રાજા-રાણી/ચોથો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોથો પ્રવેશ

બીજો અંક


         સ્થળ : રાજમહેલ. વિક્રમદેવ, મંત્રી અને દેવદત્ત.

વિક્રમદેવ : પલાયન! બસ રાજ છોડીને પલાયન! આ રાજ્યનાં આટલાં સૈન્ય, આટલા દુર્ગ, આટલાં બંદીખાનાં, લોઢાની આટલી બેડીઓ, એ બધાંથી પણ એક પામર અબળાનું હૃદય ન બાંધી રખાયું? આનું નામ શું રાજા? આટલો જ શું એ રાજાનો મહિમા? ઓ! એ પ્રચંડ પ્રતાપ, સોનાના સૂના પિંજર સમો પડ્યો રહ્યો, એનાં મનુષ્યબળ કે અર્થ-બળ એળે ગયાં, ને અંદરનું નાનું પંખી ઊડી ગયું.
મંત્રી : અરેરે મહારાજ! કોઈ જલપ્રવાહનો બંધ તૂટે ને જેમ પાણી છૂટે, તેમ લોકનિન્દા ચોમેર ફાટી નીકળી છે.
વિક્રમદેવ : ચુપ કરો, મંત્રી. લોકનિન્દા, સદા બસ લોકનિન્દા! નવરાં મનુષ્યોની જીભ એ નિન્દાના ભારથી ભલે ને ખડી પડે! દિવસ અસ્ત થયે, ભલે ને કાદવના ખાડાઓમાંથી ધુમ્મસના ગોટા ઊઠે! એથી મારો અંધકાર હવે નથી વધવાનો. હા! લોકનિન્દા!
દેવદત્ત : મંત્રીજી, પરિપૂર્ણ સૂર્યની સામે કોણ નજર માંડી શકે! તેથી જ ગ્રહણને ટાણે મનુષ્યોનાં ટોળાં છૂટે, અને કંગાલ નયને એ રવિરાજની સામે જુઓ; કાળી મેશવાળા કાચના ટુકડાની અંદરથી આકાશના પ્રકાશને લોકો કાળો કરી નિહાળે. મહારાણી! ઓ માતૃદેવી! તમારે નસીબે શું આવું લખ્યું હતું? તમારું નામ શું આજ ધૂળમાં રોળાય? તમારું નામ તુચ્છ માનવીઓને મોંએ મોંએ રઝળે? આજે કેવો આ માઠો દિવસ! તોયે તમારાં સત-તેજ તો જેવાં ને તેવાં, માતા! આ બધા તો રસ્તાના કંગાલો.
વિક્રમદેવ : ત્રિવેદી ક્યાં ગયો? મંત્રી, બોલાવો એને. એની પૂરી વાત નથી સાંભળી, મારું ચિત્ત બીજે હતું.
મંત્રી : બોલાવી લાવું, મહારાજ.

[જાય છે.]

વિક્રમદેવ : હજુ સમય છે; શોધ મળે તો હજુયે પાછી વાળું. શોધ! હજુયે પાછી શોધ! સદાય શું જીવન આમ જ જવાનું? એને ઝલાવું નહીં, અને મારે શું એની પાછળ જ ભટકવું? રાજ્યનાં બધાં કામકાજ છોડી, હાથમાં પ્રેમની શૃંખલાઓ પહેરી, રમણીના એક ભાગેડુ હૃદયની શોધમાં જ મારે ભટક્યા કરવું? નાસી જા, ઓ નારી, દિવસરાત સદા નાસ્યા જ કરજે; આ પહોળી પૃથ્વીની અંદર, ઘરબાર વિનાની, સ્નેહ વિનાની, અને વિસામા વિનાની, તારી એક માત્ર છાયા લઈને તું નાસ્યા જ કરજે.

[ત્રિવેદી પ્રવેશ કરે છે.]


                           ચાલ્યો જા, કોણે તને બોલાવ્યો છે? વારે વારે એ રાણીની વાત સાંભળવા કોણ નવરું બેઠું છે, બેવકૂફ બ્રાહ્મણ!

