મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
મનોહર ત્રિવેદીનાં કાવ્યો




સંપાદન: વિપુલ પુરોહિત



શ્રેણી સંપાદન : મણિલાલ હ. પટેલ



એકત્ર ફાઉન્ડેશન (USA)
(ડિજિટલ પ્રકાશન)



પ્રકાશન માહિતી



મનોહર ત્રિવેદીનાં કાવ્યો
સંપા. વિપુલ પુરોહિત

EKATRA FOUNDATION (USA)


© સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના


ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૧


ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ
૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭


સંપાદકનો પરિચય

ડૉ. વિપુલ પુરોહિત ગુજરાતી વિષયના અધ્યયનશીલ અધ્યાપક છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરમાં ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં એસોસિએટ પ્રોફેસર પદે કાર્યરત છે. બે દાયકાની તેમની અધ્યાપન કારકિર્દીમાં ચાલીસથી વધુ સમીક્ષા-અભ્યાસલેખો ગુજરાતી ભાષાનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયા છે. ‘ગુજરાતી લલિતનિબંધઃ સ્વરૂપ અને સમૃદ્ધિ’ (૨૦૧૦) નામે તેમનો સંશોધન ગ્રંથ પ્રકટ થયો છે. તે ઉપરાંત ‘ભાવબિંબ’ (૨૦૧૮) અને ‘સચેતસ’ (૨૦૧૮) નામે વિવેચનગ્રંથ પ્રકટ થયા છે. કેન્દ્રીય હિન્દી સંસ્થાન, આગ્રાના ઉપક્રમે તૈયાર કરવામાં આવેલ ગુજરાતી-હિન્દી બોલીકોશમાં પણ ગુજરાતી ભાષાનાં તજ્‌જ્ઞ તરીકે સેવા આપી છે. તેમના માર્ગદર્શનમાં ત્રણ વિદ્યાર્થીઓ પીએચ.ડી.નો તેમજ ૧૦ વિદ્યાર્થીઓએ એમ.ફિલ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. નિબંધ, કવિતા, કથાસાહિત્ય તેમના મુખ્ય રસ અને અભ્યાસના કેન્દ્રો છે. ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી યોજાતી વિદ્યાર્થીલક્ષી સાહિત્યિક અભ્યાસશિબિરોમાં આયોજન-સંયોજનની કામગીરીમાં સક્રિય રહ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત-આયોજિત વિદ્યાર્થીકેન્દ્રી વાંચન-અભ્યાસશિબિરમાં પણ બે વર્ષથી સંયોજકની ભૂમિકાથી કાર્ય કરે છે. ‘નાટ્યવર્તુળ’, ભાવનગરના ઉપક્રમે કવિશ્રી દલપતરામ રચિત અને ડૉ. મહેન્દ્રસિંહ પરમાર દિગ્દર્શિત ‘મિથ્યાભિમાન’ નાટકમાં અભિનેતા તરીકે રઘનાથ ભટ્ટની ભૂમિકા ભાવનગર, સૂરત, અમદાવાદ, ગાંધીનગર, કલકત્તા, વડોદરા, મહુવા (અસ્મિતાપર્વ), સુરેન્દ્રનગર જેવાં ઘણાં શહેરોનાં પ્રયોગોમાં ભજવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંવાહક તરીકે પણ સફળ કામગીરી બજાવી છે. વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે ભાવનગર જ નહિ ગુજરાતભરમાં તેઓ જાણીતા છે.

