રાજા-રાણી/પાંચમો પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાંચમો પ્રવેશ

પહેલો અંક


         સ્થળ : દેવદત્તનું ઘર.

                                    [ગોરાણી નારાયણી ઘરકામમાં પડેલી છે. દેવદત્ત પ્રવેશ કરે છે.]

દેવદત્ત : કાં પ્રિયે, ઘરમાં કાંઈ છે કે નહીં?
નારાયણી : હા, હવે બાકી એક મારું ખોળિયું રહ્યું છે. એ પણ ન રહે તો આફત ટળે!
દેવદત્ત : વળી પાછું શું થયું?
નારાયણી : તમારે તો જાણે રસ્તામાંથી ગોતી ગોતીને રાજમાં જેટલા ભિખારી છે એ બધાને આંહીં ઉપાડી લાવવા; અને આંહીં ઘરમાં એક ઠીકરું યે નથી રહ્યું. ઢસરડા કરી કરીને મારું શરીર પણ તૂટી ગયું.
દેવદત્ત : શું હું નકામો આણું છું આ બધાને? તમને ખબર નથી, ગોરાણી, પણ હાથમાં કામકાજ હોય તો તમને પણ ઠીક રહે અને પરિણામે મને પણ ઠીક રહે. બીજું ભલે ન બને, પણ તમારી આ જીભ તો છાની રહેને?
નારાયણી : એમ! તો લ્યો આ અમે મૂંગાં મર્યાં. અમારી વાત તમારાથી ખમાતી નથી એ કોને ખબર હતી? તે તમને કોણ પાણો મૂકે છે કે અમારી વાત સાંભળો?
દેવદત્ત : તમે જ કહો છો; બીજું તે કોણ? હું એક વાત ન સાંભળું તો એક સાથે દસ સંભળાવો છો.
નારાયણી : એમ કે? એક સાથે દસ સંભળાવું છું, કાં? સારું. આ મૂંગાં મર્યાં. મૂંગી મરું તો જ તમારાથી જીવાશે. માડી, હવે કાંઈ એ દિવસ રહ્યા છે? એ દિવસો તો ગયા. હવે નવીન મોંની નવી નવી વાતો સાંભળવા મન તલપતું હશે! અમારી વાતો તો હવે જૂની થઈ ગઈ, ખરુંને?
દેવદત્ત : ઓ મારા બાપ! હવે વળી નવા મોઢાની નવી વાતો? સાંભળતાં જ પેટમાં ઝાળ થાય છે. પણ હવે તો આ જૂની વાતો સાંભળવાનો અભ્યાસ થતો આવે છે. ફિકર નથી.
નારાયણી : એમ કે? બહુ સારું. ઝાળ થતી હશે તો હવે મૂંગાં મરી રહેશું. હવે એક અક્ષરેય ન બોલવો! પહેલેથી જ કહી દેવું હતું ને! હું શું જાણું કે ઝાળ થતી હશે? જાણતી હોત તો કોણ તમને...
દેવદત્ત : અગાઉ મેં નહોતું કહ્યું? કેટલી કેટલી વાર કહ્યું છે? પણ એ તો પથ્થર પર પાણી.
નારાયણી : એમ કે? તો બહુ સારું. આજથી મૂંગા મરશું. બળ્યું! તમનેય સુખ, અને મનેય સુખ. હું શું વિના કારણે બક્યા કરું છું? તમારા આ ચાળા જોઈને...
દેવદત્ત : આનું નામ જ મૂંગા મરવું કહેવાય કે?
નારાયણી : બહુ સારું. [મોં ફેરવે છે.]
દેવદત્ત : પ્રિયે! પ્રેયસી! મધુરભાષિણી! કોકિલગંજીની!
નારાયણી : લ્યો, હવે બસ કરો. જરા શરમાઓ.
દેવદત્ત : રોષ કરો ના, પ્રિયે, કોકિલના જેવો રંગ મેં નથી કહ્યો; પણ કોકિલ સમો મીઠો કંઠ કહ્યો છે હો!
નારાયણી : જાઓ જાઓ, હવે બકો મા. પણ હું સાફ સંભળાવી દઉં છું કે હવે જો ભિખારા ઉપાડી આવશો, તો મારી મારીને કાઢી મૂકીશ, કાં હું પોતે જ બાવણ બનીને વનમાં ચાલી નીકળીશ.
દેવદત્ત : તો હુંય તમારી પાછળ આવીશ, અને આ ભિખારી બધાં પણ આવવાનાં.
નારાયણી : ખરું છે. શાસ્ત્રમાં ખોટું કહ્યું છે કે ઘરની ઊઠી વનમાં ગઈ, તો ત્યાંય લાગી આગ! મારા ભાગ્યમાં જ શાંતિ નથી.

