મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ/મનીષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



મનીષા

વાણીમાં ખાસ તો વિવેચનલેખોમાં આધુનિકતાનો આછો અણસાર વરતાતો હતો : મનીષામાં એનો વિશેષ વિકસિત આવિષ્કાર થવા માંડ્યો હતો: ને ક્ષિતિજમાં એનું પ્રબળ પ્રભાવશાળી સ્વરૂપ પ્રગટ્યું હતું. મનીષામાં ૧૯૫૫-૫૬થી સુરેશભાઈની નવલિકા, નવલિકાના અનુવાદ, માનસવિહાર (જનાન્તિકેનું પૂર્વરૂપ), ગ્રન્થપરિચય (વિવેચનની આસ્વાદભરી બાની, પશ્ચિમની કૃતિઓનો આહ્લાદજનક પરિચય), સંજ્ઞા વિચાર વગેરેમાં આધુનિક મિજાજનો વિકસિત આવિષ્કાર પ્રતીત થાય છે. વળી, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર વગેરે દ્વારા સાહિત્ય તેમજ અન્ય વિદ્યાશાખાઓના સંબંધની ભૂમિકા સચવાય છે. એક જ હકીકત અધૂર૫ની લાગણી જન્માવે છે. કવિતામાં આધુનિકતા હજી પ્રગટવી બાકી છે એ તો સુરેશભાઈ ૧૯૫૮ પછી વિશ્વમાનવમાં કવિતાના આસ્વાદ કરાવે, કેટલાક યુરોપના કવિઓના કાવ્યોના અનુવાદ કરે, ગુલામમોહમ્મદ શેખનાં ગદ્યકાવ્યો ક્ષિતિજમાં પ્રગટ થાય ત્યાં સુધી રાહ જોવી પડી છે. ઉમાશંકરે મનીષાને લાજવાબ કહ્યું. મનીષાના પ્રકાશનને આવકાર્યું પરંતુ ત્રૈમાસિકના બીજા અંકમાં આલ્બેર કામૂ વિશે જે લેખ સુરેશભાઈએ લખ્યો એને ક્લિષ્ટ કહી બેજવાબદાર વિધાન કર્યું. એ વિધાન આમ છે. ‘આપણા બૌદ્ધિકોએ એક વાત બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે. તે એ કે પરદેશના લેખકની ચોપડીની નકલ જે એમના હાથમાં છે તે એકલી જ હિંદમાં આયાત થઈ છે એવું નયે હોય. જે લેખક મનમાં વસી જાય – અથવા તો ખૂંચે - તેવું બને તેટલું બધું સાહિત્ય વાંચીને પછીથી જો એને વિશે લખવામાં આવે તો તે ઓછામાં ઓછું અસ્પષ્ટ હશે અને એમાંથી બિનજાણકાર તેમ જ જાણકાર તમામને કાંઈક સૂચન મળશે' એમાં વદતો વ્યાધાત નથી લાગતો ?

