ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/પ્રલય અને સર્જનની કથાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રલય અને સર્જનની કથાઓ

પ્રલયકાળે હજાર ચતુર્યુગ વીત્યા, બધા લોકો માટે પ્રલયકાળ આવ્યો, સ્થાવરજંગમ બધાં પ્રાણીઓ અવ્યક્તમાં લીન થયા; જગત અંધકારથી પૂર્ણ — અગ્નિ, વાયુ, પૃથ્વી વિનાનું અને જળવત્ ચૈતન્ય માત્ર સમુદ્ર જેવું સર્વત્ર વ્યાપ્યું, અંધકારની જેમ અદ્વિતીય બ્રહ્મના પોતાના મહિમામાં નિવાસ કરવા લાગ્યું; જ્યારે રાત્રિ દિવસ, સત્ અસત્, વ્યક્ત પરમાણી, માયા વિચિત્રિત અવ્યક્ત કશું જ ન હતું. કેવળ નિર્વિશેષ બ્રહ્મ જ સ્થિર હતું. આવી અવસ્થામાં નારાયણના ગુણ ઐશ્વર્ય આદિના આધાર અક્ષય, અજય, અનિન્દ્રિય, અગ્રાહ્ય, અસંભવ, સત્ય, અહિંસા, રત્નવત્ ભાવરૂપ, લલામભૂત, વિવિધ પ્રવૃત્તિ વિશેષ, અક્ષર, જરા અને મૂર્તિ વિવર્જિત, સર્વવ્યાપી, સર્વકર્તૃ, શાશ્વત તમ સન્નિધાનથી ચિદાત્મ થયું હતું, તે અહં પ્રત્યયના વિષય અવ્યય શ્રીહરિ છે.

આ વિષયમાં વેદનું પ્રમાણ છે. સૃષ્ટિની પહેલાં ન દિવસ હતો, ન રાત્રિ, ન સત્ હતું — ન અસત્ હતું, કેવળ અંધકાર જ સામે હતો, તે વિશ્વરૂપ થઈ રહ્યો હતો. એ અંધકાર વિશ્વની જનની છે..... ત્યાર પછી તમથી સર્જાયેલા પદ્મયોનિ પુરુષથી બ્રહ્માનું સર્જન થયું, તે પુરુષે પ્રજાસમૂહને ઉત્પન્ન કરવાની ઇચ્છાથી બંને નેત્રમાંથી અગ્નિ અને ચંદ્રમા સર્જ્યા. ત્યાર પછી ભૂતોની ઉત્પત્તિ થઈ, ધીમે ધીમે પ્રજાસમૂહો બ્રાહ્મણ અને ક્ષત્રિયો રૂપે ઉત્પન્ન થયા. જે સોમ છે, તે જ બ્રહ્મ છે, જે બ્રહ્મ છે, તે જ બ્રાહ્મણ છે, જે અગ્નિ છે તે ક્ષત્રિય છે, ક્ષત્રિયથી બ્રાહ્મણ બળવાન છે. બ્રાહ્મણોની પ્રબળતાનો ગુણ બધાને પ્રત્યક્ષ છે. બ્રાહ્મણોથી ચઢિયાતા જીવ પહેલાં ન હતા, જે લોકો પ્રજ્વલિત અગ્નિમાં આહુતિ આપે છે એમને નિમિત્ત આ વાત છે. બ્રહ્મામાંથી બધાં પ્રાણીઓનું સર્જન થયું છે. બધાં પ્રાણીઓને પ્રતિષ્ઠિત કરીને ત્રણે લોકને ધારણ કરી રહ્યા છે.

આ જ રીતે મંત્રવાદ થયો છે. હે અગ્નિ, વિશ્વના યજ્ઞોના હોતા થાઓ. દેવોના અને મનુષ્યોના, પ્રજાના હિતકર થાઓ.

(આ પછી બ્રાહ્મણોનો મહિમા ગાવામાં આવ્યો છે.)

