રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/1

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. તેમનું વ્યક્તિત્વ

હું આપની સમક્ષ રવીન્દ્રનાથ ટાગોર વિષે બોલવા ઊભો થયો છું. જો હું કહું કે તે માટેની ક્ષમતા હું ધરાવતો નથી તો તે મારી રૂઢિગત નમ્રતા ગણાશે. પણ મારે કબૂલ કરવું જ જોઈએ કે વિદ્વત્તાનો મારો દાવો નગણ્ય છે અને હું સાહિત્યને માત્ર સાહિત્ય તરીકે માણવાની અ-વિદ્વત્તાપૂર્ણ કુટેવ ધરાવું છું. અહીં ‘સાહિત્યને માત્ર સાહિત્ય તરીકે માણવાની’ વાત બહુચર્ચિત અને જર્જરિત રૂઢિપ્રયોગના અર્થમાં નથી કરતો; હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે કોઈ પણ કાવ્ય કે વાર્તા સમજ્યા કે વિદ્વત્તાપૂર્વક સમજાવ્યા વિના હું તેને માણી શકું છું. માટે, આવી વિદ્વાનોની સભામાં આધુનિક યુગના સૌથી વધુ જટિલ અને અનિર્વચનીય કવિને વિષે બોલવું, એ મારે માટે સન્માન તેમ જ સંકોચનો વિષય છે. મને લાગે છે કે આ વિદ્યાપીઠની પસંદગી મારા પર ઊતરવા માટે મારા રવીન્દ્રનાથની ભાષામાં લખેલા લેખો અને કાવ્યોનું પ્રકાશન જવાબદાર છે. દરેક વ્યવસાયની સફળતાની ચાવી ગુપ્ત હોય છે એમ સ્વીકારીએ તો કારખાનાનો અનુભવ અંતિમ ઉત્પાદનના મૂલ્યાંકનમાં સાનુકૂળ નથી થઈ પડતો? એમ જ છે અથવા તો હોવું જોઈએ; આ વિધાનના ટેકામાં મળી આવતા ઉદાહરણો જૂજ કે લજ્જાસ્પદ નથી. છતાં, ક્યારેક આ સાનુકૂળતા અવરોધ પણ બની જાય છે. કવિના સર્જનોથી કોઈ અતિ-પરિચિત હોઈ શકે કે પછી ખૂબ નજીક હોવા છતાં સમયની દૃષ્ટિથી નજીક ન હોઈ શકે; અથવા પોતાની તેમના પ્રત્યેની લાગણી જાણવા માટે કે તેની સચોટ અભિવ્યક્તિ માટે ખૂબ સંબંધિત કે ઋણી હોઈ શકે. અને રવીન્દ્રનાથની બાબતમાં મારી આ દશા છે.

હમણાં જ બંગાળમાં પોતાને આધુનિક કહેડાવતા એક સામયિકે મારી રવીન્દ્રનાથ માટેની આંધળી ભક્તિની કડક આલોચના કરી. બીજાઓ મારો ઉધડો એટલા માટે લે છે કે હું રવીન્દ્રનાથને પૂરતું સન્માન નથી આપતો. આ બંને આક્ષેપો વિરોધાભાસી હોવાનું મને આશ્ચર્ય નથી થતું કારણ કે પહેલાં ઘણી વાર મને મને મૂર્તિપૂજક અને મૂર્તિભંજક કહેવામાં આવ્યો છે. આના પરથી કદાચ તમને ખ્યાલ આવશે કે મારો રવીન્દ્રનાથ સાથેનો સંબંધ કેટલો અંગત અને આગવો હશે. એ મજૂર અને માલિકનો તો છે જ, અને એક ક્ષુધાતુર વાચક અને અક્ષય કવિનો પણ છે; પણ આ તો અમારા જટિલ અને જીવંત સંબંધના ગૌણ પાસા છે. હું તેની સરખામણી એક દસકાઓ પર્યંતના કે પછી જીવનભરના પ્રેમ સંબંધ સાથે કરી શકું જેમાં પ્રેમની કબૂલાત અને કજિયો પણ હોય, ઉદાસીનતા અને ગેરહાજરીના સમયગાળા પણ હોય, અનિવાર્યપણે સમાધાનમાં પરિણમતા વિપ્લવ અને વિરોધનો મિજાજ પણ હોય. અહીં સવાલ પસંદનો ન હતો કે ન હતો સ્વભાવના સામ્ય કે આકર્ષણનો; સવાલ હતો કોઈના એક સભ્ય અને સંસ્કારી શક્તિની શાબ્દિક અભિવ્યક્તિથી ઘડાવાનો અને મોટા ભાગનું જીવન એ એક માત્ર અનુભવમાં વીતાવવાનો. મને રવીન્દ્રનાથની કોઈ એક કવિતા કે કોઈ એક નાટક કે કોઈ એક નવલકથા ગમે છે કે નહીં તે એક ગૌણ વાત છે કારણ કે મને એક એવી પ્રભાવપૂર્ણ ભાવના છે કે જો રવીન્દ્રનાથ ન હોત તો હું પણ આજે જેવો છું તેવો ન હોત.

