રા’ ગંગાજળિયો/૨૫. છેલ્લું ગાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫. છેલ્લું ગાન

“એલા નરસૈંયાને લાવે છે, લાવે છે.” ખુલ્લાં ખડ્ગોવાળા પ્રહરીઓથી વીંટળાયેલો ભક્ત નરસૈંયો વળતે દિવસે રાજસભામાં આવ્યો ત્યારે કિકિયારા ઊઠ્યા, “એલા, એના કપાળમાં ટીલું નથી.” “ટીલું તો હવે એને કપાળે ધગાવીને ચોડી દેવું જોઈએ.” “એનો વીઠલો હજી વા’રે ધાયો કેમ નહીં? મારે બેટે, પણ આટલાં વરસ સુધી ધતિંગ હાંક્યે રાખ્યું શ્રીહરિને ને દામોદરરાયજીને નામે!” “એલા, તારા શ્રીહરિને તેડાવ, ઝટ તેડાવ.” એને કોઈ આંગળી ચીંધી કહેતો હતો. “આજ હવે રતનબાઈ પાણી નહીં પાય ને તરસે મરી જાજે.” “અરે, બીજી ત્રણ છે ને સાથે, પાણી પાનારી. એક તો આ માનબાઈ, બીજી કાનબાઈ, ને ત્રીજી સૂરસેના.” “ત્રણે જણીઓને ધકાવોને બહાર.” “એ ન જાય. એ તો મહેતાને જ વળૂંભી રહી છે.” શ્વેતવસ્ત્રધારિણી ત્રણ યુવતીઓનાં મુખ પર આનંદ હતો. સર્વના થૂથૂકાર વચ્ચે પણ એમનાં રૂપ અણઝંખવાયાં હતાં. ભરસભામાં રા’ માંડળિકે પ્રવેશ કર્યો. “જય તીરથપતિ! જય શંભુના ગણ, જય ગંગાજળિયા!” એવી ગર્જના પડી. એ બિરદોને ઝીલતા રા’ પૂરેપૂરા લહેરમાં હતા. એના મોં ઉપર ગાંભીર્યની રેખા જ રહી નહોતી. પ્રજાવત્સલ ને લોકપ્રિય બનવાનો કોઈ અજબ મોકો એને જાણે આજ મળી ગયો. પ્રથમ તો એણે એ ત્રણે સ્ત્રીઓને નિહાળી નિહાળી જોઈ, રા’નું મોં મલક્યું. મન બોલ્યું : બધા જ મોજ કરે છે ને શું! નરસૈંયાને એણે પૂછપરછ માંડી : “તું કોનો ઉપાસક છો?” “શ્રીહરિનો, શ્રીકૃષ્ણનો.” “એટલે શિવનો વિરોધી ખરોને?” “ના બાપ, મારો વાલોજી બીજા દેવથી જુદા નથી. મારા શામળિયાજીમાં સૌ સમાઈ જાય છે.” “જુઓ મહારાજ!” સંન્યાસી મુકુંદાશ્રમ બોલ્યા, “અન્ય દેવો એના દેવની અંદર સમાઈ ગયાનું કહે છે. પોતાના દેવની બડાઈ મારે છે.” “તારો વાલોજી તારાં ઘરનાં કામકાજ ઉકેલી જાય છે એવું તું લોકોને ભણતર ભણાવે છે?” “શ્રીહરિ તો સૌનાં કામકાજ ઉકેલે છે. બધાની આબરૂનો રખેવાળ શ્રીહરિ છે. મુજ સરીખા રંક પ્રમાદીની, દુર્બળ અને દીનની એ વધુ સંભાળ રાખે છે.” “તારે ના’વાનું ગરમ પાણી પણ પ્રભુ ઠંડું કરી જાય છે, ખરું?” નરસૈંયો શું બોલે? “તારી છોકરીનું મામેરુંય પ્રભુ પૂરી આવે, ને છોકરાના વિવા પણ પ્રભુ ઉકેલી આવે, ખરું?” “શ્રીહરિ સિવાય મારું રેઢિયાળનું તો બીજું કોણ પાર પાડે?” “તારા શ્રીહરિને તેં એકેય વાર આમ રૂપ ધારીને તારાં કામ કરતાં નજરોનજર દીઠા છે?” “ના રે ના! રાધેશ્યામ કરો, મહારાજ. એક વાર વૈકુંઠમાં રાસલીલામાં જોયા તે જોયા; પછી તો મેં કદી જોયા નથી. મુજ સરખા પાપીને એનાં દર્શન ક્યાંથી થાય?” “ત્યારે તું પોતાને પાપી તો માન છ; એટલો વળી ડાહ્યો. ને પરદેશીઓના પારકા પૈસા