લઘુ સિદ્ધાન્તવહી/ચન્દ્રકાન્ત ટોપીવાળા સાહિત્યસૂચિ

ચન્દ્રકાન્ત ટોપીવાળા સાહિત્યસૂચિ

ઈલા નાયક


કાવ્યગ્રંથો :

• મહેરામણ (૧૯૬૩)

એન.એમ. ત્રિપાઠી પ્રાઈવેટ કું, મુંબઈ, રૂા. ૨, પૃષ્ઠ ૧૦૪
પૂરતા કાવ્યકસબ સાથે પરંપરાને અનુસરતી શરૂની કાવ્યરચનાઓનો સંગ્રહ. એમાં વાત્સલ્યગીતો ધ્યાન ખેંચે છે.

• કાન્ત તારી રાણી (૧૯૭૧)

નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, રૂા. ૪-૫૦, પૃષ્ઠ ૩૭
કાવ્યલેખનથી છપાઈ સુધી પ્રતિપરંપરાનું સાહસ બતાવતો આધુનિક પ્રયોગશીલ કાવ્યસંગ્રહ, મુંબઈ વિચ્છેદની અનુભૂતિ એમાં કેન્દ્રસ્થાને છે.

• પક્ષીતીર્થ (૧૯૮૮)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૨૦, પૃષ્ઠ ૮૪
આધુનિકતામાંથી નવા ઉઘાડ તરફ જતો કાવ્યસંગ્રહ. કેટલીક સ્થળવાચક રચનાઓને અગ્રેસર કરે છે.

• બ્લૅક ફોરેસ્ટ (૧૯૮૯)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૧૫, પૃષ્ઠ ૫૫
યુરોપયાત્રાનાં સંવેદનોને સ્થળવાચક અભિવ્યંજના આપતો આ સંગ્રહ જર્મન ઈતિહાસની વેદનાને વિશેષ સાક્ષી બનાવે છે.

• આવાગમન (૧૯૯૯)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૧૦૦, પૃષ્ઠ ૧૭૨
ખુલ્લી દિશાઓમાં વિસ્તરતા આ અનુઆધુનિક કાવ્યસંગ્રહમાં ‘જંતુરમંતુર’, ‘મૃત્યુજલ’, ‘અબોધ કાવ્યો’ જેવા કાવ્યગુચ્છ પ્રકાશિત થયા છે.

• પક્ષીતીર્થ (વિવૃત્ત, ૨૦૦૪)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૧૦૦, પૃ. ૧૪૮
‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ અને ‘બ્લેક ફોરેસ્ટ’ કાવ્યસંગ્રહો અપ્રાપ્ય બનતાં ત્રણેને અંકે કરતો બૃહદ કાવ્યસંગ્રહ.

સંપાદનો :

• વનશ્રી (૧૯૬૩)

એન.એમ. ત્રિપાઠી પ્રાઈવેટ કું. મુંબઈ. રૂા. ૨, પૃષ્ઠ ૯૧
દેવજી રા. મોઢાના વનપ્રવેશ નિમિત્તે એમના ચાર કાવ્યસંગ્રહોમાંથી સંપાદિત કરેલી એકાવન કૃતિઓનો સંચય.

• આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ (અન્ય સાથે, ૧૯૮૬)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૭૦, પૃષ્ઠ ૩૪૬
દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, એ સંજ્ઞાની સમજૂતી અને એની સમજૂતી માટેનું શક્ય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણ આપતો આધુનિક કોશ.

• વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૮)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૧૦, પૃષ્ઠ ૪૭
આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’નો પૂર્તિરૂપ છતાં પોતાની રીતે સ્વતંત્ર અને સ્વાયત્ત સંજ્ઞાકોશ. ઉમેરેલી સંજ્ઞાઓ સાથેની નવી આવૃત્તિ ૨૦૦૩માં થઈ છે.