મારી તમને એક ખાસ નોંધ લેવા નમ્ર વિનંતિ છે: હું રવીન્દ્રનાથ પછીની ત્રીજી પેઢીમાં આવું છું; હું વાંચતા શીખ્યો ત્યાં સુધીમાં રવીન્દ્રનાથનો સૂર્ય બંગાળી સાહિત્યમાં ઝળહળી રહ્યો હતો. મારી પેઢીનાં બીજાં બધાંની જેમ મારા ઘડતરનાં અગત્યના વર્ષોમાં હું તેમનામાં ડૂબી ગયો હતો અને આવો અનુભવ કરનારામાં અમે છેલ્લા હતા. પ્રાચીન તેમ જ પ્રશિષ્ટ સાહિત્ય અને અમારી વચ્ચે જેવું અંતર હતું તેવું કોઈ મોકળાશ અનુભવાય તેવું અંતર અમારી અને રવીન્દ્રનાથ વચ્ચે ન હતું. અમારો મુકાબલો એક એવા નિ:શંક મહાન લેખક સાથે હતો જેણે લગભગ સો જેટલાં ગ્રંથોથી બંગાળી સાહિત્યનું નવનિર્માણ કર્યું હતું અને હજી તેમનું ઘણું સર્જન બાકી હતું. તેમનાં પુસ્તકો જે કાંઈ કહેતાં તેના સિવાય બીજું કાંઈ પણ જાણ્યા વિના એેમના પુસ્તકો સડસડાટ વાંચી જતાં કિશોરાવસ્થામાં અમને શું સંવેદનો થતાં તેનું હું વર્ણન કરું - અમે કડીઓ અને શબ્દો મમળાવતા, એેમના છંદોના આરોહ અને અવરોહ સાથે કંપતા, તેમના ગદ્યની સોડમના સ્વપ્ન સેવતા અને જાણે બીજી બધી પ્રવૃત્તિની વચ્ચે તેમના તાલ પર ખચકાતા! જો કે અમે વયમાં નાના અને અપરિપક્વ હતાં, પણ અમને લાગતું કે તેમનું સાહિત્ય વાંચવામાં અમારો સમય સરસ રીતે પસાર થતો, અમે તેનાથી બદલાતાં જતાં હતાં અને જાણે સમગ્ર જગતનો અનુવાદ શબ્દોમાં થતો હતો. આખી ને આખી કવિતાઓ અમારામાં સમાઈ જતી અને નીકળવાનું નામ ન લેતી; નાટક ને વાર્તાનાં દૃશ્યો અમારી નિદ્રા અને પોપચાંની વચ્ચે ઘૂસી જતાં; સુંદર અને મધુર ભાષાના ઊજાસથી સામાન્ય અને ગૌણ પદાર્થો ઝળહળી ઊઠતા. એ દિવસોને યાદ કરતાં મને લાગે છે કે અમારી પેઢી પર રવીન્દ્રનાથનું ઋણ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી; આજે એમ પણ લાગે છે કે અમે સૂર્યાસ્ત કે વર્ષાના વાદળ જોઈને થંભી જતાં કારણ કે એેમણે કહ્યું હતું કે તે સુંદર છે; અમારી વેદનાને એેમણે જ તીક્ષ્ણ બનાવી હતી અને અમારા આનંદને એેમણે જ સૂક્ષ્મ બનાવ્યો હતો અને અમને સમાજના એક એકમમાંથી એક વ્યક્તિ બનતાં શીખવ્યું હતું અને પ્રેમ નામનો ભીષણ શબ્દ હળવેથી બોલતા શીખવ્યો હતો. એ એક નવીન પ્રકારની સંવેદનશીલતા હતી, એક નવા જ પ્રકારનું અસ્તિત્વ, જેમાં એેમણે અમને ભૂસકો મારવા પ્રેર્યા હતા; અને અમે પ્રાણવાયુ માટે હવાતિયાં મારતા, અમારી સમગ્ર ક્ષીણ શક્તિથી પ્રયત્ન કરતા. અમે તો હજી હમણાં જ મધ્યયુગીન શિષ્ટ કલામાંથી બહાર નીકળ્યા હતા અને રવીન્દ્રનાથે અમને યુરોપીય સ્વચ્છંદતાના કોલાહલ અને તનાવનો પરિચય કરાવ્યો; એેમણે એકલે હાથે બંગાળી ભાષાને જગત સાહિત્યના મંચ પર પ્રસ્થાપિત કરી અને અમને જગતનો પરિચય કરાવ્યો. તો પછી મારી પેઢીનું કોઈ પણ એમનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકે કે પછી એેમને માટે અભિપ્રાય કેમ કરીને આપી શકે? મને લાગે છે કે અમે તો માત્ર એમનો સંપૂર્ણ સ્વીકાર જ કરી શકીએ અને કોઈ પણ આલોચકે તેમ ક્યારેય ન કરવું જોઈએ.

તદુપરાંત, અમને રવીન્દ્રનાથને પ્રત્યક્ષ જોવાનો અને તેમને મળવાના પ્રસંગોનો લાભ મળ્યો હતો. અને એેમના વ્યક્તિત્વની યાદગીરી અનાસક્તિના માર્ગમાં અવરોધ રૂપ બની રહે છે. તે એક અદ્‌ભુત માણસ હતા, દ વીન્ચી અને ગુથેના સ્તરના, દેખાવડા, કદાવર, વિપુલ, સર્વતોમુખી, સમતુલિત; જાણે માણસો વચ્ચે સાક્ષાત્‌ ઈશ્વર! મેં કહ્યું તે અદ્‌ભુત હતા - હું કહેવા માંગતો હતો કે તેમણે પોતાને અદ્‌ભુત બનાવ્યા હતા.

તેમના ભાઈ જ્યોતિરિન્દ્રનાથ, જે તેમની અત્યંત નિકટ હતા, રવીન્દ્રનાથના તેમણે દોરેલા બે ચિત્રો - ૧૮૭૭ અને ૧૮૮૧ના અસ્તિત્વમાં છે. બંનેમાં રવીન્દ્રનાથ યૌવનની ક્ષીણતામાં દેખાય છે. પહેલામાં એક નાજુક, સુંવાળા ગાલ વાળો બાજુ પરથી દેખાતો ચહેરો દેખાય છે જેના વાળ લમણા પર ઝૂલે છે અને ભેદ્યતામાં(vulnerability) લગભગ શૅલી જેવા દેખાય છે. બીજામાં નાક તીક્ષ્ણ દેખાય છે અને હડપચી વધુ દૃઢ દેખાય છે; દાઢી પર થોડા વાળ ફૂટી નીકળ્યા છે, પણ અધખુલ્યા હોઠ જાણે તેમની અંગત વાત કહી દેતા લાગે છે; તે હજુ થોડા ગાભરુ અને દ્વિધાગ્રસ્ત જણાય છે. તેના પર જ્યોતિરિન્દ્રનાથે બંગાળીમાં લખ્યું છે પોતાના વહાલા ભાઈનું નામ - રવિ.