લઈને ખોટેખોટી હૂંડી પણ તેં જ લખી આપેલી ને?” નરસૈંયો ન બોલ્યો. એ ભૂલનો એને પસ્તાવો હતો. “પછી આ રતન નાગરાણીને ને તારે શું સગપણ હતું?” “એ મારાં મામી હતાં. વાલાજીનાં ભક્ત હતાં.” “એના જ હાથનું પાણી પીવામાં કાંઈ વિશેષ ભજન-રસ પડતો હતો? કોઈ પુરુષ નહીં, તારી સગી સ્ત્રી કે પુત્રી નહીં, કોઈ બુઢ્ઢી નગરનારી નહીં, ને આ રાતી રાણ જેવી રતનમામી જ તને પાણી પાય એવાં વ્રત પણ તારે વાલેજીએ જ લેવરાવ્યાં હશે, ખરું?” “રતનમામી શ્રીહરિને વહાલાં હતાં, કેમ કે મુજ સરીખાં એ પણ દીન હતાં, હરિનાં શરણાગત હતાં.” “ને તુજ સરીખાં પાપી પણ હતાં, એમ કહી દે ને!” “પાપી નહોતાં, પાપીને પુનિત કરવાવાળાં હતાં. છબીલાજીએ જ મારી સારસંભાળ લેવા એને મેલ્યાં હતાં.” “એનું મોત કેમ થયું? તારો વિરહ સહી ન શક્યાં એથી ને?” “વાલાજીએ પોતાને શરણે બોલાવી લીધાં હશે. મને પાપીને રઝળતો મેલી ગયાં. મને કહ્યું પણ નહીં. મને જરીક ચેતાવ્યો હોત! આ પાણી છેલ્લી વારનું છે, એટલુંય જો મને ગઈ રાતે કહ્યું હોત!” આંહીં નરસૈંયો રા’ના સવાલનો જવાબ નહોતો દેતો, પણ એની આંખો આખી કચેરી પર દસે દિશ ભમતી હતી ને એ બોલતો હતો. માણસો એની આંખોમાં દડ દડ વહેતી અશ્રુધારા દેખતાં હતાં. અનેક પ્રેક્ષકો એની મજાક-મશ્કરી કરવા આવેલા, છતાં રતનમામીની વાત પર નરસૈંયાના મોં પર ઘોળાતી કરુણા નીરખીને તેઓ પણ અનુકંપાયમાન થયા. રા’એ પૂછ્યું : “હેં ભક્તજી! તમે તો ગોલોકમાં વિચરી આવ્યા છો, હરિનું રાસમંડળ નજરે જોઈ આવેલ છો, તો તમે ત્યાં અપ્સરાઓ પણ જોઈ હશે ને? અપ્સરા કેવી હોય, વર્ણવી તો દેખાડો.” “બાપ, મને ખબર નથી, મેં જોઈ નથી. મને ભાસ થયો કે હું હરિની પુરીમાં ગયો. પણ મેં ત્યાં બે જ જોયાં છે! એક કૃષ્ણ ને એક રાધિકા.” “રતનમામી તો હવે અપ્સરા થશે ને?” “મને શી ખબર, મહારાજ?” “અને હેં ભક્તરાજ!” રા’એ પૂછ્યું, “રાજકુટુંબમાંથી તમને કોઈક મનભાવતી છૂપી મદદ પહોંચાડે છે એ વાત સાચી?” “કોણ મદદ પહોંચાડે છે ને કોણ નહીં, એ મને કશી ખબર નથી. મદદ તો મારા વાલાજી વગર કોણ કરે?” એક નાગરે કહ્યું : “અને નાગરોના જ્ઞાતિભોજનમાં હાડકાંના નળા લઈ લઈ ચાંડાલોને પણ એણે જ બેસાડેલા, મહારાજ!” “તમારે કાંઈ કહેવું છે, ભગત?” “ના, મારા વાલાજી.” તપાસ પૂરી થઈ. પુરોહિતો સાથે મંત્રણા કરી રા’એ ફેંસલો સંભળાવ્યો : “જૂનાગઢનો નરસૈંયો પાખંડ ચલાવે છે, પરસ્ત્રીઓને ફસાવે છે, અજ્ઞાનીઓને ભોળવી ઊંધે માર્ગે ચડાવે છે. જો એ રાધાકૃષ્ણની આ લંપટ ભક્તિ છોડી દ્યે, તો જ એ જીવતો રહી શકશે. ને ગોપીનો પંથ ન છોડે તો પછી એ સાબિત કરી આપે કે એના શ્રી દામોદરરાયજી સાચા છે ને સાચેસાચ એને ભીડમાં સહાયકર્તા બને છે. દામોદરરાયજીના મંદિરમાં પ્રભુની મૂર્તિના