માણસાઈના દીવા/નમું નમું તસ્કરના પતિને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નમું નમું તસ્કરના પતિને


મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં. જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી નીકળ્યો હતો પા મોત એને મારગમાં એ વાડી તરફ ખેંચી ગયું. પાટણવાડિયા ત્યાં ત્રણ હતા. એક કોસ હાંકતો હતો. બીજો પાણી વાળતો હતો. ત્રીજો બેઠો હતો. મુખીને આવતા જોઈને વાઘલે કહ્યું : “આવો, મુખી!” “સાળા કોળા!" પાટીદાર મુખીએ નિતના સામાવાળા આ પાટણવાડિયાને કંઈ કારણ વિના ગાળથી સંબોધીને શરૂઆત કરી : “કેમ, અલ્યા બહુ ફાટ્યા છો?” એ પછી, કંઈ નજીવો કિસ્સો બન્યો હશે તેની યાદ આપીને, ધમકી ઉપર ધમકી ઝૂડી. વાઘલો રાંકપણું રાખીને સાંભલી રહ્યો, એટલે મુખીએ કહ્યું : “લાવ, થોડી શિંગો દે.” વાઘલે શિંગો લાવી આપી, તે ખોઈમાં બાંધીને મુખી સ્ટેશન તરફ ચાલ્યો. પણ એની પીઠ વળ્યા પછી આ ત્રણે જણા તપવા લાગ્યા. એક કહે : “કણબો લેવાદેવા વિનાની ગાળો દઈ ગયો." બીજો કહે : “તો એ શું એમ ને એમ જશે?" ત્રીજો કહે, “જવા તો ના દેવાય.” એટલે વાઘલાએ કોસ પરથી ઊતરીને બળદની રાશ નાખી દીધી અને ભાલો ઉપાડ્યો. ઉપાડીને એણે મુખીની પાછળ દોટ મુકી, અને દૂરથી હાક મારી કે, “ઊભો રે'જે — તારી માનો કણબો મારું!" મુખીએ પાછા ફરી સામું જોયું, તત્ક્ષણે જ વાઘલાનો ભાલો મુખીના શરીરમાં પરોવાઈ ગયો. મુખી ભોંય પટકાઈ પડ્યો, અને વાઘલો નાઠો. બીજા બે હતા, તે પણ પલાયન થઈ ગયા. મુખી લોહીલુહાણ, ભોંકાયેલ ભાલે પડ્યો છે તે ખબર તો વડદલાથી ધર્મજ ભણતા જતા છોકરાઓએ જ્યારે વડદલા જઈ પહોંચાડી ત્યારે સૌ આવ્યા અને મુખીના શરીરને વડદલા ભેગું કર્યું. વડદલાના, ધર્મજના — ચોપાસના પાટીદારોમાં આ બનાવે ખળભળાટ મચાવ્યો : પોતાની કોમના મુખીને માર્યો, કોંગ્રેસની લડતમાં જેણે મુખીપણું છોડ્યું હતું તેવા આપભોગ આપનારને માર્યો — અને કોંગ્રેસને