સત્યથી વિશેષ કોઈ ધર્મ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, આ લોકમાં અને પરલોકમાં બ્રાહ્મણોથી ચઢિયાતું કોઈ નથી...

અહલ્યાનો ધર્મ ભ્રષ્ટ કરવાને કારણે ઇન્દ્ર લીલા રંગની મૂછોવાળા થઈ ગયા, વિશ્વામિત્રના નિમિત્તે ઇન્દ્ર વૃષણ વિનાના થયા એટલે તેમને ઘેટાનાં વૃષણ લગાડવા પડ્યા. બંને અશ્વિનીકુમારોને યજ્ઞભાગ ન આપ્યો એટલે ચ્યવન ઋષિએ વજ્ર ઉગામી ઇન્દ્રની ભુજાઓ સ્તંભિત કરી દીધી. યજ્ઞનો વિધ્વંસ થયો એટલે દક્ષે ભારે તપ કર્યું અને ક્રોધે ભરાઈને રુદ્રના લલાટમાં એક ત્રીજી નેત્રાકૃતિ સર્જી. ત્રિપુર નિવાસી દૈત્યોના વધ માટે દીક્ષા નિમિત્તે પાસે આવેલા રુદ્ર પર પોતાની જટા ઉખાડીને નાખી, એ જટાઓથી ઉત્પન્ન થયેલા સર્પસમૂહથી શિવને ભારે પીડા થઈ અને તેમનો કંઠ ભૂરો થયો. પહેલા મન્વંતરમાં નારાયણે તેમનો કંઠ પકડ્યો હતો એટલે રુદ્રદેવ નીલકંઠ થયા.

અમૃત ઉત્પન્ન કરવા પુરશ્ચરણ કરવા નિમિત્તે અંગિરાપુત્ર બૃહસ્પતિએ જળનો સ્પર્શ કર્યો પણ તે સ્વચ્છ ન થયું. એટલે ક્રોધે ભરાઈને બૃહસ્પતિ બોલ્યા, ‘મારો સ્પર્શ કરવાથી પણ તું નિર્મળ ન થયું, પ્રસન્ન ન થયું, એટલે આજથી મગર, કાચબા, મત્સ્ય વગેરે પ્રાણીઓથી તું કલુષિત થઈશ. આ શાપને કારણે સમગ્ર જળ પ્રાણીઓથી ઊભરાયું.’

ત્યાર પછી હિરણ્યકશિપુને આગળ કરીને પોતાની બહેન અને વિશ્વરૂપની માતા પાસે જઈને અસુરોએ વરદાન માગ્યું, ‘તમારો આ પુત્ર ત્વષ્ટાતનય ત્રિશિરા વિશ્વરૂપ દેવતાઓનો પુરોહિત થયો છે. તેણે દેવતાઓને પ્રત્યક્ષ અને અમને પરોક્ષ યજ્ઞભાગ આપ્યો છે. એટલે દેવતાઓની સંખ્યા વધે છે અને અમારી ઘટે છે. એટલે તમે એને ના પાડો, ત્રિશિરા અમારા વશમાં રહે તેવી આજ્ઞા આપો.’ એટલે વિશ્વરૂપની માતા નંદનવનમાં ગઈ અને પુત્રને તેણે કહ્યું, ‘તું બીજાઓનો પક્ષ લઈને માતુલપક્ષનો વિનાશ કેમ કરે છે? આ તને શોભતું નથી.’