ગળામાં જે કંત્રાયણનો હાર છે, એ હાર જો પ્રભુ નરસૈંયાના કંઠમાં પહેરાવી જાય, તો જ એ જીવે; નહીં તો સર્વ પ્રજાજનો નજરે નિહાળે તેમ આ ધૂર્તનું માથું હું પોતે જ ધડથી જુદું કરીશ.” માથું અને ધડ જુદાં થશે, એ શબ્દો બોલતાં તો બધી આંખો નરસૈંયાના ગળા ઉપર નોંધાઈ ગઈ. એ ગળું ગોરું હતું. એ ગળામાંથી રેલાતી સૂરોની ધારાઓ લોકોએ પચીસ વર્ષોથી પીધી હતી. વળતા દિવસના પ્રભાતથી આ ગળું ગાતું બંધ થશે. લોકોની નજર ગળાથી ચડતી ચડતી ઉપર જતી હતી ને સુંદર મસ્તકને સ્પર્શ કરતી હતી. લોકોની નજર ગળાથી નીચે ઊતરતી ઊતરતી નરસૈંયાના ક્ષીણ છતાં સંઘેડા-ઉતાર ઘાટીલાં અંગોને ઝીણવટથી જાણે સ્પર્શ કરતી હતી. આટલો કોમળ દેહ, નાગર માતપિતાના પરમાણુમાંથી નીપજેલો આ હેમવરણો દેહ; અડતાં પણ જાણે એની ગુલાબ-પાંદડીઓ ખરી જશે એવી બીક લાગે; જોતાં પણ એની ઉપર આપણી જ પોતાની નજર લાગશે એવી ચિંતા લાગે. એ શરીર ઉપર કાલે ખુદ રા’નું ખડ્ગ ઊતરશે? અત્યાર સુધી લોકોને તમાશો હતો, હવે લોકોને હેબત પેઠી. “આપણે એમ કરોને,” રા’એ રસ્તો બતાવ્યો : “કાલે રાતે દામોદરરાયને મંદિરે એક પક્ષે નરસૈંયાને બેસારો. સામા પક્ષે વિરોધ પક્ષને બેસારો. નરસૈંયો કરે છબીલાજીનાં ભજન, અને બોલાવે એના પ્રભુને. પ્રભુ પોતાની ડોકેથી કંત્રાયણનો હાર એને પહેરાવી જાય તો એ સાચો. અમે પણ બેઠા બેઠા રોનક જોઈએ.” એની દૃષ્ટિ એ કહેતે કહેતે પણ માનબાઈ, કાનબાઈ ને સૂરસેના પર હતી. ત્રણે સ્ત્રીઓનો નેત્રપાત અંતરીક્ષે હતો. વળતા દિનની સાંજ પડી. રા’એ રોજથી બમણું સુરાપાન કર્યું. નાગાજણ ગઢવીને રોકી લીધા. દામોદરરાયના મંદિરે સભામાં ચાલ્યા. સભામાં સોરઠ ધરા ઊતરી પડી હતી. રા’એ ઊંચા તખ્ત પર આસન લીધું; જમણા હાથ પર નજર કરી : ભગવાં વસ્ત્ર-પરિધાને શોભતા ભીમ સંન્યાસી, મુકુંદ સરસ્વતી વગેરે પોતાનાં શાસ્ત્રપોથાં લઈ બેઠા. સાથે નરસિંહ મહેતા પોતાની ત્રણેય સખીઓ વચ્ચે વીંટળાઈને બેસી ગયા. સન્મુખ હતી કૃષ્ણની મૂર્તિ. મૂર્તિના કંઠમાં હાર હતો. “કાં ભક્તજી!” મદિરાની ગંધે મહેકતા રા’એ મહેતાને પૂછ્યું, “ઊંઘ તો આવી હતી ને ગઈ રાતે?” “બહુ સૂઈ રહ્યો હું તો, મહારાજ!” મહેતાએ સાનંદ જવાબ વાળ્યો : “કંઈક વધુ પડતું ઊંઘાઈ ગયું.” “કંઈક વધુ પડતું ઊંઘાઈ ગયું!” ભીમ સંન્યાસીએ વાત ઉપાડી લીધી : “અરે નઘરોળ! માથે જમ જેવો વેરી ફરે છે, ને તને નિરાંતે નીંદર શે આવી? પંચભૂતના બાંધેલા દેહ પર આવડી બધી પ્રીતિ! જુઓને ડોકે ફૂલહાર, કપાળે ચાંદલો, સમારેલા કેશ! શરીરને આજે મરવાની રાતેય શણગાર્યું! ઠીક, લ્યો હવે ભક્તજી, આ સામે રહ્યા છબીલોજી. પાંચ જ કદમ છેટા છે. ને હાર તો ડોકે જ છે. તેડાવો વહાલાજીને.” અને મહેતાજીએ આંખો મીંચી, કોમળ કંઠે પદ ઉપાડ્યું :