• નવલરામ (૧૯૮૮)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ રૂા. ૨૦, પૃષ્ઠ ૯૯
નવલરામની મૃત્યુશતાબ્દીએ યોજાયેલા પરિસંવાદમાં નવલરામથી આજ સુધીના આધુનિક વિવેચન પ્રવાહોને આવરતા લેખોનો સંચય.

• વિવેચક ઉમાશંકર (૧૯૮૯)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૧૨, પૃષ્ઠ ૫૮
વિવિધ તજજ્ઞો દ્વારા ઉમાશંકરના વિવેચક તરીકેના વિકાસમાન રહેલા સંવિદનો આલેખ આપતું સંપાદન. જરૂરી સમાર્જન સાથેની બીજી આવૃત્તિ ૨૦૦૩માં પ્રકાશિત થઈ છે.

• ગુજરાતી ટૂંકીવાર્તાકોશ (અન્ય સાથે, ૧૯૯૦)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૨૦, પૃષ્ઠ ૮૮
પૂર્વ ધૂમકેતુથી ઉત્તર ધૂમકેતુ અને પૂર્વ સુરેશ જોષીથી ઉત્તર સુરેશ જોષી સુધીની ગુજરાતી ટૂંકીવાર્તાઓના ટૂંકા પરિચય અને મૂલ્યાંકન યુક્ત અધિકરણો સમાવતો વાર્તાકોશ.

• ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૨ (મુખ્ય સંપાદક, ૧૯૯૦)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૪૦૦, પૃષ્ઠ ૬૪૧
મધ્યકાળ અંગેના ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ના અનુસંધાનમાં પ્રકાશિત ૧૮૫૦થી ૧૯૫૦ વચ્ચે જન્મેલા કર્તાઓ અને એમની કૃતિઓને સમાવતો અર્વાચીનકાળ અંગેનો સાહિત્યકોશ.

• ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો (અન્ય સાથે, ૧૯૯૧)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૬૦, પૃષ્ઠ ૨૮૫
૧૯૮૧ થી ૧૯૯૦ના દશ વર્ષના ગાળાની સાહિત્યિક ગતિવિધિને અહીં વિવિધ લેખકોએ તપાસી છે અને એ દ્વારા સર્જાતા સાહિત્યના ઈતિહાસનું આકલન કરવાનો પ્રયત્ન થયો છે. આ ઇતિહાસ દર્શનમાં અંગત અર્થઘટનોને પૂરતો અવકાશ રહ્યો છે.

• નવમા દાયકાની કવિતા (અન્ય સાથે, ૧૯૯૨)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૨૦, પૃષ્ઠ ૮૮
ગુજરાતી સાહિત્યિક સામયિકોમાંથી પસંદ કરાયેલી નવમા દાયકાની પ્રતિનિધિ રચનાઓનો સંચય. આધુનિકતાના પ્રયોગાતિશય વિસ્ફોટ પછીના આ વિશ્રાન્તિગાળામાં કવિતાની એક ઠરેલ શાણપણની છબી અહીં ઊપસી આવે છે.

• અનુઆધુનિકતાવાદ (અન્ય સાથે, ૧૯૯૩)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૨૦, પૃષ્ઠ ૧૦૪
અનુઆધુનિકતાવાદની આબોહવા અને એના નવા વ્યાકરણને સમજવાની મથામણ કરતા વિવિધ અભ્યાસીઓના લેખોનો સંચય.

• તુલનાત્મક કાવ્યશાસ્ત્ર (અન્ય સાથે, ૧૯૯૪)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૧૮, પૃષ્ઠ ૫૬
છૂટક વિચારો રૂપે ઉલ્લેખાતા કેટલાક તુલના સંદર્ભોને વિકસાવવાનો પ્રયત્ન કરતો વિવિધ અભ્યાસીઓના લેખોનો સંચય.