પડખે ઊભા રહેનાર પાટીદારોની જપ્ત થયેલી જમીનો રાખી બેસનારા પાટણવાડિયાઓના જ જાતભાઈએ માર્યો! જૂના કાળની ચાલતી આવેલી અદાવતની આગમાં ઘી હોમાયું. મુખીના મરતા શરીરને માથે …ભાઈ આવી ઊભા રહ્યા. …ભાઈ એક પ્રચંડકાય, વિકરાળ અને પોતાની મેલી વિદ્યાથી કંઈકને ધ્રુજાવનાર પાટીદાર આગેવાન હતા. પોલીસ અમલદાર અને પંચની સમક્ષ મરણસમાનું આખરીનામું લખાવતા પડેલા મુખીને એણે જ્યારે મારનાર તરીકે બે જ જણનાં નામ બતાવતો સાંભળ્યો ત્યારે એણે આંખો તાણી દાબ દીધો : “તું તો ચાલ્યો, પણ પાછળવાળાનું શું તેનો તો વિચાર કર! ચાલ લખાવ -" એમ કહીને …ભાઈએ બે ઉપરાંત બીજા પાંચ પાટણવાડિયાઓનાં નામ એ ‘ડાઈંગ ડેકલેરેશન'માં દાખલ કરાવ્યાં. મુખીના પ્રાણ તો એ કંઈ હા-ના કરે તે પૂર્વે જ છૂટી ગયા હતા. વડોદરાની સેશન્સ અદાલતમાં સચોટ પ્રાવાના જોરથી અને અગ્ર દરજ્જાના ધારાશાસ્ત્રીની બાહોશીથી વડદલાના સાતેસાત આરોપીઓને સજા પડી : એકને ફાંસીની, એકને જન્મકેદની બાકીના પાંચમાં કોઈને પાંચ, કોઈને સાત, કોઈને દસ વર્ષની. જેને ફાંસીની ટીપ મળી તે ભાલો મારનારો વાઘલો નહોતો, એની સંગાથે મુખી તરફ જે દોડેલો તે પાટણવાડિયો પણ નહોતો, વાડીએ જે ત્રીજો હાજર હતો તે પણ નહોતો. ત્યારે એ કોણ હતો? એ નામે વાઘલો હતો : પણ આ ખૂનને ને એને કોઈ નિસબત નહોતી છતાં એ ફાંસીને લાયક જ હતો : કારણ, કોંગ્રેસની લડતમાં મુખીએ આપેલ રાજીનામા ટાણે મુખીપણું લેનારો એ વાઘલો હતો. લાગનો જ હતો : દાઢી માગતી હતી! પુરાવા સજ્જડ હતા. ધારાશાસ્ત્રી બાહોશ હતા. નિર્દોષ ખૂની ઠર્યો. રાત્રિ દિવસ બની. જન્મટીપ પામનાર વાઘલો, બેશક, સાચો ખૂની હતો. એનું એટલેથી પત્યું છો પત્યું, એણે કંઈ કોંગ્રેસની લડતને ધક્કો નહોતો પહોંચાડ્યો! બાકીના પાંચ આ કામમાં છો નિર્દોષ રહ્યા પણ તેથી શું થઈ ગયું! તેઓ પાટણવાડિયા હતા ચોરી-લૂંટોના કરનારા હતા. વડદલાના પાટીદારોએ આ સજાના સુનાવણી-દિને જાહેર ઉત્સવ કર્યો.