તું દયાશીલ : હું દીન, દામોદરા
ઇન્દિરાનાથ એહવું વિચારી
ચરણને શરણ આવ્યો, કૃપાનાથ! હું,
કરની ગોપાલ સંભાળ્ય મારી.
દેવના દેવ, સુણ દેવકીનંદન!
ભક્તપાલક એહવું બિરદ તારું,
એહ જાણી ઘટે ત્યમ કરો ત્રિકમા!
અવર અધિપત્ય કો નથી મારું.

પછી મુખ પરનો ભાવ બદલ્યો. જરા મલકાટ ઊઠ્યો. વદન જાણે વદી રહ્યું, મારે શી પડી છે! ગરજ તો તારે છે, છબીલા! માહરા કર્મને ભાલવીશ ભૂધરા!

પતિતપાવન તારું બિરદ જાશે, છાંડતાં તોય કેમ છૂટશો, શામળા! છોડશો તો ઉપહાસ્ય થાશે.

આમ મહેતાજીનાં મન-શરીર શુદ્ધ સુકોમળ શરણાગતિના સ્વર શબ્દોમાં નીકળતાં હતાં, ત્યારે એની સામે સંન્યાસી પક્ષેથી મુકુંદ-સરસ્વતી તિરસ્કારે ઊછળ્યો—

કામી કપટી સુધો લંઠ
શું માંડી બેઠો પાખંડ!
તું રહેતો, વશ વૈકુંઠનાથ,
તે અમને દેખાડની આજ.
ભક્તિ-વિહોણે ભૂલો ભમે
શા માટે તું સ્ત્રીને દમે!
કૂડિયા ભક્ત : નહિ ફળ લહે!
મુકુન્દ સરસ્વતી એણી પેરે કહે.

“હાં-હાં, ઠીક સપાટો લગાવ્યો, સંન્યાસીજી!” રા’ બેઠા બેઠા લહેરમાં ચડી ગયા. અને નરસિંહ મહેતાએ તો પ્રભુ પ્રત્યેની કોમળ કાકલૂદી ચાલુ જ રાખી : “હે શામળા! ભક્તને કાં વીસર્યો! અરે, તું તે ભવદુ:ખભંજણો ભૂધરો છે કે લંપટ લક્ષ્મીનાથ છે! મારી સાર કર. હું નરસૈંયો કરગરું છું.” “કરગર્યા કર, કાકલૂદી કર્યા કર હવે.” ભીમ સંન્યાસી હસી પડ્યા :

કાલાવાલા કશા કરે છે, જો નવ જાણ્યું પહેલું :
નરહરિ સાથે નેહ નહીં તો ગર્વ કરે શું ગહેલું;
સાન વિના મન માન ધારીને, વિષય મોકળા મ્હાલ્યો,
ભીમ ભણે, હવે છૂટશો સાચે, સહીં સાંકડે ઘાલ્યો.

