રણ તો રેશમ રેશમ/તૈમૂરનો અંતિમ વિસામો : સમરકંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૧૪) તૈમૂરનો અંતિમ વિસામો : સમરકંદ

બહારથી જોતાં એ ભવન ભવ્ય નહોતું. અન્ય ઉઝબેક સ્થાપત્યોની સરખામણીમાં એને થોડુંક જર્જરિત પણ કહી શકાય. મકાનના પરિસરમાં દાખલ થતાં જ એક નાનકડું ફળિયું હતું, જેમાં જમણી તરફ એક વિશાળકાય ઘડા જેવું પથ્થરનું પાત્ર જમીન સાથે જડેલું દેખાયું તથા એની બાજુમાં મજાર જેવો દેખાતો ઓટલો અમે જોયો. ઓટલાની આગળની ધાર પાસે એક મોટું બાકોરું કોતરેલું હતું. જરાક આશ્ચર્ય થાય તેવી રચના હતી! અમારી ગાઇડ નિકી શબનમે કહ્યું : ‘આ ઓટલે તૈમૂર પોતાના વિશ્વાસુ સરદારો સાથે બેસતો. રોજ સવારે આ પાષાણના પાત્રમાં દાડમનો રસ છલોછલ ભરવામાં આવતો. તૈમૂર માનતો કે અનારનો રસ પીવાથી યોદ્ધાઓમાં શૌર્ય વધે છે, માટે દરરોજ સવારે દરેક સૈનિકે ફરજિયાત આ પાત્રમાંથી દાડમનો રસ પીવો પડતો’ અને પેલું કાણું?..અમારા વિસ્મયનો જવાબ પણ નિકી પાસે હતો. ‘તમે સૌ જાણો જ છો કે ઈજા થવાને કારણે તૈમૂરનો એક પગ થોડો ટૂંકો થઈ ગયો હતો. તૈમૂર જ્યારે આ ઓટલા પર ઊભો રહી લોકોને સંબોધતો, ત્યારે પોતાની શારીરિક ખામી છુપાવવા લાંબો પગ આ કાણામાં રાખીને ઊભો રહેતો કે જેથી સામેથી જોનારને એની ખોડનો ખ્યાલ ન આવે.’ આ ભવન તૈમૂરનું અંતિમ વિશ્રામસ્થાન હતું. આમ તો આખાય ઉઝબેકિસ્તાનમાં તૈમૂરનો પ્રભાવ વર્તાય. તાશ્કંદમાં એનો દબદબો જોયેલો, પણ સમરકંદ તો તેનો સર્વાધિક પ્રિય મુકામ. તૈમૂરનો જન્મ અહીંથી પચાસેક માઈલ દૂરના ‘શહરીસબ્ઝ’ નામના એક ગામડામાં થયો તથા એનું બાળપણ ત્યાં જ વીત્યું. આ વિસ્તારમાંથી જ એના મનમાં રાજ્યલાલસા જાગી. અહીંથી જ એણે વિશ્વવિજયનું સ્વપ્ન જોયું. અહીં જ પોતાનું રાજ્ય સ્થાપ્યું. અંતે અહીં જ તે ચિરનિદ્રામાં પોઢ્યો. કહેવાય છે એક વાર તૈમૂર વિવિધ પ્રદેશો સર કરીને બહોળા વિસ્તાર પર વિજયપતાકા ફરકાવતો આગળ વધી રહ્યો હતો. એનું લક્ષ્ય હતું વતનથી ૩૦૦૦ માઈલ દૂર વસેલું ચીનનું મિંગ સામ્રાજ્ય. ત્યારે તેની ઉંમર સિત્તેરેકની હશે. નીકળ્યો ત્યારે જ એને શરદી તો હતી જ. ભયાનક શિયાળાનો સમય હતો. ચોમેર બરફનું સામ્રાજ્ય વ્યાપેલું હતું. નદીઓ અને પર્વત, મેદાનો અને તળાવો, બધું જ બરફાચ્છાદિત હતું. રસ્તે જ એ અત્યંત ગંભીર બીમારીમાં પટકાયો. તાવમાં શરીર તરફડવા લાગ્યું. તાવ ઊતરતો જ નહોતો. રાજવૈદ્યોનો કોઈ ઉપાય કામ ન આવ્યો. જ્યારે સૌએ માન્યું કે, અહીં જ એનું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે સ્વજનો અને વિશ્વાસુઓ એની આસપાસ એકઠાં થયાં. ક્ષીણ અવાજે તૈમૂરે તે સૌને આખરી સંબોધન કર્યું : ‘મારા મૃત્યુ પછી રડશો નહીં. વિષાદમાં દોડીને કે પોતાનાં કપડાં ફાડી નાખીને શોક પ્રદર્શિત કરશો નહીં. શાંતિ રાખજો અને મનમાં પ્રાર્થના કરજો.’ આમ તો એણે પોતાના મૃત્યુ પહેલાં જ પોતાના જન્મસ્થાને પોતાની મજારનું નાનકડું મકાન બનાવડાવી રાખેલું, પણ એ શિયાળે શહરીસબ્ઝના રસ્તા ઉપરના ઘાટ પર એટલો તો બરફ હતો કે, ત્યાં પહોંચવું શક્ય નહોતું, એટલે એને અહીં તેના સર્વાધિક પ્રિય શહેર સમરકંદમાં જ્યાં એના ગુરુને દફનાવવામાં આવ્યા હતા તે જ મજારના ઘુમ્મટ નીચે દફનાવવામાં આવ્યો. આ જગ્યાને ‘ગુર આમિર’ અર્થાત્ આમિરની મજાર એવું નામ આપવામાં આવ્યું. સમયાંતરે એના પૌત્ર ઉલુબબેગે આ સ્થળનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઉલુબબેગના મૃત્યુ પછી એને પણ અહીં જ દફનાવાયો. આમ આ સ્થળ ટિમૂર ખાનદાનું કૌટુંબિક અંતિમ આશ્રયસ્થાન બન્યું. આજે પણ એના ઘુંમટ નીચે તૈમૂર, એના પુત્રો, પૌત્રો તથા એના ગુરુની કબરો જોઈ શકાય છે. એ ખંડની અંદરની દીવાલો પર સોને રસેલા રંગોથી અદ્ભુત ચિત્રકામ કરવામાં આવેલું જોઈ શકાય છે. તૈમૂરની મજાર પર એક તૂટેલો પથ્થર અમે જોયો. કહે છે કે તૈમૂરના શબને જ્યારે અહીં લાવવામાં આવ્યું, ત્યારે એના કૉફિન પર એક છ ફૂટનો કીમતી પથ્થર જડવામાં આવેલો હતો. આ પથ્થરને બે વખત કફન પરથી હટાવવામાં આવ્યો અને બંને વખત અજુગતી ઘટનાઓ બની. તૈમૂરના કફન પર એક વાક્ય કોતરાવવામાં આવેલું હતું : ‘જ્યારે હું મૃત્યુમાંથી બેઠો થઈશ, ત્યારે ધરતી ધ્રૂજશે!’ પહેલી વાર નાદિરશાહે તૈમૂર સાથે માનસિક હરીફાઈમાં એ પથ્થર કફન પરથી દૂર કરવા પ્રયત્ન કર્યો ને એ પથ્થરના બે ટુકડા થઈ ગયા. નાદિરશાહના સલાહકારોએ એને સમજાવ્યો કે, કુદરતનો કોપ નિવારવા પથ્થરને અદબપૂર્વક પાછો ગોઠવવો જોઈએ. તૈમૂર એવો બળિયો હતો કે એ મૃત્યુ પામ્યો એ વાત માનવી પણ મુશ્કેલ હતી. રશિયનોને શંકા હતી કે એ કબરમાં તૈમૂરનું જ શબ હતું કે કોઈ ભળતી વ્યક્તિનું શબ અહીં દાટીને એ સમયે છેતરપિંડી કરવામાં આવી હતી? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે છેક હમણાં ૧૯૪૧માં એ પથ્થરને ફરી હટાવવામાં આવ્યો. સોવિયત પુરાતત્ત્વવિદોએ એની કબર ફરીથી ખોલી અને તૈમૂરના કંકાલનો અભ્યાસ કર્યો. એ લોકોએ તૈમૂરના હાડપિંજર પરથી એના ચહેરાનો તથા આખા શરીરનો નકશો તૈયાર કર્યો અને જાહેર કર્યું કે, હા, એ કંકાલ તૈમૂરનું જ છે! તૈમૂરની કબર ખોલવામાં આવી. તેના બે દિવસ પછી જ જર્મન નાઝીઓએ સોવિયત યુનિયન પર હુમલાનું ઑપરેશન લૉન્ચ કર્યું અને અભ્યાસ પૂરો થતાં ૧૯૪૨માં તૈમૂરના શબને જ્યારે વિધિપૂર્વક પાછું દફનાવવામાં આવ્યું, બરાબર ત્યારે સોવિયતો લેનિનગ્રાદનું યુદ્ધ જીત્યા! ગુર આમિરના પરિસરમાં અમને મૈત્રીપૂર્ણ અનુભવો થયા. એક કૉલેજિયન યુવતીઓનું ટોળું અમને મળવા આવ્યું અને ઔપચારિક વાતો પછી સાથે ફોટો પડાવવા વિનંતી કરવા લાગ્યું. એ પછી એક પાંચેક બુઝર્ગ પુરુષોનું જૂથ અમને જોઈને ‘બાબૂર, બાબૂર, હિન્દુસ્તાન?’ એમ પૂછવા લાગ્યું. એટલે કે તેઓ જાણવા માગતા હતા કે, શું અમે બાબરના હિન્દુસ્તાનથી આવતા હતા? એમને પણ અમારી સાથે ફોટો પડાવવો હતો. હા, આપણી એ લોકો સાથે દૂરની સગાઈ તો ખરી જ ને? જુઓ, તૈમૂરનો પૌત્ર ઉલુબબેગ અત્યંત વિદ્વાન હતો. એ ખગોળશાસ્ત્રમાં પારંગત હતો. તેણે સમરકંદમાં એક વિશાળ મદરેસા બંધાવી. એ મદરેસામાં પોતે રાજા હોવા છતાં વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્ર ભણાવતો. તૈમૂર પછી કાળક્રમે ઉલુબબેગ સમરકંદનો બાદશાહ બન્યો. આ ઉલુબબેગનો પૌત્ર તે આપણો બાબર, જેણે ભારતમાં મોગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. જ્યારે જ્યારે અજાણી ભૂમિ પર કોઈ મૈત્રીનો હાથ લંબાવે છે, ત્યારે એ એક ક્ષણના હોવા – ન હોવાથી જીવનમાં સ્થૂળ દૃષ્ટિએ કાંઈ ફરક પડતો નથી, પરંતુ તે સમયે હૃદયને ખૂબ સારું લાગે છે અને મનમાં માણસાઈ પરની અને મનુષ્ય પ્રત્યેની શ્રદ્ધા વધુ દૃઢ થાય છે.