મેઘાણીની સમગ્ર નવલિકા 2/દીકરાની મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીકરાની મા

“માડી, હું બહાર જાઉં છું. મોડું થાય તો ચિંતા ન કરતી.” “એ હો, માડી.” વિધવા મજૂરણ વિચારમાં પડી જતી: કારખાનેથી થાક્યો પાક્યો દીકરો પાછો ક્યાં જતો હશે? કોઈ છોકરીઓની સોબતમાં તો નહિ પડ્યો હોય? પણ એમાં તો પૈસા બેસે. મારો દીકરો તો પગારની પાઈ યે પાઈ મને આપે છે. ત્યારે ક્યાં જતો હશે? એના હૈયાની અંદર શું ઘોળાઈ રહ્યું છે? હમણાં હમણાં એ બહુ ઓછું કાં બોલે?

“બચ્ચા”! ઝાંખે દીવે તું શું વાંચ્યા કરછ? આખો દા’ડો સંચાએ તોડેલાં હાડચામ અત્યારે ય વિસામો ન માગે, માડી?” “માડી, તું આંહીં આવીશ?” થીગડાવાળા સાડલાને છેડે ધોયેલા હાથ લૂછતી મા આવી. બેઠી. જાણે કશુંક નવું કૌતક થવાનું હતું. દીકરાએ ધીરે પણ મક્કમ સ્વરે કહ્યું: “માડી, હું મનાઈ થએલી ચોપડીઓ વાંચું છું. આ ચોપડીઓ વાંચવાની મનાઈ શીદ થઈ છે, ખબર છે, માડી? ઈ આપણાં મજૂરોની સાચી વાતું લખે છે ને, તે સાટુ. મને જો કોઈ આ વાંચતો ભાળી જાયને, તો, માડી, મને કેદખાને નાખે. મારે સાચી વાતું જાણવાનું મન છે, એટલા સારુ જ મને હાથકડી પે’રાવે, સમજીને, મા?” માની મોટી મોટી આંખો દીકરાના મોં સામે ઠરી. એ આંખોમાં કૂંડાળે ફરતી સરવાણીઓ ફૂટી. “પણ તું રોવછ શા સારુ, મા?” બોલતો દીકરો જાણે કોઈ લાંબા કાળની વિદાય લેતો હતો. “રોવાનું શું છે, મા? વિચાર તો કર, માડી, તારું જીવતર કેવું વીતી રહેલ છે? તુંને બે વીસું વરસ થયાં. પણ તને લાગે છે કે તું જીવતી છો? મારો બાપ તુંને પીટતો. બચાડો પોતાના જીવતરની દાઝ તારા ઉપર ઉતારતો. ત્રીસ વરસ એણે કારખાને સંચા ખેંચ્યા તોયે દુ:ખનું દુ:ખ. દુ:ખ ક્યાંથી આવે છે એની કશી ગમજ ન પડે બાપડાને. એટલે પછી તને પીટે. “આ મિલ પ્રથમ બે જ છાપરાંમાં સમાઈ જાતી’તી ત્યારથી મારો બાપો રિયો’તો. બેમાંથી સાત કારખાનાં જામ્યાં, તોયે એની દશા ઉપર ન આવી. “માડી, કારખાનું વધતું જાય, ને લોકો એ વધારતાં વધારતાં મરતાં જ જાય — એમ શા સારુ થાય છે તેની મારા બાપને જાણ નો’તી, એટલે જ એ તારો બરડો ફાડતો. “માટે હું ચોપડિયું વાંચું છું, મા! મારે સાચી વાતું જાણવી છે. “તું સંભારી જો, મા! તેં અવતાર ધરીને કયું સુખ દીઠું છે? મારે બાપે તને માર માર કર્યું. ને બાપ મુવા પછી મેંય દારૂ પી પી ને તને સંતાપી — પણ આનું કારણ શું? હેં માડી? સાંભળ...” એમ કહીને દીકરો આખું ભાષણ કરી બેઠો. જન્મ ધરીને પહેલી જ વાર આ મજૂર માતાએ પોતાને વિશે આવા ઉદ્ગારો સાંભળ્યા. પાડોશણો સાથે પોતે કઈક વાર વાતો કરી હતી: પોતાને વિશે તેમજ બીજી અનેક બાબતો વિશે: પણ એ વાતોમાં શું હતું? ફક્ત રોદણાં. કોઈ નહોતું કહી શક્યું કે જીવતર આવું દુ:ખદાયક હોવાનું કારણ શું. આજે એ વાત એણે પહેલી જ વાર સાંભળી — દીકરાને મોંએથી. એના હૈયામાં કૈંક સૂતેલા ભાવ સળવળ્યા. અંત:કરણના થીજેલા ડુંગર ઓગળ્યા. “પણ બચ્ચા! તો હવે તારે કરવું છે શું?” “વાંચીશ, સમજીશ અને બીજા સહુને સમજાવીશ, કે ભાઈઓ, આપણા આ હવાલનું મૂળ કારણ શું છે, હેં ભાઈઓ?” “પણ બાપ! તું શું કરી શકવાનો? માણસું ભેળાં થઈને તને ભૂંસી નાખશે. તને રદબાતલ કરી દેશે.” “તું સમજી નથી, માડી! જો, સાંભળ.” એ વચનને વારેવારે ઉથલાવી દીકરાએ માના દિલ પર નવા જ્ઞાનનું જાદુ છાંટ્યું. “હશે ત્યારે, બાપા! એમ જ હશે. હું શું જાણું? તું કહે છે તેમ જ હશે.” આ એક જ જવાબને માએ પુત્રની સમજાવટનું વિરામચિહ્ન બનાવ્યું. હર વાક્યે ને હર ઉદ્ગારે “તો પછી એમ હશે, બાપા! હું રાંડ શું જાણું? એમ હશે! તું કહે છે તેમ જ હશે!” “ત્યારે, મા! હવે તું મારા કામની આડે નહિ આવ ને?” “ના, બેટા. હું તારું કામ નહિ બગાડું. પણ ભાઈ, જોજે હો! ચેતતો રે’જે હો! ગાફલ બનીને કાંઈ બોલી નાખતો નહિ. લોકોથી ચેતતો રે’જે. લોકોમાં અંદરોઅંદર ઇર્ષ્યા- -અદાવતનો પાર નથી. ને તું જો લોકોની પોતાની ભૂલ બતાવવા ગયો તો તો તારું આવી જ બન્યું જાણજે, બચ્ચા! લોકો તને પીંખી જ નાખશે. ચેતીને ચાલજે મુવાં લોકોથી.” પુત્ર ઊભો હતો. ‘લોકો વિશે માનું ભાષણ એણે સાંભળી લીધું. પછી મોં મલકાવીને એણે કહ્યું: “માડી! સાચું છે. લોકો તો બાપડાં એવાં જ છે. હું ય લોકોથી ડરતો, લોકોને ધિક્કારતો. પણ હવે મને નોખું ભાન થયું છે. મા, તમામ લોકોનાં પેટ મેલાં નથી. માણસની અંદર સાચ પણ પડ્યું છે, હો મા! સાચ પડ્યું છે એ સમજ્યા પછી મારું દિલ કૂણું બન્યું છે. મારા દિલની કડવાશ ઊતરી ગઈ છે. સમજી, માડી?” — મોડી રાત્રે પુત્ર સૂતો હતો ત્યારે મા ઊઠી; સૂતેલા દીકરાના મક્કમ મુખભાવ પર ઝળુંબી રહી. બોર બોર જેવડાં આંસુઓ માની આંખમાંથી પડતાં હતાં.

