માણસાઈના દીવા/બાબરિયાનો બાપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાબરિયાનો બાપ

જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. પણ એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો (સરકારી પસાયતો)હતો. મૂઉં! બૈરી બીજા સાથે પ્રેમ કરીને જ પડી રહી હોત, તો મોતીને ઓછું લાગત. પણ એ તો જઈને રાવણિયાના ઘરમાં રહી. એ બીજું ઘર જોશીકૂવા ગામના બીજા કોઈ પામાં હોત તો નજરથી દીસતી વાત બનત; મોતી બારૈયો વેઠી લેત. પણ એ રાવણોઈયાનું ઘર પણ મોતી રહેતો તે જ વાસમાં — અરે, મોતીના ઘરની સામે જ — આવેલું હતું. સામે આવેલા ઘરમાં બેઠાં બેઠાં બંને જણા પ્રેમ કર્યા કરત, તોયે મોતી બારૈયો મન વાળીને રહેત. પણ વાત ઘણી આગળ વધી ગઈ. બૈરી-સૂના ઘરમાંથી સીધો ખેતરે જનાર અને ખેતરેથી સીધો ઘેર આવી, હાથે રોટલો શેકી ખાઈ રહેનાર મોતી એ રાવણિયાથી સહેવાયો નહિ. સરકારનો સત્તાધારી હતો ખરોને, એટલે રાવણિયો મોતીને રોજરોજ ધમકાવતો. રાવણિયાને ધમકીને પણ મોતી જીરવી લેત. પણ રવણિયો ધમકાવતો તેમાં બૈરી પણ સાથ પુરાવતી, એથી મોતીનો જીવ કોચવાતો હતો. ઓછામાં પૂરું એ થયું કે રાવણિયે મોતી બરૈયાને સાકારી હાજરીમાં ઘલાવ્યો; અને એ પરાક્રમ માટે એ પોતાની મૂછને વળ ઘાતલતો રહ્યો. ખેર! એ દશામાં મોતીને એકલા રહેવું ગમ્યુંનહિ. એનો જીવ અંદરથી બહુ મૂંઝાતો હતો. વળી ખેતરના કામને પણ એકલે હાથે પહોંચી વળાતું નહોતું મોતી ફરીવાર પરણી લીધું. એન આ નવા સંસાર પર પણ રાવણિયાએ અને આગલી બૈરીએ સામે ઘેરથી માછલાં ધોવાનું ચાલુ રાખ્યું. એક દિવસ બરાબર બપોર-વેળા થઈ ત્યારે મોતી ખેડ કરીને ઘેર આવ્યો. સાથે બે મૂળા લાવ્યો હતો, તે બૈરીને આપીને કહે કે ,"મારાથી રહેવાતું નથી, એવી ભૂખ લાગી છે. તું રોટલો આલ્ય, એટલે મૂળા ને રોટલો ખાઉં.” “હા, બેસો; આ જ ઘએએ રોટલો કરી આલું છું.” એમ કહીને વહુ ચૂલો ચેતવી, કલ્યાઢું (તાવડી) ચડાવી લોટ મસળવા લાગી. ભૂખ્યો મોતી ચૂલા સામે તાકીને બેઠો છે, ત્યાં ગામનો એક વોરો ખેડુ દોડતો આવી બોલવા લાગ્યો:" મોતી! ઓ ભાઈ મોતી! તું છે કે ઘેર?” “હા; કેમ શું છે, ભૈ?" કહેતો મોતી ઓસરીમાં આવ્યો. પણ ભુખ સહેવતી નહોતી. આવનાર કડવો ઝેર જેવો લાગ્યો. “ઊઠ. ભાઈ, ઝટ ઊઠ — ને દોડ. મારી ભેંસો નાઠી છે. મારાથી વાળી શકાતી નથી. ને હવે મારાથી પહોંચી શકાશે નહિ. એ તો જાય છે દોટાદોટ. તું જો નહિ વાળી આવે તે એ જશે — કોઈકને હાથ પડી જશે. મારું સત્યાનાશ જશે. તું