૧૮૭૭.png

૧૮૭૭ [1]

૧૮૮૧.png ૧૮૮૧

અને તે સમયે તે માત્ર ‘રવિ’ જ હતા - માતાપિતાનું ચૌદમું બાળક, શ્રાંત ગર્ભાશયની પેદાશ, એક ઉત્કૃષ્ટ ને મેધાવી પરિવારમાં અજુગતો વધારો! સૌથી મોટા ભાઈ, દ્વિજેન્દ્રનાથ રવીન્દ્રનાથ કરતાં ૨૧ વર્ષ મોટા હતા અને સાહિત્યકાર અને ફિલસૂફ તરીકે સુવિખ્યાત હતા. બીજા સત્યેન્દ્રનાથ, વિદ્વાન અને ન્યાયાધીશ તેમ જ ઇન્ડીયન સિવિલ સરવિસના - તત્કાલીન યુગની સત્તાની શક્તિ અને ગૌરવનું શિખર - પ્રથમ ભારતીય અમલદાર હતા. જ્યોતિરિન્દ્રનાથ સૌંદર્યપ્રેમી, કલાપ્રેમી અને સંગીતકાર હતા તેમ જ નાટકો લખતા અને આકર્ષક તેમ જ વિનાશક નવા વ્યવસાયોમાં ઝંપલાવતા રહેતા. તેમના બહેન, સ્વર્ણકુમારી, નવલકથાકાર હતા અને તેમના ભાભી, સત્યેન્દ્રનાથના પત્ની, એક સામયિકનું સંપાદન કરતા હતા. આ પ્રતિભાશાળી નિહારિકા આગળ વીસ વર્ષના રવિનું શું ગજુ? તેનું ભાવિ ધૂંધળું હતું. પરિવારે નિયત કરેલી શાળામાં તે ઝાઝું ટક્યો ન હતો. પરદેશ મોકલવામાં આવતાં, તે બે વર્ષ વિલાયતમાં ગાળી કોઈ પણ ઉપાધિ લીધા વિના પાછો આવ્યો હતો. તેને બેરીસ્ટર બનાવવાનો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ નીવડ્યો હતો; તે લંડન જતી બોટમાં બેસવાને બદલે મદ્રાસથી પાછો આવ્યો હતો. છોકરો ઘરને માટે સોરાતો હોય તેમ લાગતું હતું પણ ઘરમાં પણ તે શરમાળ અને થોડો અંતર્મુખી લાગતો હતો. તે વિચારતો; ગાતો, અભિનય કરતો અને સંગીતની રચના પણ કરતો હતો. પણ તેને કોઈ સ્થિર કે મળતરવાળા વ્યવસાયમાં રસ ન હતો. તેના ગૌરવર્ણી ભાઈઓની સરખામણીમાં તે શ્યામ હતો. એ વાત સાચી હતી કે તેને કવિતા કરતાં આવડતું હતું. પણ તેની કવિતા સુયોગ્ય હતી? દ્વિજેન્દ્રનાથે ગંભીર અને ફિલસૂફીપૂર્ણ કાવ્ય લખ્યું હતું, સત્યેન્દ્રનાથ સંસ્કૃતમાંથી અનુવાદ કરતા અને જ્યોતિરિન્દ્રનાથ વીરરસ ને હાસ્યરસના નાટકો લખતા. રવિની કવિતામાં ભાવાવેશનો ઉમળકો હતો અને તે કોઈ અજ્ઞાતને સંબોધિત હતી. અસ્પષ્ટ તલસાટ, નામહીન શોક, અવાસ્તવિક સ્વપ્નો, વ્યર્થતાનો વારંવાર દેખાતો અણસાર - આ બધું તેની કવિતામાં આવતું. આ એક સ્વસ્થ માનસની નિશાની હતી કે પછી કોઈ પણ દેખીતા કારણ વિના દુ:ખી થવાનું પ્રયોજન હતું? ગમે તેમ પણ છોકરો કહ્યાગરો, સાલસ અને તેના કામમાં ખંતીલો હતો અને ક્યારેક તેની તેજસ્વી મેધાના ચમકારા દેખા દેતા હતા. તેણે માત્ર નિશ્ચય કરીને કાંઈક કરવાની જરૂર હતી.

