રચનાવલી/૨૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૦. મારી હકીકત (નર્મદ)


‘જય જય ગરવી ગુજરાત’ના કવિથી કોણ અજાણ છે? ‘સહુ ચલો જીતવા જંગ’ની શૂરવીરતાની હાકલ કરનારથી કોણ અપરિચિત છે? ‘ભૂરો ભાંસ્યો ઝાંખો દૂરથી ધુમસે પહાડ સરખો’ કહી ગુજરાતના ‘કબીર વડ’ને ઓળખાવનારને કોણ નથી ઓળખતું? હા, એ છે આપણો અર્વાચીન ગુજરાતનો પહેલો કવિ નર્મદ. નર્મદ, નર્મદની ટેક, એની મર્દાનગી, એની સત્યપ્રિયતા, એની રસિકતા, એનાં સાહસોએ ગુજરાતને પહેલીવાર મધ્યકાળથી ગુજરાતને છોડાવ્યું. નર્મદ પર બેવડી જવાબદારી હતી. ગુજરાતને અને ગુજરાતી સાહિત્યને મધ્યકાલીન માનસથી છોડાવવાનાં હતાં અને અર્વાચીન મિજાજ સાથે જોડવાનાં હતાં. નવી કેળવણીનો અને નવી જાગૃતિનો એ કાળ હતો. વહેમ, અંધશ્રદ્ધાને કારણે ધર્મભીરુ થઈ સંકોચાઈ ગયેલી પ્રજાની ચેતનાને વિસ્તારવાની હતી. નર્મદે એના સાહિત્યથી અને એની સક્રિયતાથી પ્રજામાં નવો પ્રાણ ફૂંક્યો. અંગ્રેજી શિક્ષણના પરિચયમાં આવેલા નર્મદ સાહિત્યમાં જાતભાતના અખતરા કરવા માડ્યાં. જાતજાતનાં સાહિત્ય સ્વરૂપો ખેડવા માંડ્યાં. પ્રકૃતિ અને પ્રણયની કવિતા ઉપરાંત પહેલીવાર નર્મદ ગદ્ય આપ્યું, પહેલીવાર નિબંધો આપ્યા પહેલીવાર ઇતિહાસની દૃષ્ટિએ કવિઓના જીવનની સામગ્રી એકઠી કરી, પહેલીવાર જગતનો ઇતિહાસ લખ્યો, પહેલીવાર જગતના અન્ય સાહિત્યનો સાર આપ્યો, પહેલીવાર કોશ રચ્યો ને બરાબર એ જ રીતે પહેલીવાર મારી હકીકતને નામે આત્મકથા આપી. આત્મભાન વગર અજ્ઞાનમાં સબડતી પ્રજાની વચ્ચે પહેલીવાર આત્મસભાનતા સાથેની આત્મકથા લાવનાર નર્મદે એના શીર્ષકમાં પહેલા ‘મારી’ પર ભાર મૂક્યો અને પછી ‘હકીકત’ પર ભાર મૂક્યો. નર્મદની આત્મકથા સત્ય અને નિખાલસતાની નમૂનેદાર સાહિત્યકૃતિ છે. નર્મદની આ આત્મકથા ‘મારી હકીકત'ને નાટકરૂપે રજૂ કરવા માટે અમેરિકાના ઓહાયો રાજ્યના ડેયટનના ‘ધ ઇન્ડિયા ફાઉન્ડેશને’ સાહસ કર્યું છે અને હરીશ ત્રિવેદીના લેખન તેમજ દિગ્દર્શન હેઠળ ચન્દ્રકાન્ત શાહે એને નર્મદની ભૂમિકામાં રજૂ કર્યું છે. એના અનેક શૉ થયા છે અને હજી થવાના છે. અમેરિકાથી એમને નિમંત્રણ આપી ખાસ બોલાવવામાં આવ્યા છે. અલબત્ત, નર્મદની ‘મારી હકીકત’ને પોણા બે કલાક સુધી એકધારી અનેક દૃશ્યોમાં નર્મદના શબ્દોમાં રજૂ કરવી એ અનેક રીતે કસોટી માગે એવો પ્રયોગ છે. કેટલાંક દૃશ્યોમાં એ પ્રભાવક પણ બન્યો છે. ક્યાંક નર્મદની કવિતાનું નટ ચન્દ્રકાન્ત શાહે કરેલું પઠન દાદ માંગી લે તેવું બન્યું છે, છતાં એકંદરે આ પ્રયોગ આપણી પહેલી આત્મકથાને ન્યાય આપી શક્યો નથી.. ‘જય જય ગરવી ગુજરાત’ના ગીત સાથે પ્રારંભમાં રંગમંચ પર પડદા પર પડતા ગુજરાતનાં દૃશ્યો અત્યંત નબળાં છે. આઇમેક્સના પેનોરેમિક અને ગ્લોબલ સ્ક્રીનના પ્રદેશ અમેરિકાથી આવેલા આ મિત્રો આટલા કંગાલ પરિણામને કેવી રીતે સ્વીકારી શક્યા હશે એ જ સમજાતું નથી. આખા નાટક દરમ્યાન રંગમંચ પરના પડદાની અને પડદા પર ઊપસતાં દશ્યોની હાજરી નિરર્થક અને નિરુપયોગી છે. બલ્કે