ભલો થઈને ઊઠ. દોડ.” “પણ- ભૈ!" મોતી ચિડાઈને બોલી ઊઠ્યો : “મારાથી ભૂખે રહેવાતું અન્થી. હું ખાધા વગર નહિ જઈ શકું.” “એમ હોય કંઈ , મોતી!" વોરાને મોતીની ભૂખની કલ્પના નહોતી, તેથી તે વધુ ઉતાવળો બન્યો :"ભલો થઈને જા; મારી ભેંસો સમૂળી હાથથી જશે.” મોતી ઊઠ્યો, ભાલું લીધું; વહુને કહ્યું કે," તું રોટલો ઘડીને મૂળા ને રોટલો તૈયાર રાખજે; હું આવું છું” “હો, જાઓ, વે'લા આવજો.” ભાલો લઈને ભૂખ્યો મોતી દોડતો ગામ બહાર ભાગોળ વટાવી જેવો ભેંસો પાછળ પડી રહ્યો છે, તે જ વખતે સામેથી બે જણ એ ગામની સીમ બાજુથી આવતાં હતાં. દોડતો મોતી એમને ઓળખવા નવરો નહોતો; મળવા તો બિલકુલ ઉત્સુક નહોતો. એ તો ભેંસોના ધ્યાનમાં જ દોટો કાઢતો હતો હતો, પણ એણે સામે આવતાં બે પૈકી એક જણના મોંમાંથી ગાળો પર ગાળો સાંભળી. ગાળો પણ જેવી તેવી નહોતી : ગલીચમાં ગલીચ ગાળો હતી. કાલા ક્ષુધાગ્નિને ન ગણકારનારા મોતીના પગ આ ગાળો સાંભળી ધીમા પડ્યા. ગાળો દેનાર સરકારી સત્તાધીશ પેલો મોતીની વહુનો રવણિયો હતો; દારૂના કેફમાં ચકચૂર હતો. ભૂખની આગમાં વૈરનું ઘી હોમાયું — અને મોતીએ આજ દિન સુધી સાચવેલી સમતા તૂટી પડી. એક સપાટે ધસીએ જઈને મોતીએ રાવણિયાની છાતીમાં ભાલો ભોંકી દીધો. પટકાઈ પડેલા રાવણિયાના દેહ ઉપર મોતી ઘડી વાર ઊભો રહ્યો; વિચારે ચડ્યો : ‘ભારી થઈ! રોટલો ખાધો નહિ. વહુ વાટ જોતી હશે. મૂળા કેવા મીઠા જોઈને લ્કાવ્યો હતો. એ પણ પડ્યા રહ્યા! ને આ વોરો તો વેરી થઈ ક્યાંથી અત્યારે આવી પડ્યો! મને શી ખબર કે આ રાવણિયો સામો આવતો હશે! મૂઓ દારૂ તે ક્યાં જઈને પી આવ્યો હશે! ન પીધો હોત તોયે ગાળો તો દેત જ; પણ મને ભાલા સાથે દેખીને કંઈક હદમાં તો રહેત ને! — અરે, છેવટે કંઈ નહિ તો નાસી છૂટત! આ તો બૂરે થઈ.' બસ! એને માટે અન્ય માર્ગ નહોતો : એ નાસી ગયો. ઘેર ચૂલામાં બરાબર બળતું થયું હતું. બૈરીએ પહેલો રોટલો ઘડીને કલ્યાઢામાં નાખ્યો પણ હતો; બીજાનો લોટ હજુ મસળતી હતી, તે ક્ષણે એને કોઈએ ભાગોળના બનાવની વત કરી. એ પણ જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં ઘરને સાંકળ ચડાવીને નાસી ગઈ; અજીઠા હાથ ધોવા પણ એ ઊભી ન રહી. પોલીસે આવીજે જ્યારે ઘર ઉઘાડી જોયું ત્યારે રોટલો હજી ચૂલા પર કલ્યાઢામાં હતો, ને મૂળા કરમાયેલા પડ્યા હતા. રોટલો અને મૂળા ત્યાં ને ત્યાં પડ્યા હતા; કારાણ કે તેમને પગ નહોતા. તેઓ પરસ્પર મોતી બારૈયાની ભૂખ વિષે ચર્ચા કરતા જાણે કે પોલીસને જોઈ ચૂપ બની ગયા હતા.


