મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૩


પદ ૩

મુક્તાનંદ

સતી નારને પતિ સંગ પ્યાર રે, પતિસેવા ન ચૂકે લગાર રે;
નિજ ધર્મ રાખે દૃઢ તેહ રે, તેમાં ભૂલે ખંડિત થાય જેહ રે.

તેનો એક એક કરે ઉપવાસ રે, ત્યાગે પતિવ્રતા તન સુખ આશ રે;
સતી સુર ને સંતની રીત રે, સૌથી ન્યારી ને પરમ પુનિત રે.

સતી પતિ સંગ બળવાને જાય રે, પછી ભાગે તો ભ્રષ્ટ કહેવાય રે;
શૂરો રણમાં જઈ પાછો ભાગે રે, તેનાં કુળને તે લાંછન લાગે રે.

ત્યાગી થઈને વિષયમાં લોભાય રે, તે તો શ્વાનથી નીચ કહેવાય રે;
મુક્તાનંદ કહે સતી એમ જાણી રે, રાખે નિજ ધર્મ પરમ શયાણી રે.