ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શ્વેતકેતુ અને સુવર્ચલાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્વેતકેતુ અને સુવર્ચલાની કથા

બ્રહ્મર્ષિ દેવલ ક્રિયાકાંડ કરનારા, ધર્મજ્ઞ તથા બ્રાહ્મણો — દેવતાઓને પૂજનારા હતા. તેમની પુત્રી સુવર્ચલા પ્રમાણસર બાંધાની હતી. તે વિવાહયોગ્ય બની એટલે તેના પિતા વિચારવા લાગ્યા, મારી આ પુત્રી કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવી જોઈએ. વળી તે પ્રિયભાષી, તપસ્વી, અવિવાહિત હોવો જોઈએ, પણ એવી વ્યક્તિ એટલી સુલભ ક્યાં છે? ચિંતાતુર પિતા પાસે જઈને સુવર્ચલાએ કહ્યું, ‘પિતાજી, તમે તો પરમ બુદ્ધિમાન છો, વિદ્વાન છો, હવે તમે મારો પતિ કેવો શોધશો? જે અન્ધ હોય અને આંખવાળો પણ હોય.’

‘દીકરી, તારી આ ઇચ્છા પાર પડે એવી શક્યતા મને તો દેખાતી નથી. કોઈ વ્યક્તિ એક સાથે અંધ અને દેખતો પણ હોય-એ શી રીતે બને? મને દુઃખ થાય છે. ગાંડી થઈ છે કે શું?’

‘હું ગાંડી નથી. બહુ બહુ વિચારીને મેં આ વાત કહી છે. આવો કોઈ દેવજ્ઞ પતિ મળી જાય તો તે મારું ભરણપોષણ કરી શકે. તમે જે બ્રાહ્મણોને મારો હાથ સોંપવા ઇચ્છતા હો તે બધાને અહીં બોલાવો. હું એમાંથી મારી પસંદનો પતિ પસંદ કરીશ.’

પછી પુત્રીને ‘ભલે’ કહીને પોતાના શિષ્યોને તેમણે કહ્યું, ‘વેદવિદ્યા જાણનારા, નિષ્કલંક માતાપિતા ધરાવતા, શુદ્ધ આચારવિચારવાળા, નિરોગી, બુદ્ધિશાળી, શીલ-સત્ત્વવાળા, વર્ણસંકર ન હોય તેવા, વેદોક્ત વ્રત પાળનારા, સ્નાતક, માતાપિતા જીવતા હોય અને મારી કન્યા સાથે વિવાહ કરવા માગતા બધા બ્રાહ્મણોને તમે અહીં બોલાવી લાવો.’

મુનિની વાત સાંભળીને શિષ્યોએ આશ્રમોમાં, ગામડાંમાં જઈને બ્રાહ્મણોને આ વાત જણાવી. અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણો દેવલ ઋષિના અને તે કન્યાના પ્રભાવને જાણતા હતા એટલે એ બધા ત્યાં આવ્યા. દેવલ ઋષિએ આવનારા ઋષિઓ અને ઋષિકુમારોનું સન્માન કરી તેમની પૂજા કરી, પછી પુત્રીને કહ્યું, ‘દીકરી, અહીં પધારેલા મુનિઓ વેદ-વેદાંગમાં પારંગત છે, કુલીન છે — શીલવાન છે. મારે માટે તો એ બધા પુત્રો જેવા છે. એમાંથી તારે જે ઋષિકુમારોને પતિ તરીકે પસંદ કરવા હોય તેને પસંદ કરી લે. હું એની સાથે તારું લગ્ન કરાવી આપીશ.’

કાંચનવર્ણી, શુભલક્ષણો ધરાવતી, યર્શાસ્વની, સુવર્ચલા, બ્રાહ્મણોને પ્રણામ કરતી બોલી, ‘જે અંધ હોય અને અંધ ન હોય એ જ મારો પતિ બની શકે.’

તેની વાત સાંભળીને બધા ઋષિઓ એકબીજાનું મોં જોવા લાગ્યા. કેટલાક તેઓ કન્યા નાદાન છે. એમ માનીને ચૂપ રહ્યા. જુદા જુદા દેશોમાં રહેતા એ મુનિઓ જેવા આવ્યા હતા તેવા ક્રોધિત થઈ ચાલ્યા ગયા. કન્યા તો પિતાને ત્યાં જ રહી ગઈ.

તે સમયે શ્વેતકેતુ નામના ઋષિ આખી વાત જાણીને તે કન્યા સાથે લગ્ન કરવા માટે દેવલ ઋષિના આશ્રમે આવી પહોંચ્યા. તેઓ બ્રહ્મચારી, ન્યાયવિશારદ, બ્રહ્મચારી, વેદજ્ઞ, કર્મકાંડકુશળ, આત્મતત્ત્વના જાણકાર, સદ્ગુણી હતા.

દેવલે તેમનો આદરસત્કાર કરી પોતાની પુત્રીને કહ્યું, ‘આ ઋષિકુમાર શ્વેતકેતુ છે, તે પંડિત છે, વેદવેદાંતમાં પારંગત છે. તું એમને પસંદ કરી લે.’

પિતાની વાત સાંભળી કન્યાએ ભંવાં ચઢાવીને ઋષિ સામે જોયું. ત્યારે શ્વેતકેતુ બોલ્યા, ‘ભદ્રા, હું તમારા માટે જ અહીં આવ્યો છું. હું અંધ છું. અને સંદેહરહિત હોવાને કારણે આંખોવાળો જ છું. હે સુંદરી, મારી પસંદગી કર. પરમાત્માની શક્તિની જ જીવ બધું જુએ છે, સ્પર્શે છે, સૂંઘે છે, બોલે છે, બધો સ્વાદ લે છે. તત્ત્વચિંતન કરે છે, તે પરમાત્મા જ ચક્ષુ કહેવાય. જે આ ચક્ષુ ન ધરાવે તે અંધ ગણાય. લૌકિક ઇન્દ્રિયજગત સાથે મારો સંબંધ નથી. એટલે હું અંધ છું. પરમાત્માનું ધ્યાન ધરીને એના પર જ ટકું છું. બધા પદાર્થોને સમાનભાવે જોઉં છું, ઈર્ષ્યા-દ્વેષ વિનાનો છું. તારું ભરણપોષણ કરવાની ક્ષમતા છે. એટલે મને પસંદ કર.’

આ સાંભળી સુવર્ચલા બોલી, મેં મનથી તમારી પસંદગી કરી લીધી. આ મારા પિતા પાસે તમે મારું માગું કરો.’

પછી દેવલે શ્વેતકેતુને પોતાની કન્યા આપી દીધી. અને બંનેનો સંસાર આરંભાયો.

(ગીતાપ્રેસ, શાન્તિ પર્વ, ૨૨૦)