યાત્રા/ભૂમિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભૂમિકા

આ કાવ્ય અંગેની ભૂમિકા વિદ્યાપીઠમાંના અમારા અભ્યાસ સમયમાં બની આવેલી. અમારે ગુજરાતીના અભ્યાસમાં ભણવાના ‘કાવ્યસમુચ્ચય, ભાગ ર’માં ‘ક્લાન્ત કવિ’ની ૪ર કડીઓ વાંચવા મળી, અને તે એ ૧૦૦ કડીઓ માંથી પસંદ કરીને લેવાઈ હતી. આ આખું કાવ્ય તથા તેના કર્તા बाल – બાલાશંકરનો પરિચય આગળ ઉપર થયો. વિદ્યાપીઠમાં વાંચેલી કૃતિમાં રસ, ભાવની ઘણી ઉત્કટતા હતી, રચનાનું ઘણું કૌશલ હતું. વિદ્યાપીઠનાં વર્ષો પછી ૧૯૩૦થી ચારેક વર્ષ સત્યાગ્રહ અંગે ગામડાંઓમાં ગાળ્યાં. એ શાંત સત્યાગ્રહ પ્રવૃત્તિમાં કવિતા માટે પૂરતો સમય રહેતો. એટલે ‘ક્લાન્ત કવિ’ની ભાવદિશામાં મેં મારી રીતના ભાવો ગૂંથી ‘માયાવિની’ લખ્યું. એમાં મેં શિખરિણી છંદને ખંડિત – અખંડિત રીતની ૬ પંક્તિવાળી કડીમાં ગોઠવ્યો. એવી રીતની ૫૪ કડીની ૩૨૪ પંક્તિઓમાં કાવ્ય પૂરું થયું, પણ એમાંનો વિષય હજી અપૂર્ણ –અસિદ્ધ છે એવું નિવેદન પણ અંતે મુકાયું.

‘સત્યાગ્રહ પછીનાં વર્ષોમાં શ્રી અરવિન્દના પૂર્ણાયોગનો પરિચય થયો, પોંડિચેરીમાં તેમના આશ્રમમાં લાંબો ટૂંકો સમય રહેવાનું થતું રહ્યું. એવા એક નિવાસકાળ દરમિયાન ‘માયાવિની’ના વિષયને ‘ક્લાન્ત કવિ’ જેવા પૂરી ૧૦૦ કડીના ઢાળમાં ઢાળવાનું મન થયું, મનમાં તેની યોજના પ્રગટ થઈ, અને તેર દિવસમાં, ૯ થી ૨૧ મે, ૧૯૪૩, તે લખાયું. તેની ૧૦૫ કડીઓ બની. ‘વસુધા’ પછીના મારા બીજા સંગ્રહ ‘યાત્રા’ માટે લેવાના કાવ્યોનો વિચાર કરતાં આ ૧૦૫ કડીઓનો વિસ્તાર વિવિધ કારણોસર બહુ મોટો દેખાયો, એટલે એમાંથી લેવા જેવો સાર ભાગ, તેને માટે જરૂરી આગળ પાછળની નવી કડીઓ વચ્ચે ગોઠવીને ‘મનુજ-પ્રણય’ના નામે મૂક્યો. ૧૯૫૧માં ‘યાત્રા’ પ્રગટ કર્યા પછી બીજો કાવ્યસંગ્રહ તૈયાર કરવાનું હાથમાં લીધું ત્યારે જણાયું કે આ ‘મદ્-યાત્રા’ તો હજી વિસ્મૃત જેવું એમ ને એમ પડેલું છે, અને ‘યાત્રા’ની આ નવી આવૃત્તિ તૈયાર થાય છે તો તેમાં જ તે લઈ લેવું, એ રીતે એક ખાસ પૂર્તિ રૂપે, તેને અંગેના જરૂરી લખાણ સાથે અહીં મૂકી આપું છું.