ત્રિવેદી : હે...એ મધુસૂદન!

[ચાલવા જાય છે.]

વિક્રમદેવ : ઊભો રહે, ઊભો રહે; બે વાતો પૂછી લઉં. બોલ, એની આંખોમાં આંસુ હતાં?
ત્રિવેદી : ચિંતા કરો મા, બાપુ, આંસુ નહોતાં.
વિક્રમદેવ : આંસુ નહોતાં? ઓ ભાઈ, તો ખોટેખોટું બનાવીને બોલ, કે આંસુ હતાં. બસ, કરુણાર્દ્ર, નાનકડા બે જ ખોટા શબ્દો બોલ કે ‘આંસુ હતાં’, પણ રે બુઢ્ઢા બ્રાહ્મણ, તું ભાળે છે જ ક્યાં? કેમ કરીને જાણ્યું કે એની આંખે આંસુ નહોતાં? વધુ નહીં, બસ, એક જ બિન્દુ હશે. નહીં? તો નેત્રોને ખૂણે જરા ઝળઝળિયાં હશે. નહીં? તો રુંધાયલા, કમ્પતા કંઠમાં ગળગળી વાણી હશે. એ પણ નહીં? સાચું બોલ, રે, ખોટેખોટું બનાવીને બોલ! રે બોલીશ મા, બોલીશ મા, ચાલ્યો જા.
ત્રિવેદી : હે...એ હરિ! સાચો એક તું!

[જાય છે.]

વિક્રમદેવ : અંતર્યામી દેવતા! તમે સાક્ષી છો; જીવનમાં, બસ, એક જ અપરાધ: તે એના પરનો પ્રેમ. મારું પુણ્ય ગયું, સ્વર્ગ લુટાયું, રાજ્ય પણ જવા બેઠું, આખરે એ પણ ગઈ. તો હવે, પ્રભુ, મને મારો ક્ષત્રિયધર્મ પાછો દે, મારો રાજધર્મ પાછો દે; મારા પુરુષ-પ્રાણને આ વિશ્વ સંગ્રામમાં છૂટો મૂકી દે! હા! ક્યાં કર્મક્ષેત્ર! ક્યાં માનવ-પ્રવાહ! ક્યાં જીવન-મરણ! માનવજાતનાં એ અવિરામ સુખદુઃખ ક્યાં! સંપદ્-વિપદ્ ક્યાં! આશાના તરંગો ક્યાં!

[મંત્રી આવે છે.]

મંત્રી : મહારાજ, રાણીજીની શોધમાં ઘોડેસવારો ચોમેર દોડાવ્યા છે.
વિક્રમદેવ : રે, પાછા બોલાવો, એને પાછા બોલાવો! આજ મારું સ્વપ્ન ઊડી ગયું છે; એને તમારા ઘોડેસવારો ક્યાંથી શોધી કાઢશે? ચાલો, સેના સજ્જ કરો, હું યુદ્ધે ચડીશ, દ્રોહીઓને નસાડીશ.
મંત્રી : જેવી આજ્ઞા, પ્રભુ!

[જાય છે.]

વિક્રમદેવ : દેવદત્ત, શા માટે મોં નીચું ઢાળ્યું છે? ખબરદાર, આશ્વાસનના પામર શબ્દો કાઢીશ ના. આજે તો જાણે મારા આત્માને મેલીને ચોર ચાલ્યો ગયો છે. એ ચોરાયેલો આત્મા આજે પાછો જડ્યો છે. આજે તો, સખા, આનંદનો દિવસ છે. આવો ભેટીએ.

[ભેટે છે.]

                  ના, ના, બંધુ! જૂઠી વાત! ઘોર વાદળની અંદર આ તો પ્રકાશનો માયાવી ચમકારો. જાણે વળી પાછું એ ચમકારામાંથી વજ્ર છૂટે છે, મારા મર્મને વીંધે છે. તે કરતાં તો, આવો, એકવાર એ હૃદયના મેઘાડમ્બરમાંથી આંસુધારાઓ વરસાવી લઈએ. વાદળ વિંખાઈ જશે. }}