મનોહર ત્રિવેદીનાં કાવ્યો

૧. કવિ મનોહર ત્રિવેદી ગુજરાતી કવિતાનું એક ઊર્જાવાન કવિનામ છે. ‘મોંસૂઝણું’ (૧૯૬૭)થી લઈને ‘ઘર છે સામે તીર’(૨૦૧૬) સુધી અને પછી પણ અદ્યાપિપર્યંત સામયિકોના પૃષ્ઠો પર તેમની કવિતાનો શબ્દ નરવો ઉજાસ લઈને પ્રકટ થતો રહ્યો છે. તળપદ અને જનપદ જીવનને જીવનાર આ સર્જકનો જન્મ અમરેલી જિલ્લાના હિરણા ગામે તારીખ ૪ એપ્રિલ, ૧૯૪૪માં થયો હતો. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું નાનું એવું ગામ સુરનિવાસ તેમનું વતન. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ ગામડાની વિવિધ સંસ્થાઓમાં જ થયું, અસલ ગ્રામજીવનનો સંસ્કાર લઈને આવતી તેમની કવિતાઓમાં આ ગ્રામીણ પરિવેશનો પ્રભાવ જોઈ શકાય છે. ઘરમાં ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘ભાગવત’ના’ પાઠ-વાંચનની પરંપરાનો સંસ્કાર, મા-માનકુંવરબા ઉપરાંત અડોશ-પડોશની સ્ત્રીઓનાં કંઠે સાંભળેલાં ભજનો, લીકગીતોનો લયસંસ્કાર, વ્રતો-ઉત્સવો દરમિયાન કાનમાં ઝીલાયેલો કથા-વાર્તાઓનો સંસ્કાર – એમ વિધવિધ સંસ્કારોથી મનોહર ત્રિવેદીની સર્જકતા ઘડાતી રહી. સાવરકુંડલા તાબાના ખડસલી ગામની નિવાસી લોકશાળામાં નવમા ધોરણમાં ભણતા કિશોર મનોહર ‘દિલેર’ ઉપનામે ‘કવિ’ તરીકે જાણીતાં થઈ ગયા હતા. પ્રસિદ્ધ કવિ મીનપિયાસી સાથે શાળામાં જ ત્રણ સપ્તાહનો સહવાસ મળતાં કવિ મનોહરને કાવ્યકલાની કૂંચીઓ હાથવગી બની. એ સમયનાં એમનાં બીજાં શિક્ષકોએ પણ સાહિત્ય અભિમુખ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લોકભારતી સણોસરામાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લીધાં પછી તો પ્રતિભાવાન અધ્યાપકોની સંનિધિમાં જીવનધર્મી સાહિત્યસંસ્કારનો વારસો કેળવાતો ગયો. વાચનમાં પણ પરિપક્વતા આવતી ગઈ. લોકશિક્ષણ અને કાવ્યશિક્ષણના પાઠ સર્જક-વ્યક્તિત્વમાં સહજ રીતે ઘૂંટતા ગયાં. લોકભારતીમાંથી સ્નાતક, માંગરોળથી તાલીમી સ્નાતક થયાં પછી સાવરકુંડલામાં મહિલા અધ્યાપન મંદિરમાં અધ્યાપક તરીકે જોડાયા. રાજકોટ પાસે વિનય મંદિર કસ્તુરબાધામ, ત્રંબામાં થોડાં વર્ષ શિક્ષક તરીકે કાર્ય કરીને આર. જે. હાઈસ્કૂલ, ઢસામાં શિક્ષક તરીકે સુદીર્ઘ સેવા આપીને ઈ.