મર્મર/વાત કહી ના જાય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વાત કહી ના જાય

વાત કહી ના જાય
મનની વાત સહી ના જાય.

રાતદિવસના જડ જંતરમાં
અંતર મુજ કંતાય,
ઝંખે નયનો તે તો પાંપણ
પછવાડે સંતાય.

એકલું એકલું અંતર બેઠું
હેઠળ દુઃખની છાંય,
હે અણદીઠ ઇંગિત તારાં ના
કેમ અહીં વરતાય?

ગીત ઘણાં આ કંઠ રાતદિ’
ઘૂંટી ઘૂંટીને ગાય,
જીવનગીતની ધ્રુવપંક્તિનો
પ્રાસ મળે ના ક્યાંય.