જયંત પારેખ - એક અંગત પત્રમાંથી


મનીષા


કેવળ બહુજન સમાજની અર્ધનિદ્રિત શ્રદ્ધાઓને પંપાળવાને બદલે જાગ્રત, તેજસ્વી કલાભાવનાને પુરસ્કાર કરવાનું વલણ સુરેશ જોષી સંપાદિત સામયિકોમાં પ્રાપ્ત થાય છે. સામયિકો એ સુરેશ જોષીનો પ્રાણ રહ્યાં છે. સામયિકો વિનાના સુરેશ જોષીની કલ્પના કરી શકાય નહીં. એ સામયિકોનાં શીર્ષકો પણ કેવાં વિચારોત્તેજક અને રોમાંચ જગાવનારાં ! ‘વાણી’, ‘ક્ષિતિજ', ‘ઊહાપોહ’, ‘એતદ્' જેવાં સામયિકોનું સ્મરણ કરતામાં જ ગુજરાતી અભ્યાસીઓનું મોં ભર્યુંભર્યું થઈ ઊઠે છે ! પરંતુ સુરેશ જોષીના સામયિકનો આરંભ કે અંત એવો ઊહાપોહ ભર્યો, ઉત્તેજિત કરી મૂકે એવો ક્યારેય રહ્યો નથી. સામયિકમાં પોતે જે સમજે છે એ વિચારવલણોને સ્પષ્ટતાપૂર્વક ચીંધવા, કેટલાક પાસાંઓ વિશે ચીવટપૂર્વક લખવું એ જ એમનું ધ્યેય રહ્યું. સામયિકને નિર્મમપણે બંધ કરવું અને થોડા જ વખતમાં ફરી નવું સામયિક લઈને હાજર થવું એ સુરેશ જોષીનો વિશેષ રહ્યો છે. ઉમાશંકર જોષીએ કોઈ સભામાં એ મતલબનું કહેલું કે : ‘સુરેશ હશે ત્યાં લગી ગુજરાતમાં ‘ક્ષિતિજ’ જેવું કોઈને કોઈ સાહિત્યિક સામયિક હશે જ.’ ‘મનીષા’નો આરંભ જૂન-૧૯૫૪માં થયેલો પણ એ અગાઉ ‘ફાલ્ગુની’ અને ‘વાણી’ નામના બે સામયિકોમાં એના સંચાલન, સંપાદન સાથે જોડાવાનું સુરેશ જોષીને બન્યું હતું. ‘વાણી’ના પ્રથમ અંકમાં જ સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોર્જ સાન્તાયના, બ્રેડલીના કળા વિશેના વિચારો પ્રકટ થયા છે. ‘કેટલીક સંજ્ઞાઓ' ને નામે આરંભાયેલી લેખમાળા તો આજે પણ અનિવાર્ય જણાય એ પ્રકારની છે. સંપાદકોએ(સુરેશ જોષી, મોહનભાઈ પટેલ અને ભવાનીશંકર વ્યાસ. વૈશાખ-જેઠ વિ.સં. ૨૦૦૪થી ભવાનીશંકર વ્યાસ સંપાદક તરીકે જોડાયા હતા.) નોંધ્યું છે : ‘આપણાં વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ આવશ્યક છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનો શો સંકેત છે એનું અસંદિગ્ધ સ્પષ્ટીકરણ વિવેચનક્ષેત્રમાં પ્રવર્તતી અરાજક્તા ટાળવા જરૂરી છે.’ (અંક : ૧, ‘વાણી’) આ અવતરણથી સમજાશે કે વિવેચનના પાયાના પ્રશ્નો પરત્વેની સંપાદકોની કેવી જાગરુક દૃષ્ટિ હતી ! સાહિત્યસ્વરૂપોની ચર્ચાઓ, ડોલરરાય માંકડના ભાષાવિષયક અભ્યાસલેખો તેમજ કેટલીક સંજ્ઞાઓના સ્પષ્ટીકરણ વડે ‘વાણી’ને યાદ કરી શકાય. જો કે એ સમયે વિ.ક. વૈદ્યના પ્રતિષ્ઠિત સામયિક ‘માનસી’એ સંજ્ઞાઓની ચર્ચા માત્ર અછડતી કે ઉપરછલી છે એમ કહી દીધું ત્યારે સંપાદકોએ આક્રોશ ઠાલવ્યો છે. (અંક : ૧૨, ‘વાણી’) અને ગુજરાતના કોઈ વિવેચકોએ એવી ચર્ચા કરવાનો ઉમળકો બતાવ્યો નથી એનું આશ્ચર્ય પણ અનુભવ્યું છે. ‘મનીષા’ પ્રકાશિત થયું ત્યારે વિ.ક. વૈદ્ય ‘કૌમુદી’ના પ્રભાવને સરજવા ‘માનસી’માં નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં હતા. ‘સંસ્કૃતિ’, ‘મિલાપ’, ‘ફાર્બસ ત્રૈમાસિક’, ‘ગુજરાતી નાટ્ય’ અને ‘બુદ્ધિપ્રકાશ' જેવા સામયિકોમાંના કેટલાંક રાજકારણના વમળમાં ઘેરાઈ જતાં સુરેશ જોષીના મતે એ તંત્રીઓ ‘ગેરહાજર તંત્રી' બની રહ્યાં હતા. તંત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોવાથી સામયિકોનું જે ધોરણ જોઈએ એનો સુરેશ જોષીએ અભાવ અનુભવેલો. ગુજરાત જેને માટે વીસપચીસ મિનિટથી વધુ સમય ફાળવી શકે એવા પ્રિય સામયિકોની સુરેશ જોષીને તીવ્ર ખેંચ વરતાતી હતી. (જુઓ : ‘આત્મનેપદી’ : સં. સુમન શાહ, પૃ. ૫૧-૨ પ્ર.આ. ૧૯૮૭) આ સામયિકો વચ્ચે ‘મનીષા’ના પ્રકાશનને તંત્રીઓએ સાહસ નહીં પણ દુઃસાહસ ઘટાવ્યું હતું. અર્થશાસ્ત્રની પરિભાષામાં એને માંગ વગરના ઉત્પાદન તરીકે લેખવામાં આવેલું. ‘મનીષા’ના કાર્યક્ષેત્રનો નિર્દેશ કરતા તંત્રીઓએ મૂળભૂત પ્રશ્નોની મીમાંસા પ્રત્યેની ઉદાસીનતા, આત્મસંશોધન અને નિર્મમ સત્વપરીક્ષણના અભાવની વાત તરફ ધ્યાન દોર્યું છે. અસ્પષ્ટ સંકેતોવાળી ને વિના પ્રયોજને અસ્તિત્વમાં આવતી પરિભાષા નાહકની ગૂંચ ઊભી કરનારી છે એમ નોંધીને વિવેચનની પાછળ સ્પષ્ટ સિદ્ધાંતસૂઝને અનિવાર્ય લેખી છે. આમ, ‘મનીષા’એ પરંપરાગ્રસ્ત થઈ રહેવાનો નકાર પ્રથમ અંકમાં જ આગળ ધર્યો. અખો, પ્રેમાનંદ, શામળ, દયારામને તેમજ ગોવર્ધનરામ, ન્હાનાલાલ, મુનશી, બ.ક.ઠા. તથા રમણલાલ દેસાઈની નવેસરથી તટસ્થ સમાલોચના થતી રહે એને ઇષ્ટ માન્યું. વિદ્યાપીઠોમાં સાહિત્યનું શિક્ષણ જે રીતે અપાઈ રહ્યું છે એમાં ધરમૂળના ફેરફારની આવશ્યકતા તંત્રીઓએ જોઈ છે. પાઠ્યપુસ્તક પરાયણ બની રહેતો વિદ્યાર્થી પરિશીલન કે વિવેચનમાં મૌલિક દૃષ્ટિને વિકસાવી શકતો નથી એટલે સાહિત્યનો વ્યાસંગ કેળવ્યા વિના જ વિદ્યાપીઠના બહાર નીકળ્યે જતાં આ ટોળાંઓ સામે પ્રથમ અંકમાં ઘેરી ચિંતા વ્યક્ત થઈ છે. સુરેશ જોષીનું વિદ્યા વિષયક ચિંતન-મનન ‘વિદ્યા-વિનાશને માર્ગે' સુધી લંબાતું આપણે જોઈએ છીએ પરંતુ એ ચિંતનના મૂળ અહીં શોધી શકાય. આદર્શ સાહિત્યશિક્ષણ કયા પ્રકારનું હોઈ શકે એ સંદર્ભમાં તંત્રીઓએ અહીં તુલના અભ્યાસ, પૂરક વ્યાખ્યાનમાળાઓ, રસમીમાંસા અને અલંકારશાસ્ત્રના દોહનો, પશ્ચિમની સાહિત્યમીમાંસાના પ્રમાણભૂત દોહનગ્રંથો તૈયાર કરી વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની વાતને તારસ્વરે દર્શાવી છે. ‘મનીષા’ના પ્રકાશનમાં પોતાને નિમિત્તરૂપ લેખતા તંત્રીઓએ માન્યું છે કે કોઈકને તો શરૂઆત કરવાની રહે જ છે પરંતુ ‘મનીષા’ અમુક વ્યક્તિઓનું કે અમુક જૂથનું બની રહે એ સ્થિતિને તેઓએ ઈષ્ટ લેખી નથી. તમામ સંનિષ્ઠ અભ્યાસીઓ ‘મનીષા’ને પોતાનું ગણી પોતાના સ્વાધ્યાયનો લાભ આપે એવો આગ્રહ જ સંકીર્ણતા કે વાડાબંધી સામે તોપ દાગીને મોકળાશ ભર્યું વાતાવરણ સરજવાની ખેવના પ્રગટ કરી રહે છે. ‘મનીષા’નું કાર્યક્ષેત્ર તંત્રીઓએ સાહિત્ય, કલા અને વિવેચન પૂરતું મર્યાદિત રાખ્યું નથી. અન્ય માનવવિદ્યાશાખાઓના મૂળભૂત તત્ત્વને સમજવાનો અને માનવવિદ્યાઓના આજ સુધીના વિકાસને રજૂ કરવાનો પ્રયત્ન તંત્રી રસિક શાહના અન્ય વિષયો પ્રત્યેની રસરુચિને કારણે અહીં કરવાનો જણાય છે. એના પરિણામ રૂપ જ એ સમયગાળાના સામયિકોમાં ‘મનીષા' નોખું છે. ‘મનીષા’નો પ્રથમ અંક સોળ પૃષ્ઠોનો હતો. ડબલ ક્રાઉન સાઇઝમાં પ્રકટ થતાં ‘મનીષા’ના ટાઇટલમાં કશી ઝાકઝમાળ ન હતી. તમામ લખાણો બે કોલમમાં પ્રકટ થયા છે અને ઝીણા ટાઇપમાં. એક એક જગાનો કરકસર ભર્યો ઉપયોગ થયેલો જોઈ શકાય છે. આરંભે ‘મનીષા’નું વાર્ષિક લવાજમ દેશમાં રૂા. ત્રણ, પરદેશમાં છ શિલિંગ હતું અને છૂટક નકલ ચાર આનામાં મળતી. ભાષાશાસ્ત્ર જેવા વિશેષાંકની બે રૂપિયા જેવી વિશેષ કિંમત રહેતી. ત્રણ રૂપિયા જેવા વાર્ષિક લવાજમમાં સાતસો જેટલા ગ્રાહકો ‘મનીષા'ને પગભર કરી શકે એવી ટહેલનો ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. ૧૯૫૬માં ‘મનીષા’ની ખાધ હજારેક રૂપિયા સુધી પહોંચતા એની આયુદોરી તૂટી જવા આવેલી પણ શુભેચ્છકોના આગ્રહથી એને લંબાવવામાં આવી. એ પછી વાર્ષિક લવાજમ પણ ત્રણ રૂપિયામાંથી પાંચ રૂપિયા સુધી લઈ જવાની વ્યવહારુ નીતિ અપનાવવાની ફરજ પડી હતી. ‘મનીષા'ના પ્રથમ અંકનું સ્વરૂપ કેવુંક બંધાયું હતું? અહીં સુન્દરમ્ અને પ્રજારામ રાવળનાં કાવ્યો, ઇવાન બુનિન અને સહાદત હસન મન્ટોની ટૂંકી વાર્તાઓ છે પરંતુ આ અંકનો જો કોઈ વિશેષ હોય તો અભ્યાસલેખો છે. ‘કાવ્યમાં અર્થબોધ’ નામનો સુરેશ જોષીનો લેખ કાવ્યસર્જનપ્રક્રિયા અને કાવ્યમાં રહેલા અર્થની સંદિગ્ધતાનો વિચાર કરે છે. કાવ્યની કસોટી શેના આધારે થવી જોઈએ ? કાવ્યનો આનંદ માણવાની પૂર્વ શરતો વિશે લેખકે અહીં માર્મિક ચર્ચાઓ મૂકી છે. ‘કાવ્યનું તત્ત્વ અને ધ્વનિ’ (રામપ્રસાદ બક્ષી), વિજ્ઞાનનો આત્મા (રસિક શાહ) જેવા લેખો તેમજ કામવિજ્ઞાનના સંદર્ભ તરીકે ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરી શકે એવા બે ગ્રંથોની વિશિષ્ટતા દર્શાવતી સમીક્ષા આ અંકનું