યુવાન રવિ પોતાની જાત પ્રત્યે સભાન હતો અને તેના પરિવારની જેમ તેને પણ લાગતું હશે કે તેણે કોઈ વ્યવસાય પસંદ કર્યો નથી અને જો કર્યો હોય તો તેની આસપાસના લોકોને ખબર ન હતી કે તે શું છે. કિશોરાવસ્થાની અસર, તેની પોતાની સહજ અને સ્વાભાવિક સ્વચ્છંદતા તેની પ્રારંભિક ઉદાસીનતાનાં કારણો હોઈ શકે. આ બધાંનું પ્રતિબિંબ તેમના ભાઈએ દોરેલા ચિત્રમાં દેખાતી ગાભરૂ અભિવ્યક્તિમાંદેખાય છે. આ ચિત્ર જોતાં તેમના પાછલા જીવનના રવીન્દ્રનાથ ટાગોર - જેવા અમે અને જગતે એેમને જોયા હતા - ની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યારે તો તે ભવ્ય હતા - ઊંચા, કદાવર બાંધો, જ્યોત જેવો વાન અને લાંબા લહેરાતા વાળ અને દાઢી - કોઈ પૌરાણિક ચારણની વાસ્તવમાં મળતી શ્રેષ્ઠ પ્રતિમા સમાન. એેમની આંખોના ખૂણામાં લાલ ઝાંય દેખાતી જે પ્રાચીન શાસ્ત્રો મુજબ એક નાયકની નિશાની હતી. એેમની એક જ સીધી દૃષ્ટિ - તે જવલ્લે જ આવી રીતે જોતા - ભલભલાને હતોત્સાહ કરી શકતી. એેમની ચિંતનની ટેવ અને દાઢીને કારણે તેમના ચહેરા પર એક સૌમ્યતાની અભિવ્યક્તિ સદા અંકાયેલી રહેતી; ત્રાસ, દુ:ખ કે હાસ્યથી પણ તે મરડાઈ ન જતી. એમનો અવાજ ઝીણો હતો જે એેમના કદાવર બાંધા સાથે જતો ન હતો અને ઘણાંની અપેક્ષા તેનાથી અસંતુષ્ટ રહેતી. પણ તેના રણકા અને જોમને કારણે એેમના જાહેર સંભાષણોમાં એક એક શબ્દ વિશાળ સભામાં યાંત્રિક મદદ વિના સ્પષ્ટ સાંભળી શકાતો. એેમને બોલતા સાંભળીને કે પછી પુસ્તક વાંચતા સાંભળીને એેમની એક સમયની અભિનયની અને ગાવાની ઉત્કૃષ્ટ શક્તિનો ખ્યાલ આવતો. એેમનું કાવ્યપઠન મંત્રોચ્ચારની પદ્ધતિથી થતું; શબ્દો ઉપર તે અટકતા, વ્યંજનો પર ભાર મૂકતા, છંદમાં આવતા વિરામ સાથે સંગત કરતા અંતિમ સ્વરને લંબાવતા અને યોગ્ય જગાએ નાટકીય અસર ઉમેરતા. એમનું કોઈ પણ કાવ્ય જ્યારે તે વાંચતા ત્યારે વધુ અસરકારક લાગતું અને અદ્વિતીય સ્પષ્ટતાથી ઉચ્ચારાયેલી તેમની બંગાળી ભાષા એમના મુખે વધુ મધુર અને શક્તિશાળી લાગતી. એમની સાથેના વાર્તાલાપમાં - જે હું એેમને જાણતો થયો ત્યારથી મોટે ભાગે સ્વગતોક્તિ બની રહેતો - એેમના ગદ્યના પુસ્તકો જેવી લાક્ષણિકતા હતી; તેમાં સામાન્ય વાતો અસામાન્ય રીતે પ્રસ્તુત થતી, અલંકાર વિપુલ રહેતા, વિનોદવૃત્તિના ચમકારા આશ્ચર્યજનક રહેતા અને ભાષા પરનું પ્રભુત્વ અપ્રતિમ હતું. એક પ્રસંગે મેં એેમને એક કલાક સુધી બોલતા સાંભળેલા; એમની અધૂરી નવલકથા, ‘જોગાજોગ’ના બીજા ભાગની રૂપરેખા તે જણાવી રહ્યા હતા; કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે તેને માટે મને અત્યંત કુતૂહલ હતું. હું ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો એમ મને લાગતું હતું; મારી માનસિક શક્તિઓ એેમને જોવામાં અને એેમના મુખેથી અવિરત, દ્વિધાહીન અને લયબદ્ધ નીકળતા ચોક્કસ, લાલિત્યપૂર્ણ, વૈવિધ્યપૂર્ણ શબ્દો સાંભળવામાં રોકાયેલી હતી. પરિણામે, જ્યારે હું એેમની પાસેથી નીકળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે એેમણે શું કહ્યું હતું તે હું ભૂલી ગયો હતો; જોકે મારું મન એેમના વર્ણનના શાબ્દિક વૈભવથી સભર હતું. કોઈ પણ સામાજિક કે વ્યવસાયિક સ્તરની વ્યક્તિ એેમની સામે જોતાં મંત્રમુગ્ધ થઈ જતી. રવીન્દ્રનાથની કવિતામાં બિલકુલ રસ ન ધરાવતા છેલબટાઊ યુવાનોને એેમના વ્યક્તિત્વની પ્રતિભાથી હત:પ્રાય થતાં મેં જોયા છે. રવીન્દ્રનાથને પહેલી વાર જોતાં એક ત્રણ વર્ષનું બાળક એની માને કહેતું હતું કે તેણે રાજાને જોયો. હું સામાન્યત: વિપ્લવી તરીકે કુવિખ્યાત હતો. પણ જ્યારે એેમની પાસે શાંતિનિકેતન જતો ત્યારે ધીરેથી ચાલતો અને હળવેથી બોલતો કારણ કે ત્યાંની ધરતી અને હવા પણ તેમની હાજરીથી પવિત્ર લાગતી. પેલા ફિક્કા અને પ્રક્ષુબ્ધ રવિએ પોતાની જાતનું આવા ભગવાનમાં રૂપાંતર કર્યું હતું.

