વસુધા/ઉષાના આગારે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઉષાના આગારે

ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા,
સુતેલા સંધ્યાને શિબિર ક્ષિતિજેના મુલકમાં;
જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં
સુભાગ્યો દુર્ભાગ્યો નિત ચિતવતા ને પતવતા.

ઉઠ્યાં છે કલ્લોલી વિહગ ઋતની જાગૃતિ-ઋચા,
સુતેલી સૃષ્ટિની મૃદુ કિરણસ્પર્શે ઋજુ ત્વચા
સ્ફુરે છે અંગાંગે પુલક, નસમાં રક્ત તલકે
અરણ્યે મેદાને ગિરિશિખરપે અબ્ધિ-ફલકે.

પનોતે આ પ્હોરે જગતપટ પ્હોળો ઉખળતો
અહીં દૃષ્ટિ સામે : જગ બઢત શું સંસ્કૃતિ-દિશે
મહા ફાળે ! ત્યાં તો ધણધણત ગોળા વછુટતા
બધું બાળે ઝાળે ભસમ; મસ ડૂમો દિલ દહે.

છતાં જાણું મારી ધરતી પર ક્યાંકે ય સવિતા
સદા જાગે, ને ભો નહિ તિમિરનો છે દિલ, પિતા!