[૨]


…ભાઈએ જ્યારે સાંભળ્યું કે જેલમાંથી છૂટી આવેલા રવિશંકર મહારાજે વડદલામાં આવીને આ સાત કેદીઓનો મામલો હાથમાં લીધો છે, અને વરિષ્ઠ અદાલતમાં ‘અપીલ' કરાવવા તજવીજ ચલાવી છે, ત્યારે એના રોષનો પાર રહ્યો નહીં. મહારાજને પોતાના ઘેર બોલાવીને એણે દમ ભિડાવ્યો કે, “કોળાંને હજુ બહેકાવવા નીકળ્યા છો શું?” મહારાજ કહે કે “…ભાઈ! શું એ ફાંસીએ જવા બેઠેલાનાં નિરાધાર બૈરાં-છોકરાંને દાણા પણ ન પહોંચાડું? એણે શો અપરાધ કર્યો છે?” “એ કશું હું ન જાણું, રવિશંકર! વડદલામાં આવવું હોય તો સીધા આવજો ને સીધા જજો. બીજી કશી પ્રવૃત્તિ કરવી હોય તો અહીં ના અવશો ના — હું તમને કહી મૂકું છું.” …ભાઈ જ્યારે આવું કંઈ કહે ત્યારે એનો ભયંકર મર્મ ન ગ્રહી લે એવો બે-માથાળો માનવી કોઈ જનેતાએ જણ્યો નહોતો. રવિશંકર મહારાજ …ભાઈને મેડેથી નીચે ઊતર્યા. એમણે જોખમનો હિસાબ મૂકતાં એક પળ પણ ન લગાડી. એના મનમાં પ્રતીતિ થઈ ચૂકી હતી કે સાતમાંથી છ નિર્દોષ છે અને ફાંસીની ટીપવાળો વાઘલો જો લટકી પડે તો તો પૃથ્વી રસાતાળ જાય. ગાંધીજી તે વખતે ગુજરાતમાં હતા. એમની પાસે જઈને મહારાજે અથ-ઈતિ હકીકત જણાવી પૂછ્યું : “બચાવની તજવીજ કરું?” “જરૂર." મહાત્માજીએ જવાબ વાળ્યો. “પણ ઘણા પાટીદારો દુઃખ માનશે.” “એ જોખમ તો આપણે ખેડવું જ રહ્યું.” “પણ આ સાત જણા બીજા ગુના તો કરનારા જ છે.” “એ આપણે જોવાનું નથી. આ કિસ્સામાં જો તેઓ નિર્દોષ હોય તો તેમને છોડાવવા તે આપણો ધર્મ છે. તમે જાઓ, તજવીજ કરો. જરૂર પડશે તો હું છેલ્લે મહારાજા ગાયકવાડ પર દયા-યાચનાનો કાગળ લખીશ.”