એવા શબ્દ-સપાટા મહેતાને કલેજે ચમચમતા હતા. મનુબાઈ, કાનબાઈ અને સૂરસેનાનાં મોં નીચે ઢળ્યાં હતાં. ઘડીક ઘડીક તેઓ પ્રભુમૂર્તિના કંઠહાર સામે તાકી રહેતી હતી. ને મહેતો ગાતા હતા— “મારે તો તારા નામ સિવાય કોનો આશરો છે? તારા વિના કોણ સાર લેવાનું છે? તું તો દયાલ છે. મારે કંઈ મોક્ષ જોઈતો નથી—

ભણે નરસિંયો ભૂતલે અવતરી,
અહર્નિશ ગુણ ગાઉં તોરા.

“ફરી ફરી અવતરું આ ભૂતળ પર, ને તારા જ ગુણ ગાતો રહું, એ જ વાંછના છે.” “ખરું જ તો!” રા’ ખીલ્યા; “ફરી ફરી અવતરીને આ મોજ માણવાનું કોને ન ગમે?” “કેવો લંપટ છે આ, મહારાજ! મોક્ષને નિંદે છે.” સંન્યાસી રામાનંદ ઊકળી ઊઠ્યા.“અમે આ, ત્યારે તો, જખ મારીએ છીએ ના!” એનો જવાબ પણ મહેતાજીએ કાવ્યમાં મૂકી, સન્મુખ ઊભેલા પ્રભુને જ સુણાવ્યો :

કો કહે લંપટ, કો કહે લોભિયો;
કો કહે તાલકૂટિયો રે ખોટો.
સાર કર માહરી, દીન જાણી હરિ!
હાર આપે તો કહું નાથ મોટો.

બહુ પાશે સુંદરી-કંઠ બાંહો ધરી,
કેશવા! કીર્તન એમ હોયે.
અજ્ઞાની લોક તે અશુભ વાણી વદે,
પૂર્ણ ભક્ત તે પ્રેમે જોયે.
ભીમ સંન્યાસી હસે છે—

અલ્યા! તુંને હાર ન આપે રે,
તુંને સૌ સંન્યાસી શાપે રે.
ભક્તિ વિહોણો ભૂલ્યો ભમ્યો
તું મર્મ ન જાણે કાંઈ રે.
પરનારી શું પ્રેમ તાહરો
તેહને દિને ગાઢું સાંઈ રે.
ઘણા દિવસ છાનો દંભ ચલાવ્યો
આજે કંઠે સાહ્યો રે.

“શાપો છો મને! તમે સંન્યાસીઓ મને શાપો છો? મને શાપ લાગે નહીં. મને મડાને વીજળીનો ભો હોય નહીં.” “પણ આ રાત તો વહી જાય છે, પાખંડી! તારો હરિ તો આવ્યો નહીં હજી. હવે તો ગરદન તૈયાર કર.” કાળી રાતના મોડા પ્રહરે આ શબ્દો બોલાયા : “ગરદન તૈયાર કર!” રા’ના ખોળામાં ખડ્ગ પડ્યું હતું. માનવસમૂહ હાલકલોલ હતો. એ એકાએક ઊંચા શ્વાસ લઈ ગયો. રજની જાણે કે નાસી રહી હતી. મહેતાએ મૂર્તિની સામે એક હાસ્ય કર્યું ને કહ્યું : “વાલાજી!! ગરદન તો આ રહી તૈયાર, ગરદન બચાવવા જાણે મથતો હોઉં એવું માને છે આ બધા :

જો માંડલિક મૂંને મારશે. ભીંજશે ધૂળ, કંઈ હાણ થાશે,
(પણ) ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો તો,
‘ભક્તવચ્છલ’ તારું બિરદ જાશે.