સ. ૨૦૦૦ની સાલમાં નિવૃત્ત થયાં. એ દરમિયાન ગુજરાતી વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટથી અનુસ્નાતક અભ્યાસ પણ કર્યો. આમ, મનોહર ત્રિવેદીની વિદ્યાયાત્રા અને કાવ્યયાત્રા સમાન્તરે વહેતી રહી, કવિતા, વાર્તા, નિબંધ, લઘુનવલ, બાલકવિતાઓ અને બાલકથાઓ વિવેચન તેમજ સંપાદનની પ્રવૃત્તિ નિજી નિસબતથી કરતાં રહ્યાં છે. મનોહર ત્રિવેદીની સર્જકતા ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ વડે સમયાન્તરે વિવિધ પુરસ્કારો- પારિતોષિકોથી સન્માનિત થતી રહી છે. વર્ષ ૨૦૧૫માં મનોહર ત્રિવેદીની કવિપ્રતિભા ‘આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ’થી પોંખાઈ છે તે આનંદ અને ગૌરવની ઘટના છે. કવિના જીવન અને સર્જન-પરિબળો સંદર્ભે આટલી નાની ભૂમિકા પછી હવે તે કવિતાઓની સંગત માણીએ. ૨. કવિતા વિશે... મનોહર ત્રિવેદીની કવિતામાં ‘મનોહરીય મુદ્રા’નું પ્રમાણ મળે છે. ‘મનહર’ અને ‘મનભર’ આ બંને શબ્દોના અર્થને સાર્થક કરતી મનોહર ત્રિવેદીની કવિતા ગુજરાતી કવિતાનું એક રમણીય થાનક છે. ગુજરાતી ગીતકવિતામાં રમેશ પારેખ, અનિલ જોશી અને વિનોદ જોશી જેવાં સૌરાષ્ટ્રી કવિનામની હરોળમાં બરોબર અડીને ટટ્ટાર ઊભું રહી શકે તેવું કવિતાકર્મ મનોહર ત્રિવેદીનું છે. ‘મોંસૂઝણું’ (૧૯૬૭)ની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ કવિ જયંત પાઠકે આ કવિ અને તેમની કવિતાઓની ઓળખ આપતાં ‘ભળભાંખળાની કાવ્યઆભા’ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મનોહર ત્રિવેદીની કવિતામાં રહેલાં સૌરાષ્ટ્રી તળપદ બોલી સંસ્કારને પારખી ગયેલાં કવિ જયંત પાઠક એટલે જ કદાચ ‘ભળભાંખળા’ જેવો શબ્દપ્રયોગ કરવા પ્રેરાયા હશે. પોતાની કવિતામાં ગ્રામજીવનનો નર્યો નિરાળો ધબકાર લઈને આવતાં આ કવિની કાવ્યબાની પણ એવો જ અનોખો તળપદીય મિજાજ ધરાવે છે. અહીં સંપાદનમાં જે કવિતાઓનું ચયન કર્યું છે તેમાં ભાવકને કવિની ‘મનોહર મુદ્રા’નો પરિચય મળી રહે તેવો અભિગમ રાખ્યો છે. વળી, ‘ચૂંટેલી કવિતા : મનોહર ત્રિવેદી’ નામે સ્વયં કવિએ ગુજરાત સાહિત્ય અકાદમીની કાવ્યભાવન શ્રેણી યોજના અંતર્ગત સંપાદન આપ્યું છે. જેમાં પણ મનોહર ત્રિવેદીની કવિતાનાં ચિર-પરિચિત