રણજિતરામ ગદ્યસંચય – ૨/નાની વાર્તા
યુરોપમાં નવલકથા, ટૂંકી નવલકથા અને નાની વાર્તા એવા કથાસાહિત્યના ભેદપ્રભેદ છે. આપણે ત્યાં એવા ભેદ લેખાયા નથી છતાં પાશ્ચાત્ય સાહિત્યની છાયામાં વિચરતાં આપણા સાહિત્યમાં એ ભેદપ્રભેદનાં દૃષ્ટાંત મળી આવે છે. પશ્ચિમમાં ભેદપ્રભેદનો જે ઇતિહાસ છે તે આપણે ત્યાં નથી બન્યો. અનુકરણમાં જ આપણું સર્વ કાર્ય સમાપ્ત થતું હોવાથી ક્રમશ: વિકાસની આશા કેવી? નવલકથામાં અનેક પાત્રો, વિવિધ પ્રસંગ હોય છે. પાત્રોના સ્વભાવ અને પ્રસંગની યોગ્યાયોગ્યતાથી કથાનું વસ્તુ રૂપાંતર પામતું ઘડાય છે. સ્વભાવ પ્રસંગને રંગે છે યા પ્રસંગથી સ્વભાવનું સ્વરૂપ ખીલી નીકળે છે. દરેક અંગ અંકોડાબંધ સંકળાયેલું હોવાથી અટપટી ફૂલગૂંથણી ગૂંથાય છે. વાર્તાના બયાનથી, પાત્રોના સ્વભાવના આલેખનથી, પ્રસંગ કુદરત આદિના વર્ણનથી નવલકથા રમ્ય ચિત્ર ખડું કરી શકે છે. વિશાળ કલાવિધાન, અપૂર્વ કૌશલ, ઊંચો કસબ, અદ્વિતીય અભ્યાસ આદિ નવલકથાના સ્વરૂપ, ઘટના, શૈલી વગેરેમાં વિવિધતા અને સુરમ્યતા ઊપજાવી શકે છે. સરસ્વતીચંદ્ર, વીસમી સદી, મુકુલમર્દન, વિષવૃક્ષ, ક્રષ્ણલાલનું વીલ, આદિ નવલકથા ઉક્ત ચર્ચાની ઝાંખી કરાવશે. ટૂંકી નવલકથા નવલકથાથી ફક્ત ટૂંકી જ હોય છે. બીજી રીતે કાંઈ ફેર નથી હોતો. પાત્રોની સંખ્યા થોડી, પ્રસંગ ઓછા, બયાન ટૂંકું કરવાથી નવલકથાનો આ ભેદ થાય છે. ચંદા, સેલિના, હિમાની વગેરે કથાઓ આ વર્ગની છે. હૃદયવિકાસ, પ્રેમકથા, સ્નેહકુટિર, પ્રેમતરંગ, આદિ વિદેહ નારાયણ હેમચંદ્રની કૃતિમાં ટૂંકી નવલકથા અનેક છે. સ્વાર્પણ, અવિચલતા, અપ્રતિમતા, ગાંભીર્ય, વિશાળતા, આદિ પ્રેમનાં સ્વરૂપો આ કથાઓમાં સૂક્ષ્મ કલાવિધાનથી આલેખવામાં આવ્યાં છે. પ્રસંગ અને પાત્રો રમ્ય, મનોહર અને સુંદર ઊપજાવી શકાયાં છે. મનોવૃત્તિ, આવેશ તેમ જ માનવીના ઉદાત્ત અનુદાત્ત ગુણોના વ્યાપારનું પૃથક્કરણ, પ્રસંગના ઓજસ કે ગાંભીર્યના આલેખન વિવિધતાથી શક્તિપૂર્વક થયાં છે. આ સઘળી કથા બંગ દેશથી આપણા દેશે આવી છે. ટૂંકી નવલકથા ફ્રાંસમાં સારી, ઊંચા પ્રકારની લખાય છે. ત્યાં બયાન, વસ્તુ કે પ્રસંગ ઉપર વિશેષ લક્ષ ન આપતાં મનુષ્યની મનોવૃત્તિના વ્યાપારનું પૃથક્કરણ કરવામાં કલાવિધાન વપરાય છે. ઇંગ્લેન્ડમાં પ્રસંગ ઉપર વિશેષ કલાવિધાનનો ઉપયોગ કરાય છે. આ બે રીતિનો