વચ્ચેના વર્ષોમાં ઘણું બધું થઈ ગયું હતું. પૂર્વ બંગાળની નદીઓમાં તેમની પ્રિય હાઉસબોટમાં ફરતાં ફરતાં એેમણે પારિવારિક જમીનદારીનો વહીવટ ખંતથી સંભાળ્યો હતો અને એેમના સન્માનીય સંત પિતાને પોતાના વિગતવાર હેવાલ અને હિસાબ આપ્યા હતા. આ એ જ હાઉસબોટ હતી જેને એેમણે પોતાની કવિતામાં રહસ્યમય સોનેરી હોડી તરીકે અમરત્વ બક્ષ્યું હતું અને જેમાંથી એેમને બંગાળના ગ્રામ્ય જીવનની ઝાંખી થઈ હતી પણ ત્યાં તે પહોંચી શક્યા ન હતા. બીજા તબક્કે આપણે એેમને જોઈએ છીએ કલકત્તાથી સો માઈલ દૂર, બોલપુરને પોતાનું ઘર બનાવતા અને ત્યાં એક શાળા ચલાવતા જેનો આદર્શ ઉપનિષદો કે રુસો - જેવો આપણો દૃષ્ટિકોણ - કહી શકાય. તેને એેમણે અત્યંત આશાવાદી નામ આપ્યું હતું - શાંતિનિકેતન; શાંતિનો આવાસ. એેમણે બ્રાહ્મો સમાજના સચિવ તરીકે અને બે સાહિત્યિક સામયિકોના તંત્રી તરીકે કામ કર્યું હતું. તે પતિ તેમ જ પિતા બન્યા હતા અને બીજી વાર યુરોપ જઈ આવ્યા હતા. બંગાળમાં સ્વદેશી ચળવળ તરીકે જાણીતા રાષ્ટ્રીય આંદોલનમાં એેમણે સક્રિય ભાગ લીધો હતો. એેમણે પ્રિયજનોના મૃત્યુનો આઘાત અને વિયોગ અનુભવ્યા હતા. તેમાંનો પહેલો અને તેમને માટે સૌથી વધુ આઘાતજનક પ્રસંગ હતો ઈ.સ. ૧૮૮૪માં તેમના ભાઈ, જ્યોતિરિન્દ્રનાથની યુવાન પત્ની, કાદંબરીદેવીની આત્મહત્યા. કવિ તેમની સાથે ખૂબ જ હળીમળી ગયા હતા. તેમના ગદ્ય તેમ જ પદ્યને જોતાં લાગે છે કે આખી જીંદગી એેમને કદંબરીદેવીની યાદ સતાવતી રહી હતી. પછીના દસકામાં એમની પત્ની, પુત્રી અને એક પુત્રનું અવસાન થયું. તેમને આર્થિક મુશ્કેલીઓ અને શાળા અંગેની ચિંતાનો સામનો કરવો પડ્યો અને રાજકારણના કાવાદાવાથી તેમની આંખ ઉઘડી ગઈ. તેમના તંદુરસ્ત બંધારણમાં ક્યારેક જ આવતી માંદગી પણ આવી ગઈ. આવી ગમગીનીમાંથી બહુ ઓછા સહન કરી શકે કે માણી શકે તેવી એક ગરીમા તેમને પ્રાપ્ત થઈ. તેમના જેટલું ભવ્ય અને વૈશ્વિક સન્માન બીજા કોઈ પણ નોબેલ પુરસ્કાર વિજેતાને મળ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. બાકીની વાતો તો જગજાહેર છે: એેમના ચારે ખંડોમાં અસંખ્ય પ્રવાસો, સુવિખ્યાત વ્યક્તિઓ સાથેની એેમની મુલાકાતો, રાજાશાહી સામેનું એેમનું વૈમનસ્ય, એેમનો શાંતિ અને ભાઈચારાનો સંદેશ ઈત્યાદિ. પહેલા વિશ્વયુદ્ધના અંત સુધીમાં તો તે સમગ્ર સભ્ય સમાજના ખૂણે ખૂણામાં એક ગુરૂ, એક સંત, એક રહસ્યવાદી અને મસીહા, એક ઐશ્વરીય ઓલિયા, અશક્ત અને રંકના મિત્ર, એક પ્રતીક અને એક સંસ્થાન તરીકે સુવિખ્યાત થઈ ચૂક્યા હતા. એક કવિને માટે આટલો મોટો બોજો વહેવાનું શક્ય હતું? રવીન્દ્રનાથે સાબિત કર્યું કે એ શક્ય છે; એેમણે એક વીર પુરૂષને છાજે તેમ એ કામ કર્યું - એેમના પોતાના અને એેમની કવિતાના ભોગે.

સદ્‌ભાગ્યે તેમના અસંખ્ય ફોટોગ્રાફ છે જેનો અભ્યાસ રસપ્રદ થઈ પડે તેમ છે. એેમની ત્રીશીના ફોટામાં તે લાંબા, કાળા અને વાંકડિયા વાળવાળા, મોટી, સૌમ્ય આંખોવાળા, અસામાન્ય અને ભપકાદાર વેશભૂષા ધરાવનાર અને એક ધ્યાન ખેંચે તેવા વરણાગિયા તરીકે ઉપસી આવે છે. યૌવનના આરંભની નજાકત એેમના ચહેરા પર હજુ રહેલી જણાય છે; એેમના ચીવટવાળા શણગારમાં સદીના અંતનો અણસાર લાગે છે. મધ્ય વયમાં તે થોડા પાતળા જણાય છે અને એેમના વાળ, કોણ જાણે કેમ પણ ઓછા લાંબા અને દાઢી વધુ લાંબી લાગે છે; એેમનો દેખાવ અધ્યાપક અને પુરોહિત જેવો લાગે છે - આ કદાચ શાળામાં શિક્ષણ આપવાને અને શાંતિનિકેતનમાં અપાતા સાપ્તાહિક ઉપદેશની અસર પણ હોઈ શકે; દેખાવની દૃષ્ટિએ આ એેમનો સૌથી ઓછો આકર્ષક તબક્રો લાગે છે. જેમ એેમની વય વધતી જાય છે તેમ જાણે તે સ્વાભાવિક અને ચેતનાદત્ત સૌંદર્યને મહાત કરતા હોય એમ લાગે છે. એેમના ચહેરા પર વયની તેમ જ એેમના જીવનની - એેમની સફળતા, કામ, અંગત નિષ્ફળતા, અંગત વેદના ઈત્યાદિ - નિશાની દેખાતી અને તેનાથી એેમનો ચહેરો વધુ સમૃદ્ધ લાગતો અને તેના પર પરમ શાંતિ અને આંતરિક સંવાદિતાની અનુભૂતિ થતી. સફેદ વાળથી ચહેરો વધુ ખાનદાન, કપાળ નાનું અને આંખો વેધક લાગતી. એેમના લાંબા ઝભ્ભાથી આ વધુ અસરકારક થતું, આવા ઝભ્ભા સાધુ સિવાય બીજા કોઈનાય શરીર પર વિચિત્ર જ લાગત. એેમના પાછલા જીવનના ફોટામાં તે ઈશુ ખ્રિસ્ત જેવા વધારે અને પ્રેરણામૂર્તિ જેવા ઓછા લાગતા. ખ્રિસ્તીઓની જ આવી છાપ હતી માટે આવી સરખામાણી માટે મને માફ કરવામાં આવશે એવી મને આશા છે. એવું કહેવાય છે કે રોમમાં લોકો તેમને જોવા રસ્તા પર ઊભા રહ્યા હતા અને તે પસાર થતા ત્યારે એમના ઝભ્ભાની કોરને તેઓ ચૂમતા. લંડનમાં એક મજૂરે તેમને રાત્રે અચાનક જોયા ત્યારે તે ફૂટપાથ પર ઘૂંટણિયે પડીને બૂમ પાડવા લાગ્યો કે સાક્ષાત્‌ મસીહા તેની સમક્ષ આવ્યા છે એવો પણ હેવાલ પ્રગટ થયેલો છે. આને જો તમે અજ્ઞાન કે નશાની અસર માનતા હો તો એક વિદ્વાન જર્મનની વાત સાંભળો. ડાર્મ્સ્તડ્‌ટમાં એક મેદનીમાં રવીન્દ્રનાથનું સન્માન થતું જોઈને તેને બાઈબલનું કોઈ દૃશ્ય ભજવાતું હોય તેમ લાગ્યું હતું. જ્યારે તે દૃશ્યમાન થયા ત્યારે ઉમરાવ તેમના પગ પાસે બેસતા અને લોકો એમની આસપાસના પગથિયા પર બેસતા. બુનોસ એર્સમાં અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેનીશ ગીતાંજલિનું મનન કરનારી સન્નારી, વિક્તોરિઆ ઓકામ્પો, એમ કહેતી કે રવીન્દ્રનાથને માટે તે તેનું હૃદય સમર્પિત કરવા તૈયાર છે અને તેમના બારણાની બહાર કૂતરાની જેમ સૂવા તૈયાર છે - જો આવું કરી શકાય તો! તે દિવસોમાં તે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં આવું જ અભૂતપૂર્વ સન્માન અને સત્કાર એેમને મળ્યા હતા એમ તત્કાલીન હેવાલો જણાવે છે.