• જયંત ખત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૪)

આદર્શ પ્રકાશન, અમદાવાદ, રૂા. ૪૦, પૃ.૧૭૬
જયંત ખત્રીની મૂલવણીમાં મૂલ્યવાન ઉમેરો કરતા પ્રાસ્તાવિક લેખ સહિતનો, એમની પરંપરાવાદી અને આધુનિકતાનો પૂર્વ અણસાર આપતી પ્રતિનિધિ વાર્તાઓનો સંચય.

• ગુજરાતી કવિતાચયન, ૧૯૯૩ (૧૯૯૫)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૩૦, પૃષ્ઠ ૭૦
૧૯૯૩ના વર્ષનાં સાહિત્યિક સામયિકોમાંથી પસંદ કરાયેલી પ્રતિનિધિ કાવ્યરચનાઓ દ્વારા પ્રવાહ સંવેદનો દર્શાવતો સંચય.

• ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩ (મુખ્ય સંપાદક, ૧૯૯૬)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૪૦૦, પૃષ્ઠ ૬૪૦
ગુજરાતી સાહિત્યકોશના મધ્યકાળ અને અર્વાચીનકાળના અનુક્રમે ખંડ-૧ અને ખંડ-૨નો અનુગામી આ કોશ ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્ભવ વિકાસનો ઈતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને એમની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રનાં વિભાવનાત્મક પાસાઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધાર ગ્રંથો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો વગેરે સાહિત્યિક પ્રકીર્ણને સમાવે છે.

• ગુજરાતી આત્મકથાલેખન (૧૯૯૮)

સાહિત્ય અકાદમી, દિલ્હી, રૂા. ૧૩૫, પૃષ્ઠ ૪૩૯
મહેતાજી દુર્ગારામથી માંડી દર્શક અને ચન્દ્રકાન્ત બક્ષી સુધીની આત્મકથાઓમાંથી ૪૭ જેટલા અંશોને અહીં લેવામાં આવ્યા છે. ‘સત્યને ઝંખતું સાહિત્યસ્વરૂપ-આત્મકથા’ જેવો આત્મકથાનું મહત્ત્વનું મૂલ્યાંકન આપતો સંપાદકીય લેખ મહત્ત્વનો છે.

• પવન પગથિયાં (૨૦૦૪)

ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર. રૂા. ૭૫, પૃષ્ઠ ૧૧૨
મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ના પૂર્વે પ્રકાશિત ‘રામરસ’ ‘સુરતા’ અને ‘બંદગી’ સંગ્રહો પછી આઠ જેટલી હસ્તપ્રતોમાં સંગ્રહાયેલી એમની રચનાઓમાંથી ૧૦૯ રચનાઓને જુદી તારવતો સંચય.

• આપણી કવિતા સમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (૨૦૦૪)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂા. ૨૨૫, પૃષ્ઠ ૪૩૯
બળવંતરાય ઠાકોરે પૂર્વે ૧૯૩૧માં કરેલા ‘આપણી કવિતા સમૃદ્ધિ’ જેવા કાવ્યસંપાદનને સમજપૂર્વક અને જવાબદારીપૂર્વક આગળ વધારી લગભગ ૧૫૩ કવિઓ અને ૨૫૫ જેટલી રચનાઓને સમાવતો સંચય.

અનુવાદો :

• કલ્પો કે કલ્પના મરી પરવારી છે (૧૯૭૦)

બુટાલા એન્ડ કુ. વડોદરા, રૂા. ૩, પૃષ્ઠ ૧૧
અત્યારસુધી પ્રગટેલી સૌથી ટૂંકી, સેમ્યુઅલ બેકેટની નવલકથાનો અનુવાદ - અણુયુગમાં અણુકદથી વિસ્ફોટ કરતી આ અણુનવલ છે.

