રવીન્દ્રપર્વ/૧૪૯. માતૃસ્નેહવિગલિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪૯. માતૃસ્નેહવિગલિત

માતૃસ્નેહવિગલિત સ્તન્યક્ષીરરસ
પીને હસ્યા કરે શિશુ આનન્દે અલસ -
એમ જ વિહ્વલ હર્ષે ભાવરસપાન
કિશોરાવસ્થાએ કર્યું, બજાવી’તી બંસી
પ્રમત્ત પંચમ સૂરે; પ્રકૃતિના વક્ષે
લાલનલલિતચિત્ત શિશુસમસુખે
સૂતો હતો, પ્રભાતશર્વરીસન્ધ્યાવધૂ
પાત્ર ભરી પાતી હતી બહુવર્ણ મધુ
પુષ્પગન્ધભર્યું.

આજે એવો ભાવાવેશ
એવી વિહ્વળતા જો ના રહૃાાં હોય શેષ
પ્રકૃતિનો સ્પર્શમોહ પણ જો ન રહૃાો લેશ —
મને એનું નથી દુ:ખ, પલ્લીથી તે રાજપુરે
હવે તેં આણ્યો છે મને, દે તું ચિત્તે બલ —
દેખાડ સત્યની મૂર્તિ કઠિન નિર્મલ.
(નૈવેદ્ય)