ભારતીયકથાવિશ્વ-૫/રાભા લોકકથાઓ/સૂર્ય અને ચન્દ્રની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂર્ય અને ચન્દ્રની કથા


સૂર્ય અને ચન્દ્ર બે ભાઈઓ. એક દિવસ બંને ભાઈઓ સજીધજીને મા પાસે આવીને કહેવા લાગ્યા, ‘મા, બ્રહ્માએ પોતાને ત્યાં બહુ મોટી મિજબાની ગોઠવી છે, તેમણે બધા દેવો, મનુષ્યો, અસુરો, ગંધર્વો, કિન્નરો, જળચર-સ્થળચર પ્રાણીઓને આમંત્ર્યાં છે, એટલું જ નહીં, જીવજંતુ, સાપ જેવાં પ્રાણીઓને પણ નોતર્યાં છે. અમારી ઇચ્છા પણ ત્યાં જવાની છે. અમે તારી સંમતિ લેવા આવ્યા છીએ. જઈએ અમે?’

માએ હસતાં હસતાં કહ્યું, ‘દીકરાઓ, તમે તો મનમાં પહેલેથી નક્કી કરી જ લીધું છે. એટલે જજો. હું તમને રાજીખુશીથી જવા દઉં છું. પણ એક વાતનું ધ્યાન રાખજો. બ્રહ્મા આવી ઉજાણી બાર બાર વર્ષે યોજે છે. હું તમારા પિતા સાથે છેલ્લે ગઈ હતી.’

સૂર્ય અને ચન્દ્રે આતુરતાથી પૂછ્યું, ‘અમારા પિતા? ક્યાં છે અમારા પિતા? એ પાછા ક્યારે આવશે?’

‘અરે તમે ભૂલી ગયા? તેઓ તો મોક્ષધામમાં ગયા એટલે હવે પાછા તો નહીં આવે. હું તમને આશિષ આપું છું. તમે સાજાસમા પાછા આવજો. હવે તમે જે કેટલીક વાતો નથી જાણતા તે તમને જણાવું. આવી ઉજાણી શિસ્ત માગી લે. દેવતાઓ, મનુષ્યો, અસુરો — એટલે કે એકેએકની બેઠકવ્યવસ્થા ચોક્કસ રીતે કરી લીધી છે. બીજા કોઈના સ્થાન પર બેસાય નહીં. જો કોઈ એમ કરે તો તે અશુદ્ધ ગણાય અને કાં તો તેને કાઢી મૂકે કાં તો તેને શાપ આપવામાં આવે. તમારે વાણીવર્તનમાં, હરવાફરવામાં ખાસ ધ્યાન આપવાનું. આપણે દેવોના વર્ગમાં છીએ, યાદ રહેશે ને?’

‘અમે તારી વાત માનીશું. હવે અમે જઈએ.’

‘બીજી એક વાત. જમી લીધા પછી, દેવતાઓ માટે અનામત રાખેલી વાનગી મારા માટે લેતા આવજો-ભૂલતા નહીં. ’

‘નહીં ભૂલીએ મા.’

બ્રહ્માએ બધા માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરાવી હતી. પેટ ભરીને જમી લીધા પછી ક્ષિતિજ સુધી લંબાયેલા એ ખંડમાંથી પ્રાણીઓ જતાં રહ્યાં.

દેવતાઓ માટેની હરોળમાં સૂર્ય-ચન્દ્ર બેઠા. ચન્દ્ર માની વાત ભૂલી ગયો ન હતો. ભોજન કરતાં પહેલાં તેણે થોડી વાનગી માએ કહ્યું હતું એ પ્રમાણે જુદી રાખી. સૂર્ય તો ખાઉધરાની જેમ પેટમાં નાખતો ગયો અને માને માટે વાનગી જુદી કાઢી રાખવાનું ભૂલી ગયો. તેણે તો જે કંઈ વધ્યુંઘટ્યું હતું તે ફેંકી દીધું. ત્યાંથી નીકળતી વખતે તેને માની વાત યાદ આવી. પણ હવે તો બહુ મોડું થઈ ગયું હતું.