ધ્યાનાર્હ પાસું છે. જુદાજુદા દૃષ્ટિબિંદુનો પરિચય કરાવવા એક સાથે એક પુસ્તકના બે વિવેચનો એકીસાથે પ્રગટ કરીને વિવેચનવ્યાપારની પ્રક્રિયા સમજવી એ પણ ‘મનીષા’નો અભિલાષ રહ્યો છે. એ ધ્યેયનું મૂર્તિમંત રૂપ ચુનીલાલ મડિયાના વાર્તાસંગ્રહ ‘રૂપ-અરૂપ’ની પ્રથમ અંકમાં જ મળેલી બે સમીક્ષાઓ છે. જેમાંની એક સમીક્ષા ચન્દ્રકાન્ત મહેતાએ અને બીજી કરસનદાસ માણેકના હાથે થઈ છે. ચન્દ્રકાન્ત મહેતાએ ‘રૂપ-અરૂપ’ શીર્ષકથી માંડીને વાર્તાના અસંભવિત બનાવો, વાર્તાના સંવાદોની ઝાટકણી કાઢી છે પણ લેખકની વાત જમાવવાની શક્તિ, શબ્દચિત્રો અને કથનશૈલીનો પુરસ્કાર કર્યો છે જ્યારે કરસનદાસ માણેક મડિયાની વાર્તાઓમાં ભરપૂર એવા અકસ્માતોથી અકળાયા છે. વસ્તુસામગ્રીના ઘટાટોપની તેમ વાતુલશૈલીની એ આકરી ટીકા કરે છે પણ મડિયાની ફોટોગ્રાફીને વખાણે છે. મડિયામાં ઘણું છે પણ ઘણું નથી એમ કહેતા વિવેચક મડિયાના સંગ્રહને ચન્દ્રકાન્ત મહેતાની જેમ નિરાશાજનક કહેવાને બદલે સુષુપ્તિના સંગ્રહ તરીકે ઘટાવે છે. આ સમીક્ષાઓ વડે ‘મનીષા'એ જે વાતાવરણ રચવાનો આદર્શ રાખેલો એની ઝાંખી મળે છે. પરંતુ આવા પ્રયત્નો એ પછીના અંકમાં ઝાઝા થયા નથી. આવા ગંભીર પુરુષાર્થનો પડઘો પાડવા જેટલું આપણું સાહિત્યવર્તુળ સજ્જ ન હતું એમ લાગે છે. પ્રથમ અંકની આ સામગ્રી જોતાં આ જ અંકમાં તંત્રીઓએ ‘મનીષા’ને જ્ઞાનસત્ર રૂપે લેખવાની જે વાત કહી છે એ યથાર્થ જણાય છે. ‘મનીષા’ના પ્રકાશનને આવકારતા ઉમાશંકરે ‘મનીષા’ને લાજવાબ કહ્યું હતું. ‘જન્મભૂમિ’ના ‘ક્લમ અને કિતાબ’ વિભાગના અવલોકનકારે, ‘નાગરિક’ અને ‘જીવનપ્રકાશ’ના અવલોકનકારે પણ આ જ લાગણીનો પડઘો પાડ્યો હતો. ‘મનીષા’માં એ સમયગાળાની કાવ્યપ્રવૃત્તિનું ચિત્ર બહુ આછું અંકે થયું છે. જેમાં ઉશનસ્, જયંત પાઠક, કરસનદાસ માણેક, વેણીભાઈ પુરોહિત, હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય', પ્રજારામ, દેવજી મોઢા જેવા નામો નજરે ચઢે છે. શ્રી અરવિંદના કાવ્યોનો સુંદરમે કરેલા અનુવાદો, હિંદી કવિતાઓ તેમજ સુરેશ જોષીએ કરેલા રવીન્દ્રનાથના કાવ્યાનુવાદો કાવ્યવિભાગને કંઈક સંતર્પક બનાવે છે. સુરેશ જોષીના નામે તેમ હવે તો ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહમાં સ્થાન પામેલા કેટલાંક સાહસિક કાવ્યો જેકિસન કિનારીવાલાને નામે લખાયેલા. જે ‘મનીષા’માં પ્રકાશિત થયા છે. મોટાભાગે તો મુખપૃષ્ઠ પર કાવ્યરચનાઓ પ્રકટ કરવાનું ને વધુ તો છાંદસ રચનાઓનું, ગીતોનું પ્રભુત્વ અહીં દેખાશે. બાલમુકુંદ દવેની ‘તીર્થોત્તમ’ જેવી પ્રસિદ્ધ રચના ‘મનીષા‘ ના મુખપૃષ્ઠ પર પ્રકાશિત થયેલી છે. વાર્તાના અનુવાદો અહીં મોટા પ્રમાણમાં દેખા દે છે. કૃતિ અમુક ધોરણની ન હોય તો ન છાપવી અને એને બદલે પરદેશની કૃતિ દ્વારા સાહિત્યસંપર્ક કરવો એવો મત તો પ્રથમ અંકમાં જ તંત્રીઓએ પ્રકટ કરેલો છે. પ્રથમ અંકમાં ઇવાન બુનિન અને મન્ટોની વાર્તાના પ્રકાશન પછી બીજા અંકમાં દઝાઇ ઓસામુની વાર્તા છે. સમરસેટ મોમ, ગ્રેહામ ગ્રીન, હેયવુડ બ્રાઉન જેવા અનેક સર્જકોની વાર્તાઓ અહીં રજૂ થઈ છે પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત તો એ છે કે આ તમામ વાર્તાઓના અનુવાદનો પુરુષાર્થ તો સુરેશ જોષીએ કર્યો છે. હંસરાજ શાહ જેવા અન્ય અનુવાદકોના નામ અહીં નજરે ચઢે છે ખરાં પણ પ્રત્યેક અંકમાં સુરેશ જોષી દ્વારા થતી આ અનુવાદની પ્રક્રિયા આપણું સમગ્ર ધ્યાન એ તરફ વાળી લે છે. વિશ્વસાહિત્યના આંગણામાં ભાવકને લાવી મૂકવો અને વાર્તા તત્ત્વ-સત્ત્વની રુચિ ઊભી કરવાનો આ પરિશ્રમ ખરે જ નોંધપાત્ર છે. ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ સુધી સતત ચાલતી રહેલી આ અનુવાદપ્રવૃત્તિથી સુરેશ જોષીને ‘અનુવાદિયા’ની ટીકા પણ સાંભળવાની આવી છે ને તે છતાં ગુજરાતી સાહિત્યમાં અનુવાદની એક કાર્યશાળા સમા બની રહેનારા સુરેશ જોષીના આ પ્રયત્નને આપણે અવગણી શકતા નથી એ હકીકત છે. ‘સેતુ' જેવા કેવળ અનુવાદના સ્વતંત્ર સામયિકના આરંભ પાછળ (સં. ગણેશ દેવી) સુરેશ જોષીની અનુવાદ પ્રવૃત્તિનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય. બીજા વર્ષથી ‘મનીષા’ના પૃષ્ઠો પર સુરેશ જોષીનું મૌલિક નવલિકાલેખન આરંભાય છે. ‘નળ-દમયંતી' (અંક ૧૩-૧૪), ‘વારતા કહોને ! (અંકઃ ૧૯), ‘વાતાયન’ (અંક : ૨૭), રમણીક દલાલને નામે લખાયેલી ‘ગૃહપ્રવેશ’ (અંક : ૨૦) જેવી વાર્તાઓ અહીં પ્રકટ થઈ છે. ‘ગૃહપ્રવેશ'ની રામપ્રસાદ બક્ષીની લાંબી સમીક્ષા પણ ‘મનીષા’માં પણ પ્રકટ થયેલી જણાશે. જેમાં સર્જકની રચના-સંપત્તિ વિષયક નોંધો છે. ‘મનીષા'માં જ ‘રાજહંસ'ને નામે ચાલેલો ‘માનસવિહાર’ સુરેશ જોષીને ‘જનાન્તિકે' જેવા નિબંધો રચવા તરફ લઈ જવામાં મદદરૂપ થયો છે. સર્જક તરીકે જુદાજુદા સ્વરૂપો પરત્વે સુરેશ જોષીનો અભિગમ કયા પ્રકારનો પ્રવર્તતો હતો એનો આલેખ ‘મનીષા’માં સુપેરે મળી રહે એમ છે. અગાઉ નોંધ્યા મુજબ સર્જનાત્મક લેખનની તુલનાએ અભ્યાસ લેખોની સમૃદ્ધિ ‘મનીષા’નું મહત્ત્વનું ઘટક બની રહે છે. કેવળ સાહિત્યિક લેખોને બદલે વિકસતાં જતાં અન્ય ક્ષેત્રો વિશે વિચારતા થઈને દૃષ્ટિને વ્યાપકતા આપવી એ ‘મનીષા‘નું ધ્યેય રહ્યું હતું. પરિણામે પહેલા જ અંકમાં રસિક શાહે ‘વિજ્ઞાનનો આત્મા’ નામક લેખમાં વિજ્ઞાનના હાર્દને સમજી એની અનેક શાખા પ્રશાખાના મૂળભૂત તત્ત્વોને વિચારવાનું આહ્વાન આપ્યું છે. ફિલસૂફીના પ્રશ્નોને અજ્ઞાનમૂલક પૂર્વગ્રહોથી મુક્ત કરી કઈ નવી રીતે ચર્ચી શકાય તેની ભૂમિકા આ લેખમાં જોઈ શકાય. ડૉ. આઇ.પી. દેસાઈ અને વાય.બી. દામલેના સમાજશાસ્ત્રીય લેખોના અનુવાદો, ‘ભાષા અને રાષ્ટ્ર’ (બુદ્ધદેવ બસુ), ‘લેખન વ્યવસાયના વીસ વર્ષ’ (વિલિયમ સારોયાન) વડનગર : પૌરાણિક અને પુરાતત્વની દૃષ્ટિએ (રમણલાલ મહેતા) જેવા લેખોના વિષયો વિવિધ દિશાના રહ્યાં છે. હરિવલ્લભ ભાયાણીએ ‘ભણેલાની ભૂલ' નામના લેખમાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના ઉત્તરપત્રોમાંથી વીણેલી ભાષા વિષયક ભૂલોના સ્વરૂપને લગતી જે નોંધ આપી છે એ રસપ્રદ છે. આવી ભૂલો દૂર કઈ રીતે થઈ શકે એનું નિદાન લેખકે અહીં કર્યું છે. ભાષાપરિવર્તનોની દૃષ્ટિએ પણ આ મહત્ત્વનો લેખ છે. સાહિત્યકૃતિઓની સમીક્ષાઓ ઉપરાંત સમાજજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતી કૃતિઓ પર પણ નજર ઠેરવવાનું તંત્રીઓએ જરૂરી સમજ્યું છે. ‘નીતિનાશને માર્ગે’ (ગાંધીજી), ‘આક્રમક વૃત્તિ અને એનું સ્વરૂપ' (લુડીઆ જેકસન), ‘સ્ત્રી-પુરુષ મર્યાદા’ (કિશોરલાલ મશરુવાળા) જેવા પુસ્તકોની સમીક્ષા આ દિશાની સૂચક છે. ‘મનીષા’માં ભાષાશાસ્ત્ર સંબંધી નારાયણ ગોવિંદ કાલેલકરની લેખમાળા ધ્વનિવિચારનો ઇતિહાસ' ઘણી નોંધપાત્ર છે. રામપ્રસાદ બક્ષી, ભોગીલાલ સાંડેસરા અને ડોલ૨રાય માંકડ જેવા સંશોધકોનો લાભ ‘મનીષા’ને પ્રથમથી જ પ્રાપ્ત થયો હતો. એ કારણે આ વિદ્વાનોના કળામીમાંસાને લગતા, સાહિત્ય સ્વરૂપોની વિશદ્ ચર્ચા મૂકી આપતા લેખો ‘મનીષા'ના મહત્ત્વના અંગો તરીકે ઊપસે છે. ભોગીલાલ સાંડેસરાનો ‘સંશોધનના પ્રશ્નો’ જેવો લેખ સંશોધન બરના કેટલાક વિષયોનું માર્ગદર્શન આપનાર બની રહે છે. ‘મરાઠી સાહિત્ય' (મં.વિ.