રચનાવલી/૧૦૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦૦. જાગરી (સતીનાથ ભાદુડી)


ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં થાણું નાખ્યું ત્યારથી બંગાળ વધુ સંવેદનશીલ રહ્યું છે. બંગાળ એ ભારતનું ઍન્ટેના છે. ઘણાંખરાં આંદોલનો ત્યાંથી શરૂ થાય છે. કલકત્તાને તો સરઘસોનું શહેર કહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોર અને શરદચન્દ્ર જેવા સાહિત્યકારો તો ભારતની અન્ય ભાષાઓમાં જાણે એના પોતાના જ લેખકો હોય એમ ગોઠવાઈ ગયા છે. આધુનિકતાનો વાયરો પણ પહેલો બંગાળમાં વાયો છે. આથી એના બુદ્ધદેવ બસુથી માંડી સમરેશ બસુ (‘કાલકૂટ') અને સતીનાથ ભાદુડી જેવા સાહિત્યકારોએ નવા નવા પ્રયોગોથી બંગાળી સાહિત્યને ધબકતું રાખ્યું છે. એમાં સતીનાથ ભાદુડીએ તો નવલકથામાં બહારને બદલે અંદરના, મનના પ્રવાહોને પકડીને નાની સરખી ઘટનાનો એવો વિસ્તાર કર્યો કે આજ લગી એમની નવલકથા ‘જાગરણ’ (જાગરી) મહત્ત્વની નવલકથા રૂપે સ્થાન પામતી રહી છે. એમ તો એમની રામચરિતમાનસને ધ્યાનમાં રાખીને લખેલી ‘ઢોળાઈ ચરિતમાનસ', અસ્તિત્વવાદનો સ્પર્શ આપતી ‘સંકટ’ કે ‘અચિનરાગિની' વગેરે એમની જાણીતી નવલકથાઓ છે અને ૧૯૫૯ની યુરોપયાત્રામાં ફ્રાન્સનિવાસ વખતે પેરિસને યથાતથ રજૂ કરતી એમની પ્રવાસકથા ‘સત્યભ્રમણકાહિની' પણ પ્રસિદ્ધ છે, છતાં એમનાં સર્જનોમાં ‘જાગરી’ ઊંચા આસને બેસે છે. કારણ આ નવલકથા એક રીતે જોઈએ તો આત્મકથાત્મક છે. લેખકની રાજકીય કારકિર્દી અને એમનો બિહારનો જનસંપર્ક એમાં રચનાત્મક રીતે ઊતર્યો છે. બિહારમાં પુર્ણિયામાં ૧૯૦૬માં જન્મી ૧૯૬૫માં અવસાન પામેલા સતીનાથ ભાદુડી માટે પુર્ણિયા હંમેશનું કાર્યક્ષેત્ર રહ્યું છે. પટના યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયેલા આ લેખક શરૂમાં ગાંધીવાદી અને પછી કોંગ્રેસ સોસ્યાલિસ્ટ પાર્ટીના સભ્ય રહ્યા છે. પોતાના વતનપ્રાન્તમાં એ લોકો વચ્ચે રખડ્યા છે; નજીકથી લોકોને જોયા છે. સ્વાતંત્ર્યસેનાની રહ્યા છે, અનેકવાર ધરપકડ વહોરી છે, જેલમાં ગયા છે અને જેલમાં પણ ‘સી’ ક્લાસના કેદી તરીકેના જુદા જુદા અનુભવો લીધા છે. જેલમાં એમની સાથે હિન્દીના ખ્યાતનામ નવલકથાકાર ફણીશ્વરનાથ રેણુ એમના સહકેદી હતા. જેલમાં રહ્યે રહ્યે જ એમણે નવલકથા ‘જાગરી' લખી છે. ૧૯૪૯માં ‘જાગરી’ને રવીન્દ્ર પારિતોષિક મળ્યું છે. ‘જાગરી’માં કથા બહુ પાંખી છે. ‘જાગરી' રાજનીતિક નવલકથા છે. અને માત્ર એક રાતની વાતને એમાં રજૂ કરે છે. કેન્દ્રવર્તી ઘટના ફાંસીની છે. અને એની સાથે સંકળાયેલા ચાર મનુષ્યનાં મનની ગતિઓને એમાં ઝડપી છે. માસ્તર સાહેબ પુર્ણિયાના સૌથી મોટા નેતા છે. પહેલાં સ્થાનિક સરકારી સ્કૂલમાં હેડમાસ્ટર હતા. પણ પછી નોકરીમાંથી રાજીનામું આપી ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાઈ ગયા. નવલકથા ૧૯૪૩ની મે મહિનાની એક રાતે પુર્ણિયાની જેલમાં ઘટેલી ઘટનાની આસપાસ ગૂંથાયેલી છે. જેલમાં અલગ અલગ વોર્ડ છે અને અલગ અલગ વોર્ડમાં માસ્તરના પરિવારજનો છે. કોંગ્રેસ સોસ્યાલિસ્ટ પાર્ટીનો સભ્ય મોટો દીકરો બીલૂ ૧૯૪૨ના આંદોલનમાં રેલ્વેલાઈન ઉડાડી દેવાના આરોપસર પકડાયેલો છે અને એને ફાંસી મળવાની છે. માસ્તર ગાંધીજીના શિષ્ય છે