વસુંધરાનાં વહાલાં-દવલાં/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન
[બીજી આવૃત્તિ]

મારી ઉપન્યાસરચનાઓના ક્રમમાં ‘વસુંધરાનાં વહાલાં-દવલાં’ ચોથી આવે છે. પહેલી ‘સત્યની શોધમાં’, બીજી ‘નિરંજન’, ત્રીજી ‘સોરઠ, તારાં વહેતાં પાણી’, ને ચોથી આ. ૧૯૩૭માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકનું સંચાલન કરતે કરતે, એની વાર્ષિક ભેટ માટે, આ વાર્તા લખી હતી. વીસથી પચીસ દિવસોના ગાળામાં એ પૂરી કરી હતી. એનો રચનાકાળ, આ રીતે, મારી કૃતિઓમાં ટૂંકામાં ટૂંકો કહેવાય. આની પહેલી આવૃત્તિમાં નીચે મુજબ નાનકડું નિવેદન જોડેલું: “આ વાર્તાનો રસ સૌરાષ્ટ્રના મધ્યમ તેમ જ નીચલા થરો વચ્ચેના પડમાંથી ખેંચવાનો એક સ્વતંત્ર પ્રયત્ન છે. એના આલેખનમાં એક જ વિચાર વિકટર હ્યુગોના ‘ધ લાફિંગ મૅન’માંથી પ્રયોજેલ છે: મદારી, હોઠકટો બાળક, અને અંધી છોકરી—એ ત્રિપુટી સર્જવાનો. ત્રણેય પાત્રોનું ખેડાણ તો મેં મારી રીતે જ કર્યું છે. વાર્તાકાળ પચીસ-ત્રીસ વર્ષો પરના સૌરાષ્ટ્રનો લેશો તો ચાલશે.” ઉપલા નિવેદને કેટલાક સમીક્ષકોમાં એવી ગેરસમજ પેદા કરાવી જણાય છે કે, આ કૃતિ હ્યુગોની વાર્તા પરથી પ્રયોજિત અગર અનુવાદિત છે. આ ગેરસમજને ટાળવા માટે ફરી વાર સ્પષ્ટ કરવું પડે છે કે, આ કૃતિને પેલાં ત્રણ પાત્રોના સૂચન કરતાં વિશેષ કશી જ નિસ્બત હ્યુગોના પુસ્તક સાથે નથી. આ તો છે તેજબાઈ, લખડી, પ્રતાપ શેઠ, અમરચંદ શેઠ, કામેશ્વર ગોર ઇત્યાદિ પાત્રોની પ્રધાનપણે બનેલી વાર્તા-સૃષ્ટિ. અને વાર્તાલેખનનું ધ્યેય પણ, ઝંડૂર—બદલીની લગરીક જેટલી ‘રોમાન્સ’ વડે રસ પૂરીને, મુખ્ય કથા તો પેલાં પાત્રોની જ રહેવાનું રહ્યું છે. તેમ છતાં કોઈ શંકાશીલ વિવેચક જો ‘ધ લાફિંગ મૅન’ને તપાસી જશે, તો એ હ્યુગો-કૃતિનો અનેરો આસ્વાદ એને સાંપડશે—અને આ બાબતનો વિભ્રમ ભાંગશે. બાકી તો, ઋણસ્વીકારની પ્રમાણિક રસમ કંઈક જોખમી છે તેવો અનુભવ મને એક કરતાં વધુ વાર રહ્યો છે. મારી આ વાર્તા પર કેટલાય વાચકોને વિશેષ પક્ષપાત છે તે જાણ્યું છે અને તેમને હું કહી શકું છું કે, એ વિશિષ્ટ પક્ષપાતમાં હું પણ સહભાગી છું. એટલે જ, આ કૃતિના કરુણ અંત પ્રત્યેનો અન્ય વાચકોનો અણગમો પાછળથી મારા અંતરમાંયે ઊગ્યો હતો. આ આવૃત્તિમાં બીજું-ત્રીજું ટોચણટીપણ કરવા ઉપરાંત સમાપ્તિને પણ કરુણ છતાં મંગળ બનાવી છે. બોટાદ: ૧૯૪૬
ઝવેરચંદ મેઘાણી