• Contemporary Gujarati Poetry (૧૯૭૨)

વેસ્ટર્ન ઈન્ડિયા પબ્લિકેશન, સુરત, રૂા. ૭, પૃષ્ઠ ૩૨
સાતમા દાયકાના મહત્ત્વના ૩૪ જેટલા કવિઓની રચનાઓનો અંગ્રેજીમાં અનુવાદ આપતો સંચય.

• દુઈનો કરુણિકાઓ (૧૯૭૬)

વેસ્ટર્ન ઇન્ડિયા પબ્લિકેશન, સુરત, રૂા. ૧૫, પૃષ્ઠ ૫૮
જર્મન કવિ રિલ્કેની વિખ્યાત દશ કરુણિકાઓનો ગુજરાતી અનુવાદ નોંધ સાથે ‘અન્તઃસ્થતા અને રૂપાન્તર’ જેવો અભ્યાસલેખ એમાં સામેલ છે.

• સોનેટ્સ ટુ ઓર્ફિયસ (૧૯૭૭)

નવભારત સાહિત્ય મન્દિર, અમદાવાદ, રૂા. ૧૫, પૃષ્ઠ ૭૭
જર્મન કવિ રિલ્કેની ઉત્તરવયની પ્રતિભામૂલક સર્જનાત્મકતાને મૂલવવા માટેનું વિશેષ પરિમાણ આપતી સૉનેટોની રચનાશ્રેણીનો ગુજરાતી અનુવાદ.

• મૈથિલી સાહિત્યના ઈતિહાસની રૂપરેખા (૧૯૮૭)

સાહિત્ય અકાદમી, દિલ્હી, રૂા. ૩૦, પૃષ્ઠ ૩૧૬
વિશેષજ્ઞો માટે મૂલ્યવાન પણ સાહિત્યના વિકાસની સમજ માટે એટલી બધી આવશ્યક નહીં એવી ઘણી વિગતોને બાદ કરીને અને ટૂંકાવીને મૂળમાં જયકાન્ત મિશ્ર દ્વારા લખાયેલા મૈથિલી સાહિત્યના ઇતિહાસનો ગુજરાતીમાં અનુવાદ.

• ઈથાકા અને જેરુસલેમ (૧૯૯૬)

રન્નાદે પ્રકાશન, અમદાવાદ, રૂા. ૭૦ પૃષ્ઠ ૧૪૨
ગ્રીક કવિ સી.પી. કેવેફીની કવિતાની ઐતિહાસિક ઘનતા અને હિબ્રુ કવિ યેહૂદા અમિચાઈની કવિતાનો વૈયક્તિક વિષાદ અહીં ગુજરાતી અનુવાદોમાં પ્રતિબિંબિત થયો છે.

• ધ રેવન (૧૯૯૯)

સંસ્કૃતિ પ્રકાશન, અમદાવાદ, રૂા. ૨૫, પૃષ્ઠ ૪૮
આધુનિકતાવાદની નાન્દી જેવી કવિ એડગર એલન પોની પ્રસિદ્ધ અમેરિકી કાવ્યરચનાનો ગુજરાતી પદ્યાનુવાદ. અહીં ચાર ફોટોગ્રાફસ ઉપરાંત ‘સૌન્દર્યનું લયાત્મક આવિષ્કરણ’ નામનો ૨૨ પાનાનો લાંબો પ્રાસ્તાવિક અભ્યાસલેખ સમાવિષ્ટ છે.

• ઈશ્વરની યાતના (૨૦૦૪)

વિલોક ટ્રસ્ટ પ્રકાશન, અમદાવાદ, રૂા. ૬૦, પૃષ્ઠ ૭૦
પ્રસિદ્ધ ફ્રેન્ચ કવિ આલાં બોસ્કની કાવ્યસંગ્રહ ‘God’s Torment’નો ગુજરાતી અનુવાદ. ઈશ્વર અંગેની હજાર વસ્તુઓ કહેવા માટે થયેલી આ રચનાઓમાં કવિએ ઇશ્વરના પુરાકલ્પનને સુન્દર બનાવી દીધું છે.