હું સમજી શકું છું કે તમારામાંના કેટલાક બેચેન થવા લાગ્યા હશે. તમને થતું હશે કે રવીન્દ્રનાથના વ્યક્તિત્વમાં, તેમની પ્રતિભામાં, કદાચ એક ભારે દબાવ હશે કે પછી તેમની આસપાસ પાવકતાનો એક તેજપૂંજ હશે જેનાથી એેમની અને સમષ્ટિની વચ્ચે એક અંતર પડી જતું હશે. મારે કહેવું જોઈએ કે તમારું અનુમાન કાંઈક અંશે સાચું છે. અહીં હું એક ભારતીયના સંસ્મરણોમાંથી એક પ્રસંગ ટાંકીશ. જ્યારે નોબેલ પુરસ્કારની ઘણી ચર્ચા ચાલતી હતી ત્યારે તેણે રવીન્દ્રનાથને વિલાયતમાં જોયા હતા. તેમને એક વિશાળ ખંડમાં દોરી જવામાં આવ્યા જ્યાં એક દીવાન પર રવીન્દ્રનાથ બેઠા હતા અને દીવાલની ધારે ખુરશી પર બીજા સ્ત્રી-પુરૂષો - ભારતીય, અંગ્રેજ અને યુરોપીય - જાણે પ્રાર્થના ખંડમાં બેઠા હોય તેમ બેઠા હતા. તે કહે છે કે મને યાદ નથી કે ધૂપ સળગતો હતો કે નહીં પણ ન હોય તો એ હોવો જોઈતો હતો કારણ આખું વાતાવરણ ભવ્ય આદર અને આરાધનાના ભાવથી સભર હતું. જો વિલાયત જેવા ઔપચારિક અને ઉદાસીન દેશમાં આવો ભાવ હોય તો બીજે બધે અને ખાસ કરીને ભારતમાં તો તે અંજલિના હર્ષોન્માદમાં પરિણમે તેમાં કાંઈ જ આશ્ચર્યજનક નથી. બંગાળમાં તો અમે કવિ સમક્ષ પૂજાની ભાવનાથી જ જતા - અમારા પગરખા બહાર મૂકીને અને દાખલ થતા તેમ જ વિદાય લેતા તેમની ચરણરજ માથે ચઢાવીને. અમે તેમને એક દિવસમાં ત્રણ વાર મળીએ તો દરેક વખત આ જ પ્રમાણે ચેષ્ટા કરતા કારણ કે અમને એમ કરવાની ઈચ્છા થતી અને તેમ કરવું એવી એક પ્રણાલી હતી. તદુપરાંત, વિશિષ્ટ કે લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિઓ સિવાય બધાં જ તેમની આરામખુરશીની ચારે બાજુ પથરાયેલા નેતરના તકિયા પર જ - તેમના પગ પાસે - બેસે એવો એક શિષ્ટાચાર ઘડાઈ ગયો હતો. ભારતમાં યુવાનો વડીલોની હાજરીમાં ધૂમ્રપાન ન કરે એવી એક પ્રથા છે પણ રવીન્દ્રનાથની સામે ધૂમ્રપાન ન કરવાનું એ એક માત્ર કારણ ન હતું. વયમાં પાકટ હોય એવા લોકો પણ તેમની સામે સંયમ જાળવતા અને અમે યુવાનો પણ. તેમની સામે તમાકુની દુર્ગંધ ફેલાવવી એ માત્ર અજુગતું કે ઘૃણાસ્પદ જ નહીં પણ પવિત્રતાનો ભંગ કરવા જેવું પણ લાગતું. ગુથેને ચશ્મા પ્રત્યે અણગમો હોઈ ઘણા વયસ્ક અધ્યાપકો તેમના ખંડમાં ઓછું દેખાતાં આંખો ખોલબંધ કરતાં પ્રવેશ કરતા હતા તેમ જ!