[૩]


“અલ્યા ઓ બામણા!” સ્ટેશન બહાર ઊભેલા રવિશંકર મહારાજે પોતાની પાછળ આવો અવાજ આવતાં પછવાડે જોયું : થોડે દૂર એક હથિયારધારી ઘોડેસવાર કરડી મુખમુદ્રા કરીને ઊંચા ઘોડા પર બેઠો હતો. સાથે બે ચકચકિત ધારિયાવાળા અંગરક્ષકો હતા. ‘આ તે …ભાઈ! એ શું મને બોલાવે છે? આવા શબ્દે!' મહારાજને આશ્ચર્ય થયું. ત્યાં તો ઘોડેસવાર …ભાઈએ આજ્ઞા કરી : “અહીં આવ, અહીં.” પાસે જઈને મહારાજે કહ્યું : “કેમ, …ભઈ! શું કહો છો? કહો.” “કેમ, પેલાં કોળાંઓને છોડાવી લાવે છે ને?” “તજવીજ તો કરું છું જ તો.” “તાકીદ કરજે. સયાજીરાવ મહારાજની કને પહોંચજે : રખે મહારાજા વિલાયત ચાલ્યા જાય!” “એ પણ ગોઠવણ થઈ ગઈ છે, ભઈ!” ઉપરાઉપરી આવા ઠંડા જવાબોથી ઉશ્કેરાઈ ગયેલા …ભાઈથી જ્યારે અનુચિત દમદાટી ઉચ્ચારાઈ ગઈ ત્યારે મહારાજે હસીને સંભળાવ્યું : “જુઓ, …ભાઈ, તમારી અને મારી સ્થિતિ વચ્ચેનો ભેદ સમજો! તમે હથિયાર બાંધીને ફરો છોઃ મારા હાથમાં તો લાકડી પણ નથી. તમે મોતથી પલ પલ ડરતા આ રિવોલ્વર, ઘોડો ને આ રક્ષકો રાખી ફરો છો; ત્યારે હું તો રાત ને દિવસ એક પણ સાથી વગરનો ચાલું છું. તમને ભય ને ફફડાટ છે; મને લેશ પણ નથી. મારી સરખામણીમાં તમારી દશા કેટલી દયાજનક છે તે તો વિચારો! અને બીજી એક વાત તમારા ધ્યાનમાં નહોય તો ધ્યાન પર મૂકું : તમે જો ભૂલેચૂકેય મારા પર કદી હાથ ઉપાડ્યા છે ને, તો તે દા'ડે આ તમારા બે રક્ષકો શું કરશે — જાણો છો? એ કોણ છે તે તો જુઓ! પાટણવાડિયા છે. મારા પર હલ્લો થયે એ જોઈ નહીં રહે. એ તો મને રક્ષવા દોડશે, …ભઈ! વિચાર કરો. મને ન ડરાવો; તમારી નિરાધારતાને વિચારો.” લેવાઈ ગયેલ …ભાઈ આ શ્બ્દોનો જવાબ આપ્યા વગર ઘોડો હંકારી ગયા. પણ આ …ભાઈ તો એમના તમામ જાતભાઈઓમાં ભભૂકેલા પ્રકોપની એક પ્રતિનિધિમૂર્તિ હતા. બીજા એક ગામમાં જ્યારે મહારાજ પાટીદારોના ચોરા પાસે થઈને નીકળેલ, ત્યારે એક પાટીદાર ખુન્નસભેર એમના પર ધસી આવ્યો. એના હુમલાની મહારાજે શાંતિથી બરદાસ્ત કરી. બીજાઓ વચ્ચે પડી હુમલો કરનારને ઠપકો દેતા ખેંચી ગયા, ત્યારે મહારાજે કહ્યું : “એને શીદ વારો છો! એને એનો ગુસ્સો મારા પર ઠાલવી લેવા દો. એને મારું આચરણ અઘટિત લાગે છે, તો મને દંડવાનો એનો હક છે.” બીજા અનેક સારા સારા લોકોએ કહ્યું : “તમે! — તમે, મહારાજ, કેમ આમાં પડો છો? નીકળી જાવ. આ તો કોંગ્રેસશત્રુ પાટણવાડિયા છે, નત્યના ચોર-ડાકુ છે, આવું ભયંકર ખૂન કરનારા છે. એને બચાવવા શીદ ફરો છો?” મહારાજ જવાબ દેતા કે “તમારા કોઈ સ્વજન પર આવું સંકટ આવ્યું હોત અને એને આવી સજા થઈ હોત, તો તમે એને છોડાવવા જાત કે નહીં? તેમ આ પણ ગમે તેવાં તોય મારાં સ્વજનો છે. હું એમનો બચાવ કર્યા વિના રહી ન શકું.”


