મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩)


પદ (૩)

દયારામ

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે?
પુણ્ય પૂરવતણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મ્હેર આણી મનમાં. ઓ વ્રજનારી!

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહતી,
સુખદુ:ખ કાંઈ દિલમાં નવ લ્હેતી. ઓ વ્રજનારી!

મારે અંગે વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા. ઓ વ્રજનારી!

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કો’માં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી. ઓ વ્રજનારી!

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી! ઓ વ્રજનારી!