અને જો વાતાવરણમાં થોડો દબાવ લાગે તો તેમાં શું વાંધો હોઈ શકે? એ ઉત્કૃષ્ટ કક્ષાની પ્રતિભાનું પ્રતીક નથી? અનેક સિદ્ધિ-સભર વર્ષો અને પોતાને માટે જ જીવતા માણસની એકલતાનું પ્રતિબિંબ તેમાં ન પડે? તેમની પાછલી ઉંમરે ગુથે કે ટોલ્સ્ટોયની સાથે કોણ ખરેખર હળીમળી શકતું હશે? સમતોલન જાળવવા માટે હું એમ નહીં કહું કે રવીન્દ્રનાથ હળવી, હાસ્યપૂર્ણ અને રમતિયાળ ક્ષણો માણતા હતા - તે તો માણતા હતા જ! તેઓ બાળકો સાથે રમતા, પ્રાણીઓ એેમને ખૂબ પ્રિય હતા; તે રમૂજ કરતા, શ્લેષ કરતા, મશ્કરી પણ કરતા - ખાસ કરીને તેમના ચાહકોની. અને તે આ બધું જ ખૂબ નિષ્ઠાપૂર્ણ હોંશિયારી અને મધુરતાથી કરતા - એેમની બીજી બધી પ્રવૃત્તિની જેમ જ! તેમના આ એક પાસા ઉપર વધુ ધ્યાન નહીં દોરું કારણ કે એેમના જેવા બહુમુખી પ્રતિભાસંપન્ન માણસ પાસે આ જ અપેક્ષા રાખી શકાય. એેમના વ્યક્તિત્વના તે પાસાનું વર્ણન કરવાનો હું પ્રયાસ કરીશ જેનાથી હું સૌથી વધુ પ્રભાવિત થયો હતો. મને લાગે છે કે એમના વ્યક્તિત્વનું આ જ તથ્ય હતું, આ જ સાર હતો, આ જ અર્ક હતો. આ ગુણ તે શાંતિ અને વિશ્રામ. ખ્યાતિ અને સર્જનાત્મક પ્રક્રિયાથી ઉદ્‌ભવતા ખેંચાણ કે દબાણના કોઈ પણ ચિહ્નો એેમના વ્યક્તિત્વમાં ક્યારેય દેખાયા નથી, તે હંમેશા અદ્‌ભુત સંયમશીલ અને શાંત નજરે આવ્યા છે. પ્રસંગોપાત જરૂર પડતો અતિમાનુષી શક્તિનો ભંડાર તેમની પાસે હોવો જોઈએ. શારીરિક વેદના અને માનસિક વ્યથા તે કેવી રીતે સહન કરી શકતા તેની માન્યામાં ન આવે તેવી વાતો સાંભળવામાં આવી છે. એક વખત એેમને ઝેરી વીંછી કરડ્યો હતો. અસહ્ય વેદના વચ્ચે તે પોતાની જાતને કહેતા રહ્યા કે આ વેદના પોતાને નહીં પણ રવીન્દ્રનાથ ટાગોર નામની કોઈ વ્યક્તિને થઈ રહી છે. થોડા સમય પછી એેમને વેદનાનો અનુભવ થતો બંધ થઈ ગયો. એેમના દીકરા શમીનું ભાગલપુરમાં અવસાન થયું હતું. ટ્રેનમાં બોલપુર પાછા ફરતા વચ્ચેના કોઈ સ્ટેશને આ દુર્ઘટનાથી અજ્ઞાત મિત્રો મળી ગયા. તેઓ રવીન્દ્રનાથ માટે ખાસ બનાવેલી વાનગીઓ લઈને આવ્યા હતા. રવીન્દ્રનાથે જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ તેમની સાથે વાતો કરી અને નાસ્તો કર્યો. એમના મિત્રોને આવી દુર્ઘટનાનો અણસાર પણ એેમણે આવવા દીધો નહીં. પોતાની જાતમાં ખોવાઈ જવાની, પોતાનામાં મસ્ત રહેવાની ખાસ રીત એેમને આવડતી હતી. જ્યારે એેમના કામ કે કલ્પનામાં ખલેલ પડતી કે પછી ક્યારેક એેમના પ્રશંસકો એેમનો જીવ ખાતા ત્યારે તે જાણે ત્યાં હાજર હોઈને પણ ગેરહાજર રહી શકતા. એક વખત એેમણે એેમના એક સહકાર્યકરને કહ્યું હતું કે આવા સમયે તે પોતાના વિચારોમાં ખોવાઈ જઈને બધી જ આજુબાજુની પ્રવૃત્તિની પહોંચ બહાર જતા રહેતા. છતાં ક્યારેય તે બેધ્યાન કે અન્યમનસ્ક હોવાની છાપ ઊભી ન કરતા કે પછી ડૉ. જ્હોન્સન કે ગુથેની જેમ લોકોનો તિરસ્કાર કે અપમાન ન કરતા. એેમની ખ્યાતિને ધ્યાનમાં રાખતા એમ કહી શકાય કે એેમને મળવાનું ઘણું સહેલું હતું; શાંતિનિકેતનમાં એેમને મળવા આવનારાઓ અસંખ્ય અને વૈવિધ્યપૂર્ણ હતા - તેમાં શાળાના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સાધારણ કવિતાના લેખકો, ગુરૂની શોધમાં ફરતી સ્ત્રીઓ, અને બધા જ દેશોના ઘેલા માણસોનો સમાવેશ થતો. આપણે ખાસ નોંધવું જોઈએ કે આમાંનું કોઈ પણ રવીન્દ્રનાથથી નિરાશ થઈને ન જતું. તે જ્યારે પણ કોઈને મુલાકાત આપવાનું નક્કી કરતા - જે અસંખ્ય વાર બનતું - ત્યારે એેમની સાથે તે કોઈ પણ સંકોચ કે મર્યાદા રાખ્યા વિના વાતચીત કરતા જાણે તેમાં સંપૂર્ણપણે ગૂંથાઈ ગઈ ગયા હોય તેમ. તે જગતના કોઈ પણ વિષય પર વાત કરી શકતા અને તેમની વિષયની પસંદગી મુલાકાતીના રસ અને સ્તર પર આધાર રાખતી. તેમને બધાંમાં રસ હતો અને માણસનું વ્યક્તિત્વ અને સ્વભાવ તે સહજ રીતે સમજી શકતા. તે પોતાનું સમગ્ર રેડીને વાત કરતા હોઈ સામાન્ય પ્રસંગે, ટૂંકી મુલાકાત દરમિયાન, જેમાં તેમણે દૈનિક સમાચાર જેવી ગૌણ બાબતની વાત કરી હોય તો પણ દરેક મુલાકાતીને લાગતું કે રવીન્દ્રનાથે તેમને માટે ખાસ કાંઈ કર્યું છે. આન્દ્રે જિદે કહેતા કે વ્યસ્ત માણસ ન ગમે તેવો હોય છે અર્થાત્‌ સાચો મહાન માણસ જે ઈશ્વરને પણ પ્રિય છે તે ક્યારેય બીજાને એમ નથી લાગવા દેતો કે પોતે વ્યસ્ત છે. આનું રવીન્દ્રનાથથી વધુ ઉચિત ઉદાહરણ મળે એમ હું માનતો નથી. પાછલા વર્ષોમાં એેમને એક પ્રધાનમંડળના સભ્ય જેટલું કામ, ચિંતા અને જવાબદારી રહેતી અને તેમના કરતાં ઘણા ઓછા મદદનીશ અને સચિવો હતા. છતાં જ્યારે જ્યારે અમે એેમને મળતા ત્યારે અમને એમ જ લાગતું કે એેમને અમારી સાથે વાત કર્યા સિવાય બીજું કાંઈ કામ જ નથી. જીવનના છેલ્લા વર્ષમાં એેમની વેદનાપૂર્ણ માંદગીને કારણે તે લખી શકતા ન હતા. પણ ત્યાં સુધી તો તે પોતાના બધા જ પત્રો એેમના સુંદર હસ્તાક્ષરમાં જાતે જ લખતા. તેઓ ખૂબ જ કામગરા હોઈને પણ એેમની પાસે ફુરસદનો ભંડાર હતો. જેને માટે એેમણે વારંવાર લખ્યું હતું એવા શરદના વાદળોની જેમ એેમની પાસે પણ અખૂટ વિશ્રાંતિ હતી અને એેમનામાં તે સૌંદર્યપૂર્ણ અને નૈતિક લાક્ષણિકતા બની જતી. આજે આપણામાંના ઘણાંને માટે અસ્તિત્વના ખાલીપણામાંથી મુક્તિ એ એક બહુ મોટી વાત થઈ ગઈ છે. આપણો સમય હંમેશા કામમાં કે પછી વાતોમાં કે નિદ્રામાં કે કોઈ પણ બેધ્યાનપણામાં વીતી જવો જોઈએ. એકલતાની, સમય અને શાશ્વતની આ ભયાનકતાથી આધુનિક સાહિત્ય દ્વારા આપણે સુપરિચિત છીએ. બાહ્ય ચિહ્નોથી જ નહીં પણ તેમના સર્જનો પરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે રવીન્દ્રનાથને માટે આ ભયાનકતાનું કોઈ અસ્તિત્વ જ ન હતું. એમણે ઘણું સહન કર્યું હતું પણ તે ક્યારેય કંટાળ્યા ન હતા - કદાચ તે જાણતા જ ન હતા કે કંટાળો શેનું નામ છે! તેઓ પોતાની સાથે કાંઈ જ કર્યા વિના કલાકો ગાળી શકતા. કોઈ પણ જાતના હલનચલન વિના સૂર્યોદય પહેલાં આકાશ સામે કે પછી ક્ષિતિજ સુધી ફેલાયેલા મેદાનો જોઈ રહેતા. ધરતીની સાદામાં સાદી વસ્તુથી તે કદી કંટાળતા નહીં; જેનું તેમને માટે મૂલ્ય હતું તેમાં અભ્યાસ, પ્રવાસ કે ગહન સંશોધનથી તેમને પાછલી ઉંમરે પણ ફાયદો થતો નહીં. અને મને લાગે છે કે માણસમાં આ સૌથી વધુ અદ્‌ભુત છે.