[નારાયણી જાય છે, ત્રિવેદી માળા ફેરવતા ફેરવતા આવે છે.]

ત્રિવેદી : શિવ! શિવ! શિવ! તું રાજ-પુરોહિત થયો, એમ કે?
દેવદત્ત : થયો છું તો ખરો! પણ એમાં રોષ શીદને કરો છો, ત્રવાડીજી? એમાં મેં કાંઈ દોષ નથી કર્યો, નથી માળા જપી, કે નથી ભગવાનનું નામ લીધું, એ તો રાજાની મરજી થઈ!
ત્રિવેદી : હરિ! હરિ! પિપિલિકાનો પક્ષચ્છેદ થયો!
દેવદત્ત : મારા ઉપરનો ગુસ્સો બિચારા શબ્દ-શાસ્ત્ર ઉપર કાં ઉતારો? ‘પક્ષચ્છેદ’ ન કહેવાય, પક્ષોદ્ભેદ.
ત્રિવેદી : છેદ અને ભેદ, બધું એકનું એક. કથામાં પણ છેદ ભેદ કહેવાય છેને! હે ભવેશ્વર! ગમે તેમ હોય, બાકી તારે તો જેટલો મોટો થવાનું હતું તેટલો તું થઈ ચૂક્યો —
દેવદત્ત : ના, ત્રવાડીજી! પૂછો ગોરાણીને, હજી એમ કાંઈ મારી જુવાની નથી ચાલી ગઈ!
ત્રિવેદી : હું પણ એ જ કહું છું. જુવાનીના મદમાં ને મદમાં જ તું આટલો ચડી ગયો છે; અને હવે તું મરવાનો છે. હે...એ હરિ! હે...એ દીનબંધુ પ્રભો!
દેવદત્ત : બ્રહ્મવાક્ય મિથ્યા થાય જ નહીં, એટલે હું સાચે જ મરવાનો. પરંતુ તે માટે આપને કાંઈ ખાસ તસ્દી નહીં લેવી પડે. ત્રવાડીજી, જમરાજા પોતે જ એ બધું કરવાના. બાકી તો આપના કરતાં મારી સાથે એમને કાંઈ વિશેષ સગપણ નથી — તમામ પ્રત્યે એમની તો એકસરખી જ દૃષ્ટિ છે.
ત્રિવેદી : પણ તારા દહાડા હવે ખવાઈ રહ્યા છે, દેવદત્ત! હે...એ દયાળુ પ્રભુ!
દેવદત્ત : તે તો હવે શી રીતે જાણવું? બાકી આજકાલ તો અનેક માણસો મરે છે — કોઈ ગળે ફાંસો ખાઈને, તો કોઈ ગળે ગાગર બાંધીને; કોઈ વળી સર્પદંશથીયે મરે છે; પણ બ્રહ્મશાપથી કોઈ મર્યો સાંભળ્યો નથી. હા, બ્રાહ્મણનો ડંડો ખાઈને કોઈ કોઈ મર્યા હશે, પણ બ્રાહ્મણને બોલ્યેથી તો કોઈ ન મરે. એટલે પછી, મારાથી જો વેળાસર ન મરી શકાય, તો આપ રોષ ન કરતા, મહાશય; એમાં મારો વાંક નથી, કાળનો વાંક છે.
ત્રિવેદી : અહા, પ્રણિપાત! શિવ, શિવ, શિવ!
દેવદત્ત : બીજું કાંઈ પ્રયોજન હોય તો ફરમાવો.
ત્રિવેદી : ના, ના, આ તો તને માત્ર આટલા સમાચાર દેવા જ આવેલો. હે...એ દયાળુ! હાં, હાં, તારા વાડામાં એક-બે પતકાળાં પાક્યાં હોય તો લાવને! મારે જરા જરૂર છે.
દેવદત્ત : ત્યારે એમ જ વદોને! લ્યો, લાવી આપું.

[જાય છે.]