ભાવરંગોનો આસ્વાદ કરવા મળે છે. અહીં સંપાદકીય સ્વતંત્રતાથી એ સંપાદનથી આ સંપાદનને થોડું અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ કવિની ઉત્તમ રચનાઓનો સમાવેશ થાય એવી ખેવના પણ રાખી છે. કવિતા-ક્રીડાની નિજી અનુભૂતિને નિખાલસ વાણીમાં ઉચ્ચારતાં આ કવિ લખે છે, ‘‘કવિતા મને ન પડકારે, ન ડારે બચપણમાં મિત્રો સાથે ઉખાણાંની ત્રમઝીંક બોલતી. સાચાં પડતાં તો પીઠ થાબડનારા મળતાં, ખોટા પડીએ તો મળે નકરી હાંસી. ઠિઠોરી. ફાંસી ઓછી હોય એ વાતે? બસ, એમ કવિતા ઉખાણાની જેમ આવે. તાવે. વિચાર કરતાં કરી મૂકે, એકાદ પંક્તિ અધરાતે-મધરાતે વીજ જેમ ઝબકે, ઊંઘમાંથી જગાડે, કાગળ પર ટપકાવી લેવા વિવશ કરે. લખી લઈએ. પછી કોણ જાણે કેમ, એક વેંત પણ દોરો ન આપે. પ્રિય સખીની જેમ છેતરતી રહે, મરમમાં, આંખ મિચકારી કમાડ આડે લપાઈ જાય, એવું. વચ્ચે વચ્ચે કોઈ ગીતના મુખડારૂપે કે ગઝલના મત્લા સ્વરૂપે, છંદની અર્ધપંક્તિમાં કે છેવટે, નાનકડા હાઈકુ-મુક્તકના ચિત્ર બની દેખા દે. આવી રીતે ક્યારેક સડસડાટ, એક જ બેઠકે, ઝાઝી ખેંચતાણ કર્યા વગર, કાગળ પર કલામની ટોચેથી ઊતરે પણ પેલી અધૂરી પંક્તિઓ મહિનાઓ સુધી બઠ ન માંડે.’’ (‘કવિતા અને હું’, ‘શબ્દસૃષ્ટિ’ વિશેષાંક, પૃ. ૧૨૧, વર્ષ ૨૦૧૧) આ ઉદ્‌ગારમાં કવિ મનોહર ત્રિવેદીનો કવિતા સાથેનો સંબંધ જાણી શકાય છે. કવિને મન કાવ્યસર્જનની ક્ષણો કેવી પીડા-પ્રસન્નતાની ભાવલીલાઓ લઈને આવે છે તેનો તાગ અહીં મળે છે. ‘ભળભાંખળાની કાવ્યઆભા’ બનીને પ્રગટેલી મનોહર ત્રિવેદીની કવિપ્રતિભા ‘મોંસૂઝણું’ (૧૯૬૭)ની કવિતા પછી ‘ફૂલની નૌકા લઈને’ (૧૯૮૧) ગુજરાતી કવિતા-સરિતાના પ્રવાહમાં ‘મિતવા’ (૧૯૮૭)નો સાથ લઈ સાતત્યપૂર્વક વહે છે. ‘છુઠ્ઠી મૂકી વીજ’ (૧૯૯૮)ના રમ્ય મધુર ઝંકારથી દિગંતમાં વિસ્તરતા આ કવિની કવિતાઓ ‘આપોઆપ’ (૨૦૦૯) ગુજરાતી ગઝલિસ્તાનમાં સ્થાન મેળવે છે. ‘વેળા’ (૨૦૧૨)થી સ્થાનાંકિત બનેલી તેમની કવિમુદ્રા ‘ઘર છે સામે તીર’ (૨૦૧૬) સુધીમાં તો ગુજરાતી કવિતાનું એક હૂંફાળું કવિતા-ઘર બનીને કાવ્યપ્રેમી ભાવકોની પ્રસન્નતાનું કારણ બની રહે છે. સામયિકોના પૃષ્ઠો પર આજે પણ પ્રગટતી તેમની કવિતા શુદ્ધ કવિતાનું પ્રમાણ બને છે. મનોહર ત્રિવેદીના