[૪]


વરિષ્ઠ અદાલતમાં ‘અપીલ ચાલવાનો દિવસ ધીરે ધીરે નજીક આવતો હતો. વકીલો રોકવામાં આવ્યા હતા. બચાવના મુદ્દા પકડાતા હતા. વડોદરાના વકીલ-મંડળમાં આ નિર્દોષ પર રચાયેલું કૌભાંડ જબરું મંથન જગાવી રહ્યું હતું. તે વખતે ગુજરાતમાં બેઠા બેઠા મહાત્માજી લડત વખતની ખાલસા થયેલી જમીન પાછી મેળવવા પ્રયત્ન કરતા હતા. સરકાર પાસેથી એ જમીનો રાખી લેનારાઓની નામાવલિમાં એક નામ નજરે ચડ્યું : વડદલાનો પાટણવાડિયો વાઘલો. મહાદેવભાઈએ પૂછ્યું : “આ શું એ જ વાઘલો કે જેને ફાંસીની ટીપ પડી છે?” “હા, એ જ.” “ત્યારે તો, રવિશંકર મહારાજ." મહાદેવભાઈ બોલ્યા : “તમે એની કને જેલમાં જશો? એ રાજીખુશીથી જમીન પાછી આપે છે એવું લખાવી લાવશો?” “અત્યારે!" મહારાજનો શ્વાસ ઊંડો ઊતર્યો. પાટીદારની જમીન પાટણવાડિયે રાખેલી : રાખનારને મોતના મુખમાં ધકેલ્યો છે : ધકેલનારાઓને એ જમીન પાછી આપવાનું એને કહેવા જવું! “હા, અત્યારે." કહીને મહાદેવભાઈએ મહારાજના હાથમાં એક મુસદ્દો લખીને મૂક્યો. કહ્યું : “આ કાગળ ઉપર એ માણસની સહી લાવો. નીચે જેલ-ઉપરીનો ‘મારી હાજરીમાં' એવો શેરો કરાવી લાવો.” કસણી અતિ આકરી હતી. પગ ઊપડવા ના પાદતા હતા. અગાઊ અનેક પ્રસંગે વડોદરાને માર્ગે ફાળો ભરતા હતા, તે બે પગ આ મુસાફરીમાં થથરી રહ્યા. ને વડોદરાની વડી જેલની અંધારી ફાંસીખોલીનાં બારણાં જ્યારે ઊઘડી પડ્યાં, ત્યારે મહારાજે પોતાની સમક્ષ જોયાં બે માનવ-પ્રેતો : બે વાઘલા : દાઢાં વધેલાં : આંખો મોતના ઓળા દેખતી : જાણે એ દ્વાર ફાંસીને માંચડે લઈ જવા માટે જ ઊઘડ્યાં છે! “વાઘલા!" મહારાજે પોતે અપીલ કરાવી છે, તેની વાત નહિં પણ આ વાત કાઢી : “વાઘલા! ગાંધીજીએ તને સંદેશો મોકલ્યો છે. પેલી લડતવાળી જમીન તું પાછી આલે ખરો?” “હોવે મહારાજ!" ફાંસીવાળો વાઘલો બોલ્યો : “ભલે ગાંધીજીને એ જમીન હું પાછી આલું છું. લાવો અંગૂઠો કરી આલું. મારે એ જમીનને શું કરવી છે!” જેલ-ઉપરીની સાક્ષીએ વાઘલે કબૂલાતનામું આપ્યું. ને પછી એણે કહ્યું : “પણ, મહારાજ. ગાંધીજીને કહેશો? — એ અમને આશિષો ના આલે? અમે તો હવે આ હીંડ્યા! અમે ગાંધીજીના દોષો કર્યા તેની તો અમને, આ જુઓ ને, વિનાઅપરાધે શિક્ષા મળી ગઈ છે હવે એ અમને માફી આલીને પોતાના આશીર્વાદ ના આલે? હેં મહારાજ, તમે કહેશો ગાંધીજીને?” “વાઘલા!" મહારાજ માંડ બોલી શક્યા : “હું કહીશ ને એ આલશે આશિષો…” વધુ વાર મહારાજથી ત્યાં ન ઊભાયું, એમની પીઠ ફરી એટલે, ડૂબેલી નાવ પર પાણી ફરી વળે તેમ, ફાંસી-ખોલીની અંધારીનાં બારણાં બિડાઈ ગયાં.


[૫]


