મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૬

ગંગાસતી

વચન વિવેકી જે નરનારી પાનબાઇ,
તેને બ્રહ્માદિક લાગે પાય;
જથારથ વચનની શાન જેણે જાણી પાનબાઈ,
તેને કરવું હોય તેમ થાય.          .. વચન વિવેકી.

વચનમાં સમજે તેને મહાસુખ થાય રે,
ઈ તો ગત ગંગાજી કહેવાય;
એકમના થઈને આરાધ કરે તો તો,
નકલંક પરસન થાય..          .વચન વિવેકી.

વચને થાપ ને વચને ઉથાપ પાનબાઈ,
વચને મંડાય જો ને પાઠ;
વચનના પૂરા તે તો નહિ રે અધૂરા,
વચનનો લાવો જોને ઠાઠ          ... વચન વિવેકી.

વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ
વચન છે ભક્તિનું જો ને અંગ;
ગંગાસતી એમ બોલિયાં રે
કરવો વચનવાળાનો સંગ          ... વચન વિવેકી.