સંમિલિત(એકઠો) ઉપયોગ આપણા બંગાળી ભાઈઓએ કર્યો છે. [1] ઇંગ્લૅંડ અને ફ્રાન્સની શક્તિ સાથે યોજી આપણા દેશકાળને અનુસરતાં રૂપાંતર કરી ભારતવર્ષની સાહિત્ય પ્રવૃત્તિમાં નવું જ જોશ રેડ્યું છે. બંગાળીઓનો પ્રયાસ બંગાળમાં જ વધાવાયો છે એટલું જ નહિ પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિયા અને હિંદુસ્તાનમાં પણ પ્રશંસા મેળવી શક્યો છે. ‘નાની વાર્તા’ ના સ્વરૂપ વિશે હજુ પશ્ચિમમાં ઘણા મતભેદ છે. એક અમેરિકન પ્રોફેસરના મત પ્રમાણે[2] એક જ પાત્ર, એક જ બનાવ, એક જ મનોવેગ કે એક જ પ્રસંગને લીધે ઊપજતી આવેશપરંપરા જે કથામાં આલેખાયાં હોય તેને ‘નાની વાર્તા‘ કહી શકાય. વાર્તાનું સ્વરૂપ સુંદર અને મનોહર હોવા ખાતર પ્રમાણની આવશ્યકતા છે. વાર્તાનાં અંગ સુઘટિત અને સુસંબદ્ધ હોવાં જોઈએ. સૌંદર્યના હરેક અંશથી વાર્તા અંકિત હોવી જોઈએ. રસ એવો જામવો જોઈએ કે કોઈપણ પ્રકારે ક્ષતિ નહિ ઊપજે. રસક્ષતિનો દોષ ટાળવા માટે સાવચેતી લેવી જોઈએ. નવલકથા વિવિધ છાપ પાડે છે પણ આમાં તો એક જ છાપ પડવી જોઈએ – છાપ એક જ છે એવો સચોટ અનુભવ થવો જોઈએ. ઇંગ્લેન્ડના સુપ્રસિદ્ધ સાહિત્ય – સાપ્તાહિક ‘ઍકેડેમી’ના એક લેખકના મત મુજબ ‘નાની વાર્તા’ અને નવલકથામાં મૂળ તત્ત્વે કંઈ ફેર નથી. નવલકથાનું નાનું, સાદું, સરળ અને ઓછા મહત્ત્વનું રૂપ નાની વાર્તા છે. સ્વરૂપ નાનું હોવાથી એમાં એક જ પાત્ર, એક જ પ્રસંગ આવે છે. નવલકથામાં પ્રસંગ અને પાત્રોની અટપટી ફૂલગૂંથણી હોય છે. ‘નાની વાર્તા’ માં પ્રસંગ અને પાત્ર એક જ હોય છે. આવો ફેર ઘણે સ્થળે દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તે ફેર વાસ્તવિક નથી. ફ્રાન્સ અને રશિયાની ઘણી નાની વાતોમાં પ્રસંગ અને પાત્ર અનેક હોય છે. છતાં તેમની ગણના નવલકથામાં ન થતાં ‘નાની વાર્તા’માં થાય છે. તેમનાં સ્વરૂપ અને વ્યવસ્થા ટૂંકાણમાં, સાદી અને સરળ રીતે ઘડવામાં આવ્યાં હોવાથી ઉક્ત ગણનાને પાત્ર તે વાર્તાઓ થઈ છે. ગુજરાતી સાહિત્યમાં નાની વાર્તા થોડી જ સ્વતંત્ર લખાયેલી છે; બંગાળી અને ઇંગ્લિશ સાહિત્યમાંથી ભાષાંતર કરી આણેલી ઘણી છે. પ્રો. મેથ્યુઝના મતને અનુમોદતી નાની વાર્તા ભાગ્યે જ આપણા સાહિત્યમાંથી મળી આવે. પ્રોફેસર સાહેબના વાર્તાના સ્વરૂપ અને સૌંદર્ય પરના વિચારોની સાક્ષી આપણી નાની