આ તૈયારી દરમિયાન, જૂના કાગળોમાંથી, પેન્સિલ વડે લખાયેલી, થોડી લીટીઓ, ૪ કડી જેટલી, મળી આવી, ૧-૨-૪૧ના દિને રાત્રે ૩.૩૦ સમયે લખેલી. અને ‘મદ્-યાત્રા’નો આરંભ તેમાં થયો હતો, સવા બે વર્ષ પૂર્વે, એમ જણાયું, ‘મદ્-યાત્રા’ લખાતાં લખાતાં એમાંનો થોડો ભાગ, આખીયે પંક્તિઓ, તથા વસ્તુની સામગ્રી તેમાં ગોઠવાઈ હતી. વળી તે વખતે, ‘મદ્-યાત્રા’ પ્રમાણેનું કડીનું સ્પષ્ટ રૂપ પણ મનમાં લેવાયેલું ન હતું. તેમાં પૂરી પ્રાસરચના ન હતી, પંક્તિઓ પણ ચાર કરતાં વધુ થઈ ગઈ હતી. ‘મદ્-યાત્રા’ની નાન્દી જેવી એ ચાર કડીઓને આરંભમાં મૂકી લઉં છું. ‘મદ્-યાત્રા’માં એની પ્રથમ કડી ૩જી કડીમાં, ત્રીજી કડી ૧૭મી કડીમાં, ચોથી કડી ૫મી કડીમાં એક કે બીજી રીતે સમાયેલી જોવા મળશે.

ક્લાન્તકવિ : સૌંદર્ય લહરી

બાલાશંકર અંગેના અભ્યાસમાં આગળ વધતાં તેમના ‘ક્લાન્ત કવિ’ની પ્રેરણાનું મૂળ, શક્તિભક્તો તથા કાવ્યપ્રેમીઓને સુવિદિત એવા સંસ્કૃત કાવ્ય ‘सौन्दर्यलहरी’માં મળી આવ્યું. સંસ્કૃતના સારા એવા વિદ્વાન બાલાશંકરે તેનો એના મૂળ છંદમાં જ ગુજરાતી અનુવાદ આપ્યો હતો; એ બંને કૃતિઓ ૧૮૮૫, ૧૮૮૬માં પ્રસિદ્ધ થયેલી, અને તે સમયના સાક્ષરો તથા વિવેચકો તરફથી ‘ક્લાન્ત કવિ'ને સારે નરસો આવકાર મળેલો. ૧૯૪રમાં કવિની કાવ્યકૃતિઓનું સંપાદન ઉમાશંકર જોષીને હાથે થયું. કવિનું સમગ્ર વિસ્તૃત અધ્યયન તેમની વંશજા સ્નેહલતા મહેતાએ ૧૯૭૧માં પ્રસિદ્ધ કર્યું. આ બે ગ્રંથોએ બાલાશંકરને હવે પૂરતા જીવંત બનાવ્યા છે. મારા એક પ્રેરક ઉત્કટ કવિ તરીકે પણ મારે તેમને પ્રેમાંજલિ આપવાની રહે છે.

બાલાશંકરની પાસેથી ‘સૌન્દર્યલહરી’નો પરિચય મળ્યો, અને પછી મારે માટે એ અભ્યાસનો રસિક અને મોટો વિષય બન્યો. એ બધામાંથી, ઊપજતી સામગ્રીને ન્યાય, આપવા તો લંબાણથી લખવું પડે. કવિતાની સાથે જોડાયેલો ‘લહરી’ શબ્દ આપણને વિશેષે પ્રથમ તો ‘ગંગાલહરી’માં જોવા મળેલો છે. પણ એનો મૂળ ઉપયોગ તો છેક ૮મી સદીમાં શંકરાચાર્યને હાથે ‘સૌન્દર્યલહરી’માં થયેલો છે. જોકે આ કૃતિ શંકરાચાર્યની છે કે કેમ તે વિષે પણ ઊહાપોહ થયેલો છે.