એમ કહેવું જોઈએ કે ઉપદ્રવી છે. ક્યારેક ક્યારેક તો નટના પ્રભાવને હાનિ પહોંચાડનારી છે. નાટકનું સંગીત અંગ અત્યંત ઘોંઘાટિયું અને ત્રૂટક છે નટની વાણી અને ગીત કે સંગીત વચ્ચે પૂરું સંયોજન પણ સધાતુ નથી. નર્મદના મૃત્યુ વખતે સંસ્કૃત શ્લોકો લાવવાને બદલે ‘નવ કરશો કોઈ શોક રસિકડા’ જેવી નર્મદની જાણીતી રચના રજૂ થઈ હોત તો પ્રસંગ વધુ અસરકારક બની શક્યો હોત. પ્રસંગોપાત વધુ પડતો ગદ્ગદ્ થઈ જતો નટનો અવાજ નાટકી બની જાય છે. એકવિધતા તોડવા માટે વારંવાર વાઘા બદલવાની નટને સોંપાયેલી ક્રિયા હાસ્યાસ્પદ બની છે. સમગ્રતયા આખું નાટક વધુ ચુસ્ત દિગ્દર્શન માંગે છે, ઘણી વધુ સફાઈ માગે છે. દુર્ગારામ મહેતાની આત્મવીતક થોડીક ડાયરીરૂપે મળે છે પણ સળંગ નથી એને બાદ કરતાં નર્મદની ‘મારી હકીકત' એ ગુજરાતી સાહિત્યની પહેલી વ્યવસ્થિત રીતે લખાયેલી આત્મકથા છે. બનેલી હકીકતો આવવી જોઈએ અને જે હકીકતો આવે તે લખનારના જીવનમાં બનેલી હોવાથી કોઈ ચોક્કસ દૃષ્ટિથી લખાઈને આવવી જોઈએ, આ બંને વાત નર્મદની આત્મકથામાં પૂરેપૂરી જળવાયેલી છે. નર્મદે ‘મારી હકીકત'ની બે પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રકાશિત કરવાની નેમ રાખેલી આને કારણે નર્મદના જન્મશતાબ્દીના વર્ષમાં આ આત્મકથા છેક ૧૯૩૩માં પુસ્તકરૂપે મળે છે. એમાં ૧૮૩૩થી૧૮૬૬ સુધીનું જ નર્મદે પોતાનું ચરિત્ર આલેખ્યું છે. નર્મદે પોતાની કેળવણીની, પોતાની કવિ તરીકે ઊગતી કારકિર્દીની, પોતાના વ્યક્તિત્વની, પોતાની વિશેષતા અને મર્યાદાઓની વાત કરી છે, પણ સાથે સાથે એમાં સમાજની અને એની આસપાસના લોકોની, એના અન્ય સાથેના સંબંધોની પણ વાત કરી છે. ‘મારી હકીકત' એક બાજુ નર્મદની નિખાલસ જીવનકથા છે તો બીજી બાજુ એના સમયની પ્રજાના આચારવિચાર અને વ્યવહારને રજૂ કરતી પૂરેપૂરી દસ્તાવેજી સમાજકથા પણ છે. પોતાની ચલિત વૃત્તિઓને સ્થિર કરવા માટે જૂની પ્રણાલિથી શરૂ થયેલી નર્મદની કાવ્યપ્રવૃત્તિ જે રીતે છંદો શીખીને ગંભીરતા તરફ વળે છે તેમજ શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપી ઘેર આવી કલમના સામુ જોઈ આંખમાં ઝળઝળિયા સાથે જે રીતે અરજ કરે છે કે, ‘હવે હું તારે ખોળે છઉં’ એ પ્રસંગો જોવા જેવા છે. વળી જાતિભેદ, વિધવા વિવાહ, મૂર્તિપૂજા વગેરેના સુધારા સંબંધી નર્મદના બંધાતા આવતા વિચારો તેમજ ઉદ્યોગ કરવામાં, સંપ રાખવામાં, ભાષણ ક૨વામાં, નિબંધો વાંચવામાં, ગ્રંથો લખવમાં અને દેશનું ભલું કરવામાં પરોવાતો આવતો એનો જીવ આત્મકથાને ગતિ આપે છે. નર્મદ સુધારાની દાંડી પીટવા અને સત્યને ઉઘાડું પાડવા ‘ડાંડિયો’ સામયિક શરૂ કરેલું. એની આત્મકથા પણ એના ‘ડાંડિયા’ની જેમ સત્યની બાબતમાં ભાગ્યે જ ઊણી ઊતરે છે. ગાંધીજી પહેલાં કોઈ માણસે પોતાની જાતને આટલી નિખાલસતાથી સમાજ સામે મૂકી હોય એવો આ એકમાત્ર પ્રસંગ છે, અને જે રીતે મૂકાયેલી છે એમાં એક સ્વાદ છે. ગુજરાતી ગદ્યની પહેલીવાર અનેક છટાઓ બતાવતી ‘મારી હકીકત'નું ગુજરાતી સાહિત્યમાં નોખું મૂલ્ય છે.