વાર્તાઓ પૂરશે. ‘ઍકેડેમી’ના લેખકના વિચારનું અનુસરણ એ વાર્તાઓમાં દૃષ્ટિગોચર થયા વિના નથી રહેતું. ‘રસ્તો’[3] માં પાત્ર એક છે છતાં બનાવો અને તેથી ઊપજતી આવેશ-પરંપરા અનેક છે. બની ગયેલા બનાવોના સ્મરણથી એ પરંપરા ઊપજી છે. ચિત્ર નિઃસંશય સુંદર અને મનોગમ છે. છતાં પ્રો. મેથ્યુઝના મતે એ નાની વાર્તામાં નહિ ગણી શકાય, તોપણ એ નાની વાર્તા જ છે. ‘પોસ્ટ માસ્તર’માં પાત્રો બે છે, પ્રસંગ પણ વધારે છે છતાં એને આપણે નવલકથા કે ટૂંકી નવલકથા કહીશું નહિ, એ તો નાની વાર્તા જ કહેવાય. પ્રાચીન સંસ્થા, રીતરિવાજ, ઇતિહાસ આદિની સમજ પડે અને એ વિષયો લોકપ્રિય થાય માટે નાની વાર્તા દ્વારા એ વિષયોનું જ્ઞાન આપવાનો ઉપક્રમ બંગાળમાં થયો છે. ‘વિનોદિની’ માં પ્રગટ થયેલ ‘મણિમાળા’ની કથા અને આ પત્રમાં પ્રસિદ્ધ થયેલ ‘યુદ્ધની ભેટ અથવા લજ્જાવતી’ નામની વાર્તામાં આ જ ઉદ્દેશ જણાય છે. બૌદ્ધના મઠમાં ગળાતી જિંદગીનું બયાન આપવા ‘મણિમાળા’ લખાઈ છે. એક સિક્કા પરથી એમ જણાયું કે હૈહય કુમારી લજ્જા પાલકુળના વિગ્રહપાળને વરી હતી. આ વાત લોકો જાણે એટલા સારુ ‘યુદ્ધની ભેટ અથવા લજ્જાવતી’ની વાર્તા જોડવામાં આવી છે. આ બે દૃષ્ટાંત પરથી નાની વાર્તાનો ઉપયોગ કેવો સારો થઈ શકે તેની પ્રતીતિ થશે. સાહિત્યનું એ સ્વરૂપ કેટલું મહત્ત્વનું અને ઉપયોગી છે તે પણ સમજાશે. પ્રો. મેથ્યુઝનો સંપ્રદાય આપણા દેશમાં પણ નથી. ‘ઍકેડેમી’ના અભિપ્રાય સાથે આપણા લેખકો મળતા હોય એમ જણાય છે. મહાન લેખકોની પ્રતિભામાંથી ઉદ્ભવેલા સાહિત્યના અંગોના સ્વરૂપની ચર્ચા વિવેચકો કરે છે અને તેમણે શોધી કાઢેલા નિયમો પ્રમાણે ચાલવા બીજા લેખકોને ફરજ પાડે છે. પ્રસિદ્ધ અને પ્રતિભાશાળી લેખકો નિયમાનુસાર વર્તતા નથી. મહાન લેખકોની કૃતિના અનુકરણથી અથવા સ્વયંભૂ જ તેમની કૃતિ જન્મ પામે છે. ફ્રાન્સ અને રશિયાના અગ્રગણ્ય નાની વાર્તાકારોના અનુકરણથી લખાયેલી વાતોમાં પ્રો. મેથ્યુઝે તારવી કાઢેલા નિયમો ન મળે એ સ્વાભાવિક છે. નવલકથાનું સાદું, સરળ અને ટૂંકું રૂપ ‘નાની વાર્તા’ છે એવી આપણા લેખકોની પ્રતીતિ જણાય છે. સૌંદર્ય અને રસનિષ્પત્તિ સંબંધે પ્રો. મેથ્યુઝે જે ચર્ચા કરી છે તે તેમને માન્ય હોય તે જણાય છે. રા. રસિકની ‘પણ પેલી સજા’ નામની નાની વાર્તા આ પત્ર(‘સાહિત્ય’)માં છપાઈ હતી તેને વાંચતા