એ કાવ્યમાં પણ એ શબ્દ. જુદા જુદા સંદર્ભમાં કવિએ પ્રયોજ્યો છે, – શૃંગારલહરી, – પરમહ્યાદલહરી, – વદનસૌંદર્યલહરી, – અમૃતલહરી. વળી આ કૃતિના નામકરણની ક્રિયા પણ વિવિધ રીતે પ્રવર્તેલી છે. એના આરંભની ૪૧ શ્લોકો ‘આનંદલહરી’ના નામે ઓળખાય છે અને જુદા ગ્રંથ રૂપે તે પ્રગટ થયેલા છે. તે પછીના ૬૨ શ્લોકો મળીને ૧૦૩ શ્લોકની આખી કૃતિ ‘સૌન્દર્યલહરી’ બને છે. વળી, આ શ્લોકોથી જુદા એવા ૨૦ શ્લોકોની ‘આનંદલહરી’ શંકરાચાર્યના નામની પણ જોવા મળે છે, (ગીતાપ્રેસની ‘સ્તોત્રરત્નાવલી’માં). ગુજરાતીમાં અનુવાદ કરનારાઓએ અમુકે, પણ વિવિધ શબ્દો આ કૃતિ અંગે વાપર્યા છે. આનો પ્રથમ અનુવાદ આપનાર મહાન મીઠુ કવિએ એને ‘લીલાલહરી’ કહી છે. બાલાશંકરે પ્રથમ ૪૦ શ્લોકોને, મૂળના ૪૧માંથી ૩૦મો મૂકી દઈ, કોઈક કારણે– ‘બ્રહ્મલહરી' તથા બાકીના ૬૨માં, એક શ્લોક (?) ગોઠવી એ ૬૩ શ્લોકોને ‘શૃંગારલહેરી’, કોઈ બીજી પરંપરાનું, નામ આપ્યું છે.

શંકરાચાર્ય પછીનાં વર્ષોમાં વિવિધ લહરીઓ સંસ્કૃતમાં રચાઈ, તેમાં દલાદનની ‘દત્તાત્રેયજ્ઞાનલહરી’ ૧૨ શ્લોકની, તથા જગન્નાથ પંડિતની ‘ગંગાલહરી’ ૫૨ શ્લોકની મારા જોવામાં આવી—આવી બીજી ‘યમુનાલહરી’, ‘લક્ષ્મીલહરી’ પણ છે. ૨૦ શ્લોકોની ‘જ્ઞાનલહરી’ પણ સમર્થ રચના છે ને તેનો અનુવાદ ન થયો હોય તો કરવા જેવો છે. ‘સૌન્દર્યલહરી’ના પ્રથમ અનુવાદક મીઠુનો પરિચય પણ ઘણો રસિક બન્યો. ૧૭૩૮-૯૧માં થયેલા આ પ્રતિભાસંપન્ન સંસ્કૃતજ્ઞ કવિની આસપાસ મોટું એવું વૃન્દ બંધાયેલું. સંસ્કૃતમાં તેમણે ‘હંસવિલાસ’, ગુજરાતીમાં ‘રાસરસ’ લખ્યાં છે. એમના નામનો વિસ્તાર મીઠુ શુકલ, મુક્ત મીઠુ, હંસ મીઠુ, મીઠુ મહારાજ, સામરસ્યરસિક મીઠુ, આવો બધો થયેલો છે.

કાવ્યલહરીઓની આ વિવિધ લહરોમાં લહરાતાં ‘મદ્-યાત્રા’ને ‘પ્રણય લહરી'માં બદલી લેવાની ઇચ્છા થઈ, પણ મૂળનો શબ્દ ‘મદ્-યાત્રા’ જ વધારે અર્થવાચક છે એટલે તેને જ જાળવી રાખ્યો છે.