“ચપટી ધૂળ ભીંજાશે. એમાં કઈ હાનિ થાશે! હાણ તો તને થશે, છબીલાજી!” રા’ના હાથ ખડ્ગની મૂઠ પરથી ઢીલા પડ્યા. આવો સુકોમળ માનવી, કાળના મુખ સામેય શું ચપટી ધૂળ ભીંજાવાની વાત કરે છે. આ તે કોણ છે? આ અભયમૂર્તિને જોઈ જીવ કેમ મારો ધડકે છે? આ તો બસ ગાયે જ જાય છે! ને નરસૈંયો અવિરત ગાન ગાતો હતો : “હે કંથ! પરણેલીને પારકે હાથ ભળાવતાં તને લાજ નથી આવતી! તારે ઘેર સહસ્ર સુંદરીઓ, જે માંહે હું તારી એક દાસી છું, એને તારો ઊતરેલો હાર પણ નહીં આપે? મોગરે આટલો બધો મોહી રહ્યો! અરે, એક હાર આપતાં તારા બાપનું શું જાય છે, વાલા?” વલવલતાં મારી મધ્ય રજની વીતી. “શું તને રાધિકા રોકી રહી છે? એની સંગે બેઠો લીલા કરે છે?” માહરી માત તું, તાત તું, ભ્રાત તું, ભૂધરા! પછી તો મહેતાએ ટોણા પર ટોણા દીધા. પ્રભુને ભીરુ કહ્યો, કપટી કહ્યો, તસ્કર કહ્યો. આવડ્યાં તેટલાં લાડ લડાવ્યાં. એ સર્વની સામે દેવપ્રતિમા અવિચલ પાષાણ-નેત્રોની મીટ માંડી રહી હતી. અને ભળકડિયો તારો ગગનમાં ઝબૂકતો હતો. “હવે લંપટ! તાળકૂટિયા!” રા’એ બગાસાં ખાતે ખાતે કહ્યું, “કેટલીક વાર છે તારા હરિના હારને? મારું ખડ્ગ તરસે મરી રહ્યું છે.” એ ત્રાડ પડતાં લોકસમૂહમાં સન્નાટો પથરાયો. સંન્યાસીના પ્રતિનિધિએ રા’ને કહ્યું : “એ હવે ચીંથરાં ફાડે છે, મહારાજ!” મહેતા તો આમ છતાં પ્રભુની પ્રતિમાની સાથે એકદૃષ્ટ રહીને ગરીબડે મોંએ બોલી રહ્યા : “વાલાજી મારા! જતાં જતાં એક જ હોંશ અંતરમાં રહી જાય છે. વાલા, કેદારો ગાઈને તમને આજ શયન કરાવી ન શક્યો. કેદારો ગાઈને તમને મીઠી મીઠી નીંદરમાંથી જગાડી નહીં શકું. અને આ ભવમાંથી વિદાય લેતે લેતે હે, બાળગોપાળ! તમને હું આ કાળીંગા સાથે જુદ્ધમાં નહીં લડાવી શકું. કરું શું, શામળા! મારો કેદારો તો તળાજે રહ્યો. ને કેદારા વગરનું મારું ગાણું તમને આ બે વર્ષથી સંતોષી શકતું નથી તેય જાણું છું. બીજું કાંઈ ગાવું નથી. ગાવો’તો એક કેદારો, ગાઈ શકત તો મરવું મીઠું લાગત.” એકાએક કોઈકનો અવાજ આવ્યો : “અરે આંહીં સૂરસેનાબાઈ કોઈ છે કે?” સૌએ બહાર નજર કરી, પણ કોઈ આદમી ન દેખાયો. એક ચિત્તે અશ્રુધાર વહાવતી બેઠેલી સૂરસેનાએ નજર કરી : એક માનવી દીઠો. પોતે બહાર ગઈ, પાછી આવી : મહેતાજીના હાથમાં એક ખત મૂક્યું. એમાં લખ્યું હતું : ‘ગામ તળાજેથી શેઠ ધરણીધરના જેગોપાળ વાંચજો. તમારો કેદારો રાગ અમારે ત્યાં અડાણે હતો તે બદલની અમારી તમો પાસેની લેણી ચાળીશ કોરી વ્યાજ સિકે તમારા માણસ દામોદરજી વિઠલજી આજરોજ ભરી ગયેલ છે. કેદારો રાગ તમને પરત કરીએ છીએ. તમારો દસ્તાવેજ જોડે છે.’ “સૂરસેના! બેટા!” મહેતાજીએ ચકળવકળ નજર કરી. “કોણ દઈ ગયું?” “ઓળખાણ પાકી આપીને ગયા છે.” બોલતે બોલતે સૂરસેના સમગ્ર દેહમાં થનગનાટ અનુભવી રહી, “કોઈ શંકાનું કારણ નથી. એ તો કહી ગયા છે કે—” પોતે ગાવા લાગી :