એક વખત શાંતિનિકેતનમાં મેં એેમને અચાનક પોતાનામાં તલ્લીન થયેલા જોયા હતા. રાત ઘણી વીતી ગઈ હતી અને એપ્રિલનો લગભગ પૂર્ણ ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ગરમીને કારણે મને ઊંઘ આવતી ન હતી અને હું વારેવારે મારા રુમની બહાર આવતો હતો. દરેક વખતે હું એક સફેદ ચમકતો આકાર જોતો, ચાંદની જેવી સ્તબ્ધતાની પ્રતિમા જેવો. તે કવિ હતા - એેમની માટીની કુટિર, શ્યામલીના વરંડામાં બેઠેલા. એેમની સામે જોવાનું મને ઉચિત લાગતું ન હતું; તેમ કરતાં મને એક વણનોતર્યા મહેમાન જેવી લાગણી થતી હતી પણ એેમની સામે જોવાનો લોભ હું કોઈક વાર જતો કરી શકતો ન હતો. આખરે જ્યારે હું નિદ્રાધીન થયો ત્યાં સુધી તો તે ત્યાં બેઠેલા હતા. ત્યારે મને સમજાયું કે એેમને માટે પ્રકૃતિનો જે અર્થ હતો તે મારે માટે ન હતો અને ક્યારેય નહીં હોય. આપણે એેમની સાથે એેમના જગત માટેના અભિપ્રાય અંગે અસંમત થઈ શકીએ પણ પણ જે અનુભૂતિથી એેમનો અભિગમ જન્મ્યો છે તેની અવગણના કરવી અશક્ય છે. હું જાણતો હતો કે રવીન્દ્રનાથના ઈશ્વર એેમને માટે અસ્તિત્વ ધરાવતા હતા - એ ઈશ્વર જેમને તે હૃદયનો કામણગારો કહેતા હતા અને જે એમના સર્જનોમાં એક પહેલાંની સુંદર, રહસ્યમયી અને ભયંકર કામણગારી - તેમની પ્રેરણા, કાવ્યની દેવી - માંથી ઉદ્‌ભવ્યો છે. જો રવીન્દ્રનાથના ઈશ્વરમાં આપણને રસ ન હોય તો એેમની કવિતામાં આપણને વધુ રસ હોવો જોઈએ અને એેમની શ્રેષ્ઠ કવિતા એટલી સુંદર છે કે તે આપણને એમના ઈશ્વરનો હાલપૂરતો સ્વીકાર કરવા લલચાવી શકે.



  1. by Gaganendranath Tagore