પ્રકાશિત કાવ્યસંચયોમાંથી પસંદ કરીને અહીં ૭૬ જેટલી કવિતાઓનું ચયન કર્યું છે. આ કવિતાઓ થકી મનોહર ત્રિવેદીની કવિ તરીકેની ક્ષિતિજોનો આમૂલ પરિચય મળી રહેશે તેવી શ્રદ્ધા છે. મનોહર ત્રિવેદીની તાસીર મુખ્યત્વે ગીત કવિની છે. ગઝલ સ્વરૂપ પરની હથોટી પણ ભાવકો અનુભવી શકે તેમ છે. છંદ પરનું પ્રભુત્વ છાંદસ કવિતાઓમાં પરખાઈ આવે તો વળી, સૉનેટ જેવું શિસ્તબદ્ધ કાવ્યસ્વરૂપ પણ સર્જનાત્મક પરિમાણો સાથે ખેડીને આદર્શ પૂરા પાડે તેવું કવિકર્મ મનોહર ત્રિવેદીનું છે. અછાંદસ કવિતાઓમાં વિચારભાવોનું રસાયણ સિદ્ધ કરવા મથતા આ કવિ કેટલીક રચાનાઓમાં સંતર્પક અનુભવ કરાવી શક્યા છે તો મોનોઇમેજ અને હાઈકુ જેવાં લઘુ પરિમાણીય કવિતાઓમાં કલ્પના અને વિચારની ઇન્દ્રિયસંવેદ્ય જુગલબંધી આકર્ષક બની છે. અહીં સંપાદિત કવિતાને આધારે મનોહર ત્રિવેદીની કાવ્યકલાનો સર્વાંગી પરિચય વાચકો મેળવી શકે એવા આશયથી અહીં તેમણે ખેડેલાં મુખ્ય તમામ કાવ્યસ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે તેવી રચનાનો સમાવેશ કર્યો છે. ભાવવૈવિધ્ય સ્વરૂપવૈવિધ્ય અને અભિવ્યક્તિવૈવિધ્યની કસોટીએ મનોહર ત્રિવેદીની કવિતાઓ કેવી અને કેટલાં પ્રમાણમાં સિદ્ધ બની છે તેનો હિસાબ આ કવિતાઓમાંથી પસાર થતાં મળી રહે તેમ છે. મનોહર ત્રિવેદીની કવિતાઓનું ભાવજગત અનેકાનેક સજીવ અનુભૂતિઓનું રસાયણ છે. ખાસ કરીને પ્રકૃતિ સાથે આ કવિનો ભાવાનુબંધ સર્જકીય વિશિષ્ટતા સાથે ખીલ્યો-ખૂલ્યો છે. તેમાંય, ગ્રામીણ અસબાબથી સંયોજિત તેમની સંવેદનાઓ સુરમ્ય કાવ્યશિલ્પ બનીને ઉઘડે છે. આ કવિને પ્રકૃતિના બધા જ તત્ત્વો-રૂપો આકર્ષે છે. વર્ષા, વીજ વાદળ, પવન, વૃક્ષ-વેલ ફૂલ-પતંગિયા, પંખી, ટહૂકા, સૂર્ય-ચંદા, નદી, ટેકરી, ગોધૂલ, સંધ્યા, ઉષા – આદિ રૂપો સાથે ઘોળાતી-ઘૂંટાતી કવિચેતના કમનીય કવિતાઓનો આકાર ધારણ કરે છે. આ કવિને તડકાનું વિશેષ આકર્ષણ છે. એમની કવિતાઓમાં અવારનવાર તડકો વિવિધ દૃશ્ય-શ્રાવ્ય રૂપો લઈને આવ્યાં કરે છે. પણ તડકાનું નાજુક નારીરૂપ ‘તડકી’ કલ્પીને આ કવિએ અનોખું કાવ્યત્વ નીપજાવ્યું છે, ‘તડકી’ની આ પંક્તિઓ એ વાતની પ્રતીતિ કરાવશે : ‘અહો, પોષની તડકી ટેકરીએ અથડાતાં ફૂટી અંધકારની મટકી