તમો મને વેચો તો વેચાઉં, કાચે તાંતણે બાંધ્યો જાઉં;
બ્રહ્માદિકને વશ હું ન થાઉં, યજ્ઞ વિદ્યા તહાં હું ન જાઉં.
જેહને ભણ્યા તણું અભિમાન, ત્હાં ના’વું, કહે ભગવાન;
તમો ગોકુલ-નાર્યથી વા’લી, તમારી પ્રીતે આવ્યો ચાલી.
તમે જે માગો તે આપું, એ સત્ય વચનથી થાપું;
અમને ગાઢ આલિંગન દીધું, અંગોઅંગ મહા ટાઢું કીધું. ooo
મન આરત્ય કશી ન કરશો, માહરા નાથ થકી તમો તરસો.

“બાપુ! હવે વાલાજીને રીઝવી લ્યો.” ને મહેતાના કંઠમાંથી પ્રભુને વહાલો કેદારો રાગ ઊઠ્યો તે સાથે પો ફાટતી હતી—

એ જી વાલા! હારને કારણ નવ મારીએ
હઠીલા હરિ અમુંને;
માર્યા રે પછી મોરા નાથજી
દોષ ચડશે તમુંને.
એ જી વાલા! હારને સાટુ નવ મારીએ…

“આ શું?” રા’ ચમક્યા. “આ તો કેદારો!” “હા, મહારાજ!” સૂરસેના રા’ સામે પહેલી જ વાર આટલું બોલી. ત્યાં તો નવા સૂર ઊપડ્યા. પરોઢનું પદ્મ ઊઘડતું હતું તેમ સૂરોની પાંખડીઓ ખૂલતી હતી :

એ જી વાલા! ગલ રે ફૂલન કેરો હારલો
ગૂંથી લાવોને વે’લો
મડળિક મુજને મારશે રે
રવિ ઊગ્યા પે’લો
વાલા હારના સા…

રા’ને વિસ્મય થયું : “આ કેદારો રાગ ક્યાંથી? નરસૈંયાએ ઘરેણે મૂકેલો કોણ છોડાવી લાવ્યું? આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે? મનમાં મૂંઝારો કેમ થાય છે? કોઈક એને કેદારો ગાતો બંધ કરો. એને મોંએ હાથ દાબી વાળો. એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારા ઉપરકોટ ને ગરવો પહાડ ક્યાંઈક ઓગળી જશે. એલા કોઈ સાંભળતા કેમ નથી? ઝટ નરસૈંયાને કેદારો ગાતો અટકાવો.” સંન્યાસીઓને પૂરી સમજ પડે તે પૂર્વે તો રા’ પોતે તખ્ત પરથી મહેતા તરફ દોડ્યા. ત્યાં જઈ એ પણ સ્તબ્ધ ઊભા રહ્યા. ને કેદારાના સૂર વરણથંભ્યા વહેતા રહ્યા—

એ જી વાલા, અરધી રજની વીતી ગઈ,
હાર કેમ ન આવ્યો,
દેયું રે અમારી દામોદરા!
બંધીવાન બંધ છોડાવો…
વાલા હારના સાટુ નવ મારીએ.

નરસૈંયો ગાતો હતો. પાસે તંબૂર નહોતો, કરતાલ નહોતી. હતી દેહની રક્તગતિ. એ તાલ-સૂર પુરાવતી હતી, ને નરસૈંયો ગળું મોકળું મેલીને ગાતો હતો.