વડોદરાની વરિષ્ઠ અદાલતમાં અંતિમ નિર્ણયનો દિવસ ઊગ્યો. વકીલો સાથે મહારાજ હાજર હતા અને મહારાજની સાથે કેદીઓનાં સગાંઓ વડદલેથી આવીને બેઠાં હતાં. સાતેય કેદીઓ કારાગૃહમાં હતાં. તેમનો બચાવ થઈ રહ્યો છે તેની તેમને ખબર નહોતી, ખેવના નહોતી, આશા નહોતી. ફાંસીની ટીપવાળો વાઘલો, કોઈ પણ પળે આ અંધારીનું બારણું ઊઘડશે અને મોતની અનંત અંધારીનાં કમાડ પાછળ પોતે ધકેલાઈ જશે તેની રાહ જોતો, કોઈનાંયે પગલાં પ્રત્યે કાન માંડી બેઠો હતો. અદાલતમાં સાંજ પડી. દલીલો પૂરી થઈ ગઈ. ન્યાયકર્તાઓ ઊઠીને ‘ચૅમ્બર'માં ચાલ્યા ગયા. કેદીઓનાં સગાંઓ મહારાજની સામે મીટ માંડીને ઊભાં હતાં. મહારાજ ન્યાયમૂર્તિઓની ચૅમ્બર સામે આંખો ચોડીને ઊભા હતા, ક્ષણો પછી ઘડીઓ દોડતી હતી. ઘડિયાળના કાંટા સ્થિતપ્રજ્ઞોની અદાથી ચકરાવો લેતા હતા. ચૅમ્બર તરફથી કોઈ ફરક્યું નહીં. આખરે મહારાજે કેદીઓનાં સગાંઓને કહ્યું : “તમારે ગાડીનો વખત થઈ ગયો છે માટે જાવ.” એનો અર્થ એક જ હતો : આશા નથી, આંહી રહેવું નકામું છે. સગાંઓએ વિદાય લીધી. વણસુણ્યો ફેંસલો સમજી લીધો. ગાડી પકડીને તેમણે વડદલાની વાટ લીધી. તે પછી તરત જ વકીલે આવીને મહારાજને કહ્યું : “ફેંસલો લખાઈ ગયો છે. સહીઓ થઈ ગઈ છે. સાતેય નિર્દોષ ઠર્યા છે.” વધુ વાટ જોયા વગર, પૂછપરછ કર્યા વગર, મહારાજે દોટ કાઢી — વડી જેલ તરફ. ઉપરીને કહે કે, “મને એ સાતેયને મળવા દો.” “પણ હજુ હુકમ આવ્યો નથી.” “હુકમ આવશે પણ હું રાહ જોઈ શકીશ નહીં. ભલા થઈને મળવા દો. હું એમને જલદી ખબર દઉં.” જેલ-ઉપરીની કચેરીમાં આવીને સાતેય કેદીઓ હારબંધ ઊભા રહ્યા. તેમનાં મોઢાં પર પ્રાણ નહોતા. લોહી થીજી ગયાં હતાં. આંખો માત્ર જાણે જૂઠું જૂઠું તાકી રહી હતી; દેવતા જાણે એમાં હતા જ નહીં. સાતેય મોઢાં પર થોડી વાર નજર લીંપ્યા પછી જરાકે ઉશ્કેરાટ વગર મહારાજે શાંતિમય શબ્દો સંભળાવ્યા… થોડી વાર તો સાતે શરીર ન હલ્યાં, ન ચલ્યાં કે ન બોલ્યાં, ન દૃષ્ટિ ફેરવી, ન હોઠના ખૂણા પણ હલાવ્યા. પછી સાતેય જણા એકી સાથે કોઈ યંત્રની કળ ફરે ને સાત પૂતળાં પડે એ રીતે — મહારાજના પગમાં ભૂ…સ દઈને એકસામટા પડી ગયા. સાતમાંથી એકના પણ મોંમાંથી ઉચ્ચાર સરખોય સર્યો નહીં. મહારાજ ઊઠ્યા. ‘હજુ કેમ હુકમ આવી પહોંચ્યો નહીં? હું જાઉં, લઈ આવું' એમ કરતા ફરી પાછા ન્યાયમંદિર તરફ દોડ્યા. થોડેક જ દૂર એક સાઈકલ-સવાર મળ્યો. એના હાથમાં કાગળ હતો. એ બોલી ઊઠ્યો : “તમતારા સાતની મુક્તિનો હુકમ છે. જેલે લઈ જાઉં છું.” મહારાજ ઊભા રહ્યા. સાઈકલવાળો કહે : “મને કાંઈ રાજી નહીં< કરો?” મહારાજનો હાથ હોંશે હોંશે બંડીના ગજવામાં ગયો. હાથમાં આવ્યા — ફક્ત બે પૈસા! પહેલી જ વાર પોતાની અપરિગ્રહી વ્રતદશા એ ભિખારીને અકારી લાગી : અરેરે! આજે ગજવામાં દસ રૂપિયા હોત તોયે આપી દેત! નીકળ્યાં ફક્ત બે કાવડિયાં! “લે, ભાઈ! વધુ તો કશું જ નથી.” મહારાજનો એક-બે કાવડિયાંવાળો હાથ હવામાં લંબાયેલો રહ્યો, મોં વીલું રહ્યું : સાઈકલવાળો પેડલ મારીને ઝડપે જેલ તરફ ચાલી નીકળ્યો, ખસિયાણો હાથ ગજવામાં પાછો ગયો. બે પૈસા પાછા પડ્યા ને લજ્જિત પગ પાછા જેલ તરફ વળ્યા.