વિશ્વરૂપ માતાના વચનનું ઉલ્લંઘન ન થઈ શકે એમ માનીને તેનો આદરસત્કાર કર્યા પછી હિરણ્યકશિપુ પાસે ગયો. બ્રહ્માનો પુત્ર વસિષ્ઠને કારણે શાપગ્રસ્ત થયો હતો. ‘તેં મારું અપમાન કરીને બીજા હોતાને આમંત્ર્યો છે એટલે આ યજ્ઞ સમાપ્ત નહીં થાય અને વિલક્ષણ પ્રાણી દ્વારા તારું મૃત્યુ થશે.’ એ શાપને કારણે હિરણ્યકશિપુનો વધ થયો. ત્યાર પછી માતૃપક્ષની વૃદ્ધિ કરવા વિશ્વરૂપે ઘોર તપસ્યા કરી. તેનો તપોભંગ કરવા ઇન્દ્રે ઘણી સુંદર અપ્સરાઓને મોકલી. તેમને જોઈને વિશ્વરૂપનું મન ચંચલ થયું. થોડા સમયમાં તે તેમનામાં આસક્ત થયો. તેને આસક્ત જાણી અપ્સરાઓએ કહ્યું, ‘અમે જ્યાંથી આવી છીએ ત્યાં જઈએ છીએ.’

ત્વષ્ટાપુત્રે કહ્યું, ‘તમે ક્યાં જાઓ છો? મારી સાથે રહો, તમારું કલ્યાણ થશે.’ અપ્સરાઓએ કહ્યું, ‘અમે દેવાંગના અપ્સરાઓ છીએ. અમે પહેલેથી પ્રભાવશાળી ઇન્દ્રનું વરણ કર્યું છે.’ એટલે વિશ્વરૂપે કહ્યું, ‘આજથી ઇન્દ્ર આદિ દેવતાઓનો પ્રભાવ નહીં રહે.’ એમ કહી તેણે મંત્રજાપ આરંભ્યો. એ મંત્રનો કારણે ત્રિશિરા બહુ મોટો થયો. એક મોઢાથી બધા લોકોની વચ્ચે બ્રાહ્મણો દ્વારા થઈ રહેલા યજ્ઞમાં સોમપાન કરવા લાગ્યો. બીજા મોઢે અન્ન ગ્રહણ કર્યું અને ત્રીજા મોઢે ઇન્દ્ર સમેત બધા દેવતાઓનું તેજ પીવા લાગ્યો. ત્યારે તેને અસાધારણ મોટો થયેલો જોઈ, સોમરસથી શરીરે પુષ્ટ થયેલો જોઈ દેવતાઓ સહિત ઇન્દ્ર ચિંતાતુર થયા. છેવટે ઇન્દ્ર અને દેવતાઓ બ્રહ્મા પાસે જઈને બોલ્યા, ‘વિશ્વરૂપ બધા યજ્ઞોમાં વિધિપૂર્વક સોમપાન કરે છે, અમે બધા યજ્ઞભાગથી વંચિત છીએ, અસુરો વૃદ્ધિ પામે છે અને અમે ક્ષય. એટલે અમારું કલ્યાણ થાય એવો ઉપાય કરો.’

બ્રહ્માએ કહ્યું, ‘ભૃગી વંશના મહર્ષિ દધીચિ તપ કરી રહ્યાં છે તેમની પાસે જાઓ, તેઓ પોતાનું શરીર ત્યજે એવો ઉપાય કરો. જ્યારે તે શરીર ત્યજે ત્યારે તેમનાં હાડકાંમાંથી વજ્ર બનાવો.’

પછી જ્યાં દધીચિ ઋષિ તપ કરી રહ્યા હતા ત્યાં ઇન્દ્ર અને દેવતાઓ ગયા, ત્યાં જઈને કહેવા લાગ્યા, ‘તમારી તપસ્યા તો બરાબર ચાલે છે ને? એમાં કોઈ વિઘ્ન તો નથી ને?’

દધીચિએ કહ્યું, ‘તમારું સ્વાગત છે, કહો તમારી શી સેવા કરું? તમે જે કહેશો તે કરીશ.’

દેવતાઓએ કહ્યું, ‘બધા લોકોના હિત માટે તમારે શરીર ત્યજી દેવાનું.’