અને અપર ડિવિઝન વોર્ડમાં છે, જ્યારે માસ્તરનાં પત્ની પણ પતિને પગલે દેશસેવાનો રસ્તો લઈ, ધરપકડ વહોરી સૌની મા જેવી, જેલના સ્ત્રીવોર્ડમાં છે. માસ્તરનો નાનો દીકરો નીલૂ બહાર છે. એ સામ્યવાદી પાર્ટીનો કાર્યકર છે અને મોટાભાઈ બીલૂની ધરપકડ કરાવવામાં એનો જ હાથ છે. આજે મોટાભાઈને ફાંસી મળવાની છે અને એ જેલના દરવાજા આગળ સવારે ભાઈના શબ માટે રાહ જોઈ રહ્યો છે. નવલકથા આ ઘટના સાથે જોડાયેલા ચાર જણના મનમાં ઊતરીને ચાલે છે. બીલૂને વાળ ખરીને મોટી થઈ ગયેલી પાંથીમાં સિન્દૂર ભરેલું માનું ખાદીની સાડીમાં વીંટાયેલું મોં યાદ આવે છે. બીલૂને જિતેનની કાકી, નાનો ભાઈ નીલૂ, નીરેશની નાની કાકી, કપિલની બહેન સરસ્વતી યાદ આવે છે. બીલૂને થાય છે કે મા અે સમયે સ્ત્રીવોર્ડમાં શું કરતી હશે? નીલૂએ મારી વિરુદ્ધ જુબાની આપી એની માને ખબર હશે? માર્જ કોઈ તકલીફ થઈ હશે? એકવાર કૅમ્પ જેલસ્ક્રુ લાઠીચાર્જ વચ્ચે નાનાભાઈ નીલૂએ મોટાભાઈ બીલૂને કેવો બચાવ્યો હતો, એ સાંભરે છે. બીલૂને થાય છે કે નીલૂને એની માન્યતાથી અલગ કરવો અશક્ય છે. શક્ય છે કે પાર્ટીના આદેશને કારણે નીલૂએ જુબાની આપી હોય. બીલૂને પિતા પણ યાદ આવત. જ્યારે જ્યારે મન અશાંત થાય ત્યારે ત્યારે શાંતિ માટે ચરખો કાંતતા પિતાની મૂર્તિ પ્રત્યક્ષ થઈ. આ બાજુ માસ્તર પોતે પિતા તરીકે દીકરાઓ સાથે ગાઢ સંબંધ બાંધી શક્યા નથી એનો એમને રંજ છે. એમને લાગે છે કે રાજનીતિક વિચાર વારે વારે સ્વાભાવિક પ્રેમસંબંધમાં આડો આવ્યો છે. બીલૂમાં ખૂબ શક્તિ છે. પણ એ મૃત્યુને દ્વારે ઊભો છે. બીલૂને માટે જે કરવું જોઈતું હતું તે નહીં કરી શક્યા હોવાનો એમને અહેસાસ થાય છે. મા સ્ત્રીના વોર્ડમાં એકદમ વ્યાકુળ છે. બીલૂના બાળપણની ઘણી વાતો એના મનમાં રમી રહે છે. એના સોના જેવા દીકરાને આ હાલત માટે પોતાના પતિ જવાબદાર છે. એને થાય છે કે એમનું ગૃહજીવન પતિને કારણે જ ધૂળમાં મળી ગયું. ઇચ્છતી નથી તો પણ વિચાર એ વળે છે. માતા, પિતા અને બીલૂ ત્રણે જણ ફાંસીનો હુકમ રદ થાય એવી કલ્પનાનો કર્યે રાખે છે પણ ત્રણેને ખબર છે કે કલ્પના કલ્પના જ છે. ફાંસીનો સમય ધીમે ધીમે નજીક આવતો જાય છે. નીલૂ જેલબહાર ઊભો છે. એને વીતેલા દિવસો સ્મરણમાં આવે છે. મોટાભાઈ એને ખૂબ વહાલા છે. પણ એમણે જે કર્યું તે બરાબર નથી. ભાઈ વિરુદ્ધ જુબાની આપી એની એને પરવાહ નથી. એણે તો પોતાનો આદર્શ પૂરો કર્યો છે. મોટાભાઈનો રસ્તો ખોટો હતો એનો એને વિશ્વાસ છે. પણ તેમ છતાં વાસ્તવિકતા સામે એનો તર્ક અને મનને મનાવવાની યુક્તિ ઢીલાં પડતાં હોય એવું લાગે છે. નીલૂની આંખની સામે મોટરગાડી આવે છે. જેલર આવે છે, સુપ્રિન્ટેન્ડન્ટ આવે છે, ડૉક્ટર આવે છે, સિવિલ સર્જન આવે છે, મેજિસ્ટ્રેટ આવે છે અને કામ પૂરું કરીને બધા જતા રહે છે. પણ એમાંથી ડૉક્ટરે આવીને કહ્યું કે એના મોટાભાઈને ફાંસી નથી આપી. પણ કોઈ સાધારણ કેદીને ફાંસી અપાઈ છે. મોટાભાઈની ફાંસી મુલ્તવી રખાયેલી છે. અંગ્રેજ સરકારે રાજનીતિક કેદીઓની ફાંસીના હુકમ હમણા તો રોકી લીધા છે. નીલૂ જેલના દરવાજા પર અચાનક ઉષાની લાલ સુરખીને જુએ છે. ઘટનાને કારણે વિચારતા અને એકબીજાના સંબંધને તપાસતા માણસોના મનની અંદરની હલચલને આ નવલકથાએ આબાદ રીતે પકડી છે.