[૬]


વળતા દિવસની બપોરની વેળાએ પાંચેક વર્ષનો એક બાળક વડદલા ગામના મારગ-કાંઠા પરના એક ખેતરમાં ઊભો હતો. એને ઘેર, વડોદરા જઈને કાકા વગેરે સવારે જ પાછા આવ્યા હતા, તેમણે માને કોણ જાણે શીયે વાત કરી તે એ બોર બોર જેવડાં આંસુડે રડી હતી. રુદનભર્યા ઘરમાં અકળાઈને બહાર નીકળ્યો હતો ત્યારે વળી કોઈએ એને કહ્યું હતું કે, ‘તારો બાપો તો અહ્વે નહીં આવવાનો! એને તો આજે સવારે ભગવાનને ઘેર લઈ ગયા હશે!' એવું એને ન ગમ્યું, તેથી એ ખેતરે આવ્યો હતો અને ઘણું કરીને તો, બાપો ભગવાનને ઘેર જતો જતો ગામ માથેના આભમાંથી નીકળશે, એ વિચારે વાટ જોતો ઊભો હતો. તે વખતે એણે મારગ પર પગરવ સાંભળ્યો. એની નજર ખેંચાઈ : આઠ જણા ચાલ્યા આવે છે. કોણ હશે? નજીક આવ્યા — નજીક… હજુ નજીક… વધુ નજીક ને છેક જ નજીક જોયા : ઓળખ્યા. એકને તો પૂરેપૂરો પ્ળખ્યો. ઓળખ્યો છતાં એ પાસે આવવાને બદલે ફાળભર્યો, આશ્ચર્યભર્યો, હર્ષભર્યો — કે શું જોયું તે સાચું હોઈ શકે નહીં એવી લાગણીભર્યો? — ગામ તરફ, ઘર તરફ, માની પાસે મૂઠીઓ વાળીને દોડ્યો — એક શ્વાસે દોડ્યો. મહારાજ આશ્ચર્ય પામ્યા : “પેલો છોકરો કેમ આપણને દેખીને નાઠો હશે!” આઠ જણમાંથી એક કહે : “એ મારો છોકરો છે.” એ કહેનારો ફાંસીની દોરીએથી પાછો વળેલો વાઘલો હતો. ન બાપ દીકરાને બોલાવી શક્યો, ને દીકરો બાપને. હજુ ખાતરી નહોતી થઈ કે આ નવું બન્યું તે સાચું છે. ભાગોળે આવતાં સાતમાંથી એક જણ બોલ્યો : “હવે તો અહીં ભાગોળે જ મોદો (પાથરણાં, બૂંગણ) પથરાવીએ. અહીં જ બેસીને મીઠાઈ જમીએ.” “શું છે તે?” મહારાજ બોલી ઊઠ્યા : “એવું શું પરાક્રમ કરીને આવ્યા છો, ‘લ્યા, તે અહીં જલસો કરવો છે? ખબરદાર – કોઈ બહાર નીકળ્યા છો તો! હું કહું છું તે એક જ ઠેકાણે સાતેએ ઘર બંધ કરીને બેસી રહેવાનું છે. જો ચાલ્યા છે મોટા ઉત્સવ કરવા!” મહારાજને સમજ પડી ગઈ હતી : સાતેયને સાચીખોટી સજા પડી તે દિવસે પાટીદારોએ કંસાર રાંધ્યો હતો, તેનો યથાયોગ્ય બદલો પાટણવાડિયા આજે લેવા માગતા હતા! એ ન થવા દીધું. એ બહેકાટ દબાવી દીધો. બધાને એક ઘરમાં બેસારી રાખ્યા.