ત્યાર પછી મહાયોગી દધીચિએ સુખદુઃખને સમાનગણી આત્માને પરમાત્મા સાથે જોડી શરીરત્યાગ કર્યો. જ્યારે તેમનો આત્મા શરીરથી અળગો થયો ત્યારે તેનાં અસ્થિમાંથી સર્જાયેલા અભેદ્ય વજ્ર વડે ઇન્દ્રે વિશ્વરૂપનાં ત્રણે મસ્તક છેદી નાખ્યાં. ત્યાર પછી ત્વષ્ટાએ ઇન્દ્રના શત્રુ વૃત્રનું સર્જન કર્યું. ઇન્દ્રે તે વૃત્રનો પણ વધ કર્યો. હવે ઇન્દ્રને બેવડી બ્રહ્મહત્યા લાગી. તેના ભયથી ઇન્દ્ર સ્વર્ગ છોડીને જતા રહ્યા. દેવતાઓનું રાજ્ય ત્યજીને ઇન્દ્ર જળમાંથી પ્રગટેલા માનસરોવર વાસિની શીતલા નલિની પાસે ગયા. ઐશ્વર્યના યોગબળથી અણુ જેવા બનીને મૃણાલતંતુમાં પ્રવેશી ગયા. બ્રહ્મહત્યાના ભયથી ઇન્દ્ર છુપાઈ ગયા એટલે જગત ઈશ્વર વિનાનું થયું. રજસ્ અને તમસ્ — આ બંનેએ દેવતાઓ પર આક્રમણ કર્યું. મહર્ષિઓના મંત્ર નિસ્તેજ થયા. રાક્ષસોની વૃદ્ધિ થઈ. વેદપાઠ બંધ થયા. ઇન્દ્ર વિનાના લોકો નિર્બલ થયા અને સરળતાથી જીતી શકાય એવા થયા. દેવતાઓ અને ઋષિઓએ આયુના પુત્ર નહુષને દેવરાજ બનાવ્યા. નહુષ બધાં પ્રાણીઓનું તેજ હરી લેનાર લલાટમાં પાંચસો જ્યોતિયુક્ત થઈ સ્વર્ગનું રાજ કરવા લાગ્યા. બધા લોકો પ્રકૃતિસ્થ થયા, સ્વસ્થ અને હૃષ્ટ થયા.

નહુષે કહ્યું, ‘શચિ સિવાય ઇન્દ્રની બધી ઉપભુક્ત વસ્તુઓ અહીં છે.’

શચી પાસે જઈને બોલ્યા, ‘હે સુભગા! હું દેવતાઓનો ઇન્દ્ર છું, તું મારી સેવા કર.’

શચીએ કહ્યું, ‘તમે પ્રકૃતિથી ધર્મવત્સલ છો, ચંદ્રવંશમાં ઉત્પન્ન થયા છો. એટલે પરસ્ત્રીગમન તમને ન શોભે.’

નહુષે કહ્યું, ‘હું ઇન્દ્રપદ બેઠો છું. ઈન્દ્રના રાજ્ય, રત્ન, બધા પર મારો અધિકાર. તું ઇન્દ્રની ઉપભોક્તા એટલે તારા ઉપભોગથી અધર્મ ન થાય.’

શચીએ કહ્યું, ‘મારું એક વ્રત છે, તે હજુ પૂરું થયું નથી. વ્રત પૂરું થાય ત્યારે સ્નાન કરી હું તમારી પાસે આવીશ.’

શચીની વાત સાંભળીને નહુષે વિદાય લીધી. શચી વ્યાકુળ થઈને બૃહસ્પતિ પાસે ગઈ. તેને વ્યાકુળ જોઈ સમાધિસ્થ થયા અને તેને ભર્તૃકાર્યમાં તત્પર જાણી બોલ્યા, ‘તું પતિવ્રતા ધર્મ અને તપસ્યા વડે વરદાત્રી ઉપશ્રુતિ દેવીને નિમંત્ર. તે તને ઇન્દ્ર બતાવશે.’ ત્યાર પછી શચીએ મહાનિયમવતી થઈને વરદા ઉપશ્રુતિનું આવાહન મંત્ર વડે કર્યું. તે દેવી શચી પાસે ગયાં અને બોલ્યાં, ‘હું તારી સામે છું, તારા નિમંત્રણથી આવી છું. તારું શું પ્રિય કરું?’

