રચનાવલી/૧૦૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦૬. સાત સક્કમ ત્રેચાલિસ (કિરણ નગરકર)

મરાઠી નવલકથા છે : સાત છક તેંતાળીશ (સાત સકક્કમ ત્રૈચાલિસ). કિરણ નગરકરની ૧૯૭૪માં બહાર પડેલી આ નવલકથાએ મરાઠી સાહિત્યજગતમાં ખાસ્સી હલચલ મચાવેલી. એમાં નથી એક પછી એક ક્રમબદ્ધ બનતા પ્રસંગોની ઘટમાળ કે નથી એમાં કોઈ વાર્તાનો ચોક્કસ ઘાટ કે કોઈ ચોક્કસ કથાવસ્તુ. મરાઠી સાહિત્યના મધ્યમવર્ગીય વાચકોને આ નવલકથાએ જબરી મૂંઝવણમાં મૂકી દીધેલા. આ નવલકથાનો નાયક છે કુશાંક પુરંદરે. નિશાળમાં શિક્ષક ગણિતના વિષયમાં કોઈ દાખલો ગણતા થયેલી ભૂલને કારણે એને સજા કરે છે અને જિંદગીભર એ સજાને એ ભૂલી શકતો નથી. આથી જિંદગીમાં જે કાંઈ સમુસૂતરું છે, જે કાંઈ બધાને માફક છે, જે કાંઈ બધાને બરાબર ગોઠવાયેલું લાગે છે એની સામે એનો બળવો છે. અને વિચિત્રતાઓ ગમે છે. એને માટે સાત છક બેતાળીસ નહીં પણ બધે જ સાત છક ત્રેંતાળીશ છે. એની આસપાસના જિંદગીમાં ઠરીઠામ થયેલા એના મિત્રો સંબંધીઓ અને સ્વજનોની વચ્ચે આ અશાંત યુવાન કારકિર્દી ઘડવાને બદલે આડાઅવળે માર્ગે ફંટાતી મિસાઈલ જેવો આથડી રહ્યો છે. એ નથી આગળ વધતો, નથી નોકરીમાં ટકતો નથી, નથી પરણતો કે નથી ઘર માંડતો. પોતાની ચોપાસની સામાજિક રૂઢિઓનો એ ઉપહાસ કર્યે જાય છે. મૂળિયાં સ્રોત ઊખડી ગયેલો હોય એવી લાગણી અનુભવતો કુશાંક સામાજિક પરિસ્થિતિથી કપાયેલો છે. એ કોઈ ચોક્કસ વિચારથી ચાલતો નથી. એ પોતાની અંદરની અંગત દુનિયામાં કેદ રહે છે. મહારાષ્ટ્રીઓની મધ્યમવર્ગીય વસ્તીનો ગઢ ગણાતી મુંબઈની હિન્દુ કૉલોનીમાંથી આવેલો આ બદનામ નાયક નિયમોને નેવે મૂકીને સાહસો આદરે છે. એની જિંદગીમાં ચાર સ્ત્રીઓ આવે છે અને ચારે ય સ્ત્રીઓ જુદા જુદા પરિવેશમાંથી આવે છે. 'તું' કહીને એ જેને સંબોધે છે તે સમુદ્રકાંઠાની છે. આરોતી નામની સ્ત્રી પર્વત પ્રદેશની છે, ચાંદનીનો સંબંધ કોઈ ટેકરી સાથે છે અને ચોથી પ્રચિંતિ મોટેભાગે મેદાન પરના કોઈ અજાણ્યા સ્થળેથી આવેલી છે. અહીં દરેક સ્ત્રી સાથે પ્રકૃતિની જે ભૂમિકા જોડાય છે તે કોઈ સંદિગ્ધ ભાવ જગાડે છે. એટલું જ નહીં પણ આ બધી વિગતો કોઈ સમયાનુક્રમે પણ ગોઠવાયેલી નથી. નવલકથાકાર આ દ્વારા કુશાંકની મનમોજી યાદચ્છિક જીવનશૈલી પર ભાર મૂકે છે. સ્વજનો, મિત્રો, ના૨ીમિત્રો, ચિંતાતુર