હમણાં જ કરેલી ચર્ચાની વાસ્તવિકતા સમજાશે. ‘નાની વાર્તા’માં મનુષ્યના દેવાંશી, માનુષી અને આસુરી ગુણો પૃથક્ લઈ તેમના વ્યાપારનું અચ્છું દર્શન કરાવી શકાય છે. ‘માલતી’માં અદેખાઈ અને સ્વાર્પણ–એ બે વૃત્તિઓનો વ્યાપાર કેવો સરસ આલેખાયો છે? નાની વાર્તામાં એક પાત્ર લઈ જુદા જુદા પ્રસંગને લઈ, જુદા જુદા માણસના સહવાસમાં આવવાથી જે જે મનોવૃત્તિઓ ઊપજે છે તેનું કૌશલ્યપૂર્ણ ચિત્ર આપી શકાય છે. મનોવૃત્તિના તરફ ઊર્મિ કે વેણી પણ યથાસ્થિતિ આંકી શકાય છે—તેમનું મૂર્ત સ્વરૂપ ખડું કરી શકાય છે. ‘મોહિની’માં પરિતાપથી રિબાતી, અકળાતી, મોહિની નજરે પડે છે. પરિતાપનાં કારણ અને સ્વરૂપની રેખા બતાવી આત્મકથામાં ઊતરી પડે છે. કરુણની અસર ગાઢી જમાવવા, તેમ જ કંટાળો ન ઊપજે માટે ઘરસંસારની ઝીણી બારીક હકીકત દાખલ કરવામાં આવી છે. એક જ પ્રકારના પ્રસંગની પરંપરાથી વાંચનાર રસબસ થઈ ધરાઈ જાય અને આગળ તેને વધવા મન ન થાય તો રસ પૂરો જામે નહિ. કૌશલ અને કસબમાં ખામી હોવાથી આમ બને છે. આ ખામી દૂર કરવા સાધારણ વાતોનાં વર્ણન દાખલ કરવામાં આવે છે અથવા ધરાવા નહિ દેતાં તૃપ્તિ કાયમ રાખે એવા રસનો જમાવ કરવામાં આવે છે. ‘વિષવૃક્ષ’ના કરુણાત્મક પ્રસંગો, નગેન્દ્રની બહેન અને ભાણેજના હસમુખા, આનંદી, ટોળી અને મજાકખોર સ્વભાવથી રંગાયા છે. આથી ઉપર વર્ણવેલી ખામી દૂર થઈ છે અને અંત સુધી ચાલ્યા જવાની વાચકની તૃપ્તિ સતેજ રહે છે. આવી જ પદ્ધતિનો અંગીકાર ‘મોહિની’માં થયો છે. માનવીની મનોવૃત્તિને નિર્દયતાથી એમાં ચીરવામાં નથી આવી. સાનુકંપતા, સહૃદયતા સર્વ લીટીઓમાં ઓતપ્રોત મનોવૃત્તિના વ્યાપારના સૂક્ષ્મ પૃથક્કરણથી આપણાં મગજ ભમાવી નાખવામાં નથી આવતાં. આવું છતાં પાછલી હકીકત સ્મરી, વર્ણવી, ત્યારે બનેલા અમુક પ્રસંગથી ઊપજતા પરિતાપના ઊભરા કાઢી રસપૂર્ણ, સુરમ્ય વાર્તા ઘડી કાઢવામાં આવી છે. વિદેહ નારાયણ હેમચંદ્રે પ્રસિદ્ધ કરેલા વાર્તાનાં પુસ્તકોમાં આવી ઘણી વાર્તાઓ છે તે સર્વની સમાલોચના કરતાં નિરર્થક લંબાણ થઈ જાય. આપણે ઘણી વેળા એવી ફરિયાદ સાંભળીએ છીએ કે નવલકથા લખવાને ઉપયોગમાં આવે એવા પ્રસંગો આપણે ત્યાં ઘણા જ થોડા બને છે. અને તેથી નવલકથાનું સાહિત્ય બહોળી રીતે ખેડી નથી શકાતું. સાંસારિક વિષયોમાં આપણે એવા જકડાયેલા છીએ કે કોઈ પ્રસિદ્ધ લેખકે અમુક અમુક