રાજાધ્યક્ષ) ‘શેક્સપિયર અને અંગ્રેજી સાહિત્ય વિવેચન' (ચન્દ્રકાન્ત શુક્લ) ‘અભિનવ પ્રશિષ્ટ કવિતા' (વ્રજરાય દેસાઈ) અદ્યતન બંગાળી કવિતાના વલણો. ‘અર્વાચીન બંગાળી કવિતા' (જીવનાનંદ દાસ) જેવા લેખો સમગ્રતયા સાહિત્યના વલણોને અને પ્રવાહોને તપાસે છે. વિષ્ણુપદ ભટ્ટાચાર્યની ‘સાહિત્ય અને રસતત્ત્વ’ નામની બંગાળી લેખમાળાનો સુરેશ જોષીએ આપેલો અનુવાદ, સુરેશ જોષીના ‘કાવ્યમાં અર્થબોધ', ‘કેથાર્સિસ-વિમોચન', બટુભાઈના નાટકોની સમીક્ષા તેમજ ‘વિદ્યાર્થી’ ઉપનામે લખેલો બહુચર્ચિત લેખ ‘નવલકથાનો નાભિશ્વાસ', ‘મનીષા'માં પ્રકાશિત થયા છે. આ લેખની સામે પીતાંબર પટેલે ‘સંસ્કૃતિ'માં કરેલી ચર્ચાના અનુસંધાને પ્રતિચર્ચા કરતો હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’નો લેખ પ્રાપ્ત થયો છે. લેખક અહીં સ્પષ્ટ કહે છે કે આપણી સમીક્ષાદૃષ્ટિ સંખ્યા પર નહીં પણ સત્ત્વ પર અહોનિશ મંડાયેલી રહેવી જોઈએ. સો નવલકથાઓનું પ્રકટવું એ ચમત્કાર નથી. એક ઉત્તમ નવલકથાનું પ્રકટવું એ જ ચમત્કાર છે. પીતાંબર પટેલે નવલકથાના વિષયવૈવિધ્ય અને એમાં પ્રગટ થતાં જીવનમાંગલ્યની કરેલી ચર્ચા સામે લેખકે આક્રોશ વ્યક્ત કરીને ‘વિદ્યાર્થી’ના લેખને પુરસ્કાર્યો છે. સાહિત્યના અધ્યયનની માર્મિક તપાસ કરનારો લેખ ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ પણ ‘મનીષા’ના પાને જોવા મળે છે. આમ કવિ, વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક લેખે સુરેશ જોષીની સમગ્ર શક્તિનો હિસાબ ‘મનીષા'માં મળે છે. ‘મનીષા’માં પ્રકાશિત થયેલા સર્જકચરિત્રો, ઉત્તમ પુસ્તકોનાં આસ્વાદલક્ષી સ્વાધ્યાયો, સમકાલીન પુસ્તકોની સમીક્ષાઓ અને પાશ્ચાત્ય તેમ ભારતીય સર્જકોના ટૂંકા ગદ્યલખાણો ‘મનીષા’ના વૈવિધ્યમાં રંગ પૂરે છે. ‘મનીષા’નો પ્રથમ અંક જૂન-૧૯૫૪માં પ્રકાશિત થયો એ પછી ‘મનીષા’ના સળંગ અઠ્ઠયાવીસ અંકો સપ્ટેમ્બર ૧૯૫૬ સુધી પ્રકાશિત થયા છે. એ પછી ‘મનીપા’નું પ્રકાશન સંજોગોવશાત્ બંધ રહ્યું. ફેબ્રુ-૧૯૫૭માં ત્રૈમાસિક સ્વરૂપે કોઈ અંકક્રમાંક દર્શાવ્યા વિના જ તે પ્રસિદ્ધ થયું છે. ૧૯૫૭માં એ પછી કોઈપણ અંક પ્રકાશિત થયો નથી. તે સીધો જ ૧૯૫૮ના જાન્યુઆરીમાં ઉષા જોષીના સંપાદકપદે પ્રકાશિત થયો છે. એના સહાયક મંડળમાં સુરેશ જોષી, રસિક શાહ ઉપરાંત ભોગીલાલ ગાંધી ઉમેરાયા. પરામર્શકો તરીકે ડોલરરાય માંકડ અને રામપ્રસાદ બક્ષી રહ્યાં. એની સઘળી વ્યવસ્થા વડોદરા ખાતેથી થવા લાગી. સોળ પાનામાં સમાઈ જતો ‘મનીષા'નો અંક અહીં દોઢસોથી વધુ પૃષ્ઠોનું વાચન આપતો થયો પરંતુ જાન્યુઆરી પછી છેક ઑગસ્ટમાં અને ત્યારબાદનો અંક છેક ૧૯૫૯ના ઑક્ટોબરમાં પ્રકાશિત થયો. ત્રૈમાસિનો ત્રીજો અંક પ્રકટ કર્યો ત્યારે એને બંધ કરવાની ઇચ્છા નહીં હોય એથી એની નોંધ કે જાહેરાત સંપાદકે કરી નથી. એમ જ કશી પૂર્વ જાહેરાત વિના ‘મનીષા'નું પ્રકાશન સમેટી લેવામાં આવ્યું. પરંતુ આટલા ટૂંકા સમયમાં ‘મનીષા’એ બે વિશેષાંકો આપ્યા છે. ૧૯૫૫ના મે મહિનામાં સુરેશ જોષી ભાષાશાસ્ત્રના અભ્યાસાર્થે પૂનાની ડેક્કન કૉલેજમાં ગયા હતા તે દરમ્યાન દેશવિદેશના ભાષાશાસ્ત્રીઓનો સંપર્ક કરવાની એમને તક સાંપડેલી. એ વિદ્વાનોની ઉપસ્થિતિનો લાભ લઈને ભાષાશાસ્ત્રનો વિશેષાંક કરવાની યોજના સુરેશ જોષીના મનમાં રમતી થયેલી. ડૉ. પ્રબોધ પંડિતે આ વિશેષાંકનું સંપાદન કરવાની જવાબદારી સ્વીકારતા આ વિશેષાંકની અધિકૃતતા સ્પષ્ટ છે. વિદેશી વિજ્ઞાન અભ્યાસીઓના ભાષાવિષયક લખાણોના અનુવાદો તૈયાર કરવા તેમ જ આપણાં ભાષાઅભ્યાસીઓને પ્રેરવાનો પુરૂષાર્થ આ વિશેષાંકમાં પામી શકાય એમ છે. (અંક : ૧૭-૧૮, ઑક્ટો.,-નવે., ૧૯૫૫) ધ્વનિવિચારને લગતા વિવિધ પુસ્તકોની સમીક્ષા કરતા જઈ છેલ્લા પાંચ વર્ષની (૧૯૫૧થી ૫૫) આ વિષયની મહત્ત્વની કૃતિઓનો બાવીસ જેટલા પૃષ્ઠોમાં એમ.એ. મહેન્દળેએ જે પરિચય આપ્યો છે એ જ દર્શાવે છે કે આ દિશાના જ્યારે ધ્યાનાર્હ પ્રયત્નો ઝાઝાં થયા નથી ત્યારે સંપાદકોની દૃષ્ટિ જુદા જુદા વિષયો પરત્વે કેવી નિયમિતપણે થતી રહી છે. એ જ દિશામાં રામપ્રસાદ બક્ષીએ આપેલાં ત્રણ વ્યાખ્યાનો એકત્રિત કરીને ‘મનીષા’ એ ‘નાટ્યરસ’ વિશેષાંક પ્રસિદ્ધ કરેલો. (ઑક્ટો., ૧૯૫૯) ગુજરાતી ભાષામાં છૂટી છવાઈ ચાલેલી રસવિષયક ચર્ચાઓની નોંધ લઈને તંત્રીએ રસ સંબંધી એકસૂત્રી વિચારણા રજૂ કરતા અભ્યાસની ખોટ આ અંક દ્વારા પૂરી કરી છે. રસવિષયક વિચારણા કરતા ૧૪ પ્રકરણોમાં રસની પરિભાષાથી માંડીને રસનિષ્પત્તિ વિશે મીમાંસકોના વિચારવલણોની સાધક બાધક ચર્ચા દ્વારા રસમીમાંસાનો સંદર્ભ રચી આપ્યો છે. આ બંને વિશેષાંકો, ખરા અર્થમાં વિશેષાંકો બની રહ્યાં છે. પ્રથમ વર્ષના અંતે જ ‘મનીષા’ને સ્વીકારવું પડ્યું કે સર્જકોનો તેમજ સાહિત્યના અભ્યાસીઓનો જોઈએ એટલો સહકાર પ્રાપ્ત થયો નથી. Teen ager વર્ગની વિવેચનપ્રવૃત્તિને ખતરનાક અનિષ્ટ તરીકે બતાવનારા સુપ્રતિષ્ઠિતો ક્રિયાશીલ ન હોવાથી એ નવલોહિયા પર જ આધાર રાખવો પડે એવી ઇષ્ટાપત્તિની નોંધ તંત્રીઓએ લીધી છે. સર્જકો કે પ્રકાશકો તરફથી વિવેચનને માટે અપ્રાપ્ય રહેતી કૃતિઓ, કૃતિને ન્યાય આપી શકે એવા અધિકારી વિવેચકની ઊણપ ‘મનીષા’ને વરતાઈ છે. તંત્રીઓએ આથી કહેવું પડે છે કે : નિર્ભીક, તટસ્થ વિવેચન માટેની આબોહવા આપણે ત્યાં છે નહીં એની દુઃખદ પ્રતીતિ અમને થઈ છે.’ આ હતોત્સાહી નિવેદન પણ આપણી સાહિત્યિક આબોહવાનું નિર્ભીક-તટસ્થ મૂલ્યાંકન છે. સાહિત્યના શ્રેયને લક્ષમાં લઈને આબોહવા રચવાનો જે પ્રયત્ન થવો જોઈએ એ જ્યારે થતો નથી ત્યારે એને સૌથી મોટા અનિષ્ટ તરીકે લેખતા તંત્રીઓની સાહિત્યખેવનાનો અંદાજ અહીં સહેજે પામી શકાય એમ છે. નવા વર્ષના પ્રથમ અંકમાં ગતવર્ષની સિદ્ધિ મર્યાદાઓનું આકલન કરવું એ ‘મનીષા’ની રીતિ રહી છે. બીજા વર્ષના સરવૈયામાં પણ તંત્રીઓનો સૂર વિશેષ બદલાયેલો જણાતો નથી. તેઓએ નોંધ્યું છે : ‘વિવેચનમાં ખાસ કોઈને રસ નથી.' આ જ અંકમાં છેલ્લી પચ્ચીસીની કવિતાની આલોચના કરતો એક વિશેષાંક, પશ્ચિમમાં વિવેચનના ક્ષેત્રે જે નવા પ્રયત્નો થયાં હોય તેવા પ્રતિનિધિરૂપ વિવેચનના અર્પણનો આલોચનાત્મક પરિચય રજૂ કરતો એક વિશેષાંક, સાહિત્યના કોઈ એક સ્વરૂપની શક્ય એટલી દિશાથી મીમાંસા કરતો એક વિશેષાંક અને સમાજશાસ્ત્ર, ફિલસૂફી કે એવા કોઈ સાહિત્યેતર વિષયોની ચર્ચા કરતા ચારેક વિશેષાંકો આપવાની મનીષા’એ જાહેરાત કરી છે. ‘મનીષા’નું એ સ્વપ્ન પૂર્ણ તો થયું નથી એ દુઃખદ જરૂર છે પણ એ સમયગાળાના ને એ પછી આગળ આવેલા સામયિકોએ આ જાહેરાતમાંથી એવી કોઈ પ્રેરણા લીધી નથી એ એથી યે વધુ દુ:ખદ છે. બત્રીસ જેટલા અંકોની ‘મનીષા'ની મજલ બહુ લાંબી ન ગણાય. સુરેશ જોષી, રસિક શાહે કલ્પેલું સાહિત્યિક સામયિકનું સ્વરૂપ હજુ બંધાતું જતું હતું. સામયિકમાં સાહિત્યની સાથોસાથ માનવવિદ્યાઓના અપાર વિષયો તરફ દૃષ્ટિ લંબાવવાનો ઝાઝો વખત થયો ન હતો. પણ આ સામયિકે ‘વાણી’ને મુકાબલે સુરેશ જોષીને તેમ અનેક અભ્યાસીઓને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો છે. ‘વાણી’ના ‘રવીન્દ્ર વિશેષાંક’ની તુલનાએ સુરેશ જોષી અહીં જુદાં જુદાં નામે પણ સતત વ્યક્ત થયા છે. સાહિત્યિક પત્રકાર તરીકે તો ખરાં જ, પણ સર્જક સુરેશ જોષીની તાલીમશાળા ‘મનીષા' બને છે જેનું સીધું જ પરિણામ ‘ક્ષિતિજ'માં જોઈ શકાય છે. ‘ક્ષિતિજ’માં જે રીતે આધુનિક સર્જનાત્મક પરિમાણો ઉપસ્યાં છે, લલિતકલાઓ વિષયક જે વ્યાપક વિચારણા થઈ છે એવું પરિમાણ ‘મનીપા'માં ઉપસતું નથી એથી એમની છબી સર્જનાત્મક આર્વિભાવોને પ્રકટ કરનારાં સામયિકને બદલે ગંભીર પર્યેષણા કરતા વિચારશીલ સામયિક તરીકેની વિશેષ ઉપસી હતી. અન્ય વિદ્યાશાખાઓના અભ્યાસોને કારણે આમ બનવું શક્ય પણ હતું. તે છતાં ભાષાશાસ્ત્રની આટલી સઘન ચર્ચા ‘ભાષાવિમર્શ’ જેવા સામયિક પછી આટલા ટૂંકા ગાળામાં કયાંય પ્રકટી નથી એ નોંધવું જોઈએ. પરભાષાના સાહિત્યનો તેમ સાહિત્યપ્રવાહોને અવગત કરાવતા ‘મનીષા’ના લેખો ગુજરાતી વાચકને વિશ્વસાહિત્યનો નાનો અમથો પરિચય કરાવતા રહ્યાં છે. વિશ્વસાહિત્ય સુધી લંબાતી ને રસરુચિના ઘડતરની આ મથામણ ‘મનીષા’નું પ્રદાન લેખવું જોઈએ. ‘વાણી’ પછી ‘મનીષા’ સુરેશ જોષીના આવનારા પ્રમુખ સામયિક ‘ક્ષિતિજ’ની ભોંય બની રહે છે. સર્જક લેખે તેમ સાહિત્યિક પત્રકાર તરીકેનો એ બલિષ્ઠ અવાજ ‘મનીષા’માં જે રીતે-ભાતે પ્રકટ થયો છે એ પ્રદાનને વિસરી શકાય એમ નથી. અને ત્યારે આપણે પણ ઉમાશંકરની જેમ ‘લાજવાબ મનીષા' એમ બોલી ઊઠીએ છીએ.

[તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫]


મનીષા : સૂચિ (સર્જન-વિભાગ)

(લેખક પછી કરેલા કૌંસ અંક ક્રમ, માસ, વર્ષ અને પૃષ્ઠ ક્રમાંક દર્શાવે છે.)

૧. કાવ્ય

અનિર્વચનીયા – લે. પ્રમથનાથ વિશી, અનુ. સુરેશ જોષી, (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૦

અભીપ્સા લે.- વિષ્ણુ દે., અનુ. સુરેશ જોષી, (૩૧) ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૧

અંતસ્તુ મૃદંગ - પ્રજારામ રાવળ, (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪ –

અંધકાર – લે. જીવનાનંદ દાસ, અનુ. સુરેશ જોષી, (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૯

આ નિબિડ અમાસે - પ્રજારામ રાવળ (૨૨), માર્ચ, ૧૯૫૬, ૨

આજ લગી પ્રિય – સુરેશ દલાલ (૭), ડિસે.,૧૯૫૪, ૨

આત્મતિ - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૭૧-૨
 
આપની કૃપા – સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
 
આભ - પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૩-૪

આમલીનું ફૂલ -રવીન્દ્રનાથ ઠાકુર અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૭

ઉરને કહેજો - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૨

એક કાવ્યખંડ - અજિત દત્ત અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૭

એક યાદી – સુરેશ જોષી (૧૯), ડિસે.,૧૯૫૫, ૨

એક સાંજે - રવીન્દ્રનાથ ઠાકુર સુરેશ જોષી (૯), ફેબ્રુ., ૧૯૫૫, મુખપૃષ્ઠ

કવિવર ટાગોરને -પ્રજારામ રાવળ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૦

કાંચે તાતણે – કાન્તિલાલ બ્રોકર (૧૦), માર્ચ, ૧૯૫૫, મુખપૃષ્ઠ

કોલાબા પર સૂર્યોદય - મહેશ (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૧૯

ખાલી જેબે, પાગલ કુત્તે ઔર બાસી કવિતાએ - સર્વેશ્વર દયાલ સકસેના (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪

ગીત - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ (૨૪), મે, ૧૯૫૬, ૨

ગુલમોર - મહેશ (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ

ચંદ્રોદય - જયન્ત પાઠક (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ

ચુંબનો ખાંડણીમાં - કરસનદાસ માણેક (૨), જુલાઈ, ૧૯૫૪, મુખપૃષ્ઠ

જમુના અને તરંગ - પ્રજારામ રાવળ (૨૨), માર્ચ, ૧૯૫૬, ૨

જિન્દગી યૂં હી તમામ - અનન્તકુમાર પાષાણ (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧-૭૪

