રસસિદ્ધાંત—એક પરિચય/રસવિચાર : ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિ

૧. રસવિચાર : ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિ

એ તો સુવિદિત છે કે, આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની ઘણી દીર્ઘ પરંપરા બંધાઈ હતી. એ પરંપરામાં જે જે સાહિત્ય સિદ્ધાંતિ ઉદ્‌ભવ્યા અને વિકસ્યા, તેમાં ‘રસ’ અને ‘ધ્વનિ’ એ બે સિદ્ધાંતો, ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિઓ રહી છે. એમાં પણ રસસિદ્ધાંત તો ભારતીય આચાર્યોની સાહિત્ય-વિચારણામાં શિખરસમો રહ્યો છે. આપણા પ્રાચીન સાહિત્યમાં તેમ જ નૃત્ય, ચિત્ર, શિલ્પ જેવી કળાઓમાં રસની પ્રાણતત્ત્વ તરીકે પ્રતિષ્ઠા થયેલી છે; એટલું જ નહિ, એ સર્વ કળાઓના રચનાસંવિધાન અને તેના ઉપાદાન પરત્વે પણ રસની વિશિષ્ટ વિભાવના વત્તેઓછે અંશે પરિણામકારી નીવડી દેખાય છે. એમ કહી શકાય કે, પ્રાચીન આચાર્યોની સૌંદર્ય વિશેની આગવી સમજ ‘રસ’ની વિભાવનામાં પ્રગટ થઈ છે. સંસ્કૃત પરંપરામાં અલંકાર, રીતિ, ધ્વનિ, રસ, વક્રોક્તિ જેવા જુદા જુદા સિદ્ધાંતો ઉદ્‌ભવ્યા અને પ્રતિષ્ઠિત થયા, પણ અભિનવગુપ્તની રસમીમાંસા પછી. સાહિત્યના જીવિત તરીકે ‘રસ’ની અસાધારણ પ્રતિષ્ઠા થઈ હોવાનું સમજાય છે. અને અર્વાચીન યુગમાં નવી કેળવણીના ભાગરૂપે સંસ્કૃત સાહિત્યનો અને તેના સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ આપણે ત્યાં આરંભાયો ત્યારે, પાશ્ચાત્ય વિવેચન અને સૌંદર્યવિચારના પ્રકાશમાં તેની વિશિષ્ટ ઉપલબ્ધિઓનો આપણને પુનઃપરિચય સાંપડતો રહ્યો છે.[1] આજે આપણે ત્યાં સાહિત્યવિવેચનની જે નવી પરંપરા ઊભી થઈ રહી છે તેમાં ‘રસ’ની વિભાવના લગભગ કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત થયેલી દેખાશે. સંસ્કૃતમાં જ રસવિચારની પંદરથીયે વધુ સૈકાઓ જેટલી લાંબી પરંપરા છે. આ વિષયના અત્યારે ઉપલબ્ધ ગ્રંથોમાં ભરતમુનિનું પ્રસિદ્ધ ‘નાટ્યશાસ્ત્ર’ (રચના સાલ આશરે ઈ.સ. પૂર્વે ૧૦૦–ઈ.સ. ૩૦૦નો ગાળો-ડૉ. કાણે)[2] સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. એમાં ભરતે નાટ્યકળાનો સર્વાંગી વિચાર કર્યો છે. નાટકનાં વિવિધ પાસાંઓ વિશેની તેમાંની વિપુલ માહિતીને કારણે આ ગ્રંથને આજે મોટા જ્ઞાનકોશનું મૂલ્ય આપવામાં આવ્યું છે. એમાં નાટકના પરમ પ્રયોજન લેખે ‘રસતત્ત્વ’ની તેમણે અનન્ય પ્રતિષ્ઠા કરી છે. નાટકના જીવિત લેખે રસની સ્થાપના કરતાં તેમણે કહ્યું છે : ‘તેન રસ એવ નાટ્યમ |’ અર્થાત્‌, ‘રસ એ જ નાટ્ય.’ આ વિચારનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં તેમણે એમ કહ્યું છે : ‘ન હિ રસાદૃતે કશ્ચિદથ : પ્રવર્તતેઃ’ અર્થાત્‌, “નાટ્યમાં રસ સિવાય બીજો કોઈ ‘અર્થ’ પ્રવર્તતો હોતો નથી.” ભાવ અભિનયધર્મી વૃત્તિ પ્રવૃત્તિ સિદ્ધિ સ્વર આતોદ્ય ગીત અને રંગ આદિ સર્વ સામગ્રીઓ નાટકમાં રસનિષ્પત્તિને અર્થે જ આવે છે. રસને અનુવર્તીને જ એ સર્વનો વિન્યાસ થાય છે, અને રસમાં પરિણત થઈને જ એ સર્વ સાર્થક થાય છે. નાટ્યનાં જુદાં જુદાં અંગો વિશેની વિસ્તૃત ચર્ચાવિચારણામાં રસની ચર્ચા, અલબત્ત, એક પ્રકરણ માત્ર છે, પણ રસવિચારણાના ઇતિહાસમાં તે મહત્ત્વનું પ્રસ્થાન બની રહી દેખાય છે. સંસ્કૃત પરંપરામાં રસતત્ત્વની અત્યંત સંક્ષિપ્ત ૫ણ વ્યવસ્થિત ચર્ચાવિચારણા લેખે નાટ્યશાસ્ત્રની રસવિચારણાનું આ રીતે ઘણું મહત્ત્વ રહ્યું છે. રસ વિશે ભરતનું પ્રસિદ્ધ સૂત્ર છે : ‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્રસનિષ્પત્તિઃ|’ અર્થાત્‌ વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓના સંયોગે રસનિષ્પત્તિ થાય છે. નાટકનો પ્રયોગ એ રંગભૂમિ પરની અનેક પાસાંઓવાળી સંકુલ ઘટના છે, અને એ ઘટનાને આ રસસૂત્ર આવરી લે છે. એમાં એક છેડે નાટકનો રચનાર છે, બીજે છેડે એ નાટકમાં રસ લેનારો સામાજિક છે. એ બેની વચ્ચે નાટ્યસૃષ્ટિમાં સ્થાન પામેલાં ઇતિહાસ-પ્રસિદ્ધ કે કલ્પિત પાત્રોની ક્યાંક ભૂમિકા છે, તો વળી રંગભૂમિ પર એ પાત્રોને રજૂ કરનારાં નટનટીઓની ભૂમિકાઓ પણ વચ્ચે જ ક્યાંક છે. (આ સિવાય નાટ્યકૃતિનું અર્થઘટન કરનાર દિગ્દર્શક પણ એમાં પ્રવેશે એમ બનવાનું.) આ સંકુલ ઘટનાચક્રમાં–રસનું અધિષ્ઠાન કઈ વ્યક્તિ છે, રસનો અનુભવ કરનારી વ્યક્તિના ચિત્તમાં શું બને છે, તેની રસાનુભૂતિ લૌકિક અનુભૂતિ જેવી જ છે કે તેથી જુદી, એવા એવા પ્રશ્નો નાટકના સંદર્ભે ઊભા થવાના. ભરતના સૂત્રમાં ‘સંયોગ’ અને ‘નિષ્પત્તિ’ બંને સંજ્ઞાઓ વ્યાપક સ્વરૂપની હતી, એટલે અનુગામી આચાર્યો માટે એ સૂત્ર અર્થઘટનનો વિષય બની રહ્યું. પ્રાચીન પરંપરામાં, આ રીતે, રસની વ્યાખ્યા કરનારા આચાર્યોમાં ભટ્ટ લોલ્લટ (જીવનકાળ ઈ.સ. ૮૦૦–૮૪૦ આશરે, ડૉ. કાણે), શ્રીશંકુક (ઈ.સ. ૮૪૦ની આસપાસ, ડૉ. કાણે), ભટ્ટ નાયક (ઈ.સ. ૯૩૫–૯૮૫ વચ્ચે, ડૉ. કાણે) અને અભિનવગુપ્ત (ઈ.સ. ૯૮૦–૧૦૨૦ના ગાળામાં ‘અભિનવભારતી’ની રચના, ડૉ. કાણે)નાં નામો પ્રસિદ્ધ છે. પ્રસ્તુત સૂત્ર વિશે આચાર્યોની વ્યાખ્યાવિચારણા, અને પુરોગામીઓના મતની અનુગામીઓ દ્વારા સમીક્ષા, એ રીતે રસસિદ્ધાંતનો ક્રમશઃ વિકાસ થવા પામ્યો છે. છેવટે અભિનવ ગુપ્તની રસચર્ચામાં એનું સૌથી વિકસિત અને પરિણત રૂપ પ્રાપ્ત થયું. અભિનવ પછી ભોજદેવ (સમય ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે), મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે), હેમચંદ્ર (ઈ. સ. ૧૦૮૮–૧૧૭૨ વચ્ચે), વિશ્વનાથ (ઈ. સ. ૧૩૦૦–૧૩૮૦) અને