રચનાવલી/૧૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮. મિરાતે અહમદી (મિરઝા અહમદ હસન)


મુસલમાનો અને મોગલોએ કલા-કારીગરી અને સ્થાપત્યોની અણમોલ ભેટો ધરી છે; એની સાથે અકબરનામા, જહાંગીરનામા, પાદશાહનામા જેવા ઇતિહાસો પણ ભેટ થર્યા છે. ભારતમાં અંગ્રેજો આવ્યા અને ઇતિહાસની સમજ લઈ આવ્યા તે પહેલાં ભારતને ઇતિહાસની સમજ આપનારા મુગલો અને મુસલમાનો છે. ભારત પુરાણોનો દેશ હતો. એમાં હકીકતોને આધારે કલ્પનાકથાઓ રચાયેલી છે. આપણા રામાયણ, મહાભારત અને ભાગવતમાં પણ હકીકતો અને કલ્પનાઓનું મિશ્રણ છે. સંસારને માયા ગણનારો ભારતીય સમાજ એની હકીકતોની જાળવણીમાં ભાગ્યે જ પડે છે. હકીકતોની જાળવણી તો મુસલમાનો અને મોગલો સાથે ભારતમાં દાખલ થઈ. આથી જ મુસલમાનોને હાથે લખાયેલા થોકબંધ ઇતિહાસો અરબી અને ફારસીમાં આજે મળી આવે છે. ઘણાના અંગ્રેજી કે હિંદીમાં યા આપણી ભાષામાં અનુવાદ થયા છે. આવા ઇતિહાસોમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની માહિતીથી ભરપુર ‘મિરાતે અહમદી’નું સ્થાન છે. ‘મિરાતે અહમદી' એટલે ‘અહમદની આરસી’ પુસ્તકનું પૂરું નામ છે : ‘મિરાતે અહમદીયે (સૂબર્ય) અહમદાવાદે ગુજરાત’ બાદશાહ અહમદશાહે એના અમલ દરમ્યાન આ ઇતિહાસના લેખક મિરઝા મહમદ હસનને દીવાનના હોદ્દા પર નીમ્યો હતો. મિરઝા અહમદ હસનનું કુટુંબ મૂળ ઈરાનથી આવેલું અને ઔરંગઝેબની ફોજ દક્ષિણમાં યુદ્ધે ચઢી હતી ત્યારે મિરઝાના પિતા બરહાનપુરમાં દીવાની અમલદાર હતા. મોગલ, રાજપૂત, મુસલમાન, મરાઠા - સૌ એની સલાહ પૂછતા. આવા પિતાને ત્યાં મિરઝાનો જન્મ બરહાનપુરમાં ઈ.સ. ૧૭૦૦ની આસપાસ થયેલો પણ પિતાને ખબરપત્રી તરીકે અમદાવાદ આવવાનું થયું ત્યારે એની સાથે આઠ વરસની ઉંમરે મિઝા ગુજરાતમાં આવીને વસ્યો. મિરઝાને એક બહેન અને ત્રણ ભાઈ હતાં. પરંતુ બહેનનું શીતળામાં અવસાન થતાં એના આઘાતથી પિતા પણ ગુજરી ગયા અને પિતાના ગુજરી જવાના આઘાતમાં મોટાભાઈ મહમદ ઇસ્માઇલખાન પણ ગુજરી ગયા. મોટાભાઈ ગુજરી જતાં મિરઝાને અમીનનો હોદો મળ્યો. પરંતુ ઔરંગઝેબના મરણ બાદ સામ્રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. મિરઝાને પછીથી મળેલો દીવાનનો હોદ્દો કામ વગરનો બની ગયો. એ દરમિયાન મિરઝાને સૂઝ્યું કે જુદાં જુદાં શહેર, પરગણાં, જિલ્લાઓ અને ગામોમાંથી કારભારને લગતી માહિતી મેળવવી, એના પત્રકો બનાવવા અને બધી નોંધ કરવી. આ કામમાં મિરઝાને મીઠાલાલ કાયસ્થની મોટી મદદ મળી. મીઠાલાલની મદદથી મિચ્છાએ ‘મિરાત અહમદી’ ગ્રંથ પૂરો કર્યો. આમ, મુસલમાન લેખકને મદદ કરનાર એક હિન્દુ હતો. મિરઝા મુસલમાન હતો છતાં તેણે પક્ષપાતનું વલણ બતાવ્યું નથી. મિરઝાએ પોતે તો બે ભાગમાં ‘મિરાતે અહમદી’ લખ્યું છે. પહેલો ભાગ ઐતિહાસિક અને બીજો ભાગ ‘ખાતિમ’ (પુરવણી). આ પછી એના ગ્રંથને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને થોડોક કચ્છનો ઇતિહાસ આવે છે. મિરઝાએ પાટણના રાજપૂત સામ્રાજ્યથી શરૂ કરી પાણીપતના યુદ્ધ સુધીનો સમય આવરી લીધો છે. એટલે કે ઈ.