રણ તો રેશમ રેશમ/દંતકથા સરીખો રણદ્વીપ : બુખારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૬) દંતકથા સરીખો રણદ્વીપ : બુખારા

૨જી સપ્ટેમ્બર, ૧૯૨૦નો એ દિવસ. બુખારાના આકાશમાંથી અગનગોળા વરસવા લાગ્યા. બુખારાની નિર્દોષ પ્રજા આ બેફામ બૉમ્બવર્ષા અને ભીષણ તારાજીનું કારણ સમજી શકી નહીં. લોકોને થયું, પૃથ્વીની હયાતીનો આખરી દિવસ : ‘ડૂમ્સ ડે’ - અર્થાત્ પ્રલયનો દિવસ આવી ગયો છે. આખી દુનિયા નાશ પામશે, ત્યારે જ આ ચોમેર વરસતી અગ્નિવર્ષા અટકશે. ખરેખર તો તે દિવસે બોલ્શેવિકોએ બુખારા પર હવાઈ આક્રમણ કર્યું હતું. અગણિત લાશો અને અવર્ણનીય તારાજીમાં આ મોટા ચોગાનમાં ઊભેલું એક પ્રાચીન સ્થાપત્ય બચી ગયું હતું. એ હતો લોકપ્રિય ઉઝબેક રાજા ઇસ્માઈલ સામાનીનો મકબરો. બુખારા પર કબજો કર્યા પછી બોલ્શેવિકોએ મકબરાની ફરતેના ચોગાનમાં સેંકડો લાશોને દફનાવી, ઉપર એક બાગ ઉગાડવામાં આવ્યો. એ સ્થળને મિખાઈલ કીરોનું નામ આપાયું આમ એ સ્થળ ‘મિખાઈલ કીરો પાર્ક’ તરીકે ઓળખાવાયું. એક વંદનીય ઐતિહાસિક સ્થળને કબ્રસ્તાનમાં ફેરવી નખાયું. સન્ ૧૯૯૧માં ઉઝબેકિસ્તાન સ્વતંત્ર થયું. લોકોએ બોલ્શેવિકોની યાદ અપાવે તેવી તમામ સામગ્રીને તિલાંજલિ આપી. રશિયન નામો, રશિયનોનાં પૂતળાં, બધું ઉઝબેક પ્રજાએ ફેંકી દીધું. રશિયનોએ નામકરણ કરેલા સ્થાપત્યોના રશિયન નામો પણ તેમણે બદલી નાખ્યાં. તે દિવસથી આ ‘મિખાઈલ કીરો પાર્ક’ ફરી ઇસ્માઈલ સામાનીનો મકબરો કહેવાયો. મતલબી ઇન્સાનોની રાજ્ય લાલસાને કારણે આદિકાળથી માંડીને આજ સુધી વિશ્વભરમાં કેટકેટલા જીવો અને કેટકેટલી ઐતિહાસિક ધરોહરોનો નાશ થયો હશે! અને એ સઘળી તારાજીમાંથી બચી ગયેલું કેટલુંક જે વિશ્વભરમાં જોવા મળે છે, તે કેટલું વિસ્મયકારક અને અભિભૂત કરી મૂકે તેવું હોય છે! તે દિવસે બોલ્શેવિકોના આક્રમણમાં બચી ગયેલ તે – નવમી સદીમાં બંધાયેલ રાજા ઇસ્માઈલ સામાનીનો મકબરો – મધ્ય એશિયાનું જૂનામાં જૂનું સ્થાપત્ય મનાય છે. આ સ્થળની નજીકમાં જ ચશ્મા ઐયુબ નામનું એક મકાન છે. લોકવાયકા છે કે એક સમયે બુખારામાં પાણીની અસહ્ય તંગી સર્જાઈ. પાણી વગર પશુઓ તથા મનુષ્યોને તરફડતાં જોઈ, સંત ઐયુબના મનમાં કરુણા ઊભરાવા લાગી. તેમણે એક તીર કમાન પર ચડાવી મરુભૂમિ પર માર્યું ને તે સ્થળે સ્વચ્છ શીતળ જળની સરવાણી ફૂટી નીકળી. કાળક્રમે ભાવુક લોકોએ એ સરવાણી આસપાસ મકાન બાંધ્યું. આજે પણ ચશ્મા ઐયુબ નામના એ મકાનમાં ખળખળ વહેતું જળ જોવા મળે છે. આ પાણીને પવિત્ર તથા બીમારી મટાડનાર માનવામાં આવે છે. પ્રવાસીઓ એનું આચમન કરીને સંત ઐયુબના આશીર્વાદ મેળવે છે. પુરાણા સમયમાં રણમાં મુસાફરી કરી અહીં આવતા સૂફી સંતો–દરવેશોનો ઉતારો રહેતો. મકાનના કાતરિયા જેવા માળિયા બનાવવામા આવેલા હતા, જેના પર ઝરૂખા મૂકવામાં આવ્યા હતા. એ સમયમાં દરવેશો માળિયા પર આરામ કરતા તથા ઝરૂખામાં ઊભા રહી દર્શન આપતા અને ઉપદેશ સંભળાવતા. ઝરૂખા આજે સૂના હતા, પણ સમયનો અરવ ઉપદેશ વાતાવરણને સભર બનાવી રહ્યો હતો. આ મકાન પર સામાન્ય રીતે મુસ્લિમ સ્થાપત્યોમાં જોવા મળે છે તેવો પહોળો ગુંબજ નહોતો. એના પરનો સાંકડો શંકુ આકારનો ગુંબજ હંગેરીમાં બુડાપેસ્ટમાં જોયેલા ફિશરમૅન્સ બાસ્ટિયોનની યાદ અપાવતો હતો. પૂર્વ યુરોપની સ્થાપત્યશૈલીની મધ્ય એશિયા પર આટલી અસર. ચશ્મા ઐયુબના ઝરણા પાસે એક લાકડી પર નાનકડા ટોપકા પર ચોટલીની જેમ (ઘોડાના કે ઊંટના?) વાળ ટીંગાડેલા હતા. કહે છે કે, આ નિશાની વંશ–વારસાથી જેનું લોહી શુદ્ધ હોય, જે–તે વંશમાં પેઢી દર પેઢીથી કોઈ વર્ણસંકર ન હોય, તેવું સૂચવે છે. સંત ઐયુબનું લોહી એવું હતું, તેથી આ વાળની નિશાની મુકાયેલી છે તેવું અમારા ગાઇડે સમજાવ્યું. ચશ્મા ઐયુબના મકાનની બરાબર સામે ઇમામ અલ બુખારીનું વીસમી સદીમાં બનાવાયેલ પુસ્તક આકારનું સ્મારક હતું. અને એનાંથી જરાક આગળ જતાં જ દેખાયો રીંછના પગના આકારના બુર્જવાળો બુખારાનો ઐતિહાસિક કિલ્લો આર્ક ઑફ બુખારા. સન્ ૧૭૧૨ની વાત. બુખારાનો રાજા સુખાનકુલેખાન હજ પઢવા ગયો. એ પાછો ફરે ત્યારે એને ભેટ આપવા બેગમે એક મસ્જિદ બંધાવી. મસ્જિદનું સ્થળ બરાબર કિલ્લાની સામે મહેલમાંથી જોઈ શકાય તેવું પસંદ કરવામાં આવ્યું, જેથી રાણી એના ઉપર દૂરથી દેખરેખ રાખી શકે. તત્કાલીન ઇસ્લામિક રિવાજ મુજબ પતિ બહારગામ ગયો હોય, ત્યારે પત્નીથી બહાર નીકળાતું નહીં. કોઈ પુરુષ સંદેશો આપવા કે કોઈ અગત્યના કામે એકલી સ્ત્રી પાસે આવે, તો તેણે દવાજો ખટખટાવવાનો. જવાબમાં સ્ત્રીએ બોલવાનું નહીં, બંધ દરવાજાની અંદરથી માત્ર એક કાંકરો દરવાજા ઉપર ફેંકવાનો. જેનો અવાજ સાંભળીને