જગન્નાથ (ઈ. સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે) જેવા અનેક આચાર્યોએ રસવિષયક વ્યાખ્યાવિચારણાઓ કરી છે, પણ એમાં સૈદ્ધાન્તિક ભૂમિકા પર મોટું નવપ્રસ્થાન જેવું જણાતું નથી. તેમણે ઘણુંખરું અભિનવની ભૂમિકા જાળવીને એમાં કેટલીક ગૌણ વિગતો પૂરતો ફેરફાર કર્યો છે, કે એમાં ક્યાંક નવું અર્થઘટન કરવાના પ્રયત્નો કર્યા છે. પ્રાચીનોની રસવિચારણા ખરું જોતાં તો ભારતીય સૌંદર્યમીમાંસાનું એક મહાન પ્રકરણ બની રહે છે. ‘રસ’ની સંજ્ઞાથી કાવ્યાદિ કળાઓના યોગે પ્રાપ્ત થતી સૌંદર્યાનુભૂતિનો વિશિષ્ટ ખ્યાલ સૂચવાય છે. સહૃદય જ્યારે તખતા પર રજૂ થતો નાટ્યપ્રયોગ જુએ છે, કે સાહિત્યકૃતિનું વાચન કરે છે, ત્યારે તેનું અંતર ચમત્કૃતિજન્ય આનંદથી સભર બની જતું હોય છે. લોકજીવનમાં અન્ય ભૌતિક કારણોથી પ્રાપ્ત થતા સુખ કરતાં સાહિત્યજન્ય આ આનંદ સ્વરૂપતઃ ભિન્ન હોય છે. કૃતિમાં રજૂ થતો ભાવ જ અહીં અલૌકિક આનંદનું મુખ્ય કારણ બને છે એમ એ આચાર્યોની પ્રતીતિ રહી છે. અભિનવની રસવિચારણામાં સાહિત્યના આસ્વાદ અને અવબોધની પ્રક્રિયા વિશે અનેક માર્મિક સત્યો પ્રગટ થયાં છે. રસવિચારણાનું ગૌરવ કરતાં પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન રાન્યેરો નૉલી કહે છે : “Anandavardhana, Bhatta Nayaka, Bhatta Tota and Abhinava are still the most characteristic exponents of this subject, and their thought, although at times uncertain and ingenious, reaches, with the latter, conclusions which are still valid to-day and even relatively novel to Western thought.”[3]


ટીકા-ટિપ્પણીઓ

  1. ભારતીય રસવિચાર અને પાશ્ચાત્ય સૌંદર્યબોધના ખ્યાલની તુલના કરવાના કે પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના પ્રકાશમાં રસસિદ્ધાંતની વિશિષ્ટ ઉપલબ્ધિઓની તપાસ કરવાના આપણા દેશના અનેક વિદ્વાનોએ પ્રયત્ન કર્યા છે : ડૉ. સુશીલકુમાર દેનો ‘Sanskrit Poetics as a Study of Aesthetics’, ડૉ. કાંતિચંદ્ર પાંડેયનો ‘Comparative Aesthetics’-Vol. I & II, શ્રી કૃષ્ણ ચૈતન્યનો ‘Sanskrit Poetics’, ડૉ. નિર્મલા જૈનનો ‘રસસિદ્ધાન્ત ઔર સૌન્દર્યશાસ્ત્ર’ વગેરે ગ્રંથો એ રીતે ઉલ્લેખપાત્ર છે.
  2. પ્રાચીન પરંપરાના આચાર્યોના જીવનસમય વિશે ડૉ. પી. વી. કાણેએ પોતાના ગ્રંથ ‘History of Sanskrit Poetics’માં જે નિર્ણયો કર્યા છે કે અટકળો કરી છે તેને અનુલક્ષીને જ અહીં તેમના સમયની નોંધ મૂકી છે.
  3. રાન્યેરો નોલીના પ્રસિદ્ધ ગ્રંથ ‘Aesthetic Experience according to Abhinavagupta’ની પ્રસ્તાવનામાંથી ઉલ્લેખ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.