શચીએ મસ્તક નમાવી પ્રણામ કરી બોલી, ‘હે ભગવતી, તમે મારા પતિનું દર્શન કરાવો. તમે સત્યરૂપિણી છો, પરમ શ્રેષ્ઠા છો.’ ઉપશ્રુતિ શચીને માનસરોવર લઈ ગઈ. ત્યાં મૃણાલની નાળમાં સૂક્ષ્મ રૂપે બેઠેલા ઇન્દ્રને દેખાડ્યા. ઇન્દ્ર પોતાની પત્નીને કૃશ અને દુઃખી જોઈને ચિંતા કરવા લાગ્યા. ‘અરે મારે કેટલું બધું દુઃખ જોવાનું આવ્યું. હું સંતાયો એટલે મારી દુઃખાર્ત્તા પત્ની મને શોધવા અહીં આવી.

ઇન્દ્રે પૂછ્યું, ‘કેમ છે?’

શચિએ ઇન્દ્રને કહ્યું, ‘નહુષ મને પત્ની બનાવવા માગે છે. મેં એની પાસે થોડો સમય માગ્યો છે.’

ઇન્દ્રે કહ્યું, ‘તું જઈને નહુષને કહે. તમે ઋષિઓના વાહન પર આરૂઢ થઈને મને લઈ જાઓ. ઇન્દ્રના અનેકવિધ ઉત્તમ, મહાન વાહનો છે, મેં ઇચ્છાનુસાર બધાં યાનો પર આરોહણ કર્યું છે. તમે કોઈ બીજા નવા વાહનમાં બેસીને આવો.’

ઇન્દ્રે આમ કહ્યું એટલે શચી હર્ષ પામીને જતી રહી. ઇન્દ્ર પણ ફરી કમળનાળમાં પ્રવેશી ગયા.

ઇન્દ્રાણીને આવેલી જોઈને નહુષે કહ્યું, ‘તારી સમયાવધિ પૂરી થઈ છે.’ પછી ઇન્દ્રે કહેલી વાત શચીએ કહી. ત્યાર પછી નહુષ મહર્ષિઓના વાહનમાં બેસીને શચી પાસે જવા લાગ્યા. ત્યારે મિત્રાવરુણના પુત્ર અને કંુભમાંથી જન્મેલા મહર્ષિ અગસ્ત્યે જોયું કે નહુષ ઋષિઓને ત્રાસ આપી રહ્યો છે. પોતાના પગ વડે તેમને સ્પર્શે છે. એટલે અગસ્ત્યે નહુષને કહ્યું, ‘અકાર્યમાં પ્રવૃત્ત નહુષ, તું પૃથ્વી પર પડ. જ્યાં સુધી પર્વત અને ભૂમિ રહેશે ત્યાં સુધી તું સર્પ રહીશ.’

મહર્ષિનું વચન સાંભળતાંવેંત નહુષ વાહનમાંથી નીચે પડ્યો.

ફરી ત્રણે લોક ઇન્દ્ર વિનાના સૂના પડ્યા. દેવતાઓ અને ઋષિઓ ઇન્દ્રના નિમિત્તે વિષ્ણુની શરણે ગયા, ‘હે ભગવન્, બ્રહ્મહત્યાના પાપમાંથી ઇન્દ્રની રક્ષા કરો.’ દેવતાઓ અને ઋષિઓની વાત સાંભળીને વરદ વિષ્ણુએ તેમને કહ્યું, ‘ઇન્દ્ર અશ્વમેધ યજ્ઞ કરે, તો ફરી ઇન્દ્રપદ પામશે.’

