ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકારાદિ અને વ્યંગ્યાર્થ
કેટલાક લોકો કહે છે કે કાવ્યને જે કાંઈ શોભાવતું હોય તેને ગમે તે નામ આપો, પણ તે ગુણ કે અલંકારમાં આવી જ જવાનું. સમાસોક્તિ, પ્રેયસ્, રસવત્ જેવા અલંકારો વસ્તુધ્વનિ કે રસધ્વનિ પર આધારિત છે જ; પણ વ્યંગ્યાર્થનું ક્ષેત્ર એટલું બધું વ્યાપક છે કે અલંકારરૂપે એનું વર્ગીકરણ કરવું અસંભવિત છે. ગુણ, રીતિ એટલે તો કાવ્યદેહનું સૌન્દર્ય, જ્યારે ધ્વનિ તો કાવ્યનો આત્મા છે. એ બંનેને ભેળવી દઈ શકાય. નહિ. આથી જ તો આનંદવર્ધન રમણીના અવયવસૌન્દર્યથી અતિરિક્ત એવા લાવણ્ય સાથે કાવ્યધ્વનિને સરખાવે છે ને?
કોઈ વળી એમ કહીને વ્યંજનાને ટાળે છે કે શબ્દ અને અર્થનાં અનેક વૈચિત્ર્યોમાંથી પ્રસિદ્ધ અલંકારિકોએ જેનું વર્ણન ન કર્યું હોય એવું આ કોઈ વૈચિત્ર્ય જ હશે પણ આ રીતે વ્યંજનાને ટાળી શકાય તેમ નથી. વ્યંગ્યાાર્થને અર્થનું વૈચિત્ર્ય માનો તોય એનું મહત્ત્વ એટલું બધું છે કે એનો અલગ રીતે સ્વીકાર કરવો જ રહ્યો – અને તેથી વ્યંજના શક્તિ નો પણ.