શિખરિણીશતક

સો સો શ્લોકોવાળી આ રચનાઓમાં દરેકને પોતાનો સ્વતંત્ર એવો વિષય છે. દેવસ્વરૂપ, માનવે–દેવ–કાવ્યકલા, પ્રણય-પૂર્તિ એવા વિષયોમાં વિચરતી રચનાઓમાં એક ઘણી સમર્થ રચના, અમારા અધ્યાપક શ્રી રસિકલાલ છો. પરીખ ‘મૂસિકાર’નું ‘શિખરિણીશતક’ તેમના કાવ્યસંગ્રહ ‘સ્મૃતિ’માં ૧૯પરમાં ગ્રંથસ્થ થયેલી છે. એ કાવ્ય ૧૯૩૮માં પૂરું થયેલું, ૧૯૫૦માં ‘સંસ્કૃતિ’ માસિકમાં પ્રસિદ્ધ થયેલું છે. એને રચાતાં ઠીક ઠીક સમય લાગ્યો હશે. શ્રી ઉમાશંકર જોષી કહેતા કે રસિકલાલભાઈ મુંબઈ આવે ત્યારે કોટના ખિસ્સામાંથી લખાતી રહેતી કડીઓની કાપલીઓ તેમને બતાવે. શિખરિણી છંદની સો કડીઓને એમણે ‘શિખરિણીશતક’ જેવું પ્રશાંત નામ આપી લીધું, પરંતુ એ તેમના જીવનની સળંગ આંતર રેખા જેવું છે. એમની બધી કૃતિઓની માફક તેનામાં આજની, અમારા સમયની કવિતાની પૂરી પ્રશિષ્ટતા, શૈલી, ભાષા, આલંકારિકતા, વિચાર અને ભાવનું બળ રહેલાં છે. હું તેને ‘જીવનલહરી’ પણ કહું. ‘શતક’ શબ્દથી તે બીજી રીતનાં ‘નીતિશતક’, ‘અમરુશતક’ કાવ્યોના વર્ગમાં ચાલ્યું જતું દેખાય, પણ વાસ્તવિક રીતે તે આ લહરીઓમાં બેસે તેવું છે. મારી પાસે તો એને માટે ‘જીવનલહરી’ શબ્દ પણ આવ્યો. વાચકો એને વાંચી એક પ્રખર રસાનુભવ જરૂર અનુભવતા હશે.

‘મદ્-યાત્રા’ના ત્રણ વિભાગ

આરંભના ૩૩ કડીના વિભાગમાં કવિહૃદયની ઉત્કટ પ્રેમઝંખના, તેનાં આલંબન, ઉદ્દીપન તત્ત્વોને આધારે, પ્રથમ, પ્રકૃતિનાં રૂપકો દ્વારા, પછી માનવ જગતની કુમારિકા, પરિણીતા, પ્રેયસી, વિશાળ જગતમાં કલા સર્જનો, કાવ્ય આદિમાં વિવિધ રૂપે તેનું થતું પ્રાકટ્ય, એમ ક્રમે કમે ચડતાં જતાં, વધુ સચેતન બનતાં જતાં રૂપોમાં પ્રગટ થઈ છે. કાવ્યના પહેલા બીજા ત્રીજા વિભાગો વચ્ચે સ્પષ્ટ ભેદરેખા નથી, વિભાગના અંતમાં સ્થિતિમાં ભાવપલટો થતો થતો તે પછીના વિભાગના આરંભ સાથે ભળી જાય છે. પહેલા વિભાગના અંત ભાગમાં કવિહૃદયને આવાં વ્યાપક, અંગત અનુભૂતિથી અસ્પૃષ્ટ પ્રેમાંદોલનોથી તૃપ્તિ ન થતાં એક આત્મીય નિકટતાવાળી ઝંખના, અતૃપ્તિનો અકળાટ અનુભવાય છે. બીજા વિભાગમાં એવું પૂર્ણ મિલન એક વ્યકિત સાથે આવી બને છે, એ વ્યક્તિ પ્રત્યે કારુણ્યના ભાવથી શરૂ થઈ પૂરા પ્રગાઢ પ્રેમભાવ સુધીની સ્થિતિ રચાય છે, આ બધાની પાછળ કોઈ ગુહ્ય, ગૂઢ-નિગૂઢ તત્ત્વની સક્રિયતાનો અણસાર વરતાય છે. અને ત્રીજા વિભાગમાં એ તત્ત્વ વધુ વધુ સક્રિય બનતું જતું, પરિસ્થિતિમાં અણધાર્યા, ઉત્કટ, દારુણ, મૃત્યુના અનુભવ જેવા પલટા ઉપજાવતું કવિહૃદયને, કહો કે બંને હૃદયોને એક નવી અધિત્યકા ઉપર, ઉચ્ચ અવસ્થા ઉપર લઈ જાય છે, તેમાં તેમના અત્યાર લગીના ભાવોનો ઊંચો સમન્વય સાધે છે, તે પોતાની પરમ સક્રિયતા, સભરતા, સર્વ રસોની, સર્વ આત્માઓની અંતિમ સ્થિતિ અનુભવાવે છે. પરિતૃપ્ત થયેલું કવિહૃદય પોતાનું નિખાલસ નિવેદન રજૂ કરી એ પરમ ચિતિના ચરણોમાં વિરામ લે છે. કવિની પ્રેયસી તો ક્યારનીય એ મધુર સુ-મધુર પરમતામાં પહોંચી ગઈ હતી એટલે તેને વિષે કશું ખાસ કહેવાનું પછી રહેતું નથી.