સ. ૧૦૦૦થી એમાં ૧૭૬૧ સુધીનો ઇતિહાસ જળવાયેલો છે. ‘મિરાતે અહમદી'નો પહેલો ભાગ મોગલો ગુજરાત જીતે છે ત્યાંથી શરૂ થઈ ઔરંગઝેબના મરણ બાદ સૂબા દાઉદખાન પત્ની આગળ પૂરો થાય છે. મિરઝાએ પહેલો ભાગ સાંભળેલી અને વાંચેલી વિગતો પરથી તૈયાર કર્યો છે; અને એ તૈયાર કરવામાં મિરઝાએ ‘મિરાતે સિકંદરી’, ‘અકબરનામા’, ‘જહાંગીરનામા’, ‘પાદશાહનામા’ વગેરેનો આધાર લીધો છે પણ મિરઝાએ બીજો ભાગ નજરે જોયેલી હકીકત અને પુરાવાઓ પરથી તૈયાર કર્યો છે. તેથી એનું મૂલ્ય ઘણું મોટું છે. આ બંને ભાગોમાં, પશ્ચિમમાં લખાતા ઇતિહાસોમાં રજૂ કરેલી વિગતોના સમર્થન માટે જેમ મૂળના દસ્તાવેજો મૂકવામાં આવ્યા છે તેમ મિરઝાએ જરૂરી ફકરાઓ અને દસ્તાવેજો શહેનશાહ અને વઝીરોના સહી-સિક્કા સાથેનાં ફરમાનો, હુકમો, પરવાનાઓને રજૂ કર્યાં છે. આ પ્રકારના અસલી દસ્તાવેજોની નકલો મિરઝાના ઇતિહાસ સિવાય ફારસીમાં લખાયેલા બીજા ઇતિહાસોમાં જવલ્લે જ જોવા મળે છે. ‘મિરાતે અહમદી’નો ત્રીજો ભાગ ખૂબ રસપ્રદ છે. મિરઝા તો ત્રીજા ભાગને ‘ખાતિમ’ (પુરવણી) કહે છે, પણ અહીં પાને પાને લોકકથાઓ વેરાયેલી પડેલી છે. ગુજરાતના ફકીરો, ઓલિયાઓ, સંતોની એમાં માહિતી છે. તો ગુજરાતનાં સ્થળો, નદીઓ, પર્વતો, શહેરો, બંદરો, ગુજરાતની જ્ઞાતિઓની પણ માહિતી છે. ખાસ તો અમદાવાદના પરાં, રસ્તા, મહોલ્લા, ચોક, ચકલા, દરવાજા, માંડવીઓ, બાગબગીચા, દરગાહ વગેરે વિશે મિરઝાએ જાતમાહિતીથી બધું લખ્યું છે. જાણીતા વિદ્વાન કૃષ્ણલાલ મો. ઝવેરી તો આ ત્રીજા ભાગને ‘આઇને અકબરી' જેવો અજોડ ગણ્યો છે. ‘મિરાતે અહમદી’ ઇતિહાસગ્રંથનું સૌથી ઊડીને આંખે વળગે એવું પાસું એ છે કે એમાં લેખક મિરઝાની ગુજરાત માટેની તીવ્ર લાગણી વ્યક્ત થઈ છે. પોતે ઈરાની છે. બરહાનપુરથી આવીને એનું કુટુંબ વીસ પચ્ચીસ વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયું છે છતાં એ ગુજરાતનો વતની હોય એમ લેખન કરે છે. વળી એનું ઇતિહાસલેખન રાજકીય ઘટનાઓ કે રાજકીય ઊથલપાથલોને રજૂ કરતી વખતે નીરસ નથી બન્યું. સમાજની રુઢિઓ, એના રીતરિવાજો અંગે તો લખ્યું છે, પણ સાથે સાથે રેલ, દુકાળ, મરકી જેવી કુદરતી આફતો અંગે પણ હૃદયસ્પર્શી વર્ણનો કર્યાં છે. મરાઠા અને કોળીઓને હાથે થતી લૂંટફાટને કારણે પ્રજાને વેઠવો પડતો ત્રાસ પણ આબેહૂબ દર્શાવ્યો છે. ‘મિરાતે અહમદી' જેવો ઇતિહાસગ્રંથ ગુજરાતને, ગુજરાતની પ્રજાને, ગુજરાતની સંસ્કૃતિને અને એના સાહિત્યને સમજવામાં એકદમ કીમતી પુરવાર થાય તેવો છે.