ઢાળ ઉપરથી દિશાદિશામાં વહ્યા તેજના રેલા ન્હાય હૂંફાળા અજવાળામાં મારગ મેલાઘેલા

વાડ્યે - વાડ્યે વાત કહેવા હવા ઘડીભર અટકી’ (‘તડકી’) તડકાની જેમ વરસાદ પણ આ કવિને વિશેષ પ્રિય છે. ‘પાંચ વર્ષાગીત’માંથી પસાર થતાં કવિની વર્ષાનુભૂતિ જાણી શકાય. પ્રકૃતિ અને પ્રણયની ઓતપ્રોત ભાવ-લીલાને આ કવિ આમ, આલેખે છે. ‘આંગણમાં આવીને કોનો અણસાર સખી, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને તકકા જો હોત તો તો સમજ્યાં કે જાળીથી વાયરાઓ લાવે છે લૂ ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના ને પળે પળે દાઝું છું હું હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને’ (બે-પાંચ વર્ષાગીતો’માંથી) ‘મોસમનો પહેલો વરસાદ’ કવિને ઉન્માદ અને ઉજાણીનું ગાન કરવા પ્રેરે છે. ‘મોંસૂઝણું’, ‘રુઝ્‌્યું વળવાની વેળ’, ‘ગોધૂલિવેળા’, ‘તોર સાંજનો’ અને ‘બે ઝૂલણા ગીત’માં સમય અને પ્રકૃતિના રમણીય રંગ-મિજાજ કાવ્યાત્મક સિદ્ધિ બનીને પ્રગટ્યાં છે. ‘એય...ને કાળુભાર’માં નદીનું રમતીલું ગતિશીલ શ્રુતિગત રૂપ આસ્વાદનો વિષય બને છે તો ‘દરિયાની વાત કાંક દરિયો જાણે’માં દરિયાને અવલંબીને માનવહૃદયનો ઉદ્‌ગાર વ્યંજિત કર્યો છે. ‘આય મા મુને’, ‘મશ’, ’વ્રજગીત’, ‘કાંડું મરડ્યું’, ‘હું તો જાગી ગૈ માટીની મહેક’થી આદિ ગીતોમાં નારીભાવની મુલાયમતાને સહજ લોકબોલીમાં પ્રભાવક રીતે મનોહર ત્રિવેદી આલેખી શક્યા છે. ‘પપ્પા, હવે ફોન મૂંકુ?’ દીકરી અને બાપના સંબંધને સમગ્ર કુટુંબના પરિપ્રેક્ષ્યમાં ભાવમધુર ક્ષણોમાં વ્યંજિત કરતું ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર ગીત બની રહ્યું છે. મા, ભાઈ, ગુરુ કે પછી ગામમુખી જેવા ચરિત્રોને કેન્દ્રમાં રાખી કેટલી ગીતરચનાઓ મનોહર ત્રિવેદીની કવિપ્રતિભાની સૂચક બને છે. પ્રકૃતિ, પ્રેમ, અધ્યાત્મ, ભક્તિ-પ્રાર્થના, માનવસંબંધો આદિ ભાવોને આલેખતાં મનોહર ત્રિવેદીના ગીતો તેની ભાષા અને લય-હિલ્લોળને કારણે વિશેષ આસ્વાદનો વિષય બને છે. અહીં મનોહર ત્રિવેદીની ઓગણત્રીસ જેટલી ગઝલોને સમાવિષ્ટ કરી છે. આ ગઝલો મનોહર ત્રિવેદીને ગઝલકાર સિદ્ધ કરવામાં પ્રમાણભૂત છે. આરંભકાળથી જ મનોહર ત્રિવેદી ગીતની સમાન્તરે ગઝલના સ્વરૂપમાં પણ કલમ ચલાવતાં રહ્યાં છે, ‘ચ્હેરા’, ‘ઈશ્વર’ અને ‘વૃક્ષો વૃક્ષો’ – જેવી શરૂઆતી ગઝલોમાં આ ગઝલકારનો પરિચય મળવા લાગે છે. ‘વિજોગણ પરમાર્યની ગઝલ’, ‘તડકો’, ‘ન દે’, ‘મિતવા’ જેવી ગઝલરચનામાં પ્રયોગશીલતા આકર્ષણનું કારણ બનીને ઉપસી છે. આધુનિકતા અને અનુઆધુનિકતાના સમયખંડને ઝીલતી-વિસ્તારતી તેમની ગઝલો ગુજરાતી ગઝલનાં ઇતિહાસમાં મનોહર ત્રિવેદીના પ્રદાનનું ઉચિત નોંધ લેવા પ્રેરે તેવી છે. ‘મિતવા’ અને ‘આપોઆપ’ ઉપરાંત અહીં અન્ય સંગ્રહોમાંથી પણ ગઝલો પસંદ કરીને આ કવિના ગઝલકર્મને અધોરેખિત કરવાનો પ્રયાસ કર્યો છે. થોડાં શેર ઉદાહરણ રૂપે નોંધી આપણે મનોહર ત્રિવેદીની ગઝલકવિ તરીકેની મુદ્રાને પ્રમાણીએ.

