રવીન્દ્રપર્વ/૩૧. મૃત્યુના નેપથ્ય થકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. મૃત્યુના નેપથ્ય થકી

મૃત્યુના નેપથ્ય થકી ફરી પાછી આવી છે તું આજે
હૃદયના વિવાહમન્દિરે નૂતન વધૂના સાજે
નિ:શબ્દ ચરણપાતે. ક્લાન્ત જીવનની સર્વ ગ્લાનિ,
ધોવાઈ મરણસ્નાને. આ નિરતિશય નવ રૂપ
પામી છે તું વિશ્વતણી લક્ષ્મીની અક્ષય કૃપાથકી.
સ્મિતસ્નિગ્ધ મુગ્ધ મુખે આ ચિત્તના નિભૃત પ્રકાશે
નિર્વાક્ આવી તું ઊભી. મરણના સિંહદ્વારે થઈ
સંસાર વટાવીને તું અહતરે પ્રવેશી અયિ પ્રિયા.

આજે નહીં વાગે વાદ્ય કે ના અહીં જનતાઉત્સવ,
બળે નહીં દીપમાળા; આજનું આ આનન્દગૌરવ
પ્રશાન્ત ગભીર સ્તબ્ધ વાક્યહીન અશ્રુનિમજ્જિત.
આજના દિનની વાત જાણે ના સુણે ના અન્યજન.
મારા આ અન્તરે માત્ર જ્વળે છે પ્રદીપ સ્થિર એક,
એકાકી સંગીત મારું મિલનનું ગૂંથ્યા કરે ગીત.
(સ્મરણ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