જીવનરાત જેવું - પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪

તિમિરવૈભવ – પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨

તીર્થોત્તમ - બાલમુકુંદ દવે (૭), ડિસે., ૧૯૫૪, ૨

થતાં દિન – હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ

થાતું મને કે - જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૨

દર્પણના ચૂરા – જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬,૨

ધર્મ - દુષ્યન્તકુમાર (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪

નિઃશૂન્ય નભ – પ્રજારામ રાવળ (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, મુખપૃષ્ઠ

પાછલી રાતે – રસિક પંડ્યા (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨

પાનખર - સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨

પ્રથમ અંક - સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨

પ્રથમ દૃશ્ય - સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
 
પ્રભાત ઊગ્યું - પ્રજારામ રાવળ (૨૫-૨૬) જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪

પ્રીતનો પાવો – પુષ્કર ચંદરવાકર (૨૨), માર્ચ, ૧૯૫૬

પ્રીતિનો પ્રથમ શબ્દ - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૫), ઑક્ટો., ૧૯૫૪, મુખપૃષ્ઠ

પ્રેમી – લે. બુદ્ધદેવ બસુ, અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૮

બહુવલ્લભનું વસિયતનામું - જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૨

બંધન-મુક્તિ – સુરેશ જોષી (૧૨), મે, ૧૯૫૫, ૨

બિનઝાંઝરવાં - વેણીભાઈ પુરોહિત (૪), સપ્ટે., ૧૯૫૪, મુખપૃષ્ઠ

બિન્દુ – સુરેશ જોષી, (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨

બીજી આવૃત્તિ – સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨

બે ગીત - નંદકુમાર પાઠક (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૨
 
મજૂરનો કવિ – વેણીભાઈ પુરોહિત (૭), ડિસે., ૧૯૫૪, ૨

મિટ્ટી કી મહિમા - શિવમંગલસિંહ સુમન (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪

મુક્તિ (સમરસેન) - અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૨

મુદ્દાનું આલિંગન - ઉશનસ્ (૧૦), માર્ચ, ૧૯૫૫, મુખપૃષ્ઠ

મૌત : એક ઔર પહેલું કેશવચંદ્ર વર્મા (૩૦), જાન્યુ.૧૯૫૮, ૬૧-૭૪

યાત્રા વિરામ – શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨

રવીન્દ્રનાથના કાવ્યનો અનુવાદ – ? (૨૮), સપ્ટે., ૧૯૫૬, મુખપૃષ્ઠ

લૌહર કી દુકાન - જગદીશ ગુપ્ત (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧-૭૪

વદાય - રવીન્દ્રનાથ ઠાકુર અનુ. સુરેશ જોષી (૩), ઑગસ્ટ, ૧૯૫૪, મુખપૃષ્ઠ

વસંતપંચમી - ઉશનસ્ (૮), જાન્યુ., ૧૯૫૫, મુખપૃષ્ઠ

વાસ્તવિકતા - દેવજી મોઢા (૭), ડિસે., ૧૯૫૪, ૨

વિચ્છેદન - રસિક પંડ્યા (૨૪), મે, ૧૯૫૬, ૨

વિશ્વચેતના – શ્રી અરવિંદ. અનુ. સુન્દરમ્, (૩), ઑગસ્ટ, ૧૯૫૪, મુખપૃષ્ઠ

વૃક્ષ - શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨

શાન્તિ – પ્રજારામ રાવળ (૬), નવે., ૧૯૫૪, મુખપૃષ્ઠ

શિલાદર્શન - પ્રજારામ રાવળ (૬), નવે., ૧૯૫૪, મુખપૃષ્ઠ

શિશિરના એક પ્રભાતે – પ્રજારામ રાવળ (૧), જૂન, ૧૯૫૪, મુખપૃષ્ઠ

શિશુ ઉછરતા – ઉશનસ્ (૨), જુલાઈ, ૧૯૫૪, મુખપૃષ્ઠ

શોધ - લે. સુધીન્દ્રનાથ દત્ત, સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૦

સત્ય તો બહુત મિલે – · અજ્ઞેય (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧

સમાધિ - શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨

સંકલ્પ – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ.સુરેશ જોષી (૧૫) ઑગસ્ટ, ૧૯૫૫, મુખપૃષ્ઠ

સંસારને – ઉશનસ્ (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨૧

સુવર્ણપ્રકૃતિ – સુન્દરમ્ (૧), જૂન, ૧૯૫૪, મુખપૃષ્ઠ

સૂરજ કુંડ – અર્ચનદાસ ગુપ્ત, અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૩

સ્મૃતિનો કેર - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય', (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૨

સ્વપ્નોનું, માયાનું, મતિભ્રમોનું. – હેમચંદ્ર બાગચી, અનુ.સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૪

હું મનુષ્ય – પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪

૨. વાર્તા

અજ્ઞાત કલાકાર – હેયવુડ બ્રાઉન, અનુ., ભૂપેન્દ્ર ઉપાધ્યાય (૭), ડિસે., ૧૯૫૪, ૩-૫

અદલાબદલી - પારલેજર વિસ્ક, અનુ., હંસરાજ શાહ (૨૪), મે, ૧૯૫૬, ૨

અંધકારના ઓળા – તાત્સુકો ઇશિકવા, અનુ., સુરેશ જોષી (૮), જાન્યુ., ૧૯૫૫, ૨-૫

ઈશ ક્રૂશ પર ચઢ્યાં ત્યારે - લિયોનિડ ઍન્ડ્રિવ, અનુ. સુરેશ જોષી (૯), ફેબ્રુઆરી, ૧૯૫૫, ૨-૫

ઈશુનું પાપ – ઇઝાક બાબેલ, અનુ. સુરેશ જોષી (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૩-૬

ઉપસંહાર - અરવિંદ તલાટી (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૩-૭

ક.ખ.ગ. – જ્યોમેટ્રીક વાર્તા – બનફૂલ., અનુ. સુરેશ જોષી (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૩-૪

કીમિયો - માધવ અચબલ (૮), જાન્યુ., ૧૯૫૫, ૫-૮
 
ગંધ - અરવિંદ ગોખલે, અનુ. સૂર્યકાંત માને (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૮-૧૫

ગૃહપ્રવેશ - રમણીક દલાલ (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૩-૬

ચમત્કાર - સહાદત હુસેન મન્ટો, અનુ. ? (૧), જૂન, ૧૯૫૪, ૩-૪
 
ચેરી - દઝાઈ ઓસામું, અનુ. સુરેશ જોષી (૨), જુલાઈ, ૧૯૫૪, ૩-૬

જમાઈરાજ - સ્વ.માનિક બેનરજી, અનુ. સુભદ્રા ગાંધી (૩૦), જાન્યુ., ૧૯૫૮,૭૫-૮૮

તાજમહાલ - બલાઈચંદ મુખોપાધ્યાય, અનુ. સુરેશ જોષી (૬), નવે.૧૯૫૪,૫-૬

દમ્પતી - ફ્રાન્ઝ કાફકા, અનુ. સુરેશ જોષી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૪-૮

દાઉદ – સાદિક હેદાયત, અનુ.સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૩-૭

નળદમયંતી – સુરેશ જોષી (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૨-૫

નૂરબાનું – અચિન્ત્યકુમાર સેનગુપ્ત, અનુ.સુરેશ જોષી (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૨૭-૩૪

ન્યાયનું આસન – સમરસેટ મોમ, અનુ. ચેતન મહેતા (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૩-૪

પ્રખ્યાતિ – વિલયમ સારોયાન, અનુ. સુરેશ જોષી (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૨-૭

માખી - લુઇજી પિરાન્દેલો, અનુ. ? (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૪૧-૮

વાતાયન - સુરેશ જોષી (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૩-૫

વારતા કહોને – સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૩-૬

શૈશવનો પ્રેમ - ગ્રેહામ ગ્રીન, અનુ. સુરેશ જોષી (૫), ઑક્ટો., ૧૯૫૪, ૨-૪

સાત પૈસા – ઝિગમોન્ડ મોરિત્સ, અનુ. સુરેશ જોષી (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૩-૭

સો રૂપિયા - ઇવાન બુનિન, અનુ. ? (૧), જૂન, ૧૯૫૪, ૩

સ્ત્રીઓ વિશે – ઓસામુ દઝાઈ, અનુ. પુરુષોત્તમ મિસ્ત્રી (સુરેશ જોષી) (૧૨), મે, ૧૯૫૫, ૩-૮

હું રડી શક્યો નહિ - માર્શલ લેવિન, અનુ. સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૮૮-૯૨


મનીષા : સૂચિ
(વિવેચન-વિભાગ)


૧. કાવ્યસંગ્રહ : સમીક્ષા

કાદમ્બરી (ભાલણ) - ભોગીલાલ સાંડેસરા (૨), જુલાઈ, ૧૯૫૪, ૧૧-૪

ધ્વનિ (રાજેન્દ્ર શાહ) - રામપ્રસાદ બક્ષી (૬), નવે., ૧૯૫૪, ૭-૮

મેઘદૂત (કાલિદાસ) – બુદ્ધદેવ બસુ (૭), ડિસે., ૧૯૫૪, ૧૫ સંક્ષેપ, સુરેશ જોષી, (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૩૮-૫૪