[૨]

વરસાદમાં ભીંજાઈને દીકરાના ભાઈબંધો ડોશીને ઘેર આવ્યા. છૂપા મેળાપનું એ ઠેકાણું હતું, મા સહુને સંઘરતી. મધરાત હતી. “બચારા ટાઢે ધ્રૂજે છે. લ્યો, હું સૂંઠ-મરી નાખીને ચા કરી દઉં.” જુવાનો વિચારતા હતા: “મા છે કાંઈ, મા! એકલી પબલાની નહીં, આ તો આપણી સહુની મા.” “પરભુના ઘરનું માણસ.” “પરભુની વાત બોલશો મા ભાઈઓ!” માનો દીકરો બોલી ઊઠ્યો. “પરભુએ જ દાટ વાળ્યો છે દુનિયાનો.” બીજાએ ટાપસી પૂરી: “પરભુએ પણ આપણને ભારી બેવકૂફ બનાવ્યાં, હો ભાઈ!” ચૂલા પાસે હવાઈ ગયેલા કોલસા ફૂંકતી મા ઊભી થઈ, નજીક આવી, સહુની સામે હાથ જોડ્યા, બોલી: “તમારે બીજું ઠીક પડે તે કરો, કે બોલો; પણ મારા પરભુ માટે કશુંય ઉચ્ચાર્યા પહેલાં વિચાર કરજો. હું હાથ જોડું છું. ચેતીને ચાલજો.” છોકરા ઝંખવાયા. માએ ફાટેલ છેડે આંખો લૂછી મુશ્કીલ શબ્દે સંભળાવ્યું: “તમને તો તમારી મહેનતનો બદલો મળે એટલે તમારે બીજાં કશાની પડી નથી. પણ, બચ્ચાઓ! મારી કનેથી જો તમે મારા પરભુને આંચકી લેશોને, તો મારા દુ:ખમાં મારે બીજા કોઈનો આધાર નહિ રહે.” મા રડી પડી. પ્યાલા-રકાબી ધોવા બેઠી. આંગળીઓમાંથી પ્યાલા પડી જતા હતા, હાથ ધ્રૂજતા હતા. “પણ, માડી!” દીકરાએ કહ્યું: “તું અમારી વાત સમજી નથી લાગતી.” માએ સામે જોયું, પુત્રે કહ્યું: “મા! હું જે કહેતો’તો ને, તે કાંઈ આપણા બધાના પરમકૃપાળુ ને વિશ્વવ્યાપી પ્રભુને વાસ્તે નહિ; હું તો કહેતો’તો ઓલ્યા પૂજારીઓના ને આચાર્યોના પ્રભુને વાસ્તે; આ બધા બાવા-સાધુઓ આપણને જેની ડરામણી દેખાડે છે ને, એ પ્રભુને વાસ્તે; ધનવાન ને નિર્ધન વચ્ચે જેના નામની ભીંતો ચણાયેલ છે ને, એ પ્રભુને વાસ્તે.” માએ સ્હેજ માથું ડોલાવ્યું. સૂંઠ-મરીની ચીંથરી છોડતી એ કહેતી હતી: “એ કશુંયે મારે નથી સાંભળવું. મારું હૈયું ભાંગશો મા, બચ્ચાઓ!” “પણ, મા!” બીજાએ સમજાવટ આદરી: “આ બધાએ તો ભેળા થઈને આપણા પ્રભુને ખંડિત કર્યો છે. ખેતરમાં આપણે જેમ ગાભાનો ચાડિયો કરીએ છીએ, તેમ મંદરમાં એ બધા ભગવાનનો ચાડિયો બેસારે છે. આપણને શાસ્તર કહે છે કે માનવી પ્રભુની જ જીવતજાગત મૂર્તિ છે. ત્યારે આપણને જાનવર કોણે બનાવ્યાં?

