યાત્રા/નયન નિમીલિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નયન નિમીલિત

નયન નિમીલિત તારાં
          શાં ખોલે જગ રઢિયાળાં!

દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે
          પાંપણ પૂંઠ વસ્યું શું?
ઝંઝાઝપટે જે ન જડ્યું તે,
          સ્થિર શિખરે જ ઠર્યું શું?

વખરીનાં શત શર ન વીંધે જે
          મૌન થકી સાધ્યું શું?
બાહુનાં બળ જે ના જીત્યાં તે
          કરસંપુટ લાધ્યું શું?

એ મનના રથ ખેડણહારા,
          અશ્વ મૂક્યા છોડી શું?
કોઈ પવનની પાવડી સંગે
          પ્રીત અચલ જોડી શું?

કહે, અધીર અજંપાનાં અમ
          તરણાં પળ પળ તલસે,
નયન જરા ખાલી દે તારાં;
          છે વૈશ્વાનર વરસે.


ફેબ્રુઆરી, ૧૯૪૪