દેવતાઓ અને ઋષિઓએ જ્યારે ક્યાંય ઇન્દ્રને ન જોયા ત્યારે તેમણે શચીને કહ્યું, ‘હે સુભગા, તું ઇન્દ્રને અહીં લઈ આવ.’

શચી ફરી એ સરોવરે ગઈ. ઇન્દ્ર એ સરોવરમાંથી બહાર આવ્યા અને બૃહસ્પતિ પાસે ગયા. પછી કૃષ્ણસારંગ અશ્વ વડે યજ્ઞ કર્યો, તેને જ વાહન બનાવી બૃહસ્પતિએ સુરપતિ ઇન્દ્રને તેના સિંહાસન પર બેસાડ્યા. દેવરાજની સ્તુતિ દેવતાઓએ અને ઋષિઓએ કરી એટલે ઇન્દ્ર સ્વર્ગમાં રહેતા થયા. બ્રહ્મહત્યા સ્ત્રી, અગ્નિ, વનસ્પતિ અને ગાયમાં વહેંચાઈ ગઈ. આમ ઇન્દ્ર બ્રહ્મતેજથી વૃદ્ધિ પામીને શત્રુનો વધ કરી ફરી પોતાના પદે પ્રતિષ્ઠિત થયા હતા.

*

ભૂતકાળમાં મહર્ષિ ભરદ્વાજ આકાશગંગામાં જઈને તેમાં જ આચમન કરતા હતા. ત્યારે ત્રણ પગ વડે ત્રિલોકને માપતા વિષ્ણુ તેમની પાસે આવ્યા. ભરદ્વાજે થોડું પાણી લઈ વિષ્ણુના વક્ષ:સ્થળમાં છાંટ્યું, ત્યારથી વક્ષસ્થળ ચિહ્નયુક્ત થયું.

*

અદિતિએ દેવતાઓના નિમિત્તે અન્ન રાંધ્યું હતું, તે ખાઈને અસુરોને મારવાનો ઉદ્દેશ હતો. તે સમયે વ્રત સમાપ્ત કરીને બુધ અદિતિ પાસે ગયા અને તેમણે ભિક્ષા માગી. ‘દેવતાઓ પહેલાં ભોજન કરશે, બીજા કોઈને પણ ભોજન નહીં મળે.’ આમ અદિતિએ બુધને ભિક્ષા ન આપી. ભિક્ષા ન મળી એટલે ક્રોધે ભરાઈને અંડ નામધારી વિવસ્વાનના બીજા જન્મ વખતે અદિતિના ઉદરનો અંડ માર્યો. મૃત અંડમાંથી પ્રગટ થવાને કારણે શ્રાદ્ધદેવ વિવસ્વાન માર્તંડના નામે જાણીતા થયા.

*

દક્ષની પુત્રીઓ સાઈઠ હતી. એમાંથી કશ્યપને તેર, ધર્મને દસ, મનુને દસ, ચંદ્રને સત્તાવીસ કન્યાઓ આપી. ચંદ્રમાને આપેલી બધી કન્યાઓ એકસરખી રૂપવાન હતી અને નક્ષત્રના નામે જાણીતી હતી. બધી એકસમાન હોવા છતાં ચંદ્રમા રોહિણીને વધુ ચાહતા હતા. બીજી પત્નીઓએ ઈર્ષ્યા કરીને પિતા પાસે જઈને વાત કરી, ‘હે ભગવન્, અમે બધી એકસરખી રૂપવાન હોવા છતાં સોમ (ચંદ્રમા) રોહિણીને વધુ ચાહે છે.’

દક્ષે કહ્યું, ‘ચંદ્રને ક્ષયરોગ થશે.’