[૩]

ડોશીનો દીકરો કેદખાને પડ્યો. કેમકે એણે લોકોને ‘સાચી વાતો’ કહી સંભળાવી. ભાંગલી ડાંડલીવાળાં ‘બેતાળાં’ ચશ્માં ચડાવીને ડોશી ઓસરીમાં બેસતાં. દીકરાની ચોપડીઓનાં પાનાં ઉથલાવતાં. અક્ષરો બેસારતાં. સાઠ વર્ષની વયે ડોશીને અક્ષરજ્ઞાનની લગની લાગી. પૂરું વંચાય નહીં. આંખોમાંથી પાણી ઝરે. કોણ કહી શકે કે એ તો માનું કલેજું ચૂવે છે, કે આંખોની નસો પીડા પામીને ટપકે છે? “હેં ભાઈ!” ડોશી પૂછતાં: “મારા બચ્ચાને તો જલમ-ટીપ દેવાના, ખરું ને?” “દીયે ય ખરા!” દીકરાના સાથીઓમાંથી કોઈક બોલી ઊઠતું: “ઈ તો ફાંસી ય દીયે, ડોશીમા! સત્તાની તો બલિહારી છે ને?” આવું સાંભળતી, છતાં કોણ જાણે શાથી ડોશીની સમતા ડગતી જ નહોતી. ભાંગલી દાંડીનાં ચશ્માં નાકે ચડાવીને ડોશીએ દોરી કાન ફરતી વીંટાળી. દીકરાનાં પુસ્તકોના થોકડામાંથી ‘ચિતરની ચાપડિયું’ તપાસી. ‘ચિતરની ચોપડિયું’ એટલે ઍટલાસ બુક. અંદર જગતના નકશા, નીલ સમુદ્રો, જહાજો, કારખાનાં, ભવ્ય પ્રાસાદો, પ્રતિમાઓ, સોના-ખાણો... ઓ હો હો હો! ડોશી મોં વકાસી રહી: “આવી મોટી ધરતી! આટલી સમૃદ્ધિ પડી છે શું વસુંધરામાં?” “છતાં ય, માડી!” દીકરાના સાથીઓએ સમજાવ્યું: “વસુંધરામાં ભીંસાભીંસ હાલી છે. લોક ક્યાંય સમાતું નથી. એક બીજાને ધકાવી ધકાવીને માનવી જીવે છે.” મા તો ‘ચિતરની ચોપડી’માં પતંગિયાંનાં ચિત્રો નિરખી રહી. “આહા! આમ જો તો ખરો ભાઈ! શા રૂપ રૂપના ઢગલા, શી રંગબેરંગી કરામત, પણ આપણને કે’દી મીટ માંડવાનીય વેળા છે? લોકો પીટાય છે, કૂટાય છે, કશું ય જાણતાં નથી. લોકોને કશામાં રસ પડતો નથી. અરે આવું અલૌકિક જગત માણવાનું મેલીને લોકો એકબીજાનાં લોહી પીવાને વલખાં મારે છે. હેં ભા! આ ‘ચિતરની ચોપડિયું’ આ શેઠીયાવને કોઈ નહિ દેખાડતું હોય?”