બહાર ઊભેલો પુરુષ સમજી જાય કે અંદરની સ્ત્રી એને સાંભળે છે. સંદેશો બોલીને સેવકે બહારથી જ ચાલ્યા જવાનું. સુખાનકુલેખાનની રાણી વિચારશીલ હતી. મસ્જિદના પ્રવેશદ્વાર ઉપર તેણે લાકડાના પાતળા કોતરણીદાર સ્તંભો ઉપર ચાર માંડવા જેવી રચના કરાવી. દરેક મંડપની છત ઉપરના નકશીકામમાં જીવન પ્રત્યેની ફિલસૂફીના ગૂઢાર્થવાળી કારીગરી છે. એ છત દ્વારા રાણી કહેવા માગે છે કે, વરસની ચાર ઋતુઓની જેમ જીવનમાં પણ ચાર મોસમ હોય છે. વસંત, ગ્રીષ્મ, પાનખર અને શિયાળો. છત પરની નકશી તથા એના ઉપરનું રંગકામ સૂચવે છે કે જીવન વિવિધ રંગોથી ભરેલું હોય છે. પહેલી છત ઉપર લીલા રંગનું ચિત્રકામ છે. લીલો રંગ વસંત સૂચવે છે. મનુષ્યની બાલ્યાવસ્થાને અહીં વસંત સાથે સરખાવી છે. બીજી છત ઉપર લાલ, ભૂરો તથા સફેદ રંગ છે. આ રંગો ઉનાળાનું સૂચન કરે છે. પચીસેક વર્ષના ઇન્સાનને લાગે છે કે પચાસ-સાઠની ઉંમર સુધી પહોંચવાનો ગાળો ઘણો લાંબો છે. આટલા લાંબા સમયખંડમાં એ ઘણું ઘણું કરવાના સપનાં જુએ છે, પણ ખરેખર તો એ વરસો ક્યાં પસાર થઈ જાય છે, એને ખબર પણ પડતી નથી! અને જીવન ત્રીજી છત પર દર્શાવેલ પાનખરના પ્રતીક જેવા આસમાની રંગ જેવું થઈ જાય છે. આ છત પર માત્ર ભૂરો રંગ છે. અંત તરફ ધસી જતા જીવનનું આ પ્રતીક. અને છેલ્લી છત શિયાળાને સૂચવતા માત્ર સફેદ રંગની છે. કબર ઉપર છવાયેલ બરફની સફેદી! મસ્જિદમાં નમાજ પઢવા આવેલ વ્યક્તિ જીવનની વાસ્તવિકતાઓ ભૂલે નહીં, તે માટેનો રાણીનો પ્રયત્ન સરાહનીય લાગ્યો. ઉઝબેકિસ્તાનમાં રાજા રાજ્યવિસ્તાર કરવા જાય અથવા હજ પઢવા લાંબા સમય માટે દૂર જાય, ત્યારે પરત ફરતા રાજાને ભેટ આપવા રાણીઓમાં આવાં સ્થાપત્યો બંધાવવાનો રિવાજ જોવા મળ્યો. સમરકંદમાં પણ એવા મહેલો તથા મસ્જિદો અમે જોયાં. અસલના સમયમાં દર શુક્રવારે કિલ્લાથી મસ્જિદ સુધીના રસ્તા ઉપર લાલ ગાલીચો બિછાવવામાં આવતો. એના પર થઈને રાજા નમાજ પઢવા અહીં આવતો. આ સમયે રાજાના દર્શન કરવા લોકમહેરામણ ઊમડતું. રસ્તાની બંને તરફ ઊભા રહી લોકો રાજાના દર્શન કરતા. યુરોપિયન ચિતારાઓ ત્યારે અહીં ઊભા રહી રાજાની એક ઝલક આંખોમાં ભરી લેતા અને એમ મહિનાઓ સુધી દર શુક્રવારે રાજાને નિહાળી, એના આધારે ચિત્રો બનાવતા. આ રીતે સત્તરમી સદીના રાજવીઓનાં ચિત્રો આજે પણ ઉપલબ્ધ થઈ શક્યાં છે. મસ્જિદનો પરિસર સૂનો હતો. દરવેશોને રહેવાની ઓરડીઓમાં અંધારાં આરામ ફરમાવતાં હતાં. સામે દેખાતા કિલ્લામાં સમારકામ ચાલી રહ્યું હતું, જેને કારણે એ કોઈ સારવારાધિન ઓર્થોપીડિક પેશન્ટ જેવો લાગી રહ્યો હતો. હવે કોઈ ત્યાં લાલ જાજમ બિછાવતું નથી ને કોઈ રાજા અલ્લાહના દરબારમાં માથું ટેકવા હવે અહીં આવતું નથી. રાણીની બારીય સૂની છે, પણ જર્જરિત લાકડાના મંડપોની છતો પરનું ચિત્રકામ જાણે તાજું જ હોય તેવું લાગે છે, કારણ કે, એ છતો પર માનવજીવનનું સત્ય ચીતરેલું છે. બુલ્લાહાઉસ મસ્જિદની સામે જ એક લોખંડ જેવી કોઈ ધાતુના ઊંચા ઊંચા પાયા ઉપર પૃથ્વીના ગોળાના આકારની મોટી ટાંકી જેવો ઢાંચો જોઈને નવાઈ લાગી. ગાઇડે કહ્યું, ‘સન્ ૧૯૧૭માં બુખારાના છેલ્લા મીરે છેક સેન્ટ પીટ્સબર્ગથી ઇજનેરો બોલાવીને રણની વચ્ચે આ પાણીની ટાંકી બનાવડાવેલી, જેમાંથી ખેંચેલી પાઇપલાઇન સામેના આર્કના કિલ્લાને પાણી પહોંચાડે. આ એ જ ઇજનેર હતો, જેણે સેન્ટ પીટ્સબર્ગમાં સેન્ટ્રલ એશિયાનો પહેલો ટેલિવિઝન ટાવર સ્થાપ્યો. સમયાંતરે બોલ્શેવિકોનું રાજ આવ્યું. તેમણે આખાય બુખારાને આવરી લેતાં પાણી પુરવઠાનું આયોજન કર્યું, એટલે આ ટાંકી નકામી થઈ ગઈ. ઢાંચાનો સદુપયોગ કરવા એમાં એક રેસ્ટોરાં બનાવવામાં આવ્યું, પણ એક દિવસ કોઈ એના પરથી પડીને મૃત્યુ પામ્યું, ત્યારથી રેસ્ટોરાં પણ બંધ કરી દેવાયું. લોકોએ કહ્યું, આ તો આપણું ગૌરવ છે, માટે એને દૂર નથી કરવું. આમ આ પ્રદેશની પ્રગતિશીલતાના પ્રતીક સમું ધાતુનું એ અતિશય ઊંચું સ્ટ્રક્ચર આજે પણ બુખારાની મધ્યમાં ઊભેલું દેખાય છે. બુખારા ગામ નાનું છે, પણ એની મહત્તા મોટી છે. સિલ્કરૂટની વણજારોના સમયથી ચાલી આવતી બજાર હજીય ધમધમતી દેખાય છે. અહીંના પ્રવાસન વિભાગે એવી ગોઠવણ કરી છે કે, બુખારાના પુરાણા સ્થાપત્યોને જોવા હોય, તો એ બજાર સોંસરવું પસાર થવું જ પડે. આજેય ત્યાં બેસીને લુહારો કલાત્મક કાતર, સૂડી, ચપ્પુ જેવાં ઓજાર તથા તલવાર, કટારી જેવાં શસ્ત્રો ટીપે છે. કારીગરો જાતે બનાવેલ પરંપરાગત વાજિંત્રો વેચે છે. ચિનાઈ માટીનાં રમકડાં, ભૂરા રંગનું નકશીકામ કરેલાં કાચનાં પાત્રો, પથ્થરનાં આભૂષણો વગેરેની હાટ લાગેલી જોઈને સિલ્કરૂટ પર વ્યાપાર અર્થે નીકળેલી વણજારો તાદૃશ થઈ જાય છે.