આ કાવ્યરચનાની પરિસ્થિતિ

આ કાવ્ય ઠીક ઠીક વિલક્ષણ એવી પરિસ્થિતિમાં લખાયું છે. ૧૯૪૩માં હું થોડો સમય, ‘હિંદ છોડો’ના ઉગ્ર વાતાવરણમાં, શ્રી અરવિંદના માર્ગદર્શન પ્રમાણે, સ્વાતંત્ર્ય સૈનિકનું કામ મૂકીને, પોંડીચેરીમાં તેમના આશ્રમમાં તેમનો સઘન, વધારે સુજ્ઞ અંતેવાસી બનીને રહ્યો હતો. કાવ્યરચના આદિ સાહિત્ય પ્રવૃત્તિ માટે પૂરતો અવકાશ મળતો હતો. તે સમયમાં આ કાવ્યનો ‘માયાવિની’ માં સ્પર્શાયેલો વિષય વધુ સ્પષ્ટ રૂપમાં જાગૃત થયો. પૂરા સો શ્લોક લખવા, શિખરિણી છંદમાં, ચાર ચાર પંક્તિની કડીમાં, પહેલી અને ચોથી વચ્ચે, અને બીજી ત્રીજીની વચ્ચે પ્રાસ મેળવવા, ત્રણ ત્રણ કડીના ગુચ્છમાં વિષય વિકસાવવો, કાવ્યનો આખો વિષય ત્રણ વિભાગમાં ગોઠવવો, એમ ૩૩+૩૩+૩૪ ઉપરાંત બીજી આવી ગયેલી ૫ કડીની પર૦ પંક્તિમાં એકધારી રીતે કાવ્ય મેની ૯ થી ૨૧ સુધીના ૧૩ દિવસમાં પૂરું થયું. તે રાત્રિના સમયે લખાતું હતું, એ સમયે, અહીં ઉનાળામાં પણ બનતું રહે છે તેવું વાવાઝોડું, જોરદાર વરસાદ, પવનના ઝપાટા સાથે આવેલું, વીજળી બંધ થઈ ગયેલી, ત્યારે મારા ખંડમાં આંટા મારતાં મારતાં, મનમાં જ લીટીઓ, સપ્રાસ ગોઠવાવા લાગી. કાગળની લાંબી લાંબી પટ્ટીઓ બનાવી, એક શ્લોક લખાય તેટલી તેની ગડીઓ પાડી, દરેક ગડીમાં ચાર લીટીઓ લખી લેતો. એવી એક પટ્ટી હજી સચવાઈ રહી છે. જો કે કાવ્યના મોટા ભાગ માટે તો અનેક વિકલ્પોમાંથી પસાર થતા શબ્દો, પંક્તિઓ ગોઠવી, પડતી મૂકીને સંતોષકારક બનતી કડી સુધી પહોંચવાનો ધીરજ માગતો કાવ્યવ્યાયામ કરવો પડ્યો છે. કાવ્યની સુગ્રથિત વસ્તુરચના માટે પણ, રચાઈ ગયેલી સારી એવી કડીઓને છોડી દેવી પડી છે, યા અમુક સમુચિત સ્થાને લઈ જવી પડી, છે. આમ આખું કાવ્ય બહારના જગતમાં, તથા પોંડિચેરીના પ્રદેશમાં, ઘૂમતા વાવંટોળિયાઓમાં એક પ્રબળ પ્રેમાનુભૂતિના અવતરણ જેવું બની આવ્યું.