[૨]


બાર -તેર દિવસ પછી વડોદરા સ્ટેશન પર રવિશંકર મહારાજ એક ટ્રેનની રાહ જોતા હતા. ટ્રેન આવી. અંદરથી પોલીસ-અધિકારી ઊતર્યાં. મહારાજે એમને જેજે કરેને પૂછ્યુ : “કાં, પેલાને હજુ પકડતા કેમ નથી?” “કોને?” “રાવણિયાનું ખૂન કરનાર જોશીકૂવાવાળાને.” “ક્યાંથી પકડીએ? જડતો નથી તો!” “આને ઓળખો છો? “એમ પૂછતે પૂછતે મહારાજે પોતાની જોડેનો એક આદમી બતાવ્યો. “ના.” “એ છે- તમને જે જડતો નથી તે જ.” પોલીસ — અધિકારીનું મોં વકાસ્યું રહ્યું. નાસીને ગાયબ બનેલા, બાર દિવસથી ન પકડાઈ શકતો, આખા પોલીસ ખાતાને થાપ દેતો એક ધોળા દિવસનો ને ખરા બપોરનો ખૂની વગર બેડીબંધે ને વગર દોરડે, વગર ચોકીપહેરે ને વગર બંદૂકે પોતાની સામે સબૂરીભેર ઊભો હતો! ઝાંખ ઝાંખ થઈ જઈને અધિકારી પૂછ્યું : “ક્યાંથી શોધ્યો?” “મેં નથી શોધ્યો;" મહારાજે કહ્યું, “એ પોતે જ મને શોધતો આવ્યો હતો." “ક્યાં?” “જોશીકૂવે નવું પરું વસાવેલ છે ત્યાં; મારે ઉતારે મેં કહ્યું કે, હીંડ, વડોદરે સોંપી દઉં. એ કબૂલ થયો. રાતે ને રાતે અમે હીંડી નીકળ્યા. મહી પાર કરીને આવ્યા. તમે ઘેર નહોતા, એટલે સ્ટૅશને સોંપવા આવ્યો છું.” “તો હવે?” “હવે ચલો પાછા પેટલાદ; ત્યાં સોંપીશ -અહીં નહિ.” “વારુ ચાલો.” પેટલાદ જઈને વડા પોલીસ-અધિકારીએ મોતીને પેટલૂર ખવરાવ્યું; ને પછી મહારાજ મોતીને છેલ્લી વારના મળ્યા. મોતી કહે: “હેં મહારાજ! વકીલ રાખીને બચાવ કરીએ તો કેમ?” “તારી સામે તો બેઉ રસ્તા ખુલ્લા છે, મોતી! એક મારો, ને બીજા વકીલનો. મરો રસ્તો ગુનો કબૂલી લેવાનો છે. એ રસ્તે તારો ત્દ્દન છુટકરો નથી; પણ સજા એક, બે કે પાંચ વર્ષની અથવા જનમટીપનીયે — થાય, પણ ફાંસી ન થાય. અને વકીલને રસ્તે જતાં કાં ફાંસી મળે — અથવા તો તદ્દન નિર્દોષ છુટાય. તું તારે ઠીક લાગે તે માર્ગ લેજે! એમ કહીને મહારાજ ગયા. “મોતીને મારપીટ ના કરશો." એટલું જ એ પોલીસ-અધિકારીને કહી ગયા. મોતીએ વકીલનો માર્ગ લીધોમ, ને એ માર્ગે એને દોઢ જ વર્ષની સજા થઈ. બચાવ એવો લાવવામાં આવ્યો કે, રાવનિયો જ્યાં ઊભો હતો ત્યાં ટૅકરો હતો “મોતી નીચે ઊભો હતો “રાવણિયો મોતી પર ધસી આવ્યો — ને મોતીએ પોતાના રક્ષણ માટે આડે ધરી રાખેલ ભાલો રાવણિયાની છાતીમાં પરોવાઈ ગયો. મોતી હયાત છે. મહારાજને મોતીએ ગ્રહણ કરેલ માર્ગનું દુઃખ નથી; મોતી બચ્યો તેનો એને આનંદ છે. મહારાજના વર્ણનમાં વારંવાર એક ચિત્ર ઝલકી રહે છે: ‘પોલીસે આવી ઘરમાં જોયું ત્યારે ચૂલા પર ક્લ્યાઢામાં રોટલો જેમ-નો તેમ પડ્યો હતો અને મૂળા બે કરમાઈ ગયા હતા!' (પૂર્ણ)