પ્રસંગોનું વર્ણન કર્યું કે પછી બીજાઓને માટે નવા વધારાના પ્રસંગ રહેતા જ નથી. પછી સર્વ લખનારાઓમાં પેલા પ્રસિદ્ધ લેખકની સ્પષ્ટ અને સબળ અસર થયા વિના રહેતી નથી. ‘સરસ્વતીચંદ્ર’ની અસર કેટલી બધી નવલકથા પર થઈ છે? આપણાં સાંસારિક નાટકો કેટલે બધે અંશે સરખાં હોય છે? સાંસારિક વિષયોમાં બહુ સત્વ ન હોવાથી એ વિષયો લઈ રચાયેલાં નાટકો લોકપ્રિય થઈ શક્યાં નથી. ઐતિહાસિક નાટકની જેટલી ફતેહ થઈ છે તેટલી સાંસારિક નાટકોની થઈ છે? આવો બૂમાટો કેટલેક સ્થળેથી ઊઠે છે. એ બૂમાટામાં કંઈક સત્ય છે. સ્વયંભૂ અને સ્વતંત્ર કૃતિ ઉપજાવવાની શક્તિના અભાવે અનુકરણમાં તત્પરતા હોય એ સહજ છે. તે ઉપરાંત પ્રસાદી યુગાધીશ લેખકની પ્રબળ અસર તેના યુગ પર થયા વિના ન રહે એ પણ સહજ છે. ‘સરસ્વતીચંદ્ર’ની અસર થવાનું કારણ આથી ઉકેલાશે. સંસારના પ્રસંગો ઘણા જ થોડા હોવાથી એ વિષય પરત્વે રચાયેલાં નાટકો ને નવલકથાઓમાં પુનરુક્તિ થાય અને ભવિષ્યમાં એ વિષય તરફ ગતિ ન કરી શકાય એમ બનવું પણ સ્વાભાવિક છે. આટલું છતાં ઉપરની ફરિયાદ પોલી છે. પ્રસંગને ઘણું મહત્ત્વ આપવાથી એ ફરિયાદ ઊઠી શકી છે. પાત્રાલેખન, વસ્તુગૂંફન, મનોવૃત્તિના વિવિધ વ્યાપારનું સૂક્ષ્મ અવલોકન કરવાની અશક્તિ હોવાથી ખોટી પોકળ બૂમ ઉઠાવવામાં આવી છે. માનવસ્વભાવના તડકાછાયા બરાબર ઉકેલી, મૂર્ત કરવામાં કૌશલ વપરાય તો નિઃસંશય ગુજરાતમાં નવલકથાનું સાહિત્ય બહોળું અને વિસ્તીર્ણ થાય, તેમાં ગાંભીર્ય અને ઉદાત્તતા આવે. પ્રસંગ ખૂટવાની [4] બૂમ પણ પોકળ છે. દેશના રીતરિવાજ, સંસ્થાઓ આદિનું જેને જ્ઞાન છે તે લેખક તેમાંથી અનેક પ્રસંગ ઊપજાવી શકે. આ ઉપરાંત આફ્રિકામાં જઈ વસતા આપણા સ્વદેશીઓની થતી હાડમારીના પ્રસંગ પર અનેક પ્રકરણો ઊભાં કરી શકાય એમ હોવા છતાં કેટલાક આળસુ, અધકચરા લેખકો બૂમાટો ઉઠાવ્યા કરે છે. આ સર્વ પ્રસંગો અને દેશમાં વસતી વિવિધ પ્રજાઓની મનોવૃત્તિઓ યથાર્થ ઓળખવા સારુ ‘નાની વાર્તા’ જેવું એકે સાધન નથી. નવલકથાની અટપટી ગૂંથણી કરવા આ સાધનો કદાચ અપૂર્ણ લાગે પરંતુ ‘નાની વાર્તા’માં તેમનો ઉપયોગ યથેચ્છ અને સંતોષપ્રદ થઈ શકે. બંગાળી, ફ્રેન્ચ, રશિયન, અને ઇંગ્લિશ નમૂનાનો ઉપયોગ કરી શકાય એમ છે. તે નમૂનાના અભ્યાસથી નવા નમૂના બનાવી શકાય એમ છે ત્યારે આવાં સરસ સાધનોનો ઉપયોગ શા માટે ન કરવો?