તેણે તો અકરાંતિયાંની જેમ ખાધું હતું. રસ્તામાં તેને દિશાએ જવાનું મન થયું. એક ખરાબ વિચાર તેના મનમાં આવ્યો. તેણે એક કોથળીમાં પોતાનો ઝાડો મૂક્યો, ઘેર જતાંવેંત તેણે એ કોથળી માને આપી દીધી, અને પોતે જતો રહ્યો. બહુ આનંદ અને ઉત્સાહથી માએ કોથળીનું મોં ખોલ્યું, પણ ગંધાતો ઝાડો જોઈને તેને તો ભારે ચિતરી ચઢી. તેને પોતાના દીકરાના એ વર્તાવ પર બહુ ગુસ્સો આવ્યો. તે રાતીપીળી થઈ ગઈ હતી અને તેને માનસિક આઘાત લાગ્યો હતો. ચન્દ્ર પોતાની કોથળી લઈને આવ્યો ત્યારે ભારે હૈયે તે ઊભી હતી અને ચન્દ્રની કોથળી ફેંકી દીધી અને એક તમાચો ચન્દ્રને મારી દીધો. તેણે માર જ માર્યો નહીં પણ ખરીખોટી સંભળાવી, ‘જા-જા, નાલાયક, સાવ નક્કામા છો, તમે બંને મારી આગળથી ટળો, તમને બંનેને કયા મૂરતમાં મેં વળી જનમ આપ્યો હતો? કુટુંબનું નામ બોળ્યું.’ રડતાં રડતાં તેણે કહ્યું. ચન્દ્ર તો આ સાંભળીને આભો જ બની ગયો. માના ગુસ્સાનું કારણ તે સમજી ન શક્યો.

પછી જ્યારે માનો ગુસ્સો ઓછો થયો ત્યારે તેણે શાંતિથી પૂછ્યું, ત્યારે માએ સૂર્યનું કરતૂત જણાવ્યું. ચન્દ્ર આ જાણીને બહુ દુ:ખી થયો. ચન્દ્રે ઊભા થઈને માએ ફેંકી દીધેલી પોતાની કોથળી ઊંચકી અને તેમાંની વાનગીઓ માને આપી. હારી ગયેલાની જેમ તે બેઠી અને પોતે ચન્દ્ર સાથે જે વર્તાવ કર્યો તેનાથી તે બહુ દુ:ખી થઈ. તેણે આશીર્વાદ આપ્યા, ‘મા માટેના તારા પ્રેમનું દૃષ્ટાંત અમર રહેશે. તને બધા માન આપશે, લોકો તને દેવ માનીને પૂજશે. બધાં પ્રાણીઓનાં મન તારાં કિરણોથી શાંત રહેશે તું ભૂરા આકાશમાં તેજથી ઝળહળતો રહીશ. પણ તારા ભાઈ સૂર્યને હું શાપું છું. તેણે પોતાનો ઝાડો મને ભોજન તરીકે આપ્યો, એટલે આ જગતની બધી ગંદી, સડેલી વસ્તુઓ તેણે સૂકવી નાખવી પડશે. આકરાં કિરણો વડે તેણે આ બધી ગંદી વસ્તુઓનો સ્પર્શ કરવો પડશે. લોકો તેની આકરી ગરમીથી ત્રાસી જશે. તે કદી શાતાદાયક રહી નહીં શકે.’

સૂર્ય પોતે જ સંતાઈને ઊભો હતો, તેણે માનો શાપ સાંભળ્યો. તેણે આ આખું દૃશ્ય જોયું અને પોતે જે કર્યું હતું તે બદલ પસ્તાવો થયો. તે ડૂસકાં નાખતો માને પગે પડ્યો, અને તેણે ક્ષમા કરવા કહ્યું, શાપ પાછો ખેંચી લેવા કહ્યું, ચન્દ્રે પણ માને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

પણ મા શાંત ન થઈ. ‘તું તો પાપી છે. મને શાપ આપવાની તેં ફરજ પાડી છે. મારો શાપ મિથ્યા નહીં થાય, તેં જે કર્યું તેની શિક્ષા તારે ભોગવવી જ પડશે. આખું જગત જ્યારે સાફસૂથરું થશે ત્યારે જ તું શાપમુક્ત થઈશ.’

