મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭૦)


પદ (૭૦)

નરસિંહ મહેતા

ગિરિ તળાટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય;
ઢેડ વરણમાં દૃઢ હરિભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય.
ગિરિ
કર જોડીને કરે પ્રાર્થના, વિનય તણાં બહુ વદ્યા રે વચંન;
‘મહાન્તપુરુષ! અમારી અરજ એટલીઃ અમારે આંગણે કરો કીર્તન.
ગિરિ
પ્રેમ-પદારથ અમો પામીએ, વામીએ જન્મ-મરણ-જંજાળ;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ.
ગિરિ
‘પક્ષપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન;
ગોમૂત્રે તુલસી-થલ લીંપજો,’ એવું વૈષ્ણવે આપ્યું વાગ્દાન.
ગિરિ
મેહતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કીધો ઓચ્છવ;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સહુ વૈષ્ણવ.
ગિરિ
ઘેર પધાર્યા હરિ-જશ ગાતા, વહાતા તાળ ને શંખ-મૃદંગ;
હસી હસી નાગર લેતાં તાળીઃ ‘આ શા રે બ્રાહ્મણના ઢંગ!’
ગિરિ
મૌન ગ્રહી મહેતાજી ચાલ્યાઃ ‘અદવધરાને શો ઉત્તર દઉં?’
જાગ્યા લોક, નર-નારી પૂછેઃ ‘મહેતાજી! તમે એવા શું?’
ગિરિ
નાત ન જાણો, જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર!’
કર જોડીને કહે નરસૈંયોઃ ‘એ વૈષ્ણવ તણો મુજને આધાર.’
ગિરિ