‘પલ પલ હું ભીંજાતો જોતો, મૂંગું હેત વરસતા ચહેરા’ ૦ ‘નથી પારધી-તીર મૃત્યુનું કારણ- ફક્ત, - ક્રૂર આંખે ય વીંધાય ઈશ્વર’ ૦ ‘શૈશવનાં સ્મરણો શાં મીઠાં ગમે જીવનમાં વૃક્ષો વૃક્ષો’ ૦ ‘નીંદરા આવે નંઈ સૈયર મુંને સાજણ વિન્યા ક્યાં લગણ આ ઝંખવાશે નેણલાં આંજણ વિન્યા?’ ૦ ‘સાવ ખાલી આ ક્ષણે બસ પૂર્વવત્‌ બેઠા છીએ શી ખબર કયા કારણે બસ પૂર્વવત્‌ બેઠા છીએ.’ ૦ ‘મનોહર, આ ગઝલ મત્લાથી મક્તામાં થશે પૂરી દુબારા’ ના સહી, તું કાફિયાને ફેંક શ્રોતામાં’ ૦ ‘કરતાં કેમ ડરે છે ઘા? મિત્રો રોજ કરે છે ઘા’ ૦ ‘નથી રાત દેખી, ન દેખા સબેરા : ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા જિહાં પાંવ રુક્કે તિહાં હો બસેરા : ઉઠાઓ યે તંબૂ ઉઠાઓ યે ડેરા’ ૦ ‘સ્વાગત કરશે વિશ્વ નવું આ ઓળંગે જો ઉંબર કોઈ’ ૦ ભાવોર્મિની આવી રણકતી પંક્તિઓ આ ગઝલકવિની ક્ષમતાનો હિસાબ આપી રહે છે. આધુનિક ગઝલનાં તમામ પરિમાણો સિદ્ધ કરતી મનોહર ત્રિવેદીની ગઝલોનું તળ ઊંડું છે તેની પ્રતીતિ થાય છે. સફળ ગઝલ માટે આગવાં મિજાજનું આલેખન અહીં મનોહર ત્રિવેદીની ગઝલોમાં જોઈ શકાય છે. ગ્રામજીવન, નગરજીવન, એકલતા-નિરાશા, મિલન-વિરહ, ઉત્સાહ-ઉમંગ, સર્જનપ્રક્રિયા, જીવનદર્શન – એમ કંઈ કેટલાંય ભાવવલયો-વિચારબિન્દુઓ આ ગઝલકારની અભિવ્યક્તિને સબળ રીતે ઉપસાવે છે. છંદની સફાઈ ધ્યાનપાત્ર છે. લાંબી બહર અને ટૂંકી બહરમાં ભાવવિચારને સર્જનાત્મક રૂપ આપવામાં મનોહર ત્રિવેદીની કાબેલિયત પરખાય છે. રદીફ-કાફિયાનું વૈવિધ્ય સહજ રીતે આકર્ષિત કરે છે. પ્રતીક-કલ્પન, પુરાકલ્પન, અલંકાર, રૂઢિપ્રયોગ, લોકબોલી આદિ અભિવ્યક્તિપરક વિશેષો આ કવિની ગઝલોને અસાધારણ બનાવે છે. કવિ મનોહર ત્રિવેદીની કવિતાઓનો એક મહત્ત્વપૂર્ણ પડાવ તેમની છાંદસ કવિતાઓ છે. તેમાંય ખાસ કરીને સૉનેટ કવિતાની શિસ્તને વફાદાર રહીને મનોહર ત્રિવેદીએ સફળ સૉનેટકવિનું બહુમાન પ્રાપ્ત કર્યું ‘ઠસ્સો’, ‘ભીતરે’, ‘જૂના ગામ-ઘરે જતાં’, ‘બાર રાશિની કન્યાઓમાંથી’ અને ‘સફળ માર્ગ’ જેવાં સૉનેટમાંથી પસાર થતાં આ કવિની સર્જનશક્તિનું પ્રમાણ મળે છે. મંદાક્રાન્તા, ઇન્દ્રવજ્રા કે પૃથ્વી જેવા છંદ પરની