માતાપિતા અને માણસો – બધાં જ એના પર દબાણ કરે છે પણ એ ચાલબાજ કઢંગી રીતે છટકી જવા પ્રયત્ન કરે છે. બહારના અફાટ નૈતિક જગતમાં બધાં જ કૃત્યો પરત્વે વૃત્તિથી પ્રેરાતાં આ નાયકને કોઈના તરફ લગાવ નથી. એ કોઈની પણ સાથે સંબંધ દઢ સંબંધ બાંધવા માટે અસમર્થ છે. સામાજિક નિસ્બત, કૌટુંબિક સંબંધ પર ઊલટો એનો પ્રહાર છે. ત્યાં સુધી કે પોતાની કાકીના અસ્થિફૂલોને એ ગણપતિની મૂર્તિને વિસર્જન માટે લઈ જતા સરઘસકારો પર વિખેરે છે. છેલ્લા પ્રસંગોમાં કુશાંકને જેલના સાથીઓ પીટે છે એ બેભાન થઈ ભાનમાં આવે છે ત્યારે કહે છે ‘હું માત્ર એટલું જાણું છું કે એ યાતના વગરનો સમય હતો, મારા વગરનો સમય હતો.’ આમ જોઈએ તો વ્યક્તિની આસપાસ ગૂંથાતી આ વાતમાં નવલકથાકારે એના સમયના આંતરિક પ્રવાહોને વહેતા કર્યા છે, અને આવનાર સમયની એમાં ઝાંખી મૂકી છે. નહેરુના સમયનું ભારત આઠમા દાયકામાં અધઃપતન પામતું પામતું ‘કટોકટી’ના ગાળા તરફ ધકેલાતું જતું હતું. (આ નવલકથા પ્રગટ થયાનાં બીજે જ વર્ષે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી) જગતની મોટામાં મોટી લોકશાહી પર રાક્ષસી પંજો પડવામાં હતો. મહત્ત્વનું છે કે ઉશ્કેરાયેલું ટોળું કુશાંક પર જુલ્મ ગુજારે છે અને નિષ્ઠુર પોલિસના માણસો કુશાંક એની જાતિ, એનો ધર્મ જાહેર કરે એની ફરજ પાડે છે. કયા પક્ષના છો? કયા ધર્મના છો? નામ શું તારું? સિરનામું શું તારું? ~ આ પ્રશ્નોમાં આવનાર ભવિષ્યના ભણકારાઓ વાગતા સંભળાય છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી બંધાયેલી આશાઓ તૂટવા માંડતા દિશાશૂન્ય બનેલા દેશનું આ રૂપક છે. દેશના શાસકોની ડરામણી કૃતઘ્નતા, એમની ભ્રષ્ટતા એ બધાથી આંખ ખૂલી જતાં અને સત્તાલાલસા રુંધામણ, હતાશા અને રોષ અનુભવતા પ્રજાસમૂહનું કુશાંક તો પ્રતિનિધિત્વ કરે છે. આ નવલકથાની સામગ્રી કોઈ ચોક્કસ અર્થ નથી આપતી. આપણે એના પર કોઈ ચોક્કસ રીતે આંગળી નથી મૂકી શકતા. એમાંથી જે સંવેદન જન્મે છે એનું નામ પાડી શકાતું નથી. ઘેરો પ્રભાવ છોડતી આ નવલકથાના લેખકનું સ્થાન દિલીપ ચિત્રે, અરુણ કોલ્હાટકર, વિલાસ સારંગ, વસંત ડહાકે જેવા મરાઠી લેખકોમાં છે. તાજેતરમાં ‘સાત સક્કમ ત્રેચાલિસ’નો શુભા સ્લી દ્વારા હાઈનમાન એશિયન રાઈટર્સ સીરીઝમાં, અંગ્રેજીમાં અનુવાદ બહાર પડ્યો છે.