[૭]


“ચાલો સાતેય જણા મારી જોડે.” “ક્યાં, મહારાજ?” “…ભઈ કને.” “ચ્યમ?” “આપણે બધાએ એમની માફી માગવાની છે.” સાંભળીને પાટણવાડિયા કાળા પડી ગયા; બોલ્યા : “માફી! ઊલટાની એમની માફી! આટાઅટલી અમને વિતાવ્યા પછી ઉપર જતે માફી!” “હા.” “અમારાં માથાં કપાય છે.” “છો કપાતાં; હું કહું છું : ચાલો.” “ભલે, તમે જ્યાં કહો ત્યાં આવીએ.” સાતને લઈને રવિશંકર મહારાજ …ભાઈને મેડે ચડ્યા. મહિનાઓ વીત્યા હતા. વૈરનો અગ્નિ ઓલવવાનું ટાણું ક્યારે આવે તેની પોતે રાહ જોતા હતા. બોરસદથી દરબારશ્રી ગોપાળદાસને તેડાવી હાજર રાખ્યા હતા. મેડા પર જઈને મહારાજ ઊભા રહ્યા અને એની જોડે એ જ સાત બચી આવેલા પાટણવાડિયાને જોયા, એટલે …ભાઈ મોં ફેરવીને આડું જોઈ ગયા. “…ભઈ!” મહારાજે કહ્યું : “મારો કાંઈ વાંક હોય તો હું તમારી માફી માગું છું ને આ બધા પણ માફી માગે છે.” જવાબમાં …ભાઈએ હરફ તો ન કાઢ્યો, સામે પણ ન જોયું. થોડી વાર વાટ જોઈને આઠેય જણ નીચે ઊતરી ગયા.


[૮]


તે પછી એક દિવસ મહીસાગર-કાંઠાનાં કોતરોમાં રવિશંકર મહારાજ એકલા ચાલ્યા જતા હતા. એમાં છેટેથી બૂમો સંભળાઈ : “એ ઊભા રહો, ઊભા રહો.” બે આદમી દોડ્યા આવે છે. મહારાજ થંભ્યા. બે હથિયારબંધ પાટણવાડિયા આવી પહોંચ્યા. એમાંથી એકે પોતાના માથા પરથી ફાળિયું ભોંય પર નાખ્યું, ને મહારાજને કહ્યું : “મહારાજ, આના પર બેસો.” “શું છે, અલ્યા! કહે ને!” “પછી કહું એક વાર તમે આના પર બેસો. વાત કહેવી છે.” “બોલ, શી વાત છે?” બેસતાં બેસતાં મહારાજે ઓળખ્યો : ગુનો કરીને નાસતો ફરતો એ એક જુવાન હતો એની પાછળ ‘વારંટ' હતું. “વાત એ છે કે, અમે પેલાનું ડોકું ઉડાવી દઈશું.” જુવાન ઉશ્કેરાઈને બોલ્યો. “કોનું ડોકું?” “પેલા…ભઈનું, વડદલાવાળાનું.” “શાથી?” “એ ગાળો ભાંડે છે.” “કોને?” “તમને. અમારાથી એ નહીં સહેવાય. અમારા સાંભળતાં તમને ગાળો ભાંડે છે. ડોકું ઉડાવી દઈશું!” “લે બેસ, બેસ! ડોકું ઉડાવવાવાળો ના જોયો હોય તો! મને ગાળો ભાંડે તેમાં તારું શું ગયું? છો ભાંડતો. ને તું તો માથે ગુનો લઈને ભમી રહ્યો છે! તું ક્યાં મારી પાસે રજૂ થયો છે! જા, જા, ગાંડિયા! એવું કંઈ કરવાનું નથી.” પછી મહારાજ વડદલે …ભાઈ પાસે ગયા ને કહ્યું : “…ભઈ![1] એક જ વાત કહેવા આવ્યો છું : એકાંતે તું મને ભાંડવી હોય એટલી ગાળો ભાંડી લે; હું એક શબ્દ પણ નહીં બોલું, પણ ભલો થઈને તું મને બહાર ગાળો ન દેતો. આ પાટણવાડિયા ઉશ્કેરાય છે, ને વખતે તને ઈજા કરી બેસશે.”





  1. આ …ભાઈ અત્યારે હયાત નથી.