વિવેચનગ્રંથો :

• અપરિચિત अ અપરિચિત ब (૧૯૭૫)

પ્રજેશ પ્રકાશન, અમદાવાદ, રૂા. ૩૦, પૃષ્ઠ ૧૯૨
સૈદ્ધાન્તિક વિભાગ, અવલોકન વિભાગ, આસ્વાદ વિભાગ અને વિદેશ વિભાગ-એમ ચાર વિષયમાં વિભાજિત આ વિવેચનગ્રંથમાં આધુનિક ગુજરાતી કવિતાનું વ્યાકરણ સમજવાનો પ્રયત્ન છે. વિવેચનના ભાષાભિમુખ વિશ્વનું મંડાણ પહેલવહેલું એમાં જોઈ શકાય છે.

• હદપારના હંસ અને આલ્બેટ્રોસ (૧૯૭૫)

નવભારત સાહિત્ય મન્દિર, અમદાવાદ, રૂા. ૭-૫૦, પૃ. ૧૫૯
ફ્રેન્ચ પ્રતીકવાદી બોદલેર, રે’બો, વર્લે, માલાર્મે, વાલેરી જેવા કવિઓની કવિતાના ગુજરાતી અનુવાદો ઉપરાંત પ્રતીકવાદના વિવેચન પર અહીં લઘુપ્રબંધ સામેલ છે. આ જ ગ્રંથની કેટલાંક સંસ્કરણ સાથે ૨૦૦૨માં બીજી આવૃત્તિ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રકાશિત થઈ છે.

• મધ્યમાલા (૧૯૮૨)

નવભારત સાહિત્ય મન્દિર, અમદાવાદ, રૂા. ૧૧, પૃષ્ઠ ૯૩
આધુનિક સંવેદનની કસોટી સાથે કૃતિલક્ષિતાની ધરીએ મુકાયેલી મધ્યકાલીન રચનાઓના આસ્વાદોનો સંચય. એમાં હેમચન્દ્રાચાર્યના દુહા અને નેમિનાથ ચતુષ્પદિકાથી માંડી કબીર નરસિંહ મીરાં દયારામ સુધીની મધ્યકાલીન રચનાઓનું સઘન વાચન છે.

• પ્રતિભાષાનું કવચ (૧૯૮૪)

ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ, રૂા. ૩૨, પૃષ્ઠ ૧૯૮
આધુનિક સમજની માંડણી કરી, એ સમજ સાથે એક તબક્કે નરસિંહ, કાન્ત, ઉશનસ્ અને બીજે તબક્કે રાજેન્દ્ર શુક્લથી માધવ રામાનુજ સુધીની કવિતા સાથેનું સંધાન છે. મૂલ્યાંકનને કેવળ સંસ્કાર-નિષ્ઠ ન બનવા દેવા માટે અહીં વર્ણનવિવરણની વૈજ્ઞાનિક વ્યવસ્થાનો ઉપયોગ કરાયો છે.

• સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫)

પૂલસા પ્રકાશન, વડોદરા, રૂા. ૮૦ પૃષ્ઠ ૨૪૮
ગુજરાત યુનિવર્સિટીના ઓર્ડિનન્સ ૬૮ હેઠળ માર્ગદર્શક વગર સ્વતંત્ર રીતે તૈયાર કરેલા આ મહાનિબંધમાં ચોમ્સ્કીના ભાષાવિજ્ઞાન અને કવિતાવિવેચનનું સંયોજન વૈજ્ઞાનિક અભિગમથી કરવામાં આવ્યું છે. અહીં ‘તત્ત્વપરીક્ષા’માં મનહર મોદી, અનિલ જોશી, પ્રબોધ પરીખથી માંડિ સિતાંશુ યશશ્ચન્દ્રની આધુનિક રચનાઓને વિચલનના સંપ્રત્યયથી વિશ્લેષવામાં આવી છે. આ ગ્રંથની બીજી આવૃત્તિ (૨૦૦૭) પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ તરફથી પ્રકાશિત થઈ છે.

