મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મામેરું કડવું ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૭

પ્રેમાનંદ

રાગ સારંગ
‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે;
વડસાસુ વેરણ થઈ, મારો હરખ હૈયાનો ટાળ્યો રે.
ડોશીએ          ૧
મીઠાંવચની ને થોડાબોલી, હીંડે હરિગુણ ગાતી રે;
પરમારથ થઈને પત્ર લખાવ્યું, મનમાં મોટી કાતી રે.’
ડોશીએ          ૨
કાગળ લેઈ કુંવરબાઈ આવ્યાં પિતાજીની પાસે રે;
‘વડસાસુએ વિપરીત લખાવ્યું, હવે પિતાજી! શું થાશે રે?
ડોશીએ          ૩
લખેશ્વરીથી નવ પડે પૂરું એવું તો એણે લખાવ્યું રે;
સાધુ પિતાને દુખ દેવાને મારે સીમંત શાને આવ્યું રે?
ડોશીએ          ૪
સહસ્ર મહોર સોનાની લખાવી, વસ્ર તણું નહિ લેખું રે;
તાતજી! હું તમારી પાસે કોડી એક ન દેખું રે.
ડોશીએ          ૫
પિતાજી! તમો ગામ પધારો, આંહી રહે ઇજ્જત જાશે રે.’
મહેતોજી કહે: ‘પુત્રી મારી! રહેજો તમો વિશ્વાસે રે.
ડોશીએ          ૬
શામળિયો નહિ અવસર ભૂલે, તું કાં આંસુ પાડે રે?
દામોદરજી નથી દોહિલો, નહીં કારજ કાઢે રે?
ડોશીએ          ૭
કુંવરી મારી! ઘેર પધારો, એમાં આપણું શું જાશે રે?
જો મોસાળું નહિ હરિ કરે, તો ઉપહાસ એહનો થાશે રે.
ડોશીએ          ૮