જૂનાગઢ શહેર પણ અરધુંપરધું જ ઊંઘતું હતું. તેણે વહેલાં ઊઠીને નરસૈંયાનો તાલ જોવા જવા તૈયારી કરી હતી. મંદિરને બારણે ગિરદી જામી ગઈ હતી. સૂર્યોદયને ઝાઝી વાર નહોતી. અંદરથી ઊંચે વાયુમાં ઉપરાઉપરી કેદારાના પ્રભાતી સૂર ગગનારોહણ કરતા હતા. સાંભળનારા નગરજનો નવાઈ પામતા હતા, “નરસૈંયો મરવાની તૈયારી કરી રહ્યો લાગે છે. પણ છેલ્લાં બે વર્ષથી કદી ન ગાયેલા આ કેદારસૂરનો લલકાર આજ ઓચિંતો શાથી? એ સૌને કહેતો હતો ને, કે કેદાર ગાવાની તો મારા વાલાજીની મના છે.” આકાશ રુધિરવરણું બન્યું ને સૌ દરવાજા સામે તાકી રહ્યા : “એ હવે નીકળ્યો સમજો!” નીકળ્યો તો ખરો, પણ નોખા જ રંગઢંગમાં. ચાલ્યા આવતા નરસૈંયાને હાથે કડી નથી, પગે બેડીઓ નથી. ગળામાં ગલફૂલનો હાર છે. સંન્યાસીઓ એને પગે લાગતા ચાલ્યા આવે છે. દરવાજા પર આવીને રા’એ હાથ જોડી કહ્યું : “ભક્તજી! હવે આપ છૂટા છો, પધારો.” “રાધેશ્યામ! મારા વાલાજી! સહુને રાધેશ્યામ. તમને મેં બહુ કોચવ્યા. માફ કરજો દાસને.” એમ સામે જવાબ વાળતો નરસૈંયો દરવાજેથી એકલો નગર તરફ ચાલી નીકળ્યો. લોકોની ઠઠ ચકિત બની જોતી જોતી ઊભી રહી ગઈ. રા’ પોતે જેને પગે લાગ્યા હતા, તેની બેઅદબ કોણ કરી શકે? સૌ કૌતુકમાં ગરકાવ હતા. બજાર સોંસરો નરસૈંયો ચાલ્યો જતો હતો ને લોકવાયકા એનીય મોખરે ચાલી જતી હતી : “એનો કેદારો કોક રાતોરાત છોડાવી લાગ્યું ને કેદારો ગાયે પ્રભુ રીઝ્યા.” “પ્રભુ તો રીઝ્યા હો કે નૈ, પણ માંડળિકે પરોઢના પહેલા ઉજાસમાં નરસૈંને કંઠે કોઈક અદૃશ્ય બે હાથ હાર આરોપતા દીઠા.” “નજરબંધી કરી હશે?” “તે વગર કાંઈ કરડો રા’ એને છોડે?” “અરે, મહારાણી કુંતાદેએ રા’ને ટાઢો દમ દીધો હશે.” “કુંતાદે તો અહીં ક્યાં છે? એ હોય તો રા’ આટલુંય કરી શકે?” “આટલું એટલે કેટલું? કાલની વાત તો સૌ જાણે છે, પણ પરમ દી રાતની વાત કોઈ જાણો છો?” “શું વળી?” “કુંતાદેવી પરમ દી સવારે જાત્રાએ સિધાવ્યાં ને પરમ દી રાતે રા’એ—વીશળ કામદારના ઘરમાં—કામદારની ગેરહાજરીમાં—” “ચૂપ, ચૂપ!” “મને તો આ હારફારવાળી વાત ખોટી લાગે છે. આપણો રા’ હવે તો અપ્સરાઉં ગોતે છે ખરોને, તે નરસૈંયે ઈ કામ માથે લીધું હશે.” લોકવાયકા ઘેર ઘેર જુદા ખુલાસા આપતી ઘૂમી વળી. રા’ આખો દિવસ બહાર નીકળ્યા નહીં. ને નરસૈં મહેતાના ચોરામાં રાતે જ્યારે ભાવિકો બીતા બીતા પણ ભેળા થયા, ત્યારે ફરી ભજનો મંડાયાં. મોડી રાતે કંઠે શોષ પડ્યો, ત્યારે અન્ય સૌને આછો આભાસ થયો—એક સ્ત્રીના હાથમાં જળની લોટી છે. ભક્ત નરસૈંયો અંતરિક્ષમાં હોઠ માંડે છે. લોટી ઝાલનાર આકૃતિની ધૂમ્રછાયા વાયુમાં ઓગળી જાય છે. પ્રભાતિયાં બોલીને નરસૈંયે સૌને હાથ જોડી કહ્યું : “વાલાજીનાં સૌ સ્વરૂપો! આજથી આપણા છેલ્લા ‘જે ગોપાળ’ છે. હવે પાણી પાનારને વારંવાર શ્રમ આપવો નથી, બહુ દૂરથી એને કાયા ધરી મહાકષ્ટે આવવું પડે છે. હવે નરસૈંયો ગાશે નહીં. અહીં રહેશેય નહીં.” થોડા દિવસે મહેતાએ જૂનાગઢ છોડી માંગરોળમાં મુકામ કીધો.