યાત્રા (સુન્દરમ્ ) – મુકુંદરાય પારાશર્ય (૭) ડિસે., ૧૯૫૪, ૧૩-૫

વસંતવર્ષા (ઉમાશંકર જોશી) - રામપ્રસાદ બક્ષી (પ), ઑક્ટો., ૧૯૫૪, ૪-૬


૨. કવિતા : અભ્યાસ

અદ્યતન બંગાળી કવિતાના લક્ષણો – ? (૨૪), મે, ૧૯૫૬, ૭-૧૦

અભિનવ પ્રશિષ્ટ કવિતા – વ્રજરાય મુકુંદરાય દેસાઈ (૧૦), માર્ચ, ૧૯૫૫, ૨-૭

આખ્યાન - ભોગીલાલ સાંડેસરા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, પૃ.૬૪-૯

ગુજરાતીમાં ગઝલ – જહાંગીર એ. સંજાણા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૩૨-૪૨

મહાકાવ્ય - ડોલરરાય માંકડ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૭-૯ (૪) સપ્ટે., ૧૯૫૪, ૪-૬

રવીન્દ્રનાથની કવિતા – સુરેશ જોષી (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૮-૧૩

‘વસન્તવર્ષા’ની રામપ્રસાદ બક્ષીની સમીક્ષા વિશે - જહાંગીર એ.સંજાણા (૬), નવે. ૧૯૫૪, ૯


૩. નવલકથા : સમીક્ષા

અધૂરો કોલ (ધીરુબહેન પટેલ) – સુરેશ જોષી (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૧૭-૧૯

બરફ ઓગળી રહ્યો છે (ઈલિયા ઍરેહેન) – ભોગીલાલ ગાંધી (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬ ૫-૧૪ (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૭-૧૩

વેળાવેળાની છાંયડી (ચુનીલાલ મડિયા) - ભાઈલાલ પ્ર.કોઠારી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૨૨-૮, સુરેશ જોષી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬,૨૮-૩૦

સ્પાર્ક ઑફ લાઇફ (ઍરિક મારિયા રેમાકે) - મધુકર (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૬-૧૧


૪. નવલકથા : અભ્યાસ

આજની નવલકથા વિશે – હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૪-૭
 
નવલકથાનો નાભિશ્વાસ - (વિદ્યાર્થી) સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, -૧૩-૫


૫. વાર્તાસંગ્રહ : સમીક્ષા

ગૃહપ્રવેશ (સુરેશ જોષી) - રામપ્રસાદ બક્ષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૯૨-૧૦૩
રૂપ-અરૂપ (ચુનીલાલ મડિયા) - કરસનદાસ માણેક (૧), જૂન, ૧૯૫૪, ૧૨-૫
                  -ચંદ્રકાન્ત મહેતા (૧), જૂન, ૧૯૫૪, ૧૧-૨


૬. નાટક : સમીક્ષા

કાન્તા (મણિલાલ ન.દ્વિવેદી) – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૫૯-૭૦

બટુભાઈના નાટકો (બટુભાઈ ઉમરવાડિયા) – સુરેશ જોષી (૯), ફેબ્રુ., ૧૯૫૫, ૧૫-૨૦ (૧૦), ૧૯૫૫, માર્ચ, ૧૪-૨૧

શાકુન્તલ (કાલિદાસ, અનુ.ઉમાશંકર જોશી) – ? (૨૫,૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬,૩૦-૬


૭. વિવેચન - સંશોધન : સમીક્ષા

અનાર્યના અડપલા અને બીજા લેખો(જહાંગીર એ. સંજાણા) - રામપ્રસાદ બક્ષી, ફેબ્રુ., ૧૯૫૭, ૧૯-૨૨

ઇન ધ મેશ – સિનારિયાં (ઝ્યાં પોલ સાર્ત્ર) - મધુકર (૧૬), સપ્ટે., ૧૯૫૫,૭-૧૧

ગુજરાતીના સાહિત્ય સ્વરૂપો (પદ્ય-મધ્યકાળ, મંજુલાલ મજમુદાર) – ચંદ્રકાન્ત મહેતા
(૭), ડિસે., ૧૯૫૪, ૭-૯

ધ ફ્યુચર પોએટ્રી (શ્રી અરવિંદ) - રામપ્રસાદ બક્ષી (૩), ઑગસ્ટ, ૧૯૫૪,૧૧-૨

માનસદર્શન (રમણલાલ પટેલ) - રસિક શાહ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૦૩-૧૦

શર્વરી (કિસનસિંહ ચાવડા) − ? (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૧૭-૨૧

સાહિત્ય રંગ (કુંજવિહારી મહેતા) – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૧૧-૧૪


૮. વિવેચન-સંશોધન : અભ્યાસ

અપૂર્વકૃતિ (વિરુપાક્ષ સર્વાધિકારી), અનુ., ઘટોત્કચ મહેતા (૨૮), સપ્ટે., ૧૯૫૬,૧૪-૬

અભિનવગુપ્તનો ૨સ સિદ્ધાંત ‘અભિવ્યક્તિવાદ’– રામપ્રસાદ બક્ષી (૩૨),ઑક્ટો., ૧૯૫૯, ૪૧-૯

અર્વાચીન મરાઠી સાહિત્ય - મં.વિ.રાજાધ્યક્ષ (૨), જુલાઈ, ૧૯૫૪, ૮-૯

કાવ્યનું તત્ત્વ અને ધ્વનિ રામપ્રસાદ બક્ષી (૧), જૂન, ૧૯૫૪, ૬-૮

કાવ્યમાં અર્થબોધ - સુરેશ જોષી (૧), જૂન, ૧૯૫૪, ૪-૬

કાવ્યમાં અલંકાર અને છંદ - રામપ્રસાદ બક્ષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૪૩-૫૧

કાવ્યાલંકારની વિશિષ્ટતા - રામપ્રસાદ બક્ષી (૨), જુલાઈ, ૧૯૫૪, ૯-૧૧

કેથાર્સિસ – વિમોચન – સુરેશ જોષી (૭), ડિસે., ૧૯૫૪, ૭-૯

ગુજરાતીમાં એકાંકી - ગુલાબદાસ બ્રોકર (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૫-૧૯

ધ્વનિવિચારનો ઇતિહાસ, ધ્વનિનિર્મિતિ – નારાયણ ગોવિંદ કાલેલકર

(૨), જુલાઈ, ૧૯૫૪, ૬-૮

(૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૩-૬

(૪), સપ્ટે., ૧૯૫૪, ૧૨-૫

(૫), ઑક્ટો., ૧૯૫૪, ૭-૮

(૬), નવે., ૧૯૫૪, ૩-૫

(૭), ડિસે., ૧૯૫૪, ૯-૧૧

પરિભાષાનો ઉપયોગ - તંત્રી (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૫-૬

પ્રતીકરચના – સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૭૦-૮૩

પ્રેક્ષકની માનસિક અને શારીરિક પ્રતિક્રિયા - રસાનુભવના વિઘ્નો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૧૧-૧૪

પ્રેક્ષકનો અનુભવ : એની વિલક્ષણતા : પૂર્વપરિચય – રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૫-૧૮
 
ફાગુ - ચંદ્રકાન્ત મહેતા (૪), સપ્ટે., ૧૯૫૪, ૯૭

ભરતથી જગન્નાથ - ડોલરરાય માંકડ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૫૨-૬૩

રસ અને નાટ્ય - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૯૦-૧૦૩

રસ અને નાટ્યપ્રયોગ - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૮૪-૯

રસના પ્રકારો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૬૧-૭૦

રસનિષ્પત્તિની વિશે અભિનવ ગુપ્ત પછીના બે મીમાંસકોનો મત - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૫૦-૫

રસનિષ્પત્તિની સામગ્રીના અને સ્થાયીના ધર્મો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો.,૧૯૫૯, ૨૩-૪

રસનો આશ્રય, સામાજિક - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૯-૨૨

રસમીમાંસાના કેટલાંક પ્રશ્નો – સુબોધચંદ્રસેન ગુપ્તા (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૨૨-૪૦

રસમીમાંસાની પરિભાષા - જ્યોતીન્દ્ર દવે (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૪૯-૫૯

રસશાસ્ત્રની પરિભાષાનો પૂર્વપરિચય - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૯-૧૪

રસસંપ્રદાયનો ઉદ્ગમ અને ઇતિહાસ - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૦૪-૧૧

રસાસ્વાદની પ્રક્રિયા - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૨૬-૪૦

રસાસ્વાદ માટે વપરાતા કેટલાંક વિશેષણો - રામપ્રસાદ બક્ષી, (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૫૬-૬૦

રસાસ્વાદમાં નટનું, અદાકારનું મહત્ત્વ – રામપ્રસાદ બક્ષી, (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૭૮-૮૩

રસોના ઉપપ્રકારો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૭૧-૭

શેક્સપિયર અને અંગ્રેજી સાહિત્ય વિવેચન – ચંદ્રકાન્ત શુક્લ (પ), ઑક્ટો., ૧૯૫૪, ૮-૧૦

સંશોધનનાં કેટલાંક પ્રશ્નો - ભોગીલાલ સાંડેસરા (૯), ફેબ્રુ. ૧૯૫૫, ૧૧-૫- (૧૦), માર્ચ, ૧૯૫૫, ૭-૧૩

સાહિત્ય અને રસતત્ત્વ - વિષ્ણુપદ ભટ્ટાચાર્ય (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૬-૧૦

(૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૮-૧૩

(૨૨), માર્ચ, ૧૯૫૬, ૧૧-૨૦

(૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૭-૧૫
 
સાહિત્યના પરિબળો - શાન્તારામ સબનીસ (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫,૨૭-૩૪