સૂર્ય અને ચન્દ્ર આ સાંભળીને બહુ દુ:ખી થયા. ચન્દ્રે માને કહ્યું, ‘શાપ પાછો ન ખેંચે તો હળવો કર.’

‘ના, મારો શાપ અફર છે. પણ થોડો ભાર ઓછો કરું. તને પણ બધા માન આપશે.’

સૂર્ય અને ચન્દ્ર પતિપત્ની હતાં. તેમની વચ્ચે દરરોજ ઝઘડો થતો. એક દિવસ તો તેમનો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચ્યો. તેમનો ઝઘડો બાળકો વિશે-તારાઓ વિશે હતો. પત્નીએ કહ્યું, ‘બાળકો બહુ તોફાની છે. તેઓ કોઈ વાત માનતાં નથી, આવાં બાળકોને કાબૂમાં રાખવાં ભયંકર જોખમ. આમાં તારી કોઈ જવાબદારી ખરી કે નહીં? કોઈ પણ જાતની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા એ કંઈ સારું કહેવાય?’

સૂર્યે કહ્યું, ‘હું મારી જવાબદારીમાંથી છટકી જતો નથી. મને એનો ખ્યાલ છે, પણ મા તરીકે તારી જવાબદારી વધારે છે.’

‘એવું નહીં. આટલાં બધાં બાળકોને જનમ આપવામાં તું સરખો જ ભાગીદાર.

‘હા, પણ જે જનમ આપે તેની જવાબદારી, તેનું મહત્ત્વ વધારે, મારી જવાબદારી પાછળથી આવે.’

‘આમ ન ચાલે. આવી દલીલો કરવાથી તું જવાબદારીમાંથી છટકી ન શકે. તું તો છટકી જવા આવી દલીલો કર્યા કરે છે. એક સમયે આપણને બાળકો ન હતાં. તેેં જ તો કહેલું કે આપણે બ્રહ્માને પ્રાર્થના કરીએ. બ્રહ્માએ આપણી વિનંતી સ્વીકારી. હવે તું જવાબદારીમાંથી છટકી ન શકે.’

‘હા, આપણે બાળકો માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ભગવાને આપણને પૂછ્યું હતું, તમારે કેટલાં બાળકો જોઈએ છે? તે વખતે તો જરા પણ વિચાર્યા કર્યા વિના તેં કહી દીધું- તમારાથી અપાય તેટલાં બાળકો આપો. એટલે આપણને આટલાં બધાં બાળકો. હવે રાખ તેમની સંભાળ. આ વરદાન તો તેં જ માગ્યું હતું ને!’

‘તો મને પૂરી વાત કહેવા દે.’

ચન્દ્રે લાગણીવશ બનીને અને પોતાના પર દયા આણીને કહ્યું, ‘તું કેવી રીતે વાત પૂરી કરીશ. આપણે દેવો છીએ. ભગવાનના આશીર્વાદનું ફળ રાખવાનું છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.’

‘આપણે અગણિત બાળકોને જન્મ આપ્યો. આપણે તો તેમનાં નામ પણ જાણતા નથી. કેટલા, કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા તેની કોને જાણ છે?’

‘કોઈ મૃત્યુ પામ્યું નથી. હજુ બધા જ જીવેે છે. જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે તેઓ મૃત્યુ પામશે. આપણને મૂકીને તેઓ ક્યાંય નહીં જાય. દરેકને પોતાનો પ્રદક્ષિણાપથ છે. પોતાના વર્તુળમાં આંટા માર્યા કરશે. પછી તેઓ આપણી પાસે આવી જશે. આપણે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું. મારે બહુ બધાં કામ છે. હું આ કામ કરવાને આરંભ આજથી કરું છું. હું દૂર રહીને તારી અને બાળકોની પ્રવૃત્તિઓની દેખરેખ રાખીશ.

આમ કરીને સૂર્યે પોતાની પત્ની ચન્દ્રની વિદાય લીધી. ચન્દ્ર બાળકો પાસે રહી ગઈ. એટલે જ આપણે ચન્દ્ર પાસે જ તારાઓ જોઈએ છીએ.