થોડું અનુસંધાન

અંતે જતાં આ કાવ્યની પ્રેરણામાં રહેલા બે કવિઓ, શંકરાચાર્ય અને બાલાશંકરની કૃતિઓના છેવટના ભાગમાંથી થોડું અહીં, પૂર્વાનુસંધાન રૂપે મૂકવા મન થાય છે. શંકરાચાર્યની ‘सौन्दर्यलहरी'ના ૧૦૩ શ્લોકમાંથી ૧૦૨મો શ્લોક

निधे नित्यस्मेरे निरवधिगुणे नीतिनिपुणे
निराघाटज्ञाने नियमपरचित्तैनिलये ।
नियत्या निर्मुक्ते निखिलनिगमान्तस्तुतपदे
निरातङ्के नित्ये निगमय ममापि स्तुतिमिमाम् ।।

બાલાશંકરે આ શ્લોકના અનુવાદમાં છેલ્લા થોડા શબ્દોનો જ અનુવાદ કર્યો છે ‘ગ્રહણ કર મારી સ્તુતિ ઉમે!’ ગુજરાતીમાં આવા સંસ્કૃત શબ્દો જેવા ને તેવા મૂકી દેવા એ અનુવાદ તો ન જ કહેવાય. મૂળના અર્થને સ્પષ્ટ કરતો, થોડા નવા શબ્દોથી પુષ્ટ કરેલો આ શ્લોકનો મારો અનુવાદ અહીં મૂકી આપું છું :

અહો મૈયા, નિત્ય સ્મિતવતી, ગુણાળી નિરવધિ,
મહા નીતિજ્ઞાને નિપુણ, અનિરુદ્ધ દ્યુતિમતી,
વસંતી ચિત્તોમાં નિયમનપરા જે સકલ, ત્યાં,
રહેલી મુક્તા જે અનુગતિકતાથી, સહુ ય તે
સ્તવે જેને ભાવે ઉપનિષદ, આતંકરહિતા,
મહા નિત્યા, મારી પુનિત કર તું આ ગુણ–સ્તુતિ.

બાલાશંકરના પૂરા ૧૦૦ શ્લોકોમાં સમાપ્ત થતા ‘ક્લાન્ત કવિ’માંનો છેલ્લો શ્લોકઃ

વધારે શું કે’વું દિલ દુખ સહેવું ધૃતિ થકી,
મળીશું મેળાવે જવ જગપતિ ધારિ હિતથી,
નહીં તો તું જાણે વિરહ તુજનો આ શું કરશે,
બળી દીને દીને ઝુરિ ઝુરિ અને बाल —

છેવટે, આ બંને કૃતિઓની પરંપરામાં આવે એવી, અમારા અધ્યાપકની ઉપર ઉલ્લેખેલી રચના ‘શિખરિણી શતક’માંથી, વિષયની દૃષ્ટિએ જરૂરી એવી, બે કડી મૂકી લઉં છું.

પ્રિયે! શૂન્યાત્માથી લલિત પદબંધે વિલસતા
ગભીરા કાવ્યોના પરમ રસ કાવ્યો ક્યમ ઝરે?
વહે ગંગા ક્યાંથી રજકણ ભરેલા રણ થકી?
વહે એ સ્વર્ગેથી હિમગિરિ તણા શૈવ શિખરે! ૧૦૦.

છતાં ઇચ્છો કે આ તમ ચરણનો કિંકર સદા
ધરે કાવ્યસ્તોત્રો, તવ નયનમાં તેજ નવલાં
ધરી, આ આત્માનાં ગહન અજવાળો! રસ નવો,
નવું સૌન્દર્યે ત્યાં! વિરલ વળી આનંદ પ્રગટે! ૧૦૧

શંકરાચાર્યે જગન્માતાના અપાર મહિમા અને સૌન્દર્યની સ્તુતિ કરી છે, બાલાશંકરે પોતાની પ્રલંબ વિરહદશા આલેખી છે, ‘શિખરિણી શતક’માં આત્માનાં ગહનોમાં, નવા નવા રસ અને સૌન્દર્યમાં, આનંદમાં જવાની પ્રાર્થના છે. ‘મદ્-યાત્રા’ની વિગત તો આ ટિપ્પણ–વિવરણમાં મૂકી આપી છે.