દક્ષના શાપથી ક્ષય ચન્દ્રમાના શરીરમાં પ્રવેશ્યો. ક્ષયવાળા ચન્દ્ર દક્ષ પાસે ગયા. ‘તમે બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર કરતા નથી.’ તે સમયે ઋષિઓએ ચન્દ્રને કહ્યું, ‘તમે ક્ષયથી ક્ષીણ થાઓ છો. એટલે પશ્ચિમ દિશામાં સમુદ્ર પાસેના હિરણ્ય સરોવરમાં સ્નાન કરો.’ એટલે ચન્દ્ર તે સરોવરે ગયા. સ્નાન કરીને તેઓ પાપમુક્ત થયા. ત્યારથી આ સ્થળ પ્રભાસ તીર્થથી વિખ્યાત થયું. એ દક્ષશાપથી આજે પણ ચન્દ્ર કૃષ્ણપક્ષમાં અમાસ સુધી ક્ષીણ થાય છે અને શુક્લ પક્ષમાં તેની વૃદ્ધિ થાય છે. તેનું મંડલાકર સ્વરૂપ મેઘની શ્યામ રેખાથી આચ્છન્ન દેખાય છે. તે મેઘ સદૃશ વર્ણનો છે. તેનો નિર્મળ અંશ શશકલંક રૂપે પ્રકાશિત છે.

*

સ્થૂલશિરા નામના મહર્ષિએ સુમેરુ પર્વતની પૂર્વોત્તર દિશામાં તપ કર્યું હતું. તેઓ તપ કરી રહ્યા હતા ત્યારે સર્વગંધવાહક પવિત્ર વાયુએ તેમના શરીરને સ્પર્શ કર્યો. તેઓ તપસ્યાથી તપ્ત અને કૃશ હતા. એટલે વાયુના સ્પર્શથી તેઓ પ્રસન્ન થયા. ત્યારે અનિલ વ્યંજન પારિતોષિક ચિહ્નસ્વરૂપ વનસ્પતિઓએ પુષ્પશોભા ન પ્રગટાવી. તે વનસ્પતિઓને મહર્ષિએ શાપ આપ્યો કે તમે સર્વ કાળમાં અપુષ્પિત રહેશો.

*

ભૂતકાળમાં સર્વ લોકના હિત માટે નારાયણ વડવામુખ નામના મહર્ષિ બન્યા હતા. સુમેરુ પર્વત પર જઈને તપ કરતાં કરતાં સમુદ્રનું આવાહન કર્યું પરંતુ સમુદ્ર તેમની નજીક આવ્યો નહીં. તેમણે ક્રોધે ભરાઈને પોતાના શરીરની ગરમીથી સમુદ્રજળને ચંચળ કરી નાખ્યું, અને પ્રસ્વેદ ઝરણાની જેમ વહ્યો, સમુદ્ર ખારો થઈ ગયો. તેમણે સમુદ્રને કહ્યું, ‘તારું પાણી પીવાલાયક નહીં રહે. તારું જળ વડવામુખ વડે પીવાલાયક રહેશે. આજે પણ સમુદ્રજળ વડવામુખની સહાયથી પીવા લાયક બને છે.

*

રુદ્રદેવે હિમાલયપુત્રી ઉમાની કામના કરી હતી. તે જ વખતે મહર્ષિ ભૃગુએ હિમાલય પાસે જઈને કહ્યું, ‘આ ઉમા મને આપો.’ હિમાલયે કહ્યું, ‘એનું લગ્ન શંકર સાથે થશે.’ ભૃગુએ કહ્યું, ‘હું કન્યાને વરવાની ઇચ્છાથી અહીં આવ્યો હતો. પરંતુ તમે કન્યા આપવાની ના પાડી છે, હવે તમે રત્નોના ભંડાર નહીં રહો.’ આજે પણ આ વાત હિમાલય માટે સાચી છે.

(શાન્તિપર્વ, ૩૨૯) (આરણ્યક પર્વ, ૨૦૭થી ૨૧૦)