ભારતીય કથાવિશ્વ૧/પ્રજાપતિનું સર્જન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પ્રજાપતિનું સર્જન

પ્રજાપતિએ ઇચ્છા કરી કે હું પ્રજોત્પાદન વડે બહુ થાઉં. તેમણે તપ કર્યું. તપ કરીને આટલા લોક સર્જ્યા, પૃથ્વી, અન્તરીક્ષ અને સ્વર્ગ. ફરી ત્રણ લોકની પર્યાલોચના કરી. આ લોકમાંથી ત્રણ જ્યોતિ પ્રગટી — પૃથ્વીમાંથી અગ્નિ, અન્તરીક્ષમાંથી વાયુ અને દ્યૌમાંથી સૂર્ય પ્રગટ્યા. આ ત્રણ જ્યોતિની ફરી આલોચના કરી. તેમાંથી ત્રણ વેદ પ્રગટ્યા. અગ્નિમાંથી ઋગ્વેદ, વાયુમાંથી યજુર્વેદ અને આદિત્યમાંથી સામવેદ પ્રગટ્યા. આ ત્રણે વેદની ફરી આલોચના કરી. આ વેદોમાંથી ત્રણ જ્યોતિ પ્રગટી. ઋગ્વેદમાંથી ભૂ, યજુર્વેદમાંથી ભુવ: અને સામવેદમાંથી સ્વ: પ્રગટ્યા. ફરી તે જ્યોતિઓની આલોચના કરી. તે જ્યોતિમાંથી ત્રણ વર્ણ ઉત્પન્ન થયા. અકાર, ઉકાર અને મકાર. તેમણે આ ત્રણેને એક સાથે સંયોજ્યા — એટલે ‘ઓમ’ પ્રગટ્યો.

(ઐતરેય બ્રાહ્મણ, પચીસમો અધ્યાય, સાતમો ખંડ)