મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી પદ ૨૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૨૫

વિશ્વનાથ

(રાગ ધનાશ્રી)
[દુહો]
નંદજી કહે: ‘ઉદ્વવ! સુણો, માહારા મનની વાત:
મેં હઈડું ક્ષણ થિર કર્યું; પણ મરશે એની માત.          ૧

એક મહુરતમાં માહાવજી લીલા કીધી લક્ષ;
ઘટે નહીં ગોવ્યંદજી! તજવો તેહેનો પક્ષ.          ૨
[ગીત]
આવોજી એક વાર, આતા! આવોજી એક વાર;
દિન દશ રહીને ચાલજ્યોજી, પ્રાણતણા આધાર!... આતા          ૩

નાહાનો સરખો નેશડો રે, કાલા ગેહેલા લોક;
તે ગોકુલ આવો, કાહાનજી રે! તેહનો ટાલવાનો શોક... આતા          ૪
શોણું સરખું વહી ગયું રે; ખરી ન પોહાતી ખાંત;
સુખદુ:ખ કેરી વાતડી રે, નવ્ય કીધી એકાંત... આતા          ૫

ભાર ઉતારો, ભૂઘરા રે! ગરઢો જાણીને તાત;
કોહોને દુ:ખ મનનું કેહે રે, મોહન! તાહારી માત?.. આતા          ૬

જો મથુરાંમાં વસવું ગમે રે, તો તેડો અમને સાથ;
ના નવ્ય કહિએ, કાહાનજી! ઝાલી જાતાં હાથ્ય... આતા          ૭

સરવ વિના જ્યવિ સરે રે, ન સરે તુજ વિના, વીર!
કોહોની કેહી વિધ રાખીએ રે, પ્રાણ વિનાનાં શરીર?... આતા          ૮

મન જોયાને મોકલ્યા રે, ઉદ્વવ, માહારાં તંન!
પણ હીરે જે જન હેલવ્યા રે, તેહેનાં સ્ફટિકે ન માને મંન... આતા          ૯

એહ પચવીશી પ્રેમની રે, ગાશે સુણશે જેહ,
જ્યાની જ્યદુપતિ રાખશે રે, તે જન ઊપર નેહ... આતા          ૧૦