રાજેન્દ્ર પટેલની કવિતા/વાવાઝોડાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૧. વાવાઝોડાં

ઓચિંતાં વારંવાર,
શાંત સરોવરના જળને ડહોળી નાખતાં,
વણનોતર્યાં.
આ વા-વંટોળ ને વાવાઝોડાં,
કેમ ખાબકે છે અવારનવાર!

નિદ્રામધ્યે,
સપનાંનાં વાવાઝોડાં બહુ ના ચાલે,
આંખ ખૂલતાં અદૃશ્ય,
બહારનાંય એકાદ રાતદિવસ ધસી ધસીને થાકે.

પણ અંદરના અંધકારનાં,
આ વાવાઝોડાં તો,
ધસે રાખે દિવસોના દિવસો,
ને હજાર હજાર અશ્વની ખરીઓ નીચે,
ચગદાતાં ધમરોળતાં અસંખ્ય શ્વાસ,
ચિત્કાર પણ કરી શકતાં નથી.
બહારનાં વાવાઝોડાં તો ઠીક,
આ ન દેખાતાં વધુ ભયાનક!

કહેવાય છે,
આ વાવાઝોડાંમાં,
જે નમે છે એ બચે,
પણ પછી તે સદા ઝૂકેલાં રહે છે.
ટટાર બધાં તૂટી જાય છે,
પણ
જે મૂળને પકડીને રાખે છે મજબૂત,
એ જ કાયમ ટકે છે.

ઘેઘૂર વૃક્ષો ધરાશાયી થાય છે,
ઊંચા બટકાઈ જાય છે,
પણ જે ડાળીઓએ પકડી રાખ્યાં હોય છે,
પોતાનાં મૂળ,
તે જ રહે છે યથાવત,
આ વાવાઝોડાંમાં.

એટલે શું,
મૂળની મમત રાખતા,
કુદરતના દેવદૂતો સામટા,
વાવાઝોડાંનો સ્વાંગ રચીને!
તે અતિ તીવ્રતાથી ડહોળી નાખે છે,
શાંત સરોવરનાં જળ!*[1]

આ વાવાઝોડાં આવે છે, એમ જ ચાલીયે જાય છે,
એકાએક,
બધું વેરણછેરણ કરીને,
તોય, કેમ ઊંડે ઊંડે ગમે છે આ વાવાઝોડાં!

  1. * નર્મદને યાદ કરતાં કરતાં