હથોટી અભિનંદનીય છે. છંદવિનિયોગ, પંક્તિવિભાજન, પ્રાસરચના અને ભાવમરોડની દૃષ્ટિએ નખશિખ સૉનેટનો ઘાટ ઉતારી આપવામાં મનોહર ત્રિવેદી પ્રવીણ છે. ભાવને પ્રબળ રીતે ઘૂંટીને સહજ વાણીમાં છંદના પરિચિત લયમાં ઢાળવાની આ કવિની ખાસિયત તેમને ઊંચા ગજાના સૉનેટકવિ પ્રસ્થાપિત કરે છે. લોહીનું સગપણ ભલે ન હોય પણ શબ્દનાં સગપણે વ્હાલાં સ્નેહીજનોના સ્મૃતિમધુર ભાવચિત્રો છાંદસ કવિતામાં આસ્વાદ્ય રીતે ઊઘડ્યાં છે. હર્ષદ ચંદરાણા, રતિલાલ બોરીસાગર, ગુરુવર્ય તખ્તસિંહ પરમાર, મણિલાલ હ. પટેલ જેવી રચનાઓમાં કવિની શ્રદ્ધા અને ભાવ સમતોલ વાણી અને છંદની શિસ્તમાં કાવ્યગત સંસ્કાર સાથે ઉપસ્યાં છે. મોનોઇમેજ અને હાઈકુ જેવી લધુ પરિમાણીય કવિતામાં મનોહર ત્રિવેદીની તીવ્ર કલ્પનાશીલતા અને ભાવોદ્રેકના દર્શન થાય છે. દૃશ્યાત્મકતા આ લઘુકવિતાઓનો વિશેષ ગુણ બન્યો છે. ‘તું જ કહે, લે રાણુ...’, ‘કમાલની દીકરીઓ’ અને ‘હંમેશ મુજબ’ જેવી અછાંદસ કવિતાઓમાં કથામિશ્રિત કાવ્યસંવેદનનું આગવું વિશ્વ ઊઘડતું જણાય છે. ભાષાની તિર્યકતા અને વ્યંજના આ અછાંદસ કવિતાને સહૃદયી ભાવકોનો સમભાવ રળી આપે તેમ છે. ગીતોમાં કવિ તરીકે મનોહર ત્રિવેદીની પ્રતિભાનો પૂર્ણતઃ પરિચય મળી રહે છે. ગઝલકવિતામાં તેમની સમજ પરખાય છે તો સૉનેટમાં આકારની શિસ્ત અને છંદસિદ્ધિ આ કવિની સર્જકતાનું ધોરણ પ્રસ્થાપિત કરી આપે છે. અંદરના ધક્કાથી રચાતી અછાંદસ કવિતાઓ તેમના વિચારશીલ સર્જકવ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાસંગિક કવિતાઓ રચીને કલમને સંમાર્જિત કરવાની સાથે પોતાની નિસબત વ્યક્ત કરવાનું પણ આ કવિ ચૂક્યા નથી. તેમની કવિતાઓ વખતોવખત પોંખાતી રહી છે. ભાવ, ભાષાભિવ્યક્તિ અને દર્શનના દૃષ્ટિબિંદુથી વિચારીએ તો મનોહર ત્રિવેદીની કવિતા ગુજરાતી કવિતાનું એક શીળું-હૂંફાળું જીવનબળ બની રહે તેવી છે. સંપાદન થકી કવિ મનોહર ત્રિવેદીની પ્રતિભાનો આમૂલ પરિચય મળી રહે તેમજ કાવ્યસ્વાદનો મધુર આનંદ ભાવક-વાચક લઈ શકે તેવો ઉદ્દેશ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. અષાઢી બીજ, સોમવાર વિપુલ પુરોહિત જુલાઈ, ૨૦૨૧          ભાવનગર