મનોહર ત્રિવેદીનાં કાવ્યો/એ જ સજનવા, ભૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એ જ સજનવા, ભૂલ

વૃક્ષ વગરનું આંગણું, નહીં છાંયો, નહીં ફૂલ
એને ઘર ધાર્યું અમે એ જ સજનવા, ભૂલ

કદી કોઈના ચરણની પડે ન ઉમ્બર ધૂળ
કીધી ત્યાં ગાર્યું અમે એ જ સજનવા, ભૂલ

પંખીની બોલાશનું મળે ન ટીપું સુખ
મન કાં ના વાર્યું અમે? એ જ સજનવા, ભૂલ

નીર–વછોયાં નેણલાં, હરખ-વછોયાં વેણ
ફળિયું શણગાર્યું અમે એ જ સજનવા, ભૂલ

હૈયાં હાડે દૂબળાં, હાથ હમેશાં રાંક
સપનાને ભાર્યું અમે, એ જ સજનવા, ભૂલ

ક્હેણ નજરનું મોકલી તમે રહ્યા’તા ચૂપ
મટકું ના માર્યું અમે એ જ સજનવા, ભૂલ?