૯. ભાષાવિજ્ઞાન : સમીક્ષા

વાગ્વ્યાપાર (હરિવલ્લભ ભાયાણી) – નારાયણ ગોવિંદ કાલેલકર (૪), સપ્ટે. ૧૯૫૪, ૨-૩, (૫), ઑક્ટો., ૧૯૫૪, ૧૧-૪


૧૦. ભાષાવિજ્ઞાન : અભ્યાસ

૧૯૫૧ થી ૧૯૫૫ સુધીમાં ઉત્તર ભારતીય ભાષાશાસ્ત્રની પ્રગતિ –
ડૉ.એમ.એ મહેન્દળે, (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૧-૨૧(૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૪-૬

દીર્ઘવ્યંજનો - પ્રબોધ પંડિત (૬), નવે., ૧૯૫૪, પૃ.૧૧-૪

ભણેલાની ભૂલ - હરિવલ્લભ ભાયાણી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૨૦-૩૨

ભાષા અને તત્વજ્ઞાન - સુનયના હ.દિવેટિયા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૨૩-૩૨

ભાષા અને રાષ્ટ્ર – બુદ્ધદેવ બસુ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૧૮-૨૨

ભાષાનું દૃશ્ય સ્વરૂપ : લેખન - નારાયણ ગોવિંદ કાલેલકર (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૪૭

ભાષામાં અભિનવ સૃષ્ટિઓ - શ્રી ગોલોક વિહારધલ (૧૭-૧૮), ઑક્ટો.-નવે.,૧૯૫૫, ૨૮-૩૨

ભાષાવિજ્ઞાન - એરચ જહાંગીર તારાપોરવાલા (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫,૨૨-૩

ભાષાશાસ્ત્ર અને માનવવંશશાસ્ત્ર – મૂ.લે. મેયેના, નારાયણ ગોવિંદ કાલેલકર ,(૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૭-૪૦

ભાષાશાસ્ત્ર એટલે શું ? – પ્રો.ગોર્ડન ફેર બેન્ક્સ (૧૭-૧૮) ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૪૧-૬

મધ્યકાલીન ઇન્ડો - આર્યનમાં લુપ્ત થયેલા ઘર્ષકો - સુકુમાર સેન, અનુ., સુરેશચંદ્ર કાંટાવાળા, (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૩-૪

માર્કસવાદી દૃષ્ટિએ ભાષાશાસ્ત્ર - ભોગીલાલ ગાંધી (૨૪), મે, ૧૯૫૬,૧૦-૫

માનવવાણીના મૂળ – સુઝાન લેંગર, અનુ. હરિવલ્લભ ભાયાણી (૮), જાન્યુ., ૧૯૫૫,૧૩-૬

યુનાઇટેડ સ્ટેટ્સમાં ભાષાશાસ્ત્ર અને ભાષાશિક્ષણ - જોનગમ્પર્ઝ, અનુ., હર્ષદ મ.ત્રિવેદી, (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫, ૨૪-૮

સ્પર્શ સંઘર્ષી અને દંત્યની સંધિ - પ્રબોધ પંડિત (૮), જાન્યુ., ૧૯૫૫, ૯-૧૩


૧૧. કોશ : સમીક્ષા

બૃહત્ પિંગળ (રા.વિ. પાઠક) - ના.ગ.જોશી (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૧૩-૮


૧૨. ચરિત્ર : સમીક્ષા

આત્મકથા : ભાગ પહેલો (ઇન્દુલાલ યાજ્ઞિક) - ભાઈલાલ પ્ર.કોઠારી (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૧૧-૬


૧૩. ચરિત્ર : અભ્યાસ / પરિચય

આલ્બટૉ મોરેવિયા - કુન્દનિકા કાપડિયા (૧૨), મે, ૧૯૫૫, ૮-૧૪

આલ્બેર કૅમ્યૂ – સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૧૪-૧૫

ઉસ્તાદ અલાઉદ્દીનખાં સાહેબ - વીરેન્દ્ર કિશોરરાય ચૌધરી (૬), નવે., ૧૯૫૪, ૧૪-૬

કે.જી. સુબ્રહ્મણ્યન્ – ગુલામમોહમ્મદ શેખ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૫-૧૭

ખલિલ જિબ્રાન - સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૧૫-૨૦

હાઇનરિશ ત્સિમેર - અરુણોદય જાની (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૪-૬


૧૪. અન્ય : સમીક્ષા

આક્રમકવૃત્તિ અને તેનું સ્વરૂપ (લેડીઆ જેકિસન) – રસિક શાહ, (૭), ડિસે., ૧૯૫૪,૧૨

ધ કન્ડક્ટ ઓફ લાઇફ (લુઇ મમ્ફર્ડ) - ભાઈલાલ પ્ર.કોઠારી (૪), સપ્ટે., ૧૯૫૪,૯-૧૦

નીતિનાશને માર્ગે (ગાંધીજી) - રસિક શાહ (૨), જુલાઈ, ૧૯૫૪, ૧૪-૬, (૭) ડિસે., ૧૯૫૪, ૧૫

નીતિનાશને માર્ગે (ચર્ચા) - રસિક શાહ, (૬), નવે., ૧૯૫૪, ૯-૧૦
યશવન્ત શુક્લ, સુરેશ જોષી, (૫), ઑક્ટો., ૧૯૫૪, ૧૫-૬

સ્ત્રી-પુરુષ મર્યાદા (કિશોરલાલ મશરૂવાળા) – રસિક શાહ ((૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૭-૧૩ (૧૨), મે, ૧૯૫૫, ૧૪-૯


૧૫. અન્ય : અભ્યાસ

અઢારસો સત્તાવન ઘટનાપૂર્ણ વર્ષ – સતીષચંદ્ર મિશ્ર, અનુ. દેવકુંવર અ. શાહ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૮૫-૯૬

જ્ઞાતિપ્રથામાં ફેરફારો – આઇ.પી.દેસાઈ, વાય.બી.દામલે, અનુ. નારાયણ શેઠ, (૯), ફેબ્રુ., ૧૯૫૫, ૫-૧૧

નૈતિક જવાબદારી - રસિક શાહ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૯-૧૬

ફિલસૂફી અને વિજ્ઞાન - રસિક શાહ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૨

વડનગર – પૌરાણિક અને પુરાતત્ત્વની દૃષ્ટિએ – રમણલાલ નાગરજી મહેતા (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૫૪-૬૦

વિજ્ઞાનનો આત્મા – રસિક શાહ (૧), જૂન, ૧૯૫૪, ૮-૧૧

સંયુક્ત કુટુંબ નષ્ટ થતું જાય છે ? – આઇ.પી.દેસાઈ, અનુ. એન.આર.શેઠ (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૧૩-૨૦

સંસ્કૃતિ - રસિક શાહ (૪), સપ્ટે., ૧૯૫૪, પૃ.૧૫-૬

હિંદમાં સંયુક્ત કુટુંબ : એક પૃથક્કરણ – આઇ.પી.દેસાઈ (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૧-૧૨


૧૬. સંપાદકીય, સાહિત્ય ચર્ચા, પત્રચર્ચા, કેફિયત ઇત્યાદિ...

આર્થર મિલર અને સ્વાતંત્ર્ય - આર્થર મિલર (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૪૮-૫૩

કળા અને કળાકારની ભૂમિકા – બર્નાર્ડ સ્ટીવન્સ, (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૩૯-૪૩

‘મનીષા’ વિશે - તંત્રીઓ : ૧. (૭), ડિસે., ૧૯૫૪, ૧
૨. (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૨
૩. (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૫૩

‘માનસ વિહાર’ – સુરેશ જોષી, (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૧૮-૨૬

(૧૬), સપ્ટે., ૧૯૫૫, ૧૯

(૧૯), ડિસે., ૧૯૫૫, ૧૨-૫

(૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૬-૮

(૨૨), માર્ચ, ૧૯૫૬, ૨૧-૩

(૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૧૬-૯

(૨૪), મે, ૧૯૫૬, ૪-૬

(૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩૭-૪૨

રશિયન સાહિત્ય વિશે - ઇગ્નાઝિયો સિલોન (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૨૫-૩૯

રાજ્યાશ્રય કે લોકાશ્રય ? - ઉમાશંકર જોશી (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨૨-૩

લેખન વ્યવસાયના વીસ વર્ષ – વિલિયમ સારોયાન, અનુ., હંસરાજ શાહ
(૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૫-૮

વડોદરા લેખક મિલન - કેટલાંક વિચારો - અક્ષર દેસાઈ (૧૯), ડિસે., ૧૯૫૫, ૧૬-૮

વરસને અંતે – તંત્રીઓ (૧૨), મે, ૧૯૫૫, મુખપૃષ્ઠ

વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ – સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૫-૩૮

સાહિત્ય સ્વરૂપો વિશે – મંજુલાલ મજમુદાર (૮), જાન્યુ., ૧૯૫૫, ૧૭-૯

સોવિયેત સાહિત્ય વિશે - ઇયાન ઍનિસિમોવ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૨૫-૩૯ -


૧૭. વિશેષાંક

૧. નાટ્યરસ અંક – (૩૨), ઑક્ટો., ૧૯૫૮

૨. ભાષાશાસ્ત્ર વિશેષાંક – (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