મારી હકીકત/તા. ૬ઠ્ઠી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


તા. ૬ઠ્ઠી

ન0 ‘કાઢી મુકી’ એ શબ્દ તારા પીહેરના ઘરમાંથી બહાર પડયા, તને મુંબઈ તેડતાં પહેલાં ઘર બંધ કરી સોદાવાળાને કોઈ રીતની અધીર ન થાય તેને વાસ્તે તુંને તારે પીહેર રાખવી થોડા દહાડા ન પછી બોલાવી લેવી એ હેતુથી તુંને પીહેર જઈ રહેવાનું લખ્યું કે જેમ કરવા વિશે મેં આગળ પણ તુંને કહેલું જ. એકાએક કામ કરવામાં આવ્યું તેનાં આવાં આવાં કારણ હતાં, ને મારો તો શક જ છે કે તારા મનમાં પણ કાઢી મુકી એમ આવી ગઈ ને તેથી તેં તારી કાકીનો આગલો વિચાર ફેરવી પોતાને માથેથી કેટલોક અપવાદ કાઢવાને તજવીજ કીધી. પણ હવે તુંને પીહેર મોકલી તે વિષયમાં મારો, તારો, મારા માણસનો, તારાં પીહેરીઆના વગેરેનો વિચાર, તેથી થયલા થવાના લાભાલાભ, લોક ને તારા સલાહકારનો વિચાર એ બધા વિષે સમયે અવકાશ નક્કી કરવામાં આવશે ને હવે વિષય બંધ.

ન0 ત્રણ વર્ષ ઘરમાં સ્વતંત્રપણે રહી, ૩ મહિના પીહેર રહી, હવે આઠેક દાહાડા અહીં રહીજો. નવી વ્યવસ્થા કરવાની છે તેમાં તારે કેવે પ્રકારે યોજાવું છે તે વિશે વિચાર કરી રાખજે અને ભા. શુ. ૪ ગણપતિ ચોથ ઉપર મારે જે કહેવું છે તે સ્પષ્ટ કહીશ. તું તારૂં સ્પષ્ટ કહેજે ને પછી ઘરની વ્યવસ્થા સંબંધી નક્કી થશે.