• વિવેચનનો વિભાજિત પટ (૧૯૯૦)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૭૫, પૃ. ૨૯૬
રશિયન સ્વરૂપવાદની વિચારણાથી શરૂ કરી ઝાક દેરિદા અને મિખાઈલ બાબ્તિન પર્યંતના સંરચનાવાદી, અનુસંરચનાવાદી અને અનુઆધુનિકતાવાદી વલણોનાં વિવરણ ઉપરાંત અહીં કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ નાટક વગેરેને નવાં ઓજારથી તપાસવાનો ઉપક્રમ છે. અલબત્ત, ભાષાલક્ષિતાનો એક તંતુ પસાર થતો અહીં સર્વલેખોમાં સર્વસામાન્ય છે.

• ગ્રંથઘટન (૧૯૯૪)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૬૦, પૃષ્ઠ ૧૭૦
૧૯૭૪ થી ૧૯૯૨ સુધીના ગ્રંથાવલોકનોનો સંચય. અવલોકનોને અહીં વર્ષવાર ગોઠવ્યાં છે. આથી લેખકની આનુક્રમિક પ્રતિભાવોની બદલાતી ક્ષિતિજોનો નકશો મળી શકે છે. એમાં કાલક્રમે લેખકની બદલાતી ચેતનાનું અવલોકન પણ જોઈ શકાય છે.

• સુરેશ જોષી (૧૯૯૬)

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, રૂા. ૪૦, પૃષ્ઠ ૮૦
રમણલાલ જોષી સંપાદિત ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનો આ ૪૩મો મણકો છે. સુરેશ જોષીના સાહિત્ય અને એમના અર્પણનું અહીં સહૃદયતાભર્યું વસ્તુલક્ષી મૂલ્યાંકન થયું છે. અહીં ભૂમિકામાં એમની જીવનસામગ્રીને એમના લેખનની સાથે સાંકળવાનો એક અર્થદ્યોતક પ્રયોગ છે.

• અનેકાયન (૧૯૯૮)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૮૦, પૃ. ૧૨૮
ભારતની અને ભારતબહારની કાવ્યરચનાઓનો એના ગુજરાતીમાં અનુવાદ સહિતનો આસ્વાદસંચય. યુરોપીય, આફ્રિકી, મધ્ય અખાતી અને ભારતીય એમ ચાર વિભાગમાં લગભગ ૪૮ આસ્વાદોની અહીં ગોઠવણી છે.

• અનુઆધુનિકતાવાદ (૧૯૯૯)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૬૦, પૃષ્ઠ ૯૦
પાંચ પ્રકરણોના ટૂંકા ફલક પર અનુઆધુનિકતાવાદની વિશિષ્ટ દાર્શનિક ભૂમિકા અને એના વિવિધ પ્રવાહોને અનેકવિધ પાસાં સાથે આવરી લેવામાં આવ્યાં છે. વિશ્વના પલટાતા તખ્તા સાથે તાલ મેળવવા અનુઆધુનિકતાવાદના મિજાજની ઓળખ મેળવવાની અહીં મથામણ છે.

• નાનાવિધ (૧૯૯૯)

રન્નાદે પ્રકાશન, અમદાવાદ, રૂા. ૧૦૫, પૃષ્ઠ ૨૬૦
વિલંબિત વાચન માટેના સાહિત્યવિવેચનના લઘુલેખોનો આ સંચય વિચારવિકાસને બદલે વિચારોત્તેજક ભૂમિકા પૂરી પાડવાનું કાર્ય કરે છે. આ લેખો એકી બેઠકે એક સાથે વાંચી જવાના લેખો નથી પણ કટકે કટકે, શક્ય હોય તો બે કે ત્રણની સંખ્યામાં રહી રહીને વાંચવાના લેખો છે.

• બહુસંવાદ (૨૦૦૧)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૧૬૦, પુષ્ઠ ૨૫૫
સિદ્ધાન્તલેખનો, મુલાકાતો, કવિ અને કાવ્યસંગ્રહોના પરિચયો, તેમજ વિદેશી સર્જકોના અભ્યાસોને રજૂ કરતો વિવેચનગ્રંથ, સાહિત્યને અનેકવિધ પરિમાણોથી જોનારા વિવિધ અભિગમો અને સિદ્ધાન્તોની પ્રતીતિ સાથે અહીં વિવેચનમાં બહુસંવાદનો માર્ગ લીધો છે. બધા રસ્તાની જાણકારી સાથે અનિવાર્યપણે જે તે રસ્તે ચાલી શકાય એવી નિષ્ઠાનો એમાં નિહિત સ્વીકાર છે.

• દલપતરામ (૨૦૦૨)

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂ।. ૩૫, પૃષ્ઠ ૭૬
સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણી હેઠળ ગુજરાત સાહિત્ય પરિષદે પ્રગટ કરેલો ગ્રંથ. નર્મદને અર્વાચીનોમાં આદ્ય બનાવનાર દલપતરામ નવા જૂનાના પુલ સમા છે એ હકીકતને લક્ષમાં લઈ દલપતરામની અર્વાચીનતા સાથેની સમન્વય ભૂમિકાને આ લઘુપ્રબંધ તપાસે છે અને દલપતરામના ગદ્યપદ્યને નવેસરથી મૂલવે છે. દલપતરામની કેટલીક પ્રતિનિધિ કાવ્યકૃતિઓ આ લઘુપ્રબંધ સાથે જોડવામાં આવી છે.

• રચનાવલી (૨૦૦૨)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૪૦૦, પૃ. ૪૫૨
ગુજરાતી, ભારતીય અને વિશ્વસાહિત્યની ૨૧૮ જેટલી રચનાઓનો અહીં સમાવેશ કરાયો છે. સુગમ પ્રત્યાયન અને આસ્વાદના વિવિધ માર્ગોના અનુસરણ સાથે સાહિત્ય રચનાઓનો પ્રાથમિક પરિચય આપતા કોશનો એને આકાર મળ્યો છે.

• સહવર્તી/પરિવર્તી (૨૦૦૪)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૧૮૦, પૃ. ૨૮૪
સાહિત્યની સાથે સહવર્તી રહેવા માટે જોઈતી તત્પરતા અને પરિવર્તી રહેવા માટે જોઈતી અનુનેયતાની નેમ સાથેનો વિવેચન ગ્રંથ. સૈદ્ધાન્તિક વિવેચન, મધ્યકાલીન વિવેચન, વ્યક્તિવિવેચન, વાર્તાસ્વાદો, પુસ્તકસમીક્ષાઓ અને વિદેશી સાહિત્યનું વિવેચન જેવા વિભાગોમાં અહીં વિવેચન વિભક્ત થયું છે.

• અછાંદસ મીમાંસા (૨૦૦૬)

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, રૂા. ૭૦, પૃષ્ઠ ૧૨૮
ગુજરાતી અછાંદસ કવિતાનું સર્વેક્ષણ કરતો ગ્રંથ. અહીં રચનાઓમાંથી કોઈ વ્યાકરણને તારવવાને બદલે પ્રત્યેક રચનામાં રહેલા પ્રચ્છન્ન વ્યાકરણને તારવવા કરતાં સમજવાનો પ્રયત્ન વિશેષ છે. ઉમાશંકર જોશીથી રાજેશ પંડ્યા જેવા કવિઓની પચ્ચીસેક રચનાઓનો અહીં અભ્યાસ છે.