મનોહર ત્રિવેદીનાં કાવ્યો/જે પીડ પરાઈ જાણે રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જે પીડ પરાઈ જાણે રે

         જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ તે : પહેલી પંગતમાં કદી ન બેસે ભાણે રે

કહે નહીં એ : આઘો ખસ : કે : જા! : અથવા તો : ઊઠ! :
કિન્તુ પોતે પગ મૂકે ત્યાં રચે નવું વૈકુંઠ
પડે ન એને ફેર : ક૨ે કો’ નિંદા, કોઈ વખાણે રે

ક્યાં જાવું? ક્યારે પહોંચાશે? બચે ન એવી ઈચ્છા
પંખી ચિન્તા કરે ન, એ તો રમતાં મૂકે પીંછાં
ઊડી ઊડી નભ શણગારે નખશિખ નમણા ગાણે રે

તે જગમાં ને જગ પોતામાં જગ દીઠું ના જૂદું
રંગ અને પાંખોથી ક્યારે અલગ હોય છે ફૂદું?
દુઃખમાં ચમચીક સ્મિત ઉમેરી સાચું જીવતર માણે રે
         જે પીડ પરાઈ જાણે રે