વનાંચલ/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સર્જક-પરિચય
Jayant-Pathak.jpg


જયન્ત પાઠક ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ, મૂર્ધન્ય વિવેચક, સમર્થ લલિત ગદ્યકાર અને અવિસ્મરણીય સ્મૃતિકથાના લેખક છે. એમનો જન્મ પંચમહાલના દેશી રાજ્ય દેવગઢબારિયાના રાજગઢ તાલુકાના નાનકડા ગામ ગોઠમાં થયો અને શિક્ષણ ગોઠ, કાલોલ અને સૂરતની એમ.ટી.બી કૉલેજમાં લીધું. ગોઠમાં ઘરને લાગીને જ વગડો વિસ્તરેલો હતો, બાળપણમાં એને ખૂંદ્યો હતો તેથી એ વન-વતનનું એમને તીવ્ર આકર્ષણ રહ્યું. એમની કવિતામાં આ વન-વતનના ઝુરપાનો ભાવ તીવ્ર સ્વરૂપે અંકિત થયો છે. સ્મૃતિકથા ‘વનાંચલ’માં પણ. કવિતાના એમના ૧૩ સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ‘વિસ્મયલિપિ’માં એમની સમગ્ર ગ્રંથસ્થ કવિતા અને ‘ઉત્કંઠ’ના ત્રણ ભાગમાં અગ્રંથસ્થ કવિતા સંગ્રહિત થયેલી છે. તેઓ તત્ત્વતઃ ઊર્મિકવિ છે. એમની કવિતામાં ઉત્કટ પ્રણયભાવ – વિરહની વેદના, પ્રકૃતિનો સૌંદર્યલોક અને અતીતરાગ તથા અધ્યાત્મભાવ અને ઊર્ધ્વજીવનની ઝંખના મુખ્યત્વે વ્યક્ત થઈ છે. પાંચમા દાયકાના પ્રમુખ કવિઓમાં તેમનું સ્થાન છે. એમના ગદ્યની સર્જકતાનો આગવો ઉઘાડ સ્મૃતિકથા ‘વનાંચલ’ અને લલિત નિબંધો ‘તરુરાગ અને નદીસૂક્ત’માં માણવા મળે છે. તેમની સમતોલ, ગંભીર, વિચારણીય વિવેચના વિવેચનજગતને આગવું પ્રદાન છે. એમના અનુવાદો પણ નોંધપાત્ર છે.

—દક્ષા વ્યાસ