતિથિવ્રતને અવલંબીને તેમનું સ્વાગત કર્યું, તેમને પ્રસન્ન કર્યા અને સમયોચિત વચનોથી સાંત્વના આપી, વિધિવત્ પાદ્ય, અર્ઘ્ય આપીને તેમની પરંપરા પ્રમાણે પૂજા કરી.

મેં તેમને કહ્યું, ‘હું તમારો છું, મારા આશ્રમમાં તમારા આગમનથી હું સનાથ થયો છું.’ દેવરાજ પ્રસન્ન થશે એમ માનીને મેં આ બધી વાત કરી હતી. ઇન્દ્રની ચંચળતાને કારણે અકુશળ ઘટના બની તેમાં મારી પત્નીનો કોઈ દોષ નથી. એ રીતે આ વિશે સ્ત્રી, ઇન્દ્ર કે હું — કોઈ અપરાધી નથી. ધર્મ વિશેનો પ્રમાદ જ આ બાબતમાં અપરાધી છે. ઊર્ધ્વરેખાઓ કહે છે, પ્રમાદથી ઈર્ષ્યાજનિત આપત્તિ આવે છે, હું ઈર્ષ્યાથી આકર્ષાઈને દુષ્કૃતના સાગરમાં ડૂબી ગયો છું. સાધ્વી નારીને પ્રમાદવશ થઈને મેં તેને મારી નાખવાની આજ્ઞા આપી, આ પાપમાંથી મને મુક્ત કરશે કોણ? મેં ઉદારબુદ્ધિ ચિરકારીને આજ્ઞા આપી, આજે જો તે વિલંબ કરે તો મને આ પાપમાંથી છોડાવશે. હે ચિરકારી, તારું કલ્યાણ થાય, તારું કલ્યાણ થાય, આજે જો તું ચિરકારી જ બની રહીશ તો તેં તારું નામ સાર્થક કર્યું ગણાશે. આજે તું મારી અને તારી માતાની રક્ષા કર. મેં પ્રાપ્ત કરેલી તપસ્યાની રક્ષા કર. આત્માને પાતકમાંથી ઉગાર અને ચિરકારી નામથી વિખ્યાત થા. તારી અસાધારણ બુદ્ધિમત્તાથી ચિરકારિત્વ ગુણ સહજ છે, આજે તારો આ ગુણ સફળ થાય, આજે તું ખરે જ ચિરકારી થઈ જા. હે ચિરકારી, તારી માતાએ તને મેળવવા માટે બહુ સમય આશા રાખી હતી, તને લાંબો સમય ગર્ભમાં રાખ્યો હતો, એટલે તું તારા ચિરકાલીન ગુણને સાર્થક કરો. સંતાપ થાય તો પણ તું વિલંબથી કાર્ય કરે છે, ના પાડીએ તો પણ મોડે સુધી સૂઈ રહે છે, અમારો ચિરસંતાપ જોઈને મારી આજ્ઞાપાલનમાં વિલંબ કરે છે.’

મહર્ષિ ગૌતમે આ પ્રકારે દુઃખી થઈને પાસે આવેલા ચિરકારીને જોયો. તે પણ પિતાને જોઈને દુઃખી થયો અને શસ્ત્ર ત્યજીને, માથું નમાવીને પિતાને પ્રસન્ન કરવા મથ્યો. ત્યાર પછી ગૌતમે માથું નમાવીને ભૂમિ પર પડેલા પુત્રને જોયો, પત્ની પણ લજ્જાથી પથ્થરની જેમ નિશ્ચલ ઊભેલી જોઈ. તેમણે અરણ્યમાં પત્ની અને પુત્રને પૃથક્ભાવથી ન જોયા. હત્યા કરવાની આજ્ઞા આપીને ગૌતમ આત્મકર્મ કરવા વનમાં જતા રહ્યા હતા, તેમનો પુત્ર હાથમાં શસ્ત્ર લઈને ઊભો હતો, તો પણ વિનીત ભાવે વિચારતો રહ્યો. ત્યાર પછી આશ્રમમાં આવીને પોતાને પગે પડેલા પુત્રને જોઈને એમ જ માન્યું કે ભયને કારણે શસ્ત્ર પકડવાની ચપળતા પુત્ર છુપાવી રહ્યો છે. ત્યાર પછી લાંબા સમય સુધી તેમણે તેની પ્રશંસા કરી, એનું મસ્તક સૂંઘ્યું, બંને હાથ ફેલાવીને આલિંગન આપ્યું અને ‘ચિરંજીવી થા’ એવો આશીર્વાદ આપ્યો. પ્રેમ અને હર્ષથી તેઓ પુત્રને અભિનંદી કહેવા લાગ્યા, હે ચિરકારી, તારું કલ્યાણ થાઓ, તું હંમેશ માટે ચિરકારી બન. તારું ચિરકારિત્વ સદા માટે થાય તો હું કદી દુઃખી નહીં થઉં. મુનિશ્રેષ્ઠ વિદ્વાન ગૌતમે ધીરબુદ્ધિવાળા ચિરકારી લોકોના ગુણોની પ્રશંસા કરતા, આવી ગાથા કહી. ‘સદા વિચાર કરીને મૈત્રી કરવી, વિચાર કરીને મૈત્રી સહસા તોડી નાખવી નહીં, બહુ વિચારીને થયેલી મૈત્રી ચિરંજીવ રહે છે. રાગ, દર્પ, માન, દ્રોહ, પાપકર્મ, અપ્રિય કાર્ય, કર્તવ્યના વિષયોમાં ચિરકારી મનુષ્ય શ્રેષ્ઠ છે, તેની પ્રશંસા થાય છે. બંધુ, સુહૃદ, સેવક અને સ્ત્રીઓના અવ્યક્ત અપરાધોની બાબતમાં ચિરકારી